Opinion Magazine
Number of visits: 9449301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાત કેવળ ગળથૂથીની જ નહિ, પણ નાભિ-નાળ ગરબડની છે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

હજુ સુધી તો આવા પ્રયાસો અને આવી ચર્ચાઓ લગભગ અફળ અનુભવાયાં છે, પણ સુધીન્દ્ર કુલકણીનાં નો-નોન્સેન્સ નિરીક્ષણો વિશે આ વખતે પક્ષમાં દિલખુલાસ બહસ થઈ શકે તો તે ભાજપને સારુ રાષ્ટ્રીય ચૂંટણીઓમાં લાગટ બીજી હાર છતાં અને પછી અનાયાસ બની આવેલી એક પથ્ય વાત હશે. વચ્ચે ભાજપ અને કોંગ્રેસનાં તો વળી આજકાલ કોંગ્રેસ અને બીજા બિનભાજપ પક્ષોનાં ઘડિયાં લગન વાસ્તે આતુરતાથી પેશ આવતા લોર્ડ મેઘનાદ દેસાઈએ જોકે એક વાત ઠીક કરી છે આ દિવસોમાં કે બ્રિટનમાં મજૂર પક્ષને સુધરવા માટે જેમ લાગટ ત્રણ વારની હાર જરૂરી બની હતી તેમ બને કે, હજુ ભાજપને એક ત્રીજી હાર પછી વિચાર અને સુધારનો ધક્કો વાગે અને રગ હાથ આવે. મૂળે ‘બ્લિટ્ઝ’ની પૃષ્ઠભૂ ધરાવતા, ડાબેરી ઝોકથી આ બાજુ વળેલા સુધીન્દ્રે કરેલી ટીકાઓ મૂળભૂતપણે નવી નથી. ૨૦૦૪માં પણ એમણે લગભગ આ જ પ્રકારનાં અવલોકનો કર્યાં હતાં અને પક્ષના ઊભા થવા આડે એ ધોરણે સંભવિત અવરોધોની વાત પણ કરી હતી. દેખીતી રીતે જ, એમણે જે ભયાવહ શકયતાઓ ભાખી હતી, તે ૨૦૦૯માં દેખાવા લાગી છે એટલે એમણે ઊભા કરેલા સવાલો બાબત ભાજપના ટેકેદારોએ તેમ જેમણે કોંગ્રેસના વિકલ્પે ભાજપમાં કંઈકે વજૂદ ભાળેલું છે, એ સૌ ચાહકોએ ગંભીરપણે વિચારવાની જરૂર હતી અને છે. સુધીન્દ્ર કુલકણીનાં જે ત્રણ ટીકાત્મક નિરીક્ષણો ૨૦૦૯ની ચૂંટણી ઝુંબેશ પૂરતાં છે- જે રીતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મનમોહનસિંહની જોડે રહ્યાં, તે રીતે ભાજપ શ્રેષ્ઠીઓ અડવાણી સાથે ન રહ્યા, વરુણ ઘટનાએ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મતોને કોંગ્રેસની તરફેણમાં દ્દઢીભૂત કર્યા, ચાલુ ચૂંટણીએ મોદીનું નામ ઉછાળવાથી બાજી ઓર બગડી- એની ચર્ચામાં નહીં જતાં ભાજપ વિશે એમનાં ૨૦૦૪ અને ૨૦૦૯નાં જે સ્થાયી નિરીક્ષણો છે એની જ વાત અહીં કરીશું. સુધીન્દ્રનું સાફ કહેવું છે કે આ પક્ષ જયાં સુધી પોતાની વિચારધારા, ભૌગોલિક અને સામાજિક પ્રસાર, કેડર બેઝ સંગઠના વગેરે બાબતે નવેસર બિલકુલ તાજોમાજો ન થાય ત્યાં સુધી એનું કોઈ ભાવિ નથી. આ સંદર્ભમાં એમણે પુનર્વિચારનાં ચાર ક્ષેત્રો પણ ચોખ્ખેચોખ્ખાં બોલી બતાવ્યાં છે. મુસ્લિમો, હિંદુત્વ, ગરીબો અને આરએસએસ. ટૂંકમાં, પક્ષસમગ્ર પોતે નખશિખ ફેરવિચાર માગી લે છે.

ખરું જોતાં આખો મામલો કેવળ ગળથૂથીથી નહીં પણ ખુદ નાભિ-નાળ સંબંધથી શરૂ થાય છે એમ જ કહેવું જોઈશે. મને યાદ છે, નરસિંહરાવ-મનમોહનસિંહના વારામાં (અયોઘ્યાપૂર્વે) એક અનૌપચારિક ચર્ચામાં અડવાણીને પૂછ્યું હતું કે તમે નરસિંહરાવને લાલબહાદુર શાસ્ત્રી પછીના સારામાં સારા વડાપ્રધાન તેમજ કટોકટીપૂર્વ સંસ્કારોવાળા કોંગ્રેસી નેતા તરીકે જાહેરમાં બિરદાવી ચૂકયા છો! તેમજ નાણાપ્રધાન મનમોહનસિંહે લીધેલાં પગલાં ભાજપની આર્થિક વિચારધારાને સુસંગત છે એમ કહો છો તો હવે તમે જુદા કયાં રહ્યા.

તેમણે એક પણ ક્ષણ ખચકાયા વગર તરત જ કડકડતો ઉત્તર આપ્યો હતો કે ભાઈ, આ આર્થિક વિચારો તે ઓછી કંઈ અમારી ખરી ઓળખ છે? અસલી પહેચાન તો અમારું હિંદુત્વ છે. એના વગર અમારું વજૂદ શું. અડવાણીએ જેના પર ભાર મૂકેલો તે પહેચાનના અયોઘ્યા-પરચા પછી એમણે ‘મારા જીવનનો દિલગીરમાં દિલગીર દિવસ’ અનુભવ્યો હોય તોપણ કોઈ પુનર્વિચાર કરવાપણું તો જોયું નથી. આ હિંદુત્વ ઉર્ફે સાંસ્કતિક રાષ્ટ્રવાદ આખરે છે શું? વ્યવહારમાં જે અનુભવ આવે છે એ તો એ જ છે કે તે આદિ-મઘ્ય-અંત ત્રણે તબક્કે ઓછેવત્તે અંશે મુસ્લિમદ્વેષ વગર પ્રગટ થઈ શકતું નથી. ૨૦૦૨માં શાહનવાઝ હુસેન અને મુખ્તાર અબ્બાસ નકવી જે રીતે ‘એકલા’ પડી ગયા હતા કે ૨૦૦૯નાં પરિણામો પછી એમની જે પ્રતિક્રિયાઓ પ્રગટ થઈ છે, એમાં પણ આ વાનું સાફ દેખાઈ આવે છે.

જયાં સુધી ગરીબોનો સવાલ છે, એ આ પક્ષની પ્રધાન નિસબત કદાપિ રહેલ નથી, કેમ કે ન તો એને ઉજળિયાત વણછાની કળ વળી છે, ન તો હિંદુત્વ રાજનીતિમાં ગરીબીનિવારણ એ કોઈ પાયાનો મુદ્દો છે. અને આરએએસ? ભાઈ, સીધી સાદી વાત છે કે હિંદુ મહાસભામાં પાછા નહીં ફરવા માગતા શ્યામાપ્રસાદ મુખરજીના પ્રમુખપદે જનસંઘ શરૂ કરતી વેળાએ સંગઠન મંત્રી પ્રકારના સઘળા ચાવીરૂપ હોદ્દાઓ આરએસએસે પોતાના પ્રચારકોથી ભર્યા હતા. ચાલુ ભાષામાં કહીએ તો આ સૌ હોદ્દેદારોનું દાયિત્વ અને ઉત્તરદાયિત્વ આરએસએસના વડા કાર્યાલય ભણી હતું. હાલની કોંગ્રેસમાં કે સામ્યવાદીઓ સિવાયના બીજા પક્ષોમાં નહીં એવા ને એટલા સ્વયંસેવી કાર્યકરો ભાજપ કને એક તબક્કે જરૂર હતા. પણ એમનો ઉછેર આમ જનતાનાં આંદોલનોનો નહીં, પરંતુ સંઘસ્થાન પરની કવાયતનો હતો. એટલે જાહેર કામોમાં, ઘણુંબધું કામ કરે ત્યારે પણ એમાં આમ આદમીનો સીધો સંસ્પર્શ ઓછો અને ઉપરથી આવતી આજ્ઞાને આધીન કવાયતી આદેશ ઝાઝો, એવો ઘાટ હતો. વાજપેયીએ ૧૯૭૪થી ૧૯૭૯ દરમિયાન આ બધા જ વિચારો લગભગ પ્રગટપણે વ્યકત કરેલા છે. પણ વાજપેયીના ખુદના પ્રયાસો જો કોસ્મેટિક તબક્કાથી આગળ વધી શકયા નહોતા તો અડવાણીની નિયતિ તો આગલી શિફ્ટમાં ધોવાઈ ચાલેલા આ જૂના મેકઅપથી જ ચાલુ શિફ્ટમાં રોડવવાની છે. સંઘની પકડમાંથી તેમ હિંદુત્વની માનસકિતામાંથી નીકળવાની તૈયારી હોય તો વાત બને. પણ પાકે ઘડે કાંઠા ચડે ખરા? ૨૦૦૪થી ૨૦૦૯માં કોંગ્રેસ આગળ વધી છે, માનો કે તે હજુ પણ આગળ વધી શકે- આ સંજોગોમાં ધોરણસરના વિપક્ષની જરૂર તો હોવાની. પણ એ માટે આ પક્ષો પોતાનો નાભિનાતો તોડવાની અને જેપી આંદોલન વખતના સંસ્કારો સંભારી ટેસ્ટટયૂબ બેબીથીયે અદકો નવજન્મ પામવાની જરૂર છે… પણ પછી પેલી ‘પહેચાન’નું શું? પોષતું તે જ મારતું, બીજું શું.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved