Opinion Magazine
Number of visits: 9448911
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાજપ અને સંઘની ખિદમતમાં થોડું, બબ્બે ભારતરત્નની સાખે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 February 2024

સંઘ શ્રેષ્ઠીઓ જોગ

ભલે માર્ગદર્શક મંડળની અભરાઈએથી પણ અડવાણીએ કહ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન નરસિંહરાવના મૃત્યુ પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે સદ્દગત નેતાની ધોરણસરની અંતિમયાત્રાની કાળજી ન લીધી, એમની ઘોર અવહેલના કરી એવું તમે અમારા પક્ષમાં નહીં જુઓ.

પ્રકાશ ન. શાહ

આજે કર્પૂરી, આવતીકાલે અડવાણી અને પરમ દિવસે ? કદાચ કાંસીરામ ભારતરત્નની આ સંભવિત શૃંખલાને કેવી રીતે જોશું, વારું ? સામાજિક ઇજનેરી અને હિંદુત્વના મેળમિલાપથી ચુનાવી દિગ્વિજયની રણનીતિ તરીકે સ્તો. 

રહો. લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન બનાવાયા, જેમ પૂર્વે અટલબિહારી વાજપેયીને પણ જાહેર કરાયા હતા – આ ઘટનાક્રમને વિનય સીતાપતિ જરી જુદી રીતે ય જુએ છે અને ઘટાવે છે. સીતાપતિને ઓળખ્યા ને ? ‘જુગલબંદી : ધ બી.જે.પી. બીફોર મોદી’ના લેખક. વાજપેયી-અડવાણીની ખાસાં સાઠ વરસની સહયાત્રા ફરતે થયેલી આ નિરુપણા છે. 

સીતાપતિ કહે છે કે આ પુસ્તકના લેખન દરમિયાનમાં હું અડવાણીને મળ્યો ત્યારે મેં નરસિંહરાવ વિશે લખેલું પુસ્તક પ્રકાશિત થયેલું હતું, અને અડવાણીએ તે વાંચ્યું પણ હતું. વાતવાતમાં અડવાણીએ કહ્યું કે નરસિંહરાવના મૃત્યુ પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે સદ્દગત નેતાની ધોરણસરની અંતિમ યાત્રાની કાળજી ન લીધી, બલકે એમની ઘોર અવહેલના કરી એવું તમે અમારા પક્ષમાં નહીં જુઓ. અડવાણીનું આ અવલોકન એ દિવસોમાં આવ્યું હતું જ્યારે માર્ગદર્શક મંડળ નામની રૂપાળી અભરાઈએ એમને ચડાવી દેવામાં આવ્યા હતા. વાજપેયીની વાત કરીએ તો નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી પાણીચું પરખાવવાની એમની ઇચ્છા લગારે ગુપ્ત નહોતી ને નથી. પણ, આ જ વાજપેયી ન.મો.ના પ્રથમ પ્રધાન મંત્રી કાળમાં ભારતરત્ન તરીકે પોંખાયા, અને બીજા કાળમાં આજે અડવાણી પોંખાઈ રહ્યા છે. સોનિયા-રાવના કાઁગ્રેસ મોડેલ કરતાં વાજપેયી-મોદી અને અડવાણી-મોદી મોડેલ ચોક્કસ જ એક જુદી છાપ લઈને આવે છે. 

વિનય સીતાપતિએ આ સંબંધભાતને અનુલક્ષીને સમજૂતી આપતાં ‘હિંદુત્વ ફેવિકોલ’ એવું નામ આપ્યું છે. વાજપેયી જે રીતે હિંદુત્વની લવચિક ને લચીલી વ્યાખ્યામાં ગયા – અમારું હિંદુત્વ સાવરકરનું નથી એ ખાસ સંભાળ લઈને કહ્યું તે જોતાં આ ફેવિકોલ એ હિંદુત્વ કરતાં વધુ તો સંગઠનભાવનાનું છે એમ જ કહેવું જોઈએ. 

વાજપેયી-અડવાણી-મોદી ત્રિકોણને કેવળ ભારતરત્ન પ્રકરણ જેવા ઓઠાથી સમજાવવાથી અને ભા.જ.પ.ને બક્ષવાની ભૂમિકા જો કે એટલી દુરસ્ત નથી જેટલી ઉપલક ઉભડક લાગે છે. પ્રશ્ન આ છે કે વહેવાર તો સાચવી લીધો, પણ પછી શું. વાજપેયી અને અડવાણીનાં પક્ષ જોગ હિતવચનો ભારતરત્નની આડશે લપાઈ જાય તો કથિત ફેવિકોલ એક અર્થમાં બે-મતલબ બની રહે છે એનું શું. 

વાજપેયીએ સંઘ-જનસંઘ સંબંધ સંદર્ભે કહેવા જોગ બધુ જ જનતા ભંગાણ પછી સાઇન્ડ આર્ટિકલમાં ચોખ્ખે ચોખ્ખું આખેઆખું લખ્યું હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દો ટૂક કહ્યું હતું કે તમે નક્કી કરો, આર્ય સમાજની જેમ સુધારસંગઠના છો કે પછી રાજકીય મહત્ત્વાકાંક્ષી પક્ષવત છો. જનતા પક્ષના ઘટક તરીકે જનસંઘ પરની સંઘપકડ વિશેની ફરિયાદ અને બીજું ઘણુંબધું એમાં હશે.

આ જ મુદ્દો અડવાણીએ બીજે છેડેથી પકડ્યો હતો. ઝીણા પ્રશ્ને એમને આંતરવામાં આવ્યા અને ભા.જ.પે. પોતાની મુસ્લિમવિરોધી છબી સુધારવાની તક ખોઇ ત્યારે એમણે કહ્યું હતું કે પક્ષના નિર્ણયો સંઘના દબાણ હેઠળ થાય છે એવો સંદેશો જાય તે પક્ષ અને પરિવાર બેઉ સારુ ઇષ્ટ નથી. 1992ની છઠ્ઠી ડિસેમ્બરને એમણે એક વિષાદી ને દુઃખદ દિવસ તરીકે ચહીને ઓળખાવવાનું પણું જોયું હતું તે મુદ્દો સંઘચિંતનમાં (વિ.હિં.પ.-બજરંગ વિશેષ સંદર્ભમાં) નહીં ઊતર્યો હોવાની એમની લાગણી સતત રહી. 

અલબત્ત, ભારતરત્ન શો વિવેકોપચાર એમને ઠીક લાગ્યો હશે અને વિનય સીતાપતિને પણ એ અન્યથા વસ્યો હશે. પરંતુ એમણે ઉપસ્થિત કરેલા પ્રશ્નો, જેનો અહીં તો અણસાર માત્ર છે, ખાસી આંતરબાહ્ય તપાસ માગી લે છે. ભા.જ.પ.ને અને સંઘને સમજાવું જોઈએ કે એમનો ઇતિહાસ ખાસી જવાબદારી લઈને આવે છે. સાઠ સાઠ વરસની જુગલબંદીને જે ઓછુંવત્તું સમજાયું ને અડ્યુંનડ્યું એની સમજ છેલ્લા દોઢ દાયકાની જુગલબંદ જોડીને કે સંઘશ્રેષ્ઠીઓને કેટલી હશે ? ન જાને.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 ફેબ્રુઆરી 2024

Loading

10 February 2024 Vipool Kalyani
← ઓગણીસમી સદીના મૂલ્યવાન કહેવત સંગ્રહો
चुनाव और भारतीय मुसलमानों के समक्ष विकल्प →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved