Opinion Magazine
Number of visits: 9447087
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ગાંધી સ્મૃતિ ભવન’ : નિર્વાણથી નિર્માણ તરફ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 October 2023

રવીન્દ્ર પારેખ

‘ગાંધી સ્મૃતિ ભવન’, નિર્વાણથી નિર્માણ તરફ ગતિશીલ થયું તેનો આનંદ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, નાટ્ય અને સાહિત્ય જગતનાં કલાકારો તથા મીડિયાએ નવાં ભવન માટે સક્રિયતા દાખવી ને છેવટે 55,07,46,620નું નાગપુરનું ટેન્ડર મંજૂર થયું. એમ લાગે છે કે બે વર્ષમાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ નવાં રંગેરૂપે પ્રગટ થશે. સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ દ્વારા, ભા.જ.પ. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ સાથેનાં પરામર્શન પછી, ‘ગાંધી સ્મૃતિ ભવન’નાં નસીબ ઊઘડ્યાં ને છઠ્ઠી વખત આવેલું ટેન્ડર મંજૂર થયું. અગાઉ 46 કરોડનો અંદાજ મુકાયેલો, પણ તેથી વધુ લગભગ 10 કરોડનો ખર્ચ, આ વખતનાં 38.21 ટકા ઊંચા ટેન્ડરમાં, 20 ઓક્ટોબરની સ્થાયી સમિતિમાં મંજૂર થયો. એ વખતે ગ્રીન થિયેટરનાં થીમ પર બિલ્ડિંગની ડિઝાઇન મંજૂર કરવામાં આવી હતી, પણ એને અનુરૂપ એજન્સીની ઓફર નહીં મળતાં કોર્પોરેશને પાંચ વખત ટેન્ડર દફતરે કરી દીધાં હતાં. એક તબક્કે તો લાગતું હતું કે ગાંધી સ્મૃતિ હવે સ્મૃતિમાં જ રહેશે. સુરત મહાનગરપાલિકા જ નથી ઇચ્છતી કે ગાંધી સ્મૃતિ થાય – એવું હવામાન પણ એક સમયે હતું. અગાઉના મેયરે તો એક કાર્યક્રમમાં ગાંધી સ્મૃતિ થવાની જાહેરાત કરીને તાળીઓ પણ ઉઘરાવી લીધેલી, પણ પછી વાત ટલ્લે ચડેલી.

એ તો સરદાર સ્મૃતિ ભવનમાં છેલ્લી નાટ્ય સ્પર્ધા થાય નહીં ને ગાંધી સ્મૃતિમાં જીવ આવે નહીં ! શહેરનાં નાટ્યકર્મીઓએ, કલાકારોએ તારસ્વરે ગાંધી સ્મૃતિની વાત વહેતી મૂકી. 816 સભ્યોનું નાટ્ય રસિકોનું એક વોટ્સએપ ગ્રૂપ પણ અસ્તિત્વમાં આવ્યું ને અનેક વાદ-વિવાદ વચ્ચે ગાંધી સ્મૃતિની માંગ તીવ્ર બનતી આવી. થોડા મિત્રો ગાંધી સ્મૃતિનાં અવશેષો પર મળ્યા ને મીડિયાએ પણ મોકળે મને લોકલાગણીને માન-સ્થાન આપ્યું. ગઈ વખત કરતાં, આ વખતે ટેન્ડરમાં ગ્રીન બિલ્ડિંગની શરતોમાં પણ થોડી ઢીલ મૂકવામાં આવી અને ટેન્ડર પણ 4.29 ટકા નીચું આવ્યું, એટલે સુપર કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર અપાશે એમ લાગે છે. જો કે, ગાંધી સ્મૃતિની માંગનો સ્વર બુલંદ થતો જતો હતો, એવામાં ટેન્ડર મંજૂર થઈ જતાં સૌને રાહત થઈ છે.

શહેરનાં ‘રંગ ઉપવન’માં 1955થી નાટકો અને સંગીત, નૃત્યનાં અવેતન, સવેતન સંસ્થાઓનાં ઘણાં કાર્યક્રમો થયા છે. આ ઉપરાંત સુરત ટેક્સટાઇલ માર્કેટનાં ચોથા-પાંચમા માળે પણ ઘણી નાટ્ય ઉપરાંત ઘણી કળાકીય પ્રવૃત્તિઓ થઈ, પણ નાનપુરા, ટીમલિયાવાડમાં 1980થી ‘ગાંધી સ્મૃતિ ભવન’ કાર્યરત થયું કે ટેક્સટાઇલ ઓડિટોરિયમ બંધ પડ્યું. ગાંધી સ્મૃતિ પછી વરાછામાં ‘સરદાર સ્મૃતિ ભવન’ અને તે પછી પાલમાં ‘સંજીવકુમાર ઓડિટોરિયમ’ પણ શરૂ થયું, પણ ગાંધી સ્મૃતિનો જે દબદબો હતો તેવો પ્રભાવ, આ નવાં થિયેટરોનો પડ્યો જ નહીં. ગાંધી સ્મૃતિ બંધ પડ્યું તે પછી પણ, અન્ય થિયેટરો વેગ પકડી શક્યાં નથી તે જ ગાંધી સ્મૃતિનું મહત્ત્વ સિદ્ધ કરવાં પૂરતું છે.

હવે જ્યારે નવું ‘ગાંધી સ્મૃતિ ભવન’ બનવાની વાત છે, તો તેમાં શું શું હશે તેની વિગતો પણ બહાર આવી છે. નવાં ભવનમાં, બેઝમેન્ટમાં અને પાંચમાં, છઠ્ઠા માળે પાર્કિંગની વ્યવસ્થા હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રન્સ પ્લાઝા, ટોઇલેટ બ્લોક, રેસ્ટોરન્ટ અને કાફેટેરિયા હશે. પહેલે માળે ગ્રીન રૂમ, કોન્ફરન્સ હૉલ, વેઇટિંગ, એડમિન-મેનેજર ઓફિસ, વી.આઇ.પી. લાઉન્જ તથા સ્ટેજ સેકશન હશે. બીજા માળે ઓડિટોરિયમની સીટિંગ એરેન્જમેન્ટ તથા ગ્રીન રૂમ્સ હશે. ત્રીજા માળે બાલ્કની સીટિંગ, રીહર્સલ રૂમ હશે તો, ચોથા માળે ઓડિટોરિયમ ડબલ હાઇટ અને રીહર્સલ રૂમ હશે. બને કે આ ઓડિટોરિયમ વધુ ભવ્ય અને સરસ હશે ને જે પ્લાનિંગ છે તેમાં કોઈ ગણતરી ને કારણો પણ હશે. પણ કેટલીક બાબતો તરફ ધ્યાન ખેંચાય એટલે અહીં કેટલુંક કહેવાનું પ્રાપ્ત થાય છે.

એક વાત બહુ સ્પષ્ટપણે એ કહેવાની કે આખું ભવન ઓછામાં ઓછું, નાટ્યભવનની ગરજ તો સારે જ એવું હોવું જોઈએ. એ હેતુ પાર પડે પછી જ બીજી ગણતરીઓ માંડવાની રહે. એને કોઈ પણ સંજોગોમાં સિનેમા ગૃહ તો બનાવવાનું નથી જ ! શહેરમાં સિનેમા ગૃહોની કમી નથી. કમી હોય તો ટીમલિયાવાડ, નાનપરામાં નાટ્યગૃહની છે. નાટ્યગૃહ સિવાયનો બીજો કોઈ પણ હેતુ ‘ગાંધી સ્મૃતિ ભવન’નો મૂળ હેતુ નહીં જ સારે તે કોર્પોરેશને સમજી લેવાનું રહે. નાટ્યગૃહની શરતે ‘ગાંધી સ્મૃતિ ભવન’ બંધાયા પછી, બીજા કોઈ હેતુ માટે તે અપાય તેમાં પણ પ્રાયોરિટી તો નાટકની જ રહે એ કહેવાની જરૂર નથી.

આટલું કહેવાનું એટલે થયું છે, કારણ બાંધકામની વિગતોમાં બાલ્કનીનો ઉલ્લેખ છે. જો એ બાલ્કની નાટક માટે હોય તો પણ તે અનિવાર્ય નથી, કારણ તેની સાઉન્ડ અને સીટિંગની આખી એરેન્જમેન્ટ વિશેષ માવજત માંગે ને એ પળોજણમાં પડવાની જરૂર નથી. જો બાલ્કની ફિલ્મ માટે હોય તો તેને વહેલી તકે નકશામાંથી જ કાઢવાની રહે. નાટક લાઈવ આર્ટ છે એ ધ્યાનમાં રાખીને જ આખું નાટ્યગૃહ ઊભું કરવાનું રહે. રહી વાત રીહર્સલ રૂમ્સની, તો નાટ્યસંસ્થાઓને રીહર્સલ્સ માટે રૂમ ભાડે આપીને આવક ઊભી કરવાનો કોર્પોરેશનનો હેતુ હોય તો જુદી વાત છે, બાકી, સ્થાનિક સંસ્થાઓ તો કોઈ સ્કૂલ/કોલેજનાં રૂમમાં કે તેનાં સભાગૃહમાં રીહર્સલ્સ કરતી હોય છે ને તે પણ મફતના ભાવે. એ સૌને કોર્પોરેશનનું ભાડું માફક આવે તેવું હોય તો ઠીક છે, બાકી સવેતન રંગભૂમિની, સુરત બહારની સંસ્થાઓ રીહર્સલ રૂમનો ઉપયોગ કરે એવું ઓછું જ બનવાનું, કારણ એ સૌ તો તૈયાર થઈને શોને દિવસે જ સુરત આવતા હોય છે. એ વળી રીહર્સલ રૂમનો કેટલોક ઉપયોગ કરે એ પ્રશ્ન જ છે.

બીજી સૌથી મહત્ત્વની વાત તે સુરતની સંસ્થાઓ પાસેથી ભાડું વસૂલવાની. એક વાત સ્પષ્ટ છે કે સૂરતની રંગભૂમિ અવેતન કલાકારોની રંગભૂમિ છે. અહીં ટિકિટ શો થતા નથી. થાય છે તો મોટે ભાગે ફ્લોપ શો થાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ પાણી, રસ્તાનું, પણ તે કલાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા કરવાને તેને પચાસ વર્ષ થવાનાં. જગતની કોઈ કોર્પોરેશન આવી સ્પર્ધા કરતી નથી. એમાં કેવળ સુરત જ મોખરે છે. આ સ્પર્ધાને કારણે અહીં કેટલા ય લેખકો, કલાકારો, દિગ્દર્શકો તૈયાર થયા. આમાંના મોટે ભાગે તો સ્પર્ધા વખતે ને સ્પર્ધા પૂરતાં જ જાગે છે. સ્પર્ધા પૂરી થાય કે વળી સન્નાટો છવાઈ જાય છે. એ પણ છે કે કોઈ કલાકારને નિયમિત કવર મળતું નથી. કવર મળતું હોય તો તે કોઈ ઇનામનું, એ સિવાય કોઈ પણ, નાટકમાંથી નિયમિત કમાણી કરતું નથી. કહી શકાય કે સૂરતની હાલની રંગભૂમિ તો કોર્પોરેશનની સ્પર્ધાને કારણે જ અસ્તિત્વમાં છે. હવે એ નાટક કરવા કોર્પોરેશનને ઊંચું ભાડું ચૂકવી શકે એ જરા પણ સરળ કે વ્યવહારુ નથી, એટલે જ અવેતન રંગભૂમિનુ ભાડું ઓછું હોય તે અપેક્ષિત છે ને અનિવાર્ય પણ ! સુરતના અવેતન કલાકારો પાસેથી કમાણી કરવાનો ખ્યાલ જ કોર્પોરેશને છોડવો પડે. એવું જો નહીં થાય તો પચાસેક વર્ષની મહેનતથી ઊભી કરેલી સુરતની અવેતન રંગભૂમિ ખતમ થઈ જાય એમ બને. નાટ્યસ્પર્ધામાં ઓછી થઈ રહેલી એન્ટ્રિઝ પરથી પણ એ ખ્યાલ આવવો જોઈએ કે અહીંના કલાકારો રસને કારણે જ ટકી રહ્યાં છે. એમના પર આર્થિક બોજ વધશે તો અવેતન રંગભૂમિ, ભંગભૂમિ થઈને રહે તો નવાઈ નહીં !

એવો સવાલ કોઈને થઈ શકે કે આવી અવેતન રંગભૂમિ જરૂરી ખરી? એનો જવાબ હજાર ટકા ‘હા’ છે. તે એટલે કે મુંબઈની રંગભૂમિ કલ્પના પણ ન કરી શકે એવી અદ્ભુત સ્ક્રિપ્ટ્સ અનેક નાટયસંસ્થાઓ દ્વારા સફળતાપૂર્વક કોર્પોરેશનની નાટયસ્પર્ધાઓમાં ભજવાઈ છે. ગુજરાતી અને સ્થાનિક લેખકો ઉપરાંત શેક્સપિયર, બાદલ સરકાર, રત્નાકર મતકરી, મહેશ એલકુંચવાર, ગિરીશ કર્નાડ, જ્યા પૉલ સાર્ત્ર, વિજય તેંડુલકર જેવા અનેક નાટ્યકારોની કૃતિઓએ અહીં તખ્તો ગજવ્યો છે. મૌલિક નાટકો ઉપરાંત વાર્તાઓ, નવલકથાઓ પરથી પણ અહીં નાટકો થયાં છે. આવું બીજે થયું નથી. આવું થતું રહે એટલે પણ સુરતની રંગભૂમિને કોર્પોરેશને શક્ય તે તમામ સહાય કરવાની રહે. જોઈએ તો બીજે કોઈ રસ્તે એ ખોટ કોર્પોરેશન સરભર કરી લે, પણ તેણે સુરતમાં નાટકને જીવતું રાખવાનું છે એ ભૂલવા જેવું નથી.

છેલ્લે એક વાત –

ગાંધી સ્મૃતિ ભવન 1980માં ખુલ્લું મુકાયું. એમાં 2011ની આસપાસ રીપેરિંગ નીકળ્યું. એ ઉપરાંત નાનાંમોટાં સમારકામ તો નીકળ્યાં જ છે. 2017માં વળી ચાર કરોડને ખર્ચે તે રીપેર થયું ને 10 મહિના બંધ રહ્યાં પછી ફરી શરૂ થયું. એ પછી 2019માં 12 જુલાઈને રોજ કોઈ શો ન હતો ત્યારે પ્રેક્ષક ગેલરીનો પી.ઓ.પી.નો પોપડો તૂટી પડ્યો ને ત્યારથી ગાંધી સ્મૃતિ રીપેરિંગ માટે બંધ કરાયું. એ રીપેર થયું કે કેમ તે તો નથી ખબર, પણ થિયેટર ઉતારી લેવાનું તો થયું જ ! ટૂંકમાં, 1980માં શરૂ થયેલું ‘ગાંધી સ્મૃતિ ભવન’ રીપેરિંગમાં કરોડો ખર્ચ્યા પછીયે, 40 વર્ષ પણ ના ટક્યું, તો, સવાલ થાય કે 55.07 કરોડ ખર્ચ્યા પછી કોર્પોરેશનને નવાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ની આવરદાની કોઈ ગેરંટી મળી છે કે થોડાં વર્ષો પછી નવાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ની આજની ઝુંબેશ ફરી શરૂ કરવાની થશે?

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઑક્ટોબર 2023

Loading

23 October 2023 Vipool Kalyani
← ઇઝરાયેલના યહૂદી શાસકો તેમનો પોતાનો અતીત ભૂલી ગયા છે અને મુસલમાનો સાથે એ જ કરે છે જે ખ્રિસ્તી દેશોમાં તેમની સાથે થયું હતું
સત્યવ્રત –  →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved