Opinion Magazine
Number of visits: 9449297
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાસી સ્વતંત્રતા દિવસ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 August 2023

રવીન્દ્ર પારેખ

15 ઓગસ્ટ ગઈ, જેમ અંગ્રેજો ગયા, એમ જ ! હવે વાસી સ્વતંત્રતા દિવસ ઊજવું છું. આપણે તો વાસી તહેવારો પણ ઊજવીએ છીએ. વાસી ઉતરાણ, વાસી બળેવની જેમ જ વાસી સ્વતંત્રતા દિવસ ! આ દિવસ એટલે અટવાતા ધ્વજનો નિકાલ કરવાનો દિવસ ! નેતાઓના ભાષણો લૂંછવાનો દિવસ ! 15મીએ તો આખો દિવસ ફિલ્મો પણ દેશભક્તિની જ આવી. દેશપ્રેમનાં ગીતો પણ બહુ ગવાયાં. હવે એટલું છે કે મોબાઇલમાં ને ત્યાંથી માઇક પર ઓડિયો શેર થઈ શકે છે, એટલે બહુ ગાવું પડતું નથી. જનગણમન પણ વગાડી દેવાય કે પત્યું ! ગાવાની ઝંઝટ જ નહીં ! શું છે કે હવે બધું જ રેડીમેઇડ છે. રાષ્ટ્રધ્વજનો લીલો રંગ ઉપર આવે કે નીચે એ ય યાદ રાખવું પડતું નથી. ટી.વી. પર તો એ ફરક્યા જ કરતો હોય છે. વરસાદ પડતો હોય ને ટી.વી. અટકી પડ્યું હોય તો જ કોઈને પૂછવું પડે ને એ પણ એના નેતાને પૂછીને કન્ફર્મ કરી દે, એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં ! જ્યારથી મોબાઈલ આવ્યા છે, આખો દિવસ દેશભક્તિ અપલોડ ને ફોરવર્ડ થતી રહે છે, બાકી, પહેલાં તો ધ્વજવંદન થાય કે 15મી લગભગ પૂરી જ થઈ જતી. જો કે, આ તકલીફ પણ 15મી પૂરતી જ ! પછી તો વરસ સુધી નિરાંત !

હવે એટલું સુખ થઈ ગયું છે કે બધું એકાદ દિવસ જ યાદ રાખવું પડે છે. મધર્સ ડે પર માને યાદ કરો કે મા પણ ખુશ ને સંતાનો ય રાજી ! એવું જ ફાધર્સ ડેનું ! એ તો સારું છે કે ફાધર્સ ડે આવે છે, બાકી, ફાધરને કોણ પૂછે? ને ફાધર-ફેધરમાં ગોટાળા થાય તે નફામાં ! ટીચર્સ ડે આવે છે તો ટીચર ફીચરમાં દા’ડો નીકળી જાય છે. સારું છે કે કોઈએ ‘નાઈટ ડે’ નથી કાઢ્યો, નહિતર ક્યારે મનાવવો એ સવાલ થઈ પડે. હવે તો દિવસો જ એટલા થઈ ગયા છે કે વરસ ઓછું પડે છે. બધા દિવસ ઉજવવા હોય તો તહેવારો ને વહેવારો અડધા કરવા પડે. સવારે 15મી ઓગસ્ટ ને સાંજે રક્ષાબંધન, સવારે ગણેશોત્સવ ને રાત્રે ઋષિપાંચમ એન્ડ સો ઓન …

આમ તો આપણે દુનિયાની ત્રીજી ઈકોનોમી બનવા જઇ રહ્યાં છીએ ને 5G ને AIના જમાનામાં લેટેસ્ટ ટેક્નોલોજીથી સમૃદ્ધ પણ છીએ, દુનિયા આપણી પ્રગતિને, આપણા રકાસને, સોરી, વિકાસને આશાભરી નજરે જોઈ રહી છે, ત્યારે કોને દેશ માટે ગૌરવ લેવાનું મન ન થાય ! જો કે, આ તો વડા પ્રધાને વિદેશ જઇ જઈને મહામહેનતે ઉપસાવેલી વૈશ્વિક પ્રતિભા છે, બાકી, આપણા આયનામાં ઉપસેલી આકૃતિ તો આપણે જ  જાણીએને ! એ ખરું કે પ્રકૃતિ આપણા વિકાસને મોડોવહેલો માપનો કરીને જ જંપે છે. હિમાચલ, ઉત્તરાખંડ, સિમલામાં ભીનાશે જે વિનાશ નોતર્યો છે, તેની સામે આંખ આડા કાન કરીએ તો પણ, એ તો સામેથી આવીને દેખા દે જ છે.

ગુજરાતના દરેક ધારાસભ્યને રસ્તા પર થીંગડાં મારવા બે કરોડની ગ્રાન્ટ આપવાનું સરકારે ઠરાવ્યું છે, એ જુદી વાત છે કે નેતાઓનાં નામનાં બાંકડા લોકો અગાશીમાં કે દુકાનોમાં તાકા કે સાડીઓ મૂકવા રાખી લે છે. તાત્પર્ય એ કે આખું કોળું દાળમાં જતું નથી. કૈંક તો થાય છે. ઘણા બધા પ્રોજેક્ટ્સ પાર પડે છે. મેટ્રો, બી.આર.ટી.એસ., વંદે ભારત, બુલેટ ટ્રેન, કચ્છ સુધી વહેતી નર્મદા, 370ની નાબૂદી, ત્રણ તલાક, સર્જિકલ સ્ટ્રાઈક, કાઁગ્રેસી સરકારોની ટીકા, ગાંધી કરતાં સરદારને આગળ કરવાની વૃત્તિ … વગેરે દ્વારા આઝાદી પછીનાં અને ખાસ તો મોદી સરકારનાં વખતમાં થયેલાં કાર્યોની નોંધ લેવી જ પડે.

કેન્દ્ર સરકારે લાખો ગરીબોનું કોરોના કાળથી માંડીને આજ સુધી પેટ પાળ્યું છે ને લાખો લોકોનાં ખાતાં ખોલાવી પૈસા જમા આપ્યા છે. આવું વિદેશમાં શક્ય નથી, ત્યાં કશું મફત મળતું નથી. એ આ જ દેશમાં શક્ય છે. એની આડ અસર એ થઈ કે લોકો આળસુ થયા અને મફતનું શોધતા થયા. મોદી સાહેબે તો કહેલું કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી. ‘ખાતો નથી’ એ સાચું, પણ ખાનારા તો ખાય જ છે. એવું નથી કે કાઁગ્રેસી સરકારમાં અપ્રમાણિકતા, કામચોરી, ભ્રષ્ટાચાર ન હતાં, પણ તેનું પ્રમાણ અગાઉ ક્યારે ય ન હતું એટલું આજે છે. બળાત્કાર, છેડતીને લગતા બનાવોની સંખ્યા શરમજનક રીતે વધી રહી છે. દેશમાં 13.13 લાખ સ્ત્રીઓ ગુમ છે. આ બધું વિકાસની આડે આવે છે.

2020થી નવી શિક્ષણ નીતિ લાગુ છે, પણ તેનો અમલ કરનારા શિક્ષકોને કાયમી ધોરણે રાખવાને બદલે જ્ઞાનસહાયકોથી કામ લેવામાં રમત રમાઈ છે. આ જ્ઞાનસહાયકો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ રખાય તો તે કાયમી થાય જ નહીં. કાયમી ન થાય એટલે તેને રિટાયરમેન્ટ વખતે પેન્શન વગેરે લાભો આપવાથી બચી શકાય. 5 વર્ષની ટર્મ પૂરી કરનાર કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદ દરેક સેવાનું અલગ અલગ પેન્શન મેળવી શકે, પણ 30-35 વર્ષની સળંગ નોકરી કરનાર શિક્ષક પેન્શનને પાત્ર ન ગણાય એ કેવું? ગુજરાત સરકાર શિક્ષકોને મામલે આવી કંજૂસાઈ કરતી હોય તો શિક્ષણ નીતિ ગમે એટલી ઉત્તમ હોય તો ય તેનો અર્થ રહેતો નથી. નવી બંધાતી સડક, નવા બંધાતા પુલ, નવાં બંધાતાં રહેઠાણોનાં બાળમરણ હવે સ્વયં સિદ્ધ હકીકતો છે. કોલેજ એડ્મિશનમાં વેડફાતી ટર્મ, સતત વધતી ફી, શિક્ષણનું કથળતું સ્તર, એ પછી પણ વધતી આવતી શિક્ષિત બેકારોની સંખ્યા – આ બધાંથી ત્રાસીને યુવાધન વિદેશ તરફ વળી ગયું છે.

સવાલોનો સવાલ એ છે કે દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, તો અહીંનો યુવાન વિદેશ જવા કેમ પ્રેરાયો છે? દેશના અમીરો અહીં કમાઈને વિદેશ સ્થાયી થઈ રહ્યા છે. 2023માં 6,500 અમીરો ભારત છોડવાનું મન બનાવી ચૂક્યા છે. આ આંકડો ગયા વર્ષ કરતાં હજાર ઓછો છે. આ બધાં તો માલેતુજારો છે, તે કેમ દેશ છોડે છે? એનાં કારણોમાં કાયદાની જટિલતા અને ટેક્સની ગૂંચ ગણાવાય છે. એ સાચું છે કે ભારતીય કર માળખું અનેક વિસંગતિઓથી ભરેલું છે, એકતરફ આ દેશ ઝડપી વિકાસ કરી રહ્યો હોય ને બીજીતરફ અમીરો કાયદા અને કરના ત્રાસને કારણે દેશ છોડતા હોય તો ફેરવિચારણા જરૂરી બને છે.

ભારતીય યુવાનો ને અમીરો કાયમી ધોરણે વિદેશ સ્થાયી થાય ને એ વિદેશમાં મંત્રી કે અન્ય પદો પર બિરાજે તો તેનાં ભારતીય મૂળથી આપણે પોરસાઈએ છીએ. ત્યારે, એ વિચાર નથી આવતો કે આવી શક્તિ ધરાવનારને આપણે જ તો વિદેશ જવાનાં કારણો પૂરાં પાડ્યાં છે. યુવાનો ભારતનું નાગરિકત્વ છોડીને વિદેશ જઇ રહ્યા હોય ત્યારે એમના વગર આ દેશ કેવી રીતે વિકાસ કરશે એ વિચારવાની જરૂર ખરી કે કેમ? 2022માં 2.25 લાખ ભારતીયોએ વિદેશી નાગરિકત્વ અપનાવ્યું છે. એનાં અન્ય કારણો હશે, પણ મુખ્ય કારણ આર્થિક કમાણીનું છે. યુવાનો આમ તો વિદેશ ભણવા જાય છે, પણ ત્યાંની સમૃદ્ધિ જોઈને પછી ત્યાં જ સ્થાયી થઈ જાય છે. એવા 90 ટકા યુવાનો પાછા આવવા નથી માંગતા. એમનો ય સ્વાર્થ હશે જ, પણ એમને રોકી રાખનારું કોઈ આકર્ષણ આ દેશમાં કેમ નથી એ મુદ્દે આત્મનિરીક્ષણની જરૂર વર્તાય છે. એવું નથી કે દેશ માટે જતું કરનારાં લોકો નથી. છે ને ઘણાં છે. એમનાં પુણ્યે જ તો કદાચ આ દેશ ટકેલો છે !

એવું નથી કે સરકાર કૈં કરતી નથી. ‘આયુષ્યમાન ભારત’ યોજના અંગે ભારતના કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)નો રિપોર્ટ છે કે 3,446 એવા દરદીઓ પાછળ 6.9 કરોડ રૂપિયા ખર્ચાયા જે ઓલરેડી ગુજરી ચૂકેલા હતા ને આવું કૈં પહેલીવાર નથી થયું. આ અગાઉ પણ CJIના રિપોર્ટમાં એવું આવ્યું હતું કે સાડા સાત લાખથી વધુ દરદીઓ એક જ મોબાઈલ પર રજિસ્ટર થયા હતા ને તે પણ એવા નંબર પર જે અમાન્ય હતો. આવી અપ્રમાણિકતા ને ભ્રષ્ટતાનું પરિણામ એ આવે છે કે જેને માટે આવી યોજનાઓ લાગુ થાય છે, એમના સુધી તો લાભ પહોંચતો જ નથી ને જેને જરૂર નથી એવા લોકો જ જરૂરતમંદને નામે પોતાની હોજરી ઠાંસતાં રહે છે. આ સ્થિતિમાં ‘મેરા ભારત મહાન’ કોઈ કહે કે આખો દિવસ પંદરમી ઓગસ્ટે દેશભક્તિનાં ગીતો વગાડે તો તેમાં ભરોસો પડે ખરો? આજે સૌથી વધુ ખૂટે છે તે વિશ્વસનીયતા. રાજકીય પક્ષોને તો સત્તા સિવાય બીજો કોઈ રસ જ નથી. શાસકો વિપક્ષને ભાંડીને, તેને તોડીને કેવી રીતે ટકી રહેવાય ને વિપક્ષો કેવી રીતે સત્તામાં અવાય તે સિવાય બીજી ચિંતા ભાગ્યે જ કરે છે. ટૂંકમાં, દેશ છે, પણ દેશદાઝ નથી. એ કમનસીબી છે કે ચારે બાજુએ સચ્ચાઈને ભોગે દેખાડો જ વર્ચસ્વ ભોગવે છે.

સારું છે કે દેશની ત્રણે સેનાઓમાં એવો દેખાડો નથી પ્રવેશ્યો. એ લોકો સેવા કરે છે, સેવાનો અભિનય નથી કરતાં. એ તો જીવ આપીને પણ દેશની રક્ષા જ કરે છે. જરા વિચારો કે આપણે આચરીએ છીએ એવી બેવફાઇ, ભ્રષ્ટતા આપણા સૈનિકો આચરે તો લાગે છે કે સમાવા માટે આપણને ધરતી પણ મળે? તો, વફાદારી, પ્રમાણિકતા, સચ્ચાઈ એ શું સૈનિકોએ જ બતાવવાની છે? એ વફાદારી એમણે એવાં લોકો માટે બતાવવાની છે, જે ઘણુંખરું ભ્રષ્ટ, દુષ્ટ ને નિકૃષ્ટ છે? કમાલ છે ને કે આપણા જેવાં માટે આપણે એમને શહીદી વહોરવા સરહદે ધકેલીએ છીએ ! આપણે એટલા નસીબદાર તો છીએ કે આપણા પર જ થૂંકી નથી શકતા, બાકી, લાયકાત તો …

 000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઑગસ્ટ 2023

Loading

18 August 2023 Vipool Kalyani
← વિસ્મય
ચાલો, હરારી પાસે -16 : LLMs  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved