Opinion Magazine
Number of visits: 9506016
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષક જ્ઞાન સહાયક હોય તો શિક્ષણ મંત્રી જ્ઞાન સહાયક કેમ નહીં?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 September 2023

રવીન્દ્ર પારેખ

રવિવારના સમાચાર છે કે શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબને, જ્ઞાન સહાયક યોજના અંગે આવેદનપત્ર આપવા કેટલાક ઉમેદવારો ગયા, તો સાહેબે એવું છાશિયું કર્યું કે નોકરી કરવી હોય તો કરો, નહીં તો ઘરે બેસો. સાહેબ પોતે અધ્યાપન સાથે જોડાયેલા હતા, પણ હવે મંત્રી છે એટલે ભાવિ શિક્ષકો સાથે તો અવિવેક જ વિવેક ગણાય ને તે સાહેબે દાખવ્યો, પણ સાહેબનો ઝોક એવો હતો કે જ્ઞાન સહાયક યોજનામાં જોડાવું એ જ એક માત્ર વિકલ્પ ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે છે. અહીં સવાલ એ થાય કે જ્ઞાન સહાયક યોજના એટલી જ ઉત્તમ છે તો ક્વોલિફાઇડ ઉમેદવારો અમસ્તો જ વિરોધ કરે છે? એનો જવાબ એ કે આ યોજના બદથી બદતર છે. વિદ્યા સહાયક યોજનામાં એ તક હતી કે અમુક વર્ષની (સફળ) નોકરી પછી જે તે શિક્ષક કાયમી થતો. એ યોજના બંધ કરી અને તેને વિકલ્પે જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી. આ યોજનામાં વિદ્યા સહાયક કરતાં પગાર વધારે, પણ તે 11 મહિના પૂરતો જ ! મતલબ કે આ યોજના અંતર્ગત શિક્ષકને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી આપવાની વાત હતી. 11 મહિના પછી શિક્ષક છૂટો થાય અને તેણે નોકરી કરવી હોય તો ફરી અરજી કરવાની ને એવું તેણે દર અગિયાર મહિને કરતાં રહેવાનું. એવું કરીને શિક્ષક રિટાયર થવાની ઉંમરે પણ કાયમ ન થાય એ નક્કી. હવે આનો વિરોધ ઉમેદવારો કરે તો તેમાં ખોટું શું છે? આખી યોજના બનાવવામાં જ એટલે આવી કે શિક્ષક કાયમી થાય જ નહીં ને નિવૃત્તિ પછીના લાભો શિક્ષકને આપવા ન પડે. રિટાયર થવાની ઉંમરે, વર્ષોવર્ષ 11 મહિનાની નોકરી પછી પણ, છેલ્લી નોકરી 11 મહિનાની કરીને, કોઈ જ આશા વગર શિક્ષકે ઘર ભેગા થઈ જવાનું.

2017થી ત્રીસેક હજાર કાયમી શિક્ષકોની ઘટ પુરાઈ નથી. સરકારને પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકો, શિક્ષા સહાયકો, જ્ઞાન સહાયકોની યોજના કરવાનો સમય છે, પણ કાયમી શિક્ષકોની ભરતી કરવાનો સમય નથી. એવી ભરતી કરવાનું સરકારને ન જ સૂઝે, કારણ કાયમી ભરતી કરવાની તેની દાનત જ નથી. દાનત એટલે નથી, કારણ નિવૃત્તિ પછીનાં પેન્શન વગેરેના લાભો સરકાર આપવા તૈયાર નથી, એટલે જ તે કામચલાઉ યોજનાઓનો ખડકલો કરતી રહે છે. સરકાર શિક્ષકોનું પેન્શન બંધ કરવા માંગે તો ભલે, પણ તે પહેલાં તેણે સાંસદોનું પેન્શન બંધ કરવું જોઈએ. એ જ રીતે કોર્પોરેટરો, ધારાસભ્યોનું પેન્શન પણ બંધ કરે ને પછી શિક્ષકોનાં પેન્શનને હાથ લગાડે. એવું જો સરકાર કરે તો કુહાડા પર પગ મારવા જેવું થાય, કારણ સરકારમાં તો એક સાથે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદનું પેન્શન ગજવે ઘાલનારા પણ છે. ત્યાં હાથ નથી મુકાતો ને બધી કસર શિક્ષકને માથે જ રાખી છે. કોઈ પણ સરકારી તંત્રમાં કસર ભાગ્યે જ થાય છે, પણ શિક્ષકને આપવામાં હાથ ટૂંકો જ પડે છે. એ ખરું કે કેટલાક શિક્ષકો પગારને નહીં, પણ દંડને લાયક છે, પણ બધા એવા નથી. એટલે પાડાને વાંકે પખાલીને ડામ ન દેવાય ને નબળાઈ તો અન્ય તંત્રોમાં પણ ક્યાં નથી? જો, ત્યાં પેન્શન બંધ નથી થતું, તો શિક્ષકોનું પણ બંધ ન થવું જોઈએ.

ખરેખર તો શિક્ષણ વિભાગે યોજનાઓ લાગુ કરતાં પહેલાં પોતાના વિભાગમાં તે લાગુ કરવી જોઈએ. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કારકૂનો, અધિકારીઓ, સચિવો, મંત્રીઓ લેવાશે? શિક્ષણ મંત્રીની ને તેમના અધ્યાપકોની જોબ પેન્શનેબલ છે કે તે સૌ એમ જ નિવૃત્ત થવાના છે? શિક્ષણ મંત્રી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવાય છે? જો નહીં, તો શિક્ષક કોન્ટ્રાક્ટ પર કેમ? જો શિક્ષણ મંત્રી જ્ઞાન સહાયક નથી, તો શિક્ષક જ્ઞાન સહાયક કેમ? રેલવેમાં, બેન્કોમાં બધી નોકરીઓ કામચલાઉ છે? તો, શિક્ષકો જ કામચલાઉ કેમ? એ સમજી શકાય એવું છે કે કેટલીક જગ્યાઓ કામચલાઉ ધોરણે ભરવી પડે, પણ બધી જ જગ્યાઓ હંગામી તો ન હોયને ! નિવૃત્તિ પછીના લાભો આપવા પડે એટલે 2017થી કાયમી ભરતી થાય જ નહીં, એ કેવું? કેટલી ય શૈક્ષણિક સંસ્થાઓમાં એને કારણે શિક્ષકો નથી. 700 સ્કૂલો એવી છે, જ્યાં એક જ શિક્ષકથી કામ ચાલે છે, ગુજરાતમાં જ એક સંસ્થા એવી છે, જ્યાં  શિક્ષક નથી, તે પણ હાયર સેકંડરીમાં. આ યોગ્ય છે? 2020થી નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે. હવે જો શિક્ષકો જ પૂરતી સંખ્યામાં ન હોય તો નવી શિક્ષણ નીતિ અસરકારક રીતે લાગુ થશે જ એવું સરકારને કઇ રીતે લાગે છે?

લાગે છે એવું કે સરકાર, સરકારી ને ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરવા માંગે છે. અઢળક ટેક્સ પ્રજા પાસેથી વસૂલ્યા પછી પણ, મફત શિક્ષણ આપતાં સરકારને ઠંડી ચડે છે. મફત શિક્ષણ બંધ થાય તો સરકારનો ખર્ચ બચે ને ખાનગી સ્કૂલોનું ચલણ વધે. ખાનગીની કોઈ જવાબદારી સરકારની નથી, એટલે ત્યાં શિક્ષકોની ને ફીની શી સ્થિતિ છે, તે સરકારે જોવાનું નથી, પણ, એ ધ્યાનમાં લેવાનું રહે કે જે ગરીબ માબાપો આર્થિક જવાબદારી વહન કરી શકે એમ જ નથી, એમને માટે સરકારે મફત શિક્ષણની યોજના કરી. કન્યાઓ શિક્ષિત થાય એટલે કન્યા કેળવણી મફત કરી, આદિવાસીઓ અને અન્ય પછાત જાતિઓનાં સંતાનો ભણે એટલે પણ પ્રાથમિક શિક્ષણ મફત રાખ્યું. હવે જો ઇરાદો સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવાનો હોય તો રાજ્યની ઘણી વસતિ અશિક્ષિત રહેશે. એ થવા દેવાનું છે? એક વાત સ્પષ્ટ છે કે પ્રાથમિક શિક્ષણ અસરકારક રીતે વિનામૂલ્યે ચાલુ નહીં રહે તો ગુજરાતથી પછાત રાજ્ય ભારતમાં બીજું કોઈ નહીં હોય.

એક તરફ ગુજરાતની આ સ્થિતિ છે, તો બીજી તરફ પેરિસની મલ્ટિનેશનલ માર્કેટિંગ રીસર્ચ ફાર્મ ઈપ્સોસનો સર્વે, દેશ અંગે જુદી જ વાત કરે છે. આ સંસ્થાના અહેવાલ મુજબ 50-55 ટકા શહેરી લોકો માને છે કે એજ્યુકેશન સિસ્ટમ સારી છે ને ગુણવત્તા પહેલાં કરતાં સુધરી છે. દેશના 76 ટકા શહેરી ભારતીયો માને છે કે શિક્ષણ માટેનાં સંસાધનો અને સગવડો પૂરતી માત્રામાં છે. સર્વેનાં એક તારણ મુજબ 80 ટકા શહેરીજનો માને છે કે શિક્ષકોને સન્માન આપવામાં ભારત મોખરે છે. હશે, ક્યાંક એવું પણ હશે, પણ ગુજરાતમાં શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબ ટેટ-ટાટ પાસ ઉમેદવારોને કહે કે નોકરી કરવી હોય તો કરો, નહીં તો ઘરે બેસો – એના પરથી શિક્ષકો કેટલા સન્માનનીય છે તે સમજી શકાય એવું છે. 50-55 ટકા શહેરીજનો માને છે કે એજ્યુકેશન સિસ્ટમ સારી છે, ગુણવત્તા સુધરી છે, તો કલ્પી શકાય કે પેરિસની એ સંસ્થા ગુજરાત સુધી નહીં પહોંચી હોય. કાયમી શિક્ષકોની હજારોની સંખ્યામાં ભરતી જ થઈ ન હોય ને કારભાર શિક્ષકો વગર જ ચાલતો હોય, તો સિસ્ટમ ને ગુણવત્તા સારી છે એવું કઇ રીતે માનવું? શિક્ષકોનો, પડતર માંગણીઓ પૂરી ન થવા સંદર્ભે વિરોધ વધતો જતો હોય તો ‘સબ સલામત’નો ઘંટ પેરિસની એક સંસ્થા કઇ રીતે વગાડી શકે?

જો કે, જવાબદાર તો શિક્ષકો પણ છે. કાયમી શિક્ષકોની ઘટ પૂરી કરવાનો સરકારનો ઇરાદો જણાતો જ ન હોય ને તેને લીધે જે શિક્ષકો હાજર હોય તેમના પર કામનું ભારણ વધતું આવતું હોય ને જ્ઞાન સહાયકની વૈકલ્પિક વ્યવસ્થા જ કાયમી થવા જઇ રહી હોય, ત્યાં શૈક્ષિક યુનિયનો ચૂપ રહે તે અક્ષમ્ય છે. મોટે ભાગના યુનિયનોની પડતર માંગણીઓ આર્થિકથી આગળ જતી નથી. એવામાં વિદ્યાર્થીઓ અંગે વિચારવાનું તો ભાગ્યે જ બને છે. શિક્ષકોની ખેંચના સમયમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ વારંવાર ખોરંભે ચડે છે ને પરીક્ષાઓ જ જાણે શિક્ષણ હોય, ત્યાં શિક્ષણ નીતિ ઉત્તમ હોય તો પણ શો અર્થ સરે? શિક્ષણ નીતિને વર્ગ શિક્ષણ સાથે તો લેવાદેવા છેને કે પરીક્ષા જ શિક્ષણ નીતિ છે? આ સ્થિતિ સુધરી શકે, જો યુનિયનો વધુ પારદર્શી રહીને, શિક્ષકો તથા વિદ્યાર્થીઓલક્ષી સક્રિયતા દાખવે. યુનિયનો નથી જાણતાં, તેનાં શિક્ષકો પાસેથી શિક્ષણેતર ફરજ બજાવવાનું દબાણ કરાય છે તે? વસતિ ગણતરી, રસીકરણ, ટીકાકરણ, મતદાન મથકની જવાબદારી જેવી ઘણી ફરજો શિક્ષકો પર વર્ષોથી થોપવામાં આવે છે. એમાં સુધારો નથી થયો, પણ વધારો જરૂર થયો છે. અત્યાર સુધી તો આવી ફરજો દિવસ દરમિયાન બજાવવાની રહેતી હતી, પણ હવે નવી જવાબદારી ફ્લડ કંટ્રોલની ઉમેરાઈ છે ને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગ તરીકે કરવાની કામગીરી ફરજિયાત હોઈ, ગ્રાન્ટેડ શિક્ષકો તેની ના પણ પાડી ન શકે. ના પાડે તો શિક્ષાત્મક પગલાંનો સામનો કરવાનો આવે. ફ્લડ કંટ્રોલની જવાબદારી રાતના બજાવવાની આવે એમ બને. એ કામગીરી શિક્ષકો રાતના બજાવે તો બીજે દિવસે તે ફરજ પર ભાગ્યે જ હાજર રહી શકે. એમ થાય તો વર્ગશિક્ષણ પ્રભાવિત થયાં વગર ન રહે. એટલું છે કે આ સંદર્ભે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે રાજ્યના શિક્ષણ સચિવને ફ્લડ કંટ્રોલની જવાબદારીમાંથી મુક્તિ આપવા પત્ર લખીને રજૂઆત કરી છે. આવી સક્રિયતા અન્ય મંડળો પણ દાખવે તે જરૂરી છે. એવું થશે તો સરકારને થોડે થોડે વખતે જે તુક્કાઓ સૂઝે છે તેનાથી શિક્ષકો બચશે. શિક્ષકોએ પણ સરકારને એ ભાન કરાવવાનું રહે કે તે દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી નથી. શિક્ષક અભિમાની ન હોય, પણ તે સ્વમાની પણ ન હોય તો તે જીવશે તો ખરો, પણ તેને મુક્તિ નહીં હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 સપ્ટેમ્બર 2023

Loading

15 September 2023 Vipool Kalyani
← પત્ની અને બાળકો વગરના ઘરમાં એકલવાયા પુરુષની ‘યાદેં’
ચાલો, હરારી પાસે – 21 : માંધાતાઓની મીટિન્ગ   →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved