Opinion Magazine
Number of visits: 9449118
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત-ચીન સરહદ વિવાદઃ ચીનથી ચેતવું માત્ર ભારત માટે નહીં વિશ્વ શાંતિ માટે અનિવાર્ય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 September 2023

વિશ્વમાં સત્તાની દોડમાં જોડાયેલા રાષ્ટ્રોને અત્યારે 3જું વિશ્વ યુદ્ધ પોસાય તેમ નથી, વળી ચીન-ભારત અને પાકિસ્તાનના સંજોગોનું કોકડું એકબીજા સાથે કોઈને કોઈ રીતે ગુંચાવેયલું છે ત્યારે ભારત માટે બે ધારી તલવાર પર ચાલવા જેવી સ્થિતિ છે.

ચિરંતના ભટ્ટ

ડિસેમ્બર ૨૦૨૨થી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર અથડામણ ચાલી રહી છે. નિયંત્રણ રેખા એટલે કે Line of Actual Control જે 2,100 માઇલ લાંબી સરહદ છે ત્યાં ખેંચાતાણી ચાલી રહી છે. 2020માં ગલવાન વૅલીમાં જે સંઘર્ષ થયો એમાં 20 ભારતીય સૈનિકો અને લગભગ ચાર જેટલા ચીની સૈનિકોના જીવ ગયા. આવી અથડામણો થાય પછી બધું થાળે પાડવા સરકારો વચ્ચે સંવાદ થાય અને થોડો સમય બધું ઠેકાણે રહે પણ પછી બધું જ્યાંનું ત્યાં. થોડા વખતમાં G20 સમિટ શરૂ થવાની છે જેમાં ચીનના રાષ્ટ્રપતિ પણ સામેલ થવાના છે. આ પહેલાં જ ચીને પોતાના ‘સ્ટાન્ડર્ડ મૅપ’ એટલે કે માનક માનચિત્ર કે માનક નકશો જેને કહેવાય તે રજૂ કર્યો જેમાં અરુણાચલ પ્રદેશને પોતાના દેશનો હિસ્સો ગણાવ્યો છે અને ફરી એકવાર સીમા વિવાદ છંછેડાયો. જો કે ચીને તો તાઈવાન પર પણ પોતાનો દાવો માંડ્યો છે. વળી આ બધી જંજાળ ત્યારે ખડી થઈ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં સાઉથ આફ્રિકામાં મળશે કેમની અટકળોએ જોર પકડ્યું હતું. વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ગયા અઠવાડિયે મુલાકાત થઈ અને લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ પરથી સૈનિકોએ પાછા ફરવું જોઈએની ચર્ચા બન્ને સત્તાધીશો વચ્ચે થઈ હોવાના અહેવાલ પણ આવ્યા. મોદીએ ચીની પ્રમુખને LACનું સન્માન કરવા કહ્યું તો ચીનના વિદેશ મંત્રાલયમાંથી પણ એવા અહેવાલ બહાર પડ્યા કે શી જિનપિંગ પણ દૃઢતાપૂર્વક એમ માને છે કે બન્ને દેશો વચ્ચેના સંબંધો સુધરે તે જરૂરી છે. આ ચર્ચા તો થઈ અને તે પછી પણ કંઈ બધું પાર પડી ગયું છે એમ માની લેવાનું કોઈ કારણ નથી. ચીન સાથેના આ સહરહદી સંઘર્ષનો ઇતિહાસ કેટલો પુરાણો છે તે સમજવાનો પ્રયાસ કરીએ. અમુક મીડિયા રિપોર્ટ્સમાં એવો સંકેત હતો કે સૈન્ય પાછળ ખસવા તૈયાર છે પણ તેમને રાજકીય નેતૃત્વની આ મામલેની સ્વીકૃતિની રાહ છે.

ભારત અને ચીનનો સરહદ પરનો સંઘર્ષ નવો નથી. સૌથી પહેલી ચકમક 1959માં ઝરી હતી જ્યારે ચીનની ટુકડીએ પેટ્રોલિંગ કરતા નેફ ફ્રંટિયર પર લોંગજુમાં હુમલો કર્યો હતો. આ હુમલાને પગલે તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને ત્યાંથી નીકળી જવું પડ્યું અને તેઓ ભારત આવ્યા, આ સફર તેમણે પગપાળા કરી હતી. 2017માં દલાઈ લામાએ જ્યારે અરુણાચલ પ્રદેશની યાત્રા કરી ત્યારે ચીને તેમનો આકરો વિરોધ કર્યો અને આમ કરવાથી ભારતને કોઈ લાભ નથી થવાનો એવો દેકારો પણ કર્યો. ચીન અને ભારત વચ્ચેનો સંઘર્ષ આમ તો હવે 46 વર્ષથી ચાલે છે પણ 3 વર્ષ પહેલાં 2020માં ગલવાન ઘાટીમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ, ત્યારે 43 વર્ષથી ચાલતા ગોળીબારી વગરના સંઘર્ષને 43 વર્ષ થયા હતા. ભારતની સરહદે આવેલા વિસ્તારોમાં અતિક્રમણ – ધુસણખોરી કરવી, એ વિસ્તારને પોતાનો ગણાવવો ચીન માટે કંઇ નવું નથી. આ પહેલાં ચીને ડોક્લામને પણ પોતાનો વિસ્તાર ગણાવ્યો છે અને એ વિવાદ પણ ખાસ્સો ચાલ્યો હતો. વળી એ વખતે ભારતને નેવે મૂકીને ચીને ભૂટાન સાથે ચર્ચા શરૂ કરી દીધી હતી, જ્યારે અહીં તો ભારત, ચીન અને ભૂટાનની સરહદો ભેગી થાય છે.

આમ તો ચીન સાથે ભારત 3,488 કિલોમિટરની લાંબી સરહદ ધરાવે છે, જે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે. તિબેટને તો ચીન પોતાનો જ હિસ્સો ગણાવે છે, તો અરુણાચલ પ્રદેશમાં મૅકમોહન રેખાને અને અક્સાઈ ચીન પર ભારતના દાવાને ચીન જરા ય ગણકારતું નથી. ચીન અને ભારત વચ્ચેના આ સંઘર્ષને કારણે બન્ને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો પર પણ અસર પડી છે. ચીની કંપનીઓના એક્સપર્ટ્સ કે અધિકારીઓને ભારતનો વિઝા મળવામાં પણ મુશ્કેલી પડે છે તો ચીનથી આયાત થતી ચીજો પર ડ્યૂટી પણ વધારી દેવાઈ છે. આ મામલો જટિલ છે અને તે માત્ર જમીનનો પ્રશ્ન નથી પણ ફોર્વર્ડ ડિપ્લોયમેન્ટનો (સૈનિકો પોતાના કેમ્પથી આગળ આવીને તૈનાત રહે) છે એવું આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કહ્યું હતું.

ચીન અને ભારત વચ્ચે વણસેલા સંબંધો ચિંતાજનક છે કારણ કે તેને કારણે સરહદના લશ્કરીકરણ, ભારતની કડક વિદેશી નીતિ અને પ્રાદેશિક વ્યૂહાત્મક સ્થિરતા પર આવતા જોખમ જેવા પડકારો ખડા થાય છે. વળી પાકિસ્તાન નજીક હોવાને કારણે તેને આ સમીકરણોમાંથી બાકાત ન રખાય. ત્યાં રાજકીય અને આર્થિક અરાજકતા છે. વળી એશિયાઈ રાષ્ટ્રોમાં કોણ સૌથી વધુ શક્તિશાળી છે તેની સ્પર્ધા પણ ચાલી રહી છે ત્યારે વ્યૂહાત્મક સ્થિરતાનું સંચાલન કરવું મુશ્કેલ થઇ જાય. ચીન, ભારત અને પાકિસ્તાનમાં જે સંજોગો છે તેને કારણે આખા પ્રદેશમાં સુરક્ષાના પ્રશ્નો પણ વધારે તેજ બને કારણ કે ત્રણેય રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો છે. વળી દરેક પોતાને માથે જોખમ હોવાનું કારણ આગળ ધરીને પોતાના પરમાણુ શસ્ત્રોની શક્તિમાં વધારો કરે અને તેને યોગ્ય પણ ઠેરવે. સરહદ પરનો તણાવ અને વિવાદો ક્યાંક પરમાણુ શસ્ત્રો પરના દરવાજા પાર કરી દે એવું જોખમ તો છે જ. પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થવાની શક્યતા તો નથી દેખાતી, પણ પણ સીમા પરના વિવાદો લશ્કરી રોકાણો વધારી શકે છે. ટૂંકમાં જો ચીન કે ભારત પોતાની પરમાણુ કે અન્ય લશ્કરી શક્તિ વધારે તો એવો ઘાટ થાય કે દુ:શ્મને શિંગડા તો નથી ભેરવ્યા પણ ધાર જરૂર કાઢી છે એટલે સરહદ પરની સ્થિતિ વધુને વધુ તંગ બનતી જાય.

આમ તો LAC પરની તંગ સ્થિતિ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સામાન્ય બાબત બની ગઈ છે અને ચીન કે ભારત કોઈ કશું પણ હળવાશથી નથી લઇ રહ્યા અને આવામાં યુ.એસ.એ. તરફથી ભારતને એ રીતે ટેકો મળે જેનાથી તણખામાંથી ભડકો ન થાય પણ એક સલામતીનો ભાવ પ્રસરે એમ થઇ શકે. યુ.એસ.એ. ધારે તો ભારતને ચીનને લગતી ઇન્ટેલિજન્સ અને અન્ય માહિતી આપી શકે જે અરુણાચલ પ્રદેશ સહરદે 2022માં જ્યારે સંજોગો વણસ્યા હતા ત્યારે આપી હતી. યુ.એસ.એ.ના આવા ટેકાથી ભારત ચીનનો સામનો કરવા સજ્જ રહી શકે. કમનસીબે અત્યારે ભારત-ચીનના સંબંધો અંગે કોઇ સ્પષ્ટતાની શક્યતાઓ નથી દેખાતી અને સરહદેથી બન્ને રાષ્ટ્રો પીછે હઠ કરે અથવા ત્યાંનો તંગ માહોલ હળવો બને એવું અત્યારે તો નથી લાગતું.

ચીન અને પાકિસ્તાન બન્ને જો ભારતની સામે પડે તો આવી બને. ભારતે આવા સંજોગો ટાળવા પગલાં તો લીધાં છે. આ પહેલાં પણ 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને કાબૂમાં રાખવા માટે ભારતે યુ.એસ.એ.ની મદદ લીધી હતી. 1971માં બાંગ્લાદેશના ભાગલા થવાના હતા ત્યારે પૂર્વ પાકિસ્તાનમાં કોઈપણ કાર્યવાહી કરતા પહેલા ભારતે એની ખાતરી કરી કે ચીનનો આખી બાબતમાં ઓછામાં ઓછો ફાળો હોય. આ વખતે ભારતે યુ.એસ.એસ.આર. સાથે શાંતિ કરાર કરેલા અને ચીનનો ચંચૂપાત ભારતે લૉન્ચ કરેલા ઑપરેશન્સને કારણે નહિંવત્ હતો.

જેવો ડર ભારતને હોય તેવો ચીનને પણ હોય. યુ.એસ.-ઇન્ડો સંબંધ સારા થઈ રહ્યા છે એમાં ચીનનો જીવ તાળવે તો બંધાય જ છે. ભારત જો ચીનને એમ સમજાવી શકે કે બે મોરચા ખોલી દેવામાં બન્નેને નુકસાન છે, LAC પર સ્થિરતા રાખવી બન્ને રાષ્ટ્રોની એક સરખી જવાબદારી છે અને ચીન LAC પર મનસ્વી વહેવાર કરે તો ભારત પણ પોતાની શક્તિ દેખાડી શકે છે તે અત્યાર સુધીના સંઘર્ષોમાં સાબિત થયું છે તો ચીન પણ સંયમની દિશામાં વિચારી શકે છે.

બાય ધી વેઃ

ભારત અને ચીને લદાખ પરના બોર્ડર વિવાદને લઇને આઠ વાર નિવેદનો આપ્યા છે, જેને હકારાત્મકતાથી જોવામાં આવે છે. શી જિનપિંગ G20માં આવશે કે નહીં તે અંગે પણ અત્યારે અટકળો ચાલી રહી છે. દસ મહિનાથી બેઇજિંગમાં ભારતીય એમ્બસેડરની નિમણૂક નથી થઈ. ચીને પહેલાં પણ ડિસએન્ગેજમેન્ટને – સંઘર્ષમાંથી છૂટા થવું અથવા દૂર થવુંના અર્થમાં – ઠરાવ – રિઝોલ્યૂશન – તરીકે ખપાવ્યું છે અને તેનાથી ભારતને નુકસાન જ થયું છે. ચીની સૈનિકો સરહદમાં જેટલા આગળ આવી ધસ્યા હતા તેનાથી સહેજ દૂર જઈને તેમણે તો લશ્કરનું મોટું માળખું ખડું કરી દીધું હતું, જ્યારે ભારતીય સૈન્યએ પોતાના શબ્દોને અનુસરીને પોતે જ્યાં પહેલાં તૈનાત હતા ત્યાં પાછા ફર્યા હતા. મોદી અને જિનપિંગ વચ્ચે થયેલી ચર્ચાઓથી સરહદ વિવાદ શાંત પડે તો તેનાથી બહેતર કંઇ ન હોઈ શકે. વૈશ્વિક સ્તરે રાજકીય અને આર્થિક અરાજકતાઓ પૂરતી છે અને તણખામાંથી ભડકો થાય જે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જાય તો એ કોઈ પણ રાષ્ટ્રને પોસાય એમ નથી. લદાખમાં ડોકલામ વાળી થાય એવું કોઈ નથી ઇચ્છતું અને માટે જ ચીનના ડિસએન્ગેજમેન્ટને રિઝોલ્યૂશન માની લેવાની ભૂલ આપણે ફરી ન કરવી જોઈ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 સપ્ટેમ્બર 2023

Loading

3 September 2023 Vipool Kalyani
← આર્ટિકલ 370માંની જોગવાઈ એના એ જ સ્વરૂપમાં જમ્મુ અને કાશ્મીરમાં લાગુ હતી ?
દ્વન્દ્વ હિંદુ અને મુસલમાનની વચ્ચે છે કે હિંદુઓની અંદર છે? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved