Opinion Magazine
Number of visits: 9449035
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજનો બાળઉછેર વિશિષ્ટ તાલીમ માગે છે !

હરેશ ધોળકિયા|Opinion - Opinion|3 October 2023

“આજનાં બાળકોનો ઉછેર કેમ કરવો ?” – આ આજના વાલીઓની બહુ મોટી સમસ્યા છે. વાલીઓ સાથે બેસવાનું થાય છે, તો તેમનો મહત્ત્વનો પ્રશ્ન આ જ હોય છે. વાલીઓના ચહેરા પર મૂંઝવણ દેખાતી હોય છે.

આમ તો યુગોથી બાળકો ઊછરતાં આવે છે. વાલીઓ સહજતાથી ઉછેરતાં પણ હોય છે. પણ વર્તમાન સમય વિચિત્ર છે. આગળના સમય કરતાં તેના વિશિષ્ટ પ્રશ્નો છે. અત્યારે જે બાળકો જન્મી ચૂક્યાં છે અને જન્મી રહ્યાં છે અથવા જન્મવાનાં છે, તેઓ એક તદ્દન અલગ, કલ્પનાતીત સંકુલ જગતમાં આવે છે. અત્યારે જગતનાં બે મુખ્ય લક્ષણો છે. એક, સમગ્ર જગત સંપૂર્ણ રીતે ટેકનોલોજીગ્રસ્ત થઈ ગયું છે. ટેકનોલોજીએ સમગ્ર માનવજાત પર ઓક્ટોપસ જેમ ભરડો લીધો છે. કોઈ ઇચ્છે તો તેનાથી બચી શકે તેમ નથી. અને બીજું, આજે જે આકર્ષણો છે તે આજ સુધીના બધા જ યુગો કરતાં વધારે છે. અને તેનું જે આક્રમણ છે તે પણ ભયંકર છે. તેનાથી પણ બચી શકાય તેમ નથી.

બાળપણથી જ બાળકો ટેકનોલોજીનાં ગુલામ થતાં જાય છે. મોબાઈલ, ઇન્ટરનેટ, અનેક જાતનાં વિવિધ એપ્સ – આ બધું તેમને બાળપણથી જ મળવા લાગે છે. અને હવે ઓનલાઈન શિક્ષણ થઈ જવાથી આજ સુધી ગ્રામ્ય સ્તરે ટેકનોલોજી ન હતી, તે પણ હવે તેમના હાથમાં આવી ગઈ છે. અને બીજું, તેના માધ્યમથી આકર્ષણોનું નેટ અને મીડિયા દ્વારા જે ભયંકર આક્રમણ થઈ રહ્યું છે તેનાથી બાળકોને કેમ બચાવવાં એ સમસ્યા બની ગઈ છે. બલકે, લગભગ અશક્ય છે !

ટેકનોલોજી બાળકોને નાનપણથી જ પુખ્ત જગતનો પરિચય કરાવી દે છે. નેટ જ્ઞાનદાયક છે, ઉત્તમ જ્ઞાન આપે છે, પણ સમાંતરે બિનજરૂરી જ્ઞાન પણ આપે છે. તેમાં ભયંકર છે “પોર્નોગ્રાફી” જ્ઞાન ! જાતીયતા જે આજ સુધી અંગત ઘટના હતી, તે હવે નેટ પર આવી ગઈ છે. બધું જ ખુલ્લું બતાવવામાં આવે છે. બાળકો નાનપણથી જ બધું આરામથી જુએ છે. અને બાળકો તો જિજ્ઞાસુ અને પ્રયોગવીર હોય છે. તે ‘તેના’ પ્રયોગો કરે છે. ચૌદ પંદર વર્ષની ઉંમરથી આજે બાળકો જાતીયતા બાબતે ‘સક્રિય’ થઈ ગયાં છે. એક અભ્યાસ કહે છે કે દસમા અને અગિયારમા ધોરણનાં દસ છોકરા-છોકરીઓમાંથી આશરે ચારથી પાંચ સક્રિય રીતે જાતીય વ્યવહાર કરે છે. અને જે જોડાવા ન ઇચ્છે તેને તેના મિત્રો નપુંસક કે મણિબહેન કહી મશ્કરી કરે છે. પરિણામે તેમને વશ થવું પડે છે. ન થાય તો ભયંકર તાણનો ભોગ બનવું પડે છે. તરુણોમાં ‘વર્જીનિટી’ – બ્રહ્મચર્ય એક હાસ્યાસ્પદ શબ્દ બની ગયો છે.

હવે ક્લ્પના કરીએ કે તરુણાવસ્થાથી – જ્યારે એકાગ્ર થઈ અભ્યાસ કરવાનો હોય – જો બાળકો આ રીતે સક્રિય થઈ જાય, તો તેમની એકાગ્રતા ટકશે ખરી ? તે ચંચળ જ થઈ જવાનાં. અને થઈ જ ગયાં છે. તેમની એકાગ્રતાની માત્રા લગભગ શૂન્ય નજીક આવતી જાય છે એમ અભ્યાસો કહે છે. ખાસ કરીને છોકરાઓમાં ભણવાનું ઓછું થતું જાય છે તે તેનો પુરાવો છે. તેઓ મોબાઈલનો મોટા ભાગે ઉપયોગ આવી સાઈટો જોવામાં જ કરે છે. છોકરીઓમાં પણ ધીમે ધીમે આ પ્રમાણ વધતું જાય છે, ખાસ કરીને મધ્યમ અને પૈસાદાર લોકોમાં. પરિણામે જે ઉંમરે તેઓ થનગનાટ કરતાં હોય, ત્યારે ઢીલાં દેખાય છે. શીખવાની કે કંઈ નવું કરવાની ગતિ પણ ધીમી પડેલી દેખાય છે.

બીજી જે ભયંકર ઘટના બની રહી છે તે છે ‘ડ્રગ્ઝ’નો વધતો ઉપયોગ. કૉલેજોમાં, હોસ્ટેલોમાં, શેરીઓના ખૂણે અનેક યુવાનો ડ્રગ્ઝના બંધાણી જોવા મળે છે. રોજ જે અધધધ ડ્રગ્ઝનો જથ્થો પકડાય છે તે જ તેની વપરાશની સાબિતી છે. આટલા વિરાટ જથ્થાનો ઉપયોગ  થતો હશે, તેને ખરીદનાર હશે તો જ આવતો હશે ને ! “ઊડતા પંજાબ” ફિલ્મ તેનો જ પુરાવો છે. આજના યુવાનો દેખાદેખીમાં કે દબાણમાં આવીને ડ્રગ્ઝના શિકાર બની રહ્યા છે. અને તેનું પરિણામ તો પોર્નોગ્રાફી કરતાં પણ વધારે ભયંકર છે. તેનાથી તો વળી બુદ્ધિશક્તિ અને શારીરિક શક્તિ – બંને ખલાસ થઈ જાય છે. એક બાજુ યુવાનો માટે બહાર જઈ ઉચ્ચ અભ્યાસ કરવાની તકો વધતી જાય છે અને સમાંતરે ત્યાં જઈ તેઓ ડ્રગ્ઝમાં ફસાઈ જાય છે. આજના વાલીઓ માટે આ સમસ્યા વધારે ભયંકર બની છે. એક વાલી – જે પોલીસ છે અને ડ્રગ્ઝ પકડે છે – તેણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેના પુત્રને બહાર તો મોકલ્યો છે, પણ તે ડ્રગ્ઝમાં ફસાયો છે કે નહીં તેની ખબર નથી અને તેઓ તેની ચિંતા કરે છે.

વહેલી જાતીય સક્રિયતા અને ડ્રગ્ઝનું બંધાણ એ આજના વાલીઓ માટે ભયાનક કહી શકાય તેવી સમસ્યા છે. તેનાથી તેમનાં સંતાનોને કેમ બચાવવાં તે તેઓ સમજી શકતાં નથી. એટલે આજે જ્યારે બાળ- ઉછેરનો મુદ્દો ચર્ચાય ત્યારે આ બે મુદ્દાની ચર્ચા અતિ મહત્ત્વની બની જાય છે.

શું કરી શકાય ?

આજનાં માતાપિતા માટે બાળકને ટેકનોલોજીથી દૂર રાખવાં એ અશક્ય છે, કારણ કે તેઓ પોતે જ તેનાં ગુલામ છે. બાળકો “જુએ છે” કે વડીલો પણ આખો દિવસ મોબાઈલ જોયા કરે છે. બાળકો તો માત્ર નકલ કરે છે. આ ગુલામીના કારણે માતાપિતા બાળકને પૂરો સમય પણ આપી શકતાં નથી. તેમની સાથે વાતો નથી કરી શકતાં કે નથી સાથે હરી ફરી શકતાં. એટલે બાળક એકલું પડે છે અને તે પણ મોબાઈલના શરણે જાય છે.

બીજું, ઘણાં માતા પિતા અને વડીલો પણ આ પોર્નોગ્રાફીનાં શિકાર છે. તો પછી તેઓ બાળકને કેમ કહી શકવાનાં ? બાળક તો માત્ર નકલ જ કરે છે ! તે વડીલોનાં વર્તનને બરાબર જુએ છે. અને તેઓ આજે વધારે સ્વતંત્ર છે. એટલે વડીલ કદાચ ઉપદેશ આપવા જાય તો સામે સંભળાવી દે છે. અથવા તેમનાથી દૂર રહે છે. અનેક વાલીઓ પણ વ્યસની છે. તેઓ કહી શકવાની હિંમત કરી શકશે ? બાળકો શીખવા તૈયાર છે, જો વડીલો પોતે સ્વસ્થ હોય તો !

અત્યારના ઉછેરમાં માતા-પિતાએ બાળકને મહત્તમ સમય આપવાની તાતી જરૂર છે. બાળપણથી જ તેમને વિચારતાં, સાચાં ખોટાંનો વિવેક કેળવતાં, જગતને તટસ્થ રીતે જોતાં – આ બધાની વ્યવસ્થિત તાલીમ આપવાની છે. લાલચોથી કેમ બચવું, લોકોથી બિનજરૂરી પ્રભાવિત કેમ ન થવું આ બધાની પણ તાલીમ આપવાની છે. અયોગ્ય બાબતોને ઓળખતાં અને તેને દૃઢતાથી “ના પાડતાં” શીખવવાનું છે. સ્વસ્થ બુદ્ધિ અને દૃઢ મન – આ બે તાલીમ અનિવાર્ય છે. અને સૌથી મોટી વાત કે વડીલોથી “કોઈ પણ વાત ન છુપાવવી” એ શીખવવાનું છે. અને એ ત્યારે જ શક્ય બનશે જો માતા પિતાનો બાળક સાથે નિખાલસ સંબંધ હશે. જો તેઓ તેનાં ‘સાચાં’ મિત્ર હશે તો. અત્યારે તેનો અભાવ છે એટલે બાળકો પોતાના જેવડાં જ બાળકો સાથે ચર્ચાઓ કરે છે. પણ તેમના મિત્રો પણ ક્ફ્યુઝ્ડ છે. તેથી બંને વધુ મૂંઝાય છે. પણ જો માતાપિતા કે વડીલ કે શિક્ષક પર બાળકને સો ટકા વિશ્વાસ હશે તો તે કશું તેનાથી નહીં છુપાવે. કદાચ જાતીય સંબંધની બાબત પણ નિ:સંકોચ ચર્ચશે. આ બધું શક્ય છે, જો માતા પિતા પોતે જાગૃત હશે, ટેકનોલોજીનો ઉપયોગ કરતાં હશે, પણ ગુલામ નહીં હોય અને બાળકોને તટસ્થ રીતે સાચી માહિતી આપતાં હશે.

બાળકને લાડ કરી બગાડવાનું તો જરા પણ નથી. સો ટકા પ્રેમ આપવાનો છે. શિસ્ત અને જવાબદારીનું શિક્ષણ આપવાનું છે. અગત્યની વાત એ છે કે નાનપણથી જ વિવેકયુક્ત, શાસ્ત્રીય રીતે વિચારતાં શીખવવાનું છે. ‘વિચારતાં શીખવવું’ જ મહત્ત્વની બાબત છે ઉછેરમાં. આજે વાલીઓ બાળકને સંસ્કૃતિના નામે વ્યર્થ પરંપરાઓ, જ્ઞાતિવાદ, જાતિવાદ, ધાર્મિકતા વગેરે જેવી સંકુચિત બાબતો શીખવવામાં જેટલો ઉત્સાહ બતાવે છે, તેટલો ઉત્સાહ વિશાળ અને વિવેકી વિચાર કરતાં શીખવવામાં નથી કરતાં.

એકવીસમી સદી વૈશ્વિક – ગ્લોબલ – છે. બાળકને વૈશ્વિક બનાવવાનું છે. તે માત્ર વિજ્ઞાન શીખે તે મહત્ત્વનું નથી. જાતે વૈજ્ઞાનિક ચિંતન કરતાં શીખે તે પણ મહત્ત્વનું છે. અને તે તો જ શીખશે, જો માતા પિતા, શિક્ષકો અને વડીલો પણ વૈશ્વિક ચિત્ત ધરાવતાં હશે.

ન્યુમિન્ટ રોડ, ભુજ-કચ્છ
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 19-20

Loading

3 October 2023 Vipool Kalyani
← કહાની આર્જેન્ટીનાની : જમીન પર કબજો કોનો ?
કૃત્રિમ બુદ્ધિનું નિયમન અને ન્યાય →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved