Opinion Magazine
Number of visits: 9449389
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાતર પર દિવેલ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 January 2024

રવીન્દ્ર પારેખ

એ સાચું કે ભારત વૈશ્વિક શક્તિ તરીકે ઊભરી રહ્યું છે, પણ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં તેનું  સ્થાન ઉત્તરોત્તર પતનની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે. છેલ્લાં 12 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ભારતનું  સ્થાન નથી. એની સામે ભારતનાં હરીફ ગણાતાં ચીનની, વિશ્વની 300 યુનિવર્સિટીઓમાં 24 યુનિવર્સિટીઓ છે. એ રીતે ચીન ભારતથી ઘણું આગળ છે. 140 કરોડની વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે એ શરમજનક છે કે તેની એક પણ યુનિવર્સિટી વિશ્વની શ્રેષ્ઠ 300 યુનિવર્સિટીઓમાં ક્યાં ય નથી. એમાં ગુજરાત તો શોધ્યું જડે એમ નથી. જો કે, શૈક્ષણિક પતનનો મોડે મોડે પણ ખ્યાલ આવ્યો હોય કે કેમ, પણ થોડો સળવળાટ 2024ની શરૂઆતમાં જોવા મળ્યો છે, તેને શુભ સંકેત ગણવો પડે.

શુક્રવારે સુરતના એક સમાચાર એવા આવ્યા, જેમાં DEO ભગીરથસિંહ પરમારે 42 સ્કૂલના આચાર્યો સાથે બેઠક કરીને, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 2023માં ધોરણ દસ-બારની લેવાયેલી પરીક્ષાઓમાં, વિદ્યાર્થીઓનાં નબળાં પરિણામ અંગે શું થઈ શકે એ અંગે ચર્ચા કરી. 49 સ્કૂલો એવી છે જેનું પરિણામ શૂન્ય કે 30 ટકાથી પણ ઓછું છે. એમાં સારી વાત એ હતી કે DEOના પ્રયત્નો બોર્ડની પરીક્ષાઓનું પરિણામ સુધારવા અંગેના હતા. તેમણે આચાર્યોને એક્શન પ્લાન આપ્યો. એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે અગાઉના પ્રશ્નપત્રો પરથી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર તૈયાર કરીને વિદ્યાર્થીઓની ઓપન બુક એક્ઝામ લેવી. એમ થશે તો વિદ્યાર્થીઓ પરીક્ષા પદ્ધતિથી ને જવાબો લખવાથી ટેવાશે. એ પછી વિદ્યાર્થીઓની બોર્ડમાં લેવાય છે એ પદ્ધતિએ પરીક્ષા લેવી. DEOએ એ ખાતરી પણ આપી કે વિષયો અને પ્રકરણો પ્રમાણે વિદ્યાર્થીઓ કેવી રીતે વધુ માર્કસ મેળવી શકે તેનું મોડ્યુલ એક્સ્પર્ટસ પાસેથી તૈયાર કરાવી જે તે સ્કૂલોને મોકલાશે ને તેની તૈયારીઓ વિદ્યાર્થીઓ પાસે કરાવવાની રહેશે.

DEOએ 49 સ્કૂલોને નોટિસ અપાયાનું કારણ આપતાં કહ્યું કે પૂરતા શિક્ષકો છતાં, શાળાનું પરિણામ નબળું આવ્યું છે. સાહેબની આ વાત સત્યથી વેગળી છે, કારણ વર્ષોથી હજારો કાયમી શિક્ષકોની જગ્યાઓ ભરાઈ નથી. જ્ઞાન સહાયકો હાજર થયા નથી ને પ્રવાસી શિક્ષકોની મુદ્દત જાન્યુઆરીમાં પૂરી થવામાં છે, એ સ્થિતિમાં કાયમી તો ઠીક, કામચલાઉ શિક્ષકોના ય ઠેકાણાં નથી, ત્યાં નબળાં પરિણામ કેવી રીતે સુધરે તે પ્રશ્ન જ છે. એમ લાગે છે કે ગુજરાત સરકાર શિક્ષકો વગર જ પરિણામો સુધારવાનો ડોળ કરી રહી છે.

જે શાળાના આચાર્યો બેઠકમાં ઉપસ્થિત ન હતા તેમને સાત દિવસમાં એક્શન પ્લાન આપવાની તાકીદ કરાઇ છે અને 2024માં પરિણામ નબળું આવ્યું તો જે તે આચાર્યો સામે પગલાં ભરવાની ફરજ પડશે એવી ચેતવણી પણ ઉચ્ચારાઈ છે. આમાં સારી વાત એ છે કે ઘણે વખતે વિદ્યાર્થીઓ અંગે વાત થઈ છે. નબળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ બનાવવા, શિક્ષકો એવું કરી શકે કે એવા વિદ્યાર્થીઓને તેઓ વહેંચી લે. જેમ કે કોઈ સ્કૂલમાં દસ વિદ્યાર્થીઓ છે ને શિક્ષકો પાંચ છે તો તે બબ્બે વિદ્યાર્થીઓ વહેંચી લઈને વિશેષ ધ્યાન આપીને ભણાવે. એ ઉપરાંત જરૂર પ્રમાણે જે શાળાઓનું પરિણામ શ્રેષ્ઠ આવ્યું છે તેનાં ઉત્તમ શિક્ષકો અઠવાડિયે બે દિવસ સ્પેશિયલ ક્લાસ લે એવી ગોઠવણ કરી આપવાની ખાતરી પણ DEOએ આપી છે. સાહેબ આવું કરી શકે તો આનંદ જ થાય, બાકી, શ્રેષ્ઠ શિક્ષકો એમની સ્કૂલનું 100 ટકા પરિણામ જળવાઈ રહે તે જોવાને બદલે વધારાની મદદ કરવા તૈયાર થાય એવું ભાગ્યે જ બને.

આ 49 સ્કૂલોએ દર અઠવાડિયે કેટલો સુધારો થયો તેનો રિપોર્ટ કરવાનો રહેશે – એવી તાકીદ પણ કરવામાં આવી છે. એ રિપોર્ટ જે તે વિષયના શિક્ષકોએ કરવાનું અનિવાર્ય છે. વિષય શિક્ષકોએ જે તે વિદ્યાર્થીના વાલીનો અઠવાડિયામાં બે વખત સંપર્ક કરીને વિદ્યાર્થીનું પરિણામ સુધારવા જરૂર પડ્યે કાઉન્સેલિંગ પણ કરવાનું રહેશે. આ કડકાઈની એટલી અસર તો પડી કે સ્કૂલોએ એક્શન પ્લાન DEOને સોંપ્યો. ફેર એટલો પડ્યો કે રેગ્યુલર ક્લાસ ઉપરાંત વધારાના વર્ગો શરૂ કરાયા છે ને પેપર પ્રેક્ટિસ પણ શરૂ કરાવાઈ છે. આવો જ પ્રયત્ન અમદાવાદ DEO રોહિત ચૌધરીએ 3 જાન્યુઆરી, 2024ને રોજ કર્યો છે. તેમણે 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી સકૂલોને પરિપત્ર મોકલ્યો છે, જેમાં 100 ટકા કોર્સ પૂરો કરીને ડિજિટલ પ્રશ્નપત્ર બેન્કનો મહત્તમ ઉપયોગ કરવાની તાકીદ કરાઇ છે, જેથી વિદ્યાર્થીઓ 33 ટકા ગુણ મેળવી શકે.

મોડે મોડે પણ DEO નબળાં પરિણામો અંગે ચિંતિત છે, તે જાણીને આનંદ થાય, પણ સતત મોનિટરિંગ વગર ગાડી પાટે ચડાવવાનું મુશ્કેલ છે તે સમજી લેવાનું રહે. આ સાવચેતી રાખવામાં લગભગ બધા જ DEO મોડા છે. ગયા માર્ચની પરીક્ષાનું પરિણામ તો મેમાં આવી ગયું હતું ને સાહેબો જાન્યુઆરી અડધો થવા આવ્યો ત્યારે મેદાનમાં આવ્યા છે. વળી બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં લેવાની વાત છે, એટલે દોઢેક મહિનામાં જે થઈ શકે તે કરવાનું છે. જિલ્લા શિક્ષણાધિકારીઓના સૂચવાયેલા ઉપાયો પર નજર નાખીએ તો કેટલીક વાતો ધ્યાને ચડે છે.

1. સાહેબે પેપર પ્રેક્ટિસ કરાવી ઓપન બુક એક્ઝામ લેવાની વાત કરી છે. કોની એક્ઝામ લેવાની વાત છે, આ? તો કે, 10/12ના નબળા વિદ્યાર્થીઓની. એવા વિદ્યાર્થીઓ જેમને 10માં સુધીમાં થોડાં વર્ષ તો લેખિત પરીક્ષાઓ આપવાનું બન્યું જ છે. એમની સત્રાંત પરીક્ષાઓ લેવાઈ છે. દસમાંમાં બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબ પણ એક્ઝામ્સ લેવાઈ છે. પ્રિલિમ લેવાઈ છે. વળી 12 ધોરણવાળાઓને તો પરીક્ષાઓ આપવાનો વધુ બે વર્ષોનો અનુભવ પણ મળ્યો છે, તેમાં ય દસમાની પરીક્ષા પાસ કરવાનો બોર્ડનો અનુભવ તો ઓલરેડી છોગામાં છે જ ! આ વર્ષોમાં ક્યારે ય ઓપન બુક એક્ઝામ લેવાઈ નથી, તો એની નવી ટેવ પાડવાની જરૂર ખરી? ને એ પ્રેક્ટિસ પછી બોર્ડની જે એક્ઝામ માર્ચ, 2024માં વિદ્યાર્થીઓ આપવાના છે તે તો બુક વગર આપવાની છે, તો એની ટેવ માટે સમય પૂરતો થઈ પડશે? કોઈ પણ વર્ષમાં ઓપન બુક એક્ઝામ્સ સ્કૂલનાં વર્ષોમાં લેવાઈ જ ન હોય તો એ આખો ખ્યાલ બકરું કાઢતાં ઊંટ પેઠું – જેવો તો ન થાયને તે જોવાનું રહે. નબળું પરિણામ ઓપન બુક એક્ઝામથી જ સુધારી શકાય એવું સાહેબને કેવી રીતે લાગે છે તે સમજાતું નથી. જે વિદ્યાર્થીઓને ઉત્તરો લખવાનો કે પેપરનો સામનો પહેલી વાર કરવાનો આવ્યો છે, તેમને પણ ઓપન બુક એક્ઝામનો લાભ અપાયો નથી, તો હવે છેક દસમાંમાં વિદ્યાર્થી વખતો વખત લેખિત પરીક્ષાઓ આપી ચૂક્યો છે, ત્યારે ઓપન બુક એક્ઝામનો વિચાર જ બધી રીતે નકારવા યોગ્ય છે.

2. સવાલોનો સવાલ તો એ પણ છે કે ધોરણ દસ/બારની બોર્ડની પરીક્ષા સુધી વિદ્યાર્થીઓ આવ્યા તે પરીક્ષાઓ આપ્યા વગર? કે વગર પરીક્ષાએ જ બધા દસમાં/બારમાં સુધી આવી ગયા છે? વારુ, માત્ર દસમાંની વાત વિચારીએ તો નવમા સુધી પરીક્ષાની ખબર હતી ને કોઈક રીતે પાસ પણ થયા છે. તો, દસમાંમાં આવતાં જ એકાએક પરીક્ષાઓ કેમ અપાય તે ભૂલી ગયા કે એમને ઓપન બુક એક્ઝામમાં ઉતારવા પડે? આપણું શિક્ષણનું માળખું એવું તો છે જ કે વિદ્યાર્થીઓને ભણવાનો અનુભવ કદાચ નહીં હોય, પણ પરીક્ષાનો અનુભવ તો વર્ષોનો છે.

3. માત્ર 10નાં રિઝલ્ટની જ વાત કરીએ તો 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 2022માં 1,007 હતી, તે 2023માં 77 વધીને 1,084 થઈ. શૂન્ય ટકા પરિણામ લાવનારી શાળાઓ રાજ્યમાં 2022માં 121 હતી, તે 2023માં 36 વધીને 157 થઈ. મતલબ કે નબળાં પરિણામમાં શાળાઓએ ઠીક ઠીક વિકાસ કર્યો છે. 30 ટકાથી ઓછાં પરિણામવાળી શાળાઓ ગ્રાન્ટેડ અથવા તો સરકારી છે. એનાં વિદ્યાર્થીઓ ટ્યૂશન ક્લાસમાં જતા હતા કે વર્ગશિક્ષણ પર જ આધારિત હતા તે ખબર નથી, પણ એટલી અટકળ તો થઈ જ શકે કે આવી સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્યૂશન ક્લાસમાં નહીં જઈ શકતા હોય, બાકી ક્લાસિસમાં તો પરીક્ષાનો સારો એવો અનુભવ મળી રહેતો હોય છે. એ ઉપરાંત પણ સ્કૂલો પરીક્ષાઓ તો લેતી જ હોય છે, એટલે વિદ્યાર્થીઓ એમાં બેસતા નહીં હોય તો જ પરીક્ષાનો અનુભવ નહીં હોય, એ સ્વીકારીએ તો  સવાલ એ થાય કે આ વિદ્યાર્થીઓ 10માં સુધી આવ્યા કઇ રીતે? 9 ધોરણ સુધી તો એ પાસ થયા કે એમ જ સીધા 10માંમાં આવી ગયા?

4. DEOએ વિદ્યાર્થીઓ પરીક્ષામાં વધારે માર્કસ મેળવી શકે એ માટે, એક્સપર્ટ દ્વારા મોડ્યુલ તૈયાર કરાવવાની વાત કરી છે. તેવું થાય તો સોના કરતાં પીળું, પણ જાન્યુઆરી અડધો વીતી ચૂક્યો હોય ને પરીક્ષા ધસમસતી આવી રહી હોય ત્યારે એક્સપર્ટ પાસે મોડ્યુલ તૈયાર કરાવવાનું ને તે સ્કૂલોને ને ત્યાંથી વિદ્યાર્થીઓને પહોંચાડવાનું સરળ નથી. એ મોડ્યુલ હાથમાં આવ્યા પછી વિદ્યાર્થીઓ એની તૈયારી કેવી ને કેટલી કરી શકે એ પણ વિચારવાનું રહે. ટૂંકમાં, પરીક્ષા આવી ચડી હોય ત્યારે આ આખો ઉપક્રમ પાર ન પડે તો ‘ખાતર પર દિવેલ’ થવાની શક્યતાઓ વધે જ છે.

5. એમ લાગે છે કે જે વિદ્યાર્થીઓ વર્ગમાં કે પરીક્ષામાં સતત વર્ષોથી હાજર જ ન રહ્યા હોય તેમને ઓપન બુક એક્ઝામ કે પેપર પ્રેક્ટિસની નવાઈ હોય, બાકી દસમાં સુધી પ્રશ્નપત્રોની જાણકારી વગર વિદ્યાર્થી એમ જ પાસ થયા કરે તો આપણો શૈક્ષણિક સ્તર કઇ હદે નબળો છે એ કહેવાની જરૂર ખરી?

જે સ્તરે સ્કૂલ શિક્ષણ કથળ્યું છે એ નવી શિક્ષણ નીતિને બહુ ઝડપથી જૂની કરી દે એમ બને, કારણ એ પોલિસીનો સૂચારુ રૂપે અમલ થાય એવી વ્યવસ્થા કરવાની જ શિક્ષણ વિભાગની તૈયારી ન હોય, તો એકલી પોલિસી જાતે તો સફળ ન થાયને !  રાજ્ય સ્તરે જ શિક્ષણની અમર્યાદ દુર્દશા સતત વર્તાતી હોય ત્યાં વૈશ્વિક સ્તરે ગુજરાતનું સ્થાન નિમ્ન સ્તરે પણ કેટલું નીચે હોય એની તો કલ્પના જ કરવાની રહે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 જાન્યુઆરી 2024

Loading

16 January 2024 Vipool Kalyani
← ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (27) : સમાપન-લેખ : સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સમર્થ ontological corpus of poetics છે  
ચિપકો આંદોલનની અડધી સદી : સફળતા અને વિફળતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved