Opinion Magazine
Number of visits: 9449394
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મમતાનું મોત!

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 January 2024

રવીન્દ્ર પારેખ

એનું નામ સૂચના. સૂચના શેઠ. આમ પશ્ચિમ બંગાળની, પણ બેંગ્લુરુમાં એક સ્ટાર્ટ અપ કંપનીની તે CEO છે. ઉંમર 39 વર્ષ. તે AI એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે. એ ક્ષેત્રનો તેને બારેક વર્ષનો અનુભવ છે. આ ઉપરાંત રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરમાંથી, સંસ્કૃતમાં, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમામાં, તેણે પ્રથમ ક્રમ મેળવ્યો છે તો, ભવાનીપુર એજ્યુકેશન સોસાયટી કોલેજ, કોલકાતામાંથી પ્રથમ ક્રમે ફિઝિક્સ(ઓનર્સ)માં ગ્રેજ્યુએશન પણ કર્યું છે. તે પછી કોલકાતાથી જ તેણે પ્લાઝમા ફિઝિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તે હાવર્ડમાં બે વર્ષ સુધી બર્કમેન કલેઇન સેન્ટરમાં ફેલો પણ રહી ચૂકી છે. અમેરિકામાં એ.આઈ. કંપનીમાં પણ તે કામ કરી ચૂકી છે. 2020માં ‘ધ માઇન્ડફૂલ આઈ.ટી. લેબ કંપની’ તેણે સ્થાપી છે ને આઇ.ટી. હબ મનાતા બેંગ્લુરુમાં તેનું નામ ને નામના છે. એ.આઈ. એથિક્સ દ્વારા 2021માં 100 બ્રિલિયન્ટ વિમેનની યાદી બહાર પડી, એમાં સૂચના શેઠનું નામ છે. લગ્નનાં નવેક વર્ષે તેને એક દીકરો જન્મેલો. તેનાં લગ્ન 2010માં કેરળના વેંકટ રામન સાથે થયાં ને 2023માં તો વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. પતિ પુત્રને મળે તે સૂચનાને મંજૂર ન હતું, પણ કોર્ટે તેને આદેશ કર્યો હતો કે પિતાને, પુત્રને મળતા રોકી શકાય નહીં, એટલે દર રવિવારે તેને દીકરાને મળવા દેવો.

પિતા ન મળે એટલે સૂચના દીકરાને લઈને ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર પહોંચી. 6 જાન્યુઆરી, 2024ને રોજ તેણે પુત્રની સાથે કેન્ડોલિમ સર્વિસ એપાર્ટમેન્ટમાં ચાલતી સોલ બાયાન ગ્રાન્ડ હોટેલનાં રૂમ નંબર 404માં ચેક ઇન કર્યું. 6,7,8 જાન્યુઆરીએ તે પુત્ર સાથે ગોવા ફરે છે ને 8 જાન્યુઆરીની રાત્રે દસેક વાગે હોટેલ રિસેપ્શનને બેંગ્લુરુ જવાનો ઇરાદો જાહેર કરીને કેબ બુક કરવા કહે છે. ટ્રાવેલ ડેસ્કને તેની વાત વિચિત્ર લાગે છે. સ્ટાફે તેને સમય ઓછો લાગે ને ખર્ચ પણ ઓછો થાય એ ગણતરીએ ફ્લાઇટમાં જવા સમજાવી, પણ સૂચના ટેક્સી દ્વારા જ બેંગલુરુ જવા મક્કમ હતી. સ્ટાફે તેનાં આગ્રહને માન આપીને ટેક્સી મંગાવી, પણ એક સવાલ પૂછ્યો કે તે આવી ત્યારે દીકરો સાથે હતો, તે જતી વખતે જણાતો ન હતો. સૂચનાએ કહ્યું કે દીકરાને એક મિત્રને ત્યાં માર્ગોવામાં મૂક્યો છે ને એક મોટી બેગ સાથે તે બેંગ્લુરુ જવા રવાના થઈ ગઈ.

સૂચનાના ચેક આઉટ પછી, બીજી સવારે હોટેલ સ્ટાફ સાફસફાઇ માટે રૂમ નંબર 404માં ગયો, તો ત્યાં લોહીના ડાઘા જોવા મળ્યા. સ્ટાફની વાત સાંભળીને હોટેલે તરત જ કાલંગુટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. જે ડ્રાઈવર સૂચનાને લઈને જઇ રહ્યો હતો, તેને કર્ણાટકના નજીકના ચિત્રદુર્ગ વિસ્તારના ઇમંગલા પોલીસ સ્ટેશન તરફ જવા ગોવા પોલીસે સૂચના આપી. ડ્રાઇવરે તેનો અમલ કર્યો. પોલીસે સૂચનાને અટકમાં લઈને દીકરા અંગે જાણવા પૂછ્યું તો તે મિત્ર પાસે છે તેવો ખુલાસો કરતા એ મિત્રને સરનામે તપાસ કરાઇ તો સરનામું ખોટું નીકળ્યું. વધુ તપાસ કરતાં બેગમાંથી દીકરાની લાશ મળી આવી. સૂચનાને કોર્ટમાં રજૂ કરીને તેનાં ટ્રાન્ઝિટ રિમાન્ડ પોલીસે મેળવ્યા. તેનો

સૂચના શેઠ

પતિ વારા પ્રમાણે રવિવારે મળવા આવે તો ન મળી શકે એ માટે તે ગોવા પહોંચી, પણ તેનો પતિ પહોંચે એમ જ ન હતું, કારણ એ તો ઇન્ડોનેશિયાના જકાર્તામાં હતો. જો એ જકાર્તા હતો તો એ આવશે એવી ગણતરીએ તે ગોવા કેમ ગઈ કે કારણ કોઈ બીજું જ હતું, તેની ખબર નથી, પણ કૈંક ભેદ છે એવું લાગ્યા વગર રહેતું નથી. એમાં કોઈ શંકા નથી કે સૂચના પ્રખર મેધાવી મહિલા છે ને તેણે બુદ્ધિનો ઉપયોગ આ હત્યા પાછળ કર્યો છે. વધુ વાતો તપાસ પછી બહાર આવે એમ બને.

જો કે, કાયદો, કાયદાની રીતે કામ કરશે, પણ આ ઘટના આજની નારીના બદલાતાં આવતાં અત્યંત નિષ્ઠુર સ્વરૂપને પ્રગટ કરે છે. આજની સ્ત્રી કેરિયર ઓરિએન્ટેડ થઈ છે ને તે હવે લગ્ન ન કરવાના મતની થતી જાય છે. કદાચને સૂચના જેવી સ્ત્રી લગ્ન મોડે મોડે કરે છે, તો વાત ઘણુંખરું છૂટાછેડા પર આવે છે. આવા સંજોગોમાં લગ્ન મોડા થવાથી સંતાન સુખથી વંચિત રહેવાનું પણ આવે છે ને જેમને કેરિયરમાં રસ છે તે સ્ત્રીઓ તો સંતાન બહુ ઇચ્છતી પણ નથી. સૂચનાની વાત થોડી જુદી પડે છે, તે એ રીતે કે સંતાન તો તે મેળવે છે, પણ પતિ સાથે છેડા છોડવા પર વાત આવે છે. મોટે ભાગે એવું બને છે કે કેરિયર ઓરિએન્ટેડ સ્ત્રીને, જો તે પરણે છે તો લગ્ન, જીવન સંઘર્ષનું એક કારણ મોડું વહેલું પણ બને છે. તે સ્વસ્થ અને સ્વતંત્ર નિર્ણયો લઈ શકતી મક્કમ સ્ત્રી અલબત્ત ! થઈ છે. તે પ્રખર બુદ્ધિ ધરાવે છે ને પુરુષની જેમ જ તે પણ તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં કરી શકે છે.

સૂચનાનો આ દાખલો આવનાર સમયની સ્ત્રીનો પડઘો પાડતો હોય તો નવાઈ નહીં !  એક સ્વર એવો પણ ઊઠે છે કે કુટુંબ વ્યવસ્થા લગભગ ખોરવાઇ ગઈ છે. આવનારી પેઢી પાસે સત્તા, સંપત્તિ અને સ્વાસ્થ્યની સગવડો હશે, પણ સંવેદન, સ્નેહ અને સંવર્ધનની તકો ઉત્તરોત્તર ઘટતી આવે છે. માંગણી છે, પણ લાગણી નથી. ચામડી છે, પણ રૂંવાડું ફરકતું નથી. આ ગાળામાં બુદ્ધિ વધુ સ્વસ્થ રાખશે, પણ કલેજું ક્રૂર અને ઠંડું હશે. હત્યાઓ ઉશ્કેરાટમાં નહીં, તેટલી ઠંડે કલેજે થતી હશે, જે સૂચનાના કિસ્સામાં પણ જોઈ શકાય છે. તે ચાર વર્ષના સગા દીકરાને નિર્મમતાથી મોતને ઘાટ ઉતારી શકે છે ને કશું જ બન્યું ન હોય તેમ લાશને બેગમાં ભરીને સ્વસ્થતાથી ગોવા છોડી શકે છે. કુદરત આટલી સ્વસ્થતા કોઈને ન આપે એવી પ્રાર્થના કરવી પડે એવા દિવસો આવ્યા છે. આમ તો ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગવાયું છે. એવું પિતા કે પુત્ર માટે નથી કહેવાયું. માનો દરજ્જો આજ સુધી વિશેષ ગણાયો છે. આજે ય મા અજોડ જ છે, પણ જે રીતે તેની જુદી છબી ઊભરી રહી છે, એ પરથી લાગે છે કે છેવટે તો તે પણ સ્ત્રી જ છે. સ્ત્રી કોમળ આજે ય છે, પણ તે નિષ્ઠુર, નિર્દયી, નિર્લજ્જ હોઈ શકે છે એ અનિચ્છાએ પણ સ્વીકારવું પડે એમ છે. સ્ત્રી હત્યારી હોઈ શકે છે, પણ મા હત્યારી હોય એ અસહ્ય છે.

સૂચનાને જોઈએ તો થાય છે કે તે બધી રીતે સક્ષમ છે. તેને પતિ સાથે ન ફાવે ને છૂટાછેડા લે તે ય સમજી શકાય એમ છે, પણ તે ચાર વર્ષનાં પોતાનાં જ દીકરાની હત્યા કરે ત્યારે અરેરાટી વ્યાપી જાય છે. પોલીસના કહેવા પરથી પતિ દીકરાને મળવા આવે એ તેને ગમતું ન હતું ને તે ચાર વર્ષનાં માસૂમ દીકરાને ન મળી શકે એટલે તેને મોઢે ઓશીકું દાબીને ઘાતકી રીતે મારી નાખે તે નિષ્ઠુરતાની પરાકાષ્ટા છે. પતિ દીકરાને મળે તે માને ગમતું નથી, પણ દીકરો તો તેનો પણ હતો, તેને તો ગમતો હતોને ! તો તેને મારી કેમ શકાય? વાંધો પતિ સામે હતો, પણ પતિને આંગળીયે અડાડયા વગર તે ભોગ સગા દીકરાનો લે છે, એ દીકરાનો જેણે તેનું કઇ જ બગાડયું નથી. ગોવા તે હત્યાને ઇરાદે જ આવી હોવાનું પોલીસનું માનવું છે. એ તો હોટેલ સ્ટાફ અને ડ્રાઈવરની સમયસૂચકતા હતી કે સૂચનાને પોલીસ સુધી પહોંચાડી શકાઈ. એટલું છે કે હત્યાનું જે કારણ તેણે આપ્યું છે તે ગળે ઊતરે એમ નથી. પતિને દીકરાને મળતો રોકવા તે ગોવા આવી, તે પણ પતિ જકાર્તા છે, ત્યારે ! કોઈ પણ રીતે પતિ મળી શકે એમ જ નથી એવી શક્યતા હતી, ત્યારે જ તે ગોવા આવે છે. એટલે તેણે જે સમય પસંદ કર્યો છે, તે પતિની નિશ્ચિત ગેરહાજરીનો છે. દીકરો પાછો લઈને બેંગ્લુરુ જાય તે પછી પણ પિતા દીકરાને મળવા આવે એ શક્યતા તો દરેક રવિવારે હતી જ હતી, એટલે તેને થયું હશે કે ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી – જેવું જ કરવું, પણ એટલું કરવામાં તેણે દીકરાને તો મોત આપ્યું, પણ મમતાને પણ મોત જ આપ્યું. સૂચનાએ માતાની વ્યાખ્યા જ જાણે બદલી નાખી છે. મા આવી પણ હોય એવી શક્યતાને તેણે વધુ દૃઢ કરી છે. મા પર પણ અવિશ્વાસ થઈ શકે એ વાત સૂચનાએ, કોઈ પણ સૂચના આપ્યા વગર સિદ્ધ કરી આપી તે દુ:ખદ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 14 જાન્યુઆરી 2024

Loading

15 January 2024 Vipool Kalyani
← ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (26) : રુય્યક
ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (27) : સમાપન-લેખ : સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સમર્થ ontological corpus of poetics છે   →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved