Opinion Magazine
Number of visits: 9446559
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતનું લાંછન છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 August 2023

રવીન્દ્ર પારેખ

આમ તો આખા ગુજરાતનું શિક્ષણ ધણીધોરી વગરનું થઈ ગયું છે, ત્યાં માત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતનું રડવાનો અર્થ નથી, પણ જે ઘટના તાજેતરમાં સામે આવી છે તે શિક્ષણ સમિતિને સુરતનું લાંછન પુરવાર કરે એવી છે. એવું નથી કે શિક્ષણ સમિતિ કૈં કરતી નથી. સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી, ઉર્દૂ, ઉડિયા, તેલુગુ, અંગ્રેજી મળી કુલ સાત ભાષામાં શિક્ષણ  અપાય છે. સુરત મહાનગરપાલિકા દેશની પહેલી એવી પાલિકા છે જે સાત ભાષામાં પ્રાથમિક શિક્ષણ, વિના મૂલ્યે આપે છે ને દાયકાઓથી પૂર્ણકદનાં નાટકોની સ્પર્ધા કરે છે. ત્રણસોથી વધુ શાળાઓમાં દોઢેક લાખથી વધુ બાળકો શિક્ષણ મેળવે છે, પણ છેલ્લા થોડા સમયથી શિક્ષણ સમિતિનો કારભાર શરમજનક રીતે કથળ્યો છે. આમ તો શાળાઓનો બોજ સમિતિ પર હોય, પણ હવે એવું લાગે છે કે શાળાઓ પર સમિતિ બોજારૂપ છે. ગયા માર્ચમાં જ સમિતિએ પ્રવેશોત્સવમાં રાજકીય હોદ્દેદારોને તો ઠીક, સામાન્ય કાર્યકરોને પણ આમંત્રણ આપવાનું ફરજિયાત કરેલું, પછી હોબાળો થયો તો કાર્યકરોવાળી વાત કાઢી નાખવી પડેલી. એ પછી પણ શિક્ષણને ભોગે વત્તે ઓછે અંશે રાજકીય દખલો થતી જ રહે છે. તે એટલે પણ કે સરકારમાં શૈક્ષણિક યોગ્યતાને ભોગે રાજકીય લાયકાતો હાવી થતી આવી છે, તેથી તમામ સંસ્થાનોમાં શાસકો જ વત્તે ઓછે અંશે રાજકીય પ્રભાવ પાથરતા રહે છે ને એટલે અંશે શિક્ષણ પાછળ ધકેલાતું જાય છે.

આમ તો શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે, તેનાં ઉપાધ્યક્ષ છે, સમિતિના સભ્યો છે, છતાં કોઈ જ ન હોય એવી નઘરોળ નિષ્ક્રિયતા વર્તાય ત્યારે થાય કે સમિતિ ન હોય તો કદાચ કારભાર આટલો ખાડે ન જાય. પ્રાથમિક શિક્ષણનું ધનોતપનોત ખુદ શિક્ષણ વિભાગે કાઢી નાખ્યું છે. આખા રાજ્યમાં ભાટચારણો જ વિદ્યમાન છે ને એમને ધાર્તરાષ્ટ્રી દૃષ્ટિ એવી મળી છે કે બીજું કૈં જોવાની જરૂર જ રહી નથી. સાર્વત્રિક અરાજકતા આજનાં શિક્ષણનો મહામંત્ર છે.

નવી શિક્ષણ નીતિને લાગુ થયાંને ત્રણ વર્ષ થયાં, તેનું ઉજવણું પણ થયું. હવે તો ઊઠમણું ય ઉજવણું થઈ પડ્યું છે. બધું જ ઉજવાય છે. શિક્ષણ તો નીતિ છે, તે ઉજવવાનું કારણ બને તો આશ્ચર્ય થાય. ઉજવણાંનો ય વાંધો નથી, પણ નવી નીતિ લાગુ કરતી વખતે વાતાવરણ અનુરૂપ છે કે કેમ તે તો જોવું પડશેને ! એ જોવાની ફુરસદ ભાગ્યે જ કોઈને છે. અંધાપો જ દૃષ્ટિનો ન્યાય કરે એવી સ્થિતિ છે. શિક્ષણ નીતિ લાગુ થઈ ગઈ છે, પણ એને ભણાવનાર શિક્ષકોનો દુકાળ છે. શાળાઓ નાદુરસ્તીથી પીડાય છે. ઘણી જગ્યાએ વર્ગો ખંડેરમાં કે ખુલ્લામાં ચાલે છે. સાચું તો એ છે કે સાધન-સામગ્રી-શિક્ષકોના અભાવમાં શિક્ષણ ચાલે છે. આટલી અનિયમિતતાઓ વચ્ચે ક્યાંકને ક્યાંક પરીક્ષાઓ ચાલ્યા કરે છે. શિક્ષણ અપાય કે ન અપાય, પરીક્ષાઓ અપાયા કરે છે. આવામાં નવી શિક્ષણ નીતિ લાગુ થાય તો તેમાં કેવોક ભલીવાર હોય તે સમજી શકાય એવું છે.

એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓને નફાતોટાના દાખલા શીખવાતા. હવે નફાના દાખલા શૈક્ષણિક સંસ્થાઓ ગણતી થઈ છે. શિક્ષણમાં ધંધો ઘૂસી ગયો છે ને બધાં જ છેતરવાનું કૌશલ્ય જરા ય સંકોચ વગર વાપરે છે. આ રમત સ્કૂલોમાં જ ચાલે છે એવું નથી. બને ત્યાં સુધી અધ્યાપકો, શિક્ષકો કે અન્ય સ્ટાફ ન આપીને અને ફી પૂરી વસૂલીને, નફાનું ધોરણ જાળવી લેવાનું વલણ કૉલેજોમાં ય ઘર કરી ગયું છે. પૂરતા સ્ટાફના અભાવે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવેકાનંદ બી.એડ્ કોલેજ અને ખેડાની બી.એડ્. કોલેજ પાંચેક વર્ષથી બંધ પડી છે ને બીજી બંધ પડે એવી સ્થતિ છે. એને લીધે વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઈનાન્સમાં પ્રવેશ લેવાની ફરજ પડે છે. સ્ટાફની અછત ત્યાં નથી. સ્ટાફ ગ્રાન્ટેડ કોલેજોમાં જ નથી, કારણ તે આપવામાં સરકાર પોતે જ અખાડા કરે છે. એ દાનત સરકારની જ છે કે ગ્રાન્ટેડ કોલેજો બંધ થાય, જેથી ગ્રાન્ટ કે સ્ટાફ આપવાની માથાકૂટ જ ન રહે. ગ્રાન્ટેડ કોલેજો બંધ પડતી હોય તો ભલે, પણ સ્ટાફ ન આપીને સરકાર તો ગ્રાન્ટેડથી મુક્તિ મેળવવાને પંથે જ છે.

એ જ કારણ છે કે સ્કૂલોમાં ત્રીસેક હજાર શિક્ષકોની ઘટ હોવા છતાં, સરકાર એ જગ્યાઓ ભરતી નથી. ટૂંકમાં, સરકારની દાનત, સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોને તાળાં મરાવી, ખાનગીને ઉત્તેજન આપવાની છે, એટલે જ એ વિદ્યાસહાયકો કે જ્ઞાન સહાયકોની કામચલાઉ ભરતીથી શિક્ષકોની ખોટ ભરપાઈ કરવા મથે છે. શિક્ષકોની અછત છે એવું નથી. ખરેખર તો શિક્ષકોની જગ્યાઓ ભરવાની સરકારની જ દાનત નથી, ભલે પછી રાજ્ય શિક્ષણ મંત્રી ગયા જુલાઈની 8મી તારીખે 25,000 નવા શિક્ષકોની ભરતીની જાહેરાત કરી ચૂક્યા હોય ! એમણે કેટલાં વર્ષે ભરતી થશે એનો ફોડ પાડ્યો નથી, એટલે સ્કૂલોએ તો રાહ જ જોવાની રહે. વારુ, જ્યાં કામચલાઉ ધોરણે ભરતી થાય છે ત્યાં ય દાખલા તો નફાના જ ગણાય છે. એમાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત પણ બાકાત નથી.

આમ સુરત મહાનગરપાલિકા લોકોનાં કામ કરવાં ન હોય તો ફંડનું રડતી હોય છે, પણ વેડફવા માટે તેની પાસે પૈસા નથી એવું નથી. ગયા ગુરુવારે મળેલી સમિતિની સામાન્ય સભામાં 85 શિક્ષકોને સરકારનાં ધારાધોરણ મુજબ 10,500નાં પગાર ધોરણમાં મંજૂરી અપાઈ ને બીજા 720 શિક્ષકોની આઉટ સોર્સિંગથી ભરતી કરવામાં આવી ને એને સમિતિ 17,545નો પગાર ચૂકવવાની છે. એક જ પ્રકારના શિક્ષક, પણ એકને 10,500 પગાર ને બીજાને 17,545. તે એટલે કે 17,545 પગારવાળા શિક્ષકોને કોન્ટ્રાકટરો લાવ્યા છે. શિક્ષકોને સપ્લાય કરતી બે એજન્સીઓ સાતેક હજાર કમિશન, શિક્ષક દીઠ ગજવે ઘાલે છે. જોકે, શિક્ષકને તો એ 10,500 જ આપે છે. શિક્ષક દીઠ સાત હજારનું આ કમિશન કઇ ખુશીમાં શિક્ષણ સમિતિ ચૂકવવાની છે તે એ જાણે, પણ આવી દલાલી કોઈ પણ સંજોગોમાં ચૂકવાવી ન જોઈએ તે સ્વયં સ્પષ્ટ છે. સવાલ તો એ છે કે આઉટ સોર્સિંગથી નિમણૂક કરવાની જરૂર કેમ પડી ને તે પણ સાતસાત હજાર દક્ષિણા આપીને, તે અકળ છે. આવી રીતે લવાયેલા શિક્ષકોમાં હીરામોતી નથી જડેલા કે શિક્ષકને નામે સાત હજારની લહાણી શિક્ષક દીઠ કરવી પડે. આ બધું પાછું સમિતિની જાણમાં થાય છે ને શાસક પક્ષના સભ્યો વળી દલાલી વસૂલતા કોન્ટ્રાક્ટરોની પ્રશંસા કરે ત્યારે કરમુક્ત મનોરંજન થતું હોય એમ લાગે.

વિપક્ષી સભ્યના વાંધાને ન ગણકારતાં સમિતિ અધ્યક્ષ અને સભ્યો એવો બચાવ કરે છે કે શિક્ષકોની ઘટ પૂરવા અને શિક્ષણ તથા વિદ્યાર્થીઓનાં હિતમાં 7,000ની વધુ ચૂકવણીનો નિર્ણય લેવાયો છે. વિપક્ષ એક તરફ શિક્ષકોની ઘટ પુરાતી નથી એવી ફરિયાદ કરે છે ને શિક્ષકોની નિમણૂક થાય છે તો વાંધો ઉઠાવે છે એનું સમિતિને આશ્ચર્ય છે. એ સાચું કે શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ 1,300ની છે. આમ તો એ ઘટ કોણ નથી પૂરતું તે સમિતિ ને બીજા પણ બરાબર જાણે છે. સાત હજાર કમિશન ચૂકવાતાં 720 શિક્ષકો એજન્સીઓ શોધી આપે છે ને એમ થોડીઘણી ઘટ પુરાય છે. મતલબ કે ઘટ કમિશન પર નિર્ભર છે. કમિશન ચૂકવો તો ઘટ ઘટે છે. કમાલ તો એ છે કે એ કમિશનમાંથી વધારાનું એક ફદિયું ય શિક્ષકને ચૂકવાતું નથી, તો સવાલ એ થાય કે આવી એજન્સીઓ વગર કામ થાય એમ જ નથી?

એ ખરું કે વચેટિયાઓ ઘૂસ્યા છે, ત્યાં દાટ જ વળ્યો છે. જો આવા વચેટિયાઓને ઠેકાણે પાડવાનો સમિતિએ ઠેકો ન લીધો હોય તો વહેલી તકે તેણે એજન્સી મુક્ત થઈ જવાની જરૂર છે. એવું થશે તો વહીવટ વધુ પારદર્શી બનશે. આખી સમિતિ હાજરાહજૂર હોય તો કોઈ પણ દલાલની જરૂર પડવી ન જોઈએ. 85 શિક્ષકો જો 10,500ના ભાવમાં મળી રહેતા હોય તો બીજા શિક્ષકો શોધવામાં શું નડે છે તે નથી સમજાતું. જો તાલીમી શિક્ષકો ગધેડે ગવાતા હોય તો શિક્ષકોની ઘટ કે તેની નિમણૂકમાં થતો વિલંબ કુદરતી નથી જ તે સમજી લેવાનું રહે. બચાવ તો એવો પણ થયો કે સમિતિ ખુદ નિમણૂક કરવા જાય તો વિલંબ થાય. કમાલ છે ને કે સમિતિ નિમણૂક કરવા જાય તો વિલંબ થાય ને એજન્સી શોધે તો કામ ઝડપથી થાય. તો સમિતિને એ પૂછવાનું થાય કે જે જાદુ એજન્સી કરે છે તે સમિતિને કરતાં શું તકલીફ છે? કે 7,000નું કમિશન નથી મળતું તેથી વિલંબ થાય છે? આ બધું એટલું ભેદી છે કે એનો પાર પામવાનું સામાન્ય માણસનું ગજું નથી.

સૌથી વાહિયાત વાત એ છે કે આ બધું શિક્ષણનાં ને વિદ્યાર્થીઓનાં હિતમાં થાય છે. ઓગસ્ટ શરૂ થઈ ગયો ત્યારે આ નિમણૂકોની વાત આવી. જો વિદ્યાર્થીઓનો વિચાર ખરેખર જ થયો હોત તો આ વેપલો સત્રની શરૂઆતમાં થયો હોત. આટલું થયા પછી પણ આમ શોધાયેલા શિક્ષકો તો હજી સ્કૂલે પહોંચ્યા જ નથી. કોણ જાણે કેમ પણ પુસ્તકો, ગણવેશ, બૂટમોજાં, શિક્ષકો … વગેરે, સ્કૂલ શરૂ થયાના મહિનાઓ પછી જ વહેંચવાનું સમિતિને ભાન પડે છે. દર વર્ષે આ જરૂર પૂરી કરવાની જ હોય છે, તો તે સત્રની શરૂઆતમાં પૂરી કરતાં શું દુ:ખે છે તે નથી સમજાતું.

નવી શિક્ષણ નીતિ ગમે એટલી ઉત્તમ હોય તો પણ, શિક્ષણ સમિતિની નીતિ એને ઉત્તમ ન રહેવા દે એમ બને. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ઑગસ્ટ 2023

Loading

7 August 2023 Vipool Kalyani
← પૂર્વનો પોકાર અને ગાંધીજી
‘મેરે વતનકે લોગ’ના નારા, ઊઠ્યા આજે ફરી, →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved