ભારતમાં ‘મહાભારત’નાં મંડાણ થઈ ચૂક્યાં છે. 2024માં કુરુક્ષેત્રમાં મતદાતાઓ વધેરાવા થનગની રહ્યા છે ને મહારથીઓ જુદા જુદા પક્ષોને પાંખમાં લઈને શસ્ત્રો સજાવવા લાગ્યા છે. આ તરફ્થી કે તે તરફથી મતદાતાઓ કેટલાં વધેરાય છે ને કોણ વધુ વધેરે છે, એના પર જીતનો આધાર છે. એ પછી મતદાતાઓની બહુ જરૂર નહીં રહે, કદાચ. આમ પણ મતદાતા મોંઘવારીના હવનમાં હોમવા, પુલ તૂટે તો તણાવા, ચૂંટણી આવે તો મત મેળવવા, રેલી-રેલા કાઢવા, સૂત્રો પોકારવા જરૂરી હોય છે. એટલા પૂરતો એનો ઉપયોગ ! બાકી, કૌરવો-કૌરવો વચ્ચેના સંઘર્ષમાં, ડારવા-પાડવાના તમામ પ્રયત્નો બધાં જ કરી છૂટશે એમાં શંકા નથી. આમ તો રાજ્યસ્તરના 54 અને રાષ્ટ્રીય સ્તરના 6 પક્ષો છે, એટલે અસંગઠિત 2,597 પક્ષોને બાદ કરતાં કુલ 60 પક્ષો થાય, છતાં ભા.જ.પ. સાથે 38 અને કાઁગ્રેસ સાથે 26 પક્ષો ગોઠવાયા છે. આ આંકડો 60થી કઇ રીતે વધ્યો એ સવાલ અસ્થાને છે, કારણ 38 અને 26નો સરવાળો નવી શિક્ષાનીતિમાં 60 થતો હોય તો નવાઈ નહીં !
એક તરફ દિલ્હીમાં 38 પક્ષોનું એન.ડી.એ.(NDA)નું ગઠબંધન થયું છે, તો વિપક્ષોનું બેંગલુરુમાં એ જ દિવસે 26 પક્ષોનું ગઠબંધન ‘ઇન્ડિયા’ (INDIA – INDIAN NATIONAL DEMOCRATIC INCLUSIVE ALLIANCE) નામે થયું છે. વિપક્ષી ગઠબંધનને INDIA નામ તૃણમૂલના મમતાએ આપ્યું છે ને તેને સમર્થન કાઁગ્રેસના રાહુલ ગાંધીએ આપ્યું છે. વિપક્ષોમાં કાઁગ્રેસ ઉપરાંત ડી.એમ.કે., ઉદ્ધવની શિવસેના, સમાજવાદી પાર્ટી, ટી.એમ.સી. જેવા પક્ષોનો સમાવેશ થયો છે. આમ તો એન.ડી.એ.નો ઉપયોગ ભાગ્યે જ થતો હતો, પણ 26 પક્ષોનું ‘INDIA’નું અર્થઘટન બહાર પડતાં વડા પ્રધાને પણ NDAનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું કે N એટલે ન્યુ ઇન્ડિયા, D એટલે ડેવેલપ્ડ નેશન અને A એટલે એસ્પિરેશન ઓફ પીપલ એન્ડ રિજ્યન સૂચવે છે. એ સાથે જ NDAનું મહત્ત્વ સમજાવતાં પી.એમ.એ એ પણ સ્પષ્ટ કર્યું કે એન.ડી.એ.નું લક્ષ્ય સત્તા મેળવવાનું રહ્યું નથી કે તેની રચના કોઇની સામે પડવા નથી થઈ.
જો કે, ઇન્ડિયા વિરુદ્ધ ભારતને આગળ કરીને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ઇન્ડિયા એ ભારત નથી એવી વાતો પણ વહેતી થઈ છે. આવી સસ્તી રાજનીતિ કરનારાઓએ બંધારણનું આમુખ જોઈ લેવું જોઈએ જેની શરૂઆત વી ધ પીપલ ઓફ ભારતથી નહીં, પણ ઇન્ડિયાથી થાય છે. ભારતને દુનિયા ઇન્ડિયાથી ઓળખતી આવી છે, એ તો ઠીક, પણ આપણી આજની ઓળખ પણ ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, શાઈનિંગ ઇન્ડિયાથી ભારતમાં પણ છે, એટલે NDA VS INDIA જ પૂરતું છે, તેને INDIA VS ભારત કરવાની જરૂર નથી. ‘INDIA’ના ઉદ્ભવથી થયું છે એવું કે એન.ડી.એ. INDIA બોલે તો પણ તે વિપક્ષને સમર્થન આપતું હોવાનો વહેમ પડે. 2014નો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં વડા પ્રધાન પોતે જનતાને આગ્રહપૂર્વક બોલાવડાવે છે, ‘વોટ ફોર ઇન્ડિયા.’ ત્યારે એ ઠીક પણ હતું, પણ હવે એન.ડી.એ.નું કોઈ ‘વોટ ફોર ઇન્ડિયા’ બોલે તો તે વિપક્ષની ફેવર કરે છે એવો અર્થ થાય. ટૂંકમાં, ઇન્ડિયા બોલવાનું હવે એન.ડી.એ.ને ભારે પડે એમ છે. આમ તો વિપક્ષ મુક્ત ભારતની ઝુંબેશ ચાલતી હોય, ત્યાં 26 વિપક્ષો એક થાય તો એટલું આશ્વાસન તો મળે છે કે ભારતમાં લોકશાહી છે, બાકી, શાસકોની નીતિ તો ઘણુંખરું તોડફોડની અને ખરીદવાની જ રહી છે. સામેની પાર્ટી તોડીને સત્તા માટે પ્રયત્ન કરવો કે કોઈ લાલચુને થોડા કરોડમાં શાસકો તરફ વાળવો એ હવે સામાન્ય થઈ પડ્યું છે. બીજી એક સમજ એવી વિકસાવાઈ છે કે આદર્શો પોતાનાં પક્ષમાં અને અનીતિ સામેના પક્ષમાં જ છે.
વડા પ્રધાન વિપક્ષોના એક થવાને ભલે ચોર કે ભ્રષ્ટાચારીઓના ભેગા થવામાં ખપાવે, પણ આંગળી સામે ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આપણા તરફ રહે છે તે ભૂલવા જેવું નથી. એન.ડી.એ.માં ચિરાગ પાસવાન કે જિતનરામ માંઝી જેવાને ઉમેરવા પડ્યા છે એ જ બતાવે છે કે એન.ડી.એ.ના ચાવવાના અને બતાવવાના જુદા છે. વડા પ્રધાન ખાતાં નથી એ વાત સાચી, પણ ખાનારા તો ખાય જ છે તે પણ એટલું જ સાચું છે. બેંગલુરુમાં વિપક્ષોએ દુકાન ખોલી છે, એમ વડા પ્રધાન સંભળાવે, તો એમને પુછાય કે દિલ્હીમાં 38 પક્ષોનો મેળાવડો કર્યો તો એને શોપિંગ મોલ કહીશું? એ સાચું કે વડા પ્રધાન એકલાં જ વિપક્ષોને પહોંચી વળે એમ છે, પણ એવું બીજા કહે તો એમની ક્ષમતાનું સૂચન મળે. એ પોતે કહે તો શંકા પડે ને તે પછી પણ એ સવાલ તો રહે જ કે એટલી ક્ષમતા છે જ, તો એવું કયું કારણ છે કે બીજા પક્ષોને એન.ડી.એ.માં જોડાવાનું આમંત્રણ ભા.જ.પે. આપવું પડે છે?
ભા.જ.પ.ને કદાચ 26 પક્ષોમાં ભેગા આવેલા નેતાઓની ભીડ વિચારવા પ્રેરે એમ બને, કારણ એમાં કાઁગ્રેસના રાહુલ ગાંધી – સોનિયા ગાંધી, નીતીશકુમાર, મમતા બેનરજી, શરદ પવાર, કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે, તેજસ્વી યાદવ, સીતારામ યેચુરી જેવા કોઈક ને કોઈક સ્તરે નીવડી આવેલાં નેતાઓ છે. એક બાબત 2024ની ચૂંટણીમાં જુદી પડે છે તે એ કે 2014 અને 2019ની ચૂંટણીમાં 26 વિપક્ષો ‘ઇન્ડિયા’ નામે એક થયા ન હતા અને એનો લાભ અગાઉની ચૂંટણીમાં એન.ડી.એ.ને ઠીક ઠીક મળ્યો પણ છે.
એક પરિવર્તન એ પણ નોંધવા જેવું છે કે બધા પ્રયત્નો છતાં, ભા.જ.પ. પશ્ચિમ બંગાળમાં મમતાને હરાવી શક્યો નથી. એ જ રીતે દિલ્હી, પંજાબમાં આપનો એકડો કાઢી શકાયો નથી. વારુ, હિમાચલ પ્રદેશ, કર્ણાટકમાં કાઁગ્રેસની જીત સામે પણ આંખ આડા કાન કરી શકાય એમ નથી. રાહુલ ગાંધીની પદયાત્રાએ અને તેમની સામેના કેસોએ તેમનું અને કાઁગ્રેસનું કદ વધાર્યું છે. આ બધું શાસકોની ઊંઘ ઉડાડવા પૂરતું છે. મધ્ય પ્રદેશમાં ભા.જ.પ.ની સ્થિતિ સારી નથી, છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ કાઁગ્રેસની સરકાર તોડીને ભા.જ.પ. સત્તા પર આવ્યો હતો. એ જ ખેલ મહારાષ્ટ્રમાં પણ ખેલાયો છે અને ખંડિત થયેલી શિવસેનાનો લાભ ભા.જ.પે. લીધો છે. બાકી, હતું તે અજિત પવારની એન્ટ્રીએ પુરવાર કરી દીધું કે સત્તા મળતી હોય તો કોઈ પણ સમાધાન કરવાનો ભા.જ.પ.ને વાંધો નથી.
ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ વિપક્ષની મજાક ઉડાવતાં કહે છે કે વિપક્ષો પાસે નીતિ નથી. એ સાચું, પણ એ તો કોઈ પણ પક્ષ પાસે કયાં છે? એમ તો વડા પ્રધાને જ એન.સી.પી.ના અજિત પવાર પર સિત્તેર હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો જ છે ને ! તો પણ, એ જ અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં ભા.જ.પ.ના ભાગીદાર છે, એટલું જ નહીં, નાણાં ખાતું ય સંભાળે છે. એટલે નીતિની વાત તો કોઈ ન કરે તો જ આબરુ રહે એમ છે. વિપક્ષો પણ બધા નીતિમત્તાવાળા જ ભેગા થયાં છે, એવું નથી. નામ તો નીતીશકુમાર છે, પણ સગવડ પ્રમાણે નીતિ ખર્ચવામાં એમનો જોટો જડવો મુશ્કેલ છે. 26 પક્ષોમાં સૌથી અવિશ્વાસુ કદાચ એ જ હશે. એમણે આર.જે.ડી. સાથે જોડાઈને વિધાનસભાની ચૂંટણી જીતી મુખ્ય મંત્રીપદ ગજવે ઘાલ્યું ને અડધેથી આર.જે.ડી. સાથે છેડો ફાડીને ભા.જ.પ.ને ખોળે બેસી ગયા. પછી ભા.જ.પ.ને પણ છેહ દીધો ને વળી આર.જે.ડી.ને ખોળે બેઠાં. આવા તો ઘણા નમૂનાઓ બંને છાવણીમાં છે.
અત્યારે એમ લાગે છે કે શાસક પક્ષ સાથે 38 અને વિપક્ષ સાથે 26 પક્ષો છે. આ આજનું સત્ય છે. એમાં કોઈ તોડફોડ થાય કે અંદરોઅંદર જ કોઈ મતભેદ થાય તો આ આંકડાઓ બદલાય પણ ખરા. અવિશ્વસનીય હોવું એ પક્ષ માત્રની ગુણવત્તા છે એટલે કોણ, કેટલી બાજી મારશે એ અત્યારે કહેવું વહેલું છે. એન.ડી.એ. તો 1998થી અસ્તિત્વમાં છે, જ્યારે ઇન્ડિયા યુ.પી.એ.ને વિકલ્પે ઊભું થયેલું તાજું સંગઠન છે. એક વાત સ્પષ્ટ છે કે એન.ડી.એ.નું પલ્લું અત્યારે ભારે છે, એ જોતાં ઇન્ડિયાએ વધુ સંગઠિત થઈને 2024ની ચૂંટણીનો સામનો કરવાનો રહે. હાલની સ્થિતિ જોઈએ તો ભા.જ.પ. સહિત 16 રાજ્યોમાં એન.ડી.એ.ની સરકાર છે, જ્યારે કાઁગ્રેસ સહિત ઇન્ડિયાની સરકાર 11 રાજ્યોમાં છે. છેલ્લી ચૂંટણીમાં ભા.જ.પ.ના 303 સાંસદો ઉપરાંત એન.ડી.એ.ના 37 પક્ષના 28 સાંસદો હતા. એન.ડી.એ.ના 25 એવા પક્ષ છે જેના લોકસભામાં એક પણ સભ્ય નથી, જ્યારે નવાં ગઠબંધનમાં એવા 8 પક્ષો છે. ઇન્ડિયાના 26 પક્ષના 52 સભ્યો છે. ઇન્ડિયા પાસે દેશભરમાં 1,747 ધારાસભ્યો છે, જ્યારે એન,ડી,એ,ના 1,728 છે. એન,ડી,એ,ના 105 રાજયસભા સાંસદ છે, જ્યારે ઇન્ડિયાનો એ આંકડો 97નો છે. ઓડિસા, તેલંગાણા, આંધ્ર પ્રદેશની સત્તારૂઢ પાર્ટીઓ, બ.સ.પા. કે બી.આર.એસ. કોઇની સાથે જોડાણમાં નથી. એવું પણ નથી કે વિપક્ષો એક થઈ જાય એટલે ભા.જ.પ.ની હાર પાકી થઈ જાય. 2019માં ચંદ્રાબાબુ નાયડુએ રાજકીય પક્ષોને એક કરીને વડા.પ્રધાનને હરાવવા કોશિશો કરી જ હતી, પણ કારી ફાવી નો’તી. આના પરથી ખ્યાલ આવશે કે એન.ડી.એ.નું પલ્લું ભારે છે ને ઇન્ડિયાએ લોઢાનાં ચણા જ ચાવવાના છે. બીજી મહત્ત્વની વાત એ કે પક્ષોની એકબીજાને હરાવવાની કોશિશોથી પરિણામો મળતાં નથી, સિવાય કે પ્રજા એ મામલે સંમત હોય.
ભ્રષ્ટાચાર, મોંઘવારી, મુસ્લિમોની નારાજગી, મણિપુરની હિંસા જેવા મુદ્દે એન.ડી.એ. જરૂર બેકફૂટ પર છે, પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે ભારતીય પ્રજા વડા પ્રધાનનાં નેતૃત્વથી એટલી અંજાયેલી છે કે તે ઘણી બાબતોને નજર અંદાજ કરી શકે એમ છે. હિન્દુત્વ, રામમંદિર, 370ની નાબૂદી, ત્રણ તલાક, કોમન સિવિલ કોડ જેવા મુદ્દાઓ એવા છે જે વડા પ્રધાનનાં નેતૃત્વમાં હિન્દુ પ્રજાનો વિશ્વાસ વધુ દૃઢ કરે, એટલે ઇન્ડિયા માટે કપરાં ચઢાણ છે એની ના પાડી શકાશે નહીં. 2024ની ચૂંટણીમાં કોણ જીતશે એની આગાહી કરવાનું મુશ્કેલ છે. આ દેશની પ્રજા ને એના મતદાતાઓએ દાયકાઓનાં કાઁગ્રેસી શાસનને પલટવાની સૂઝ દાખવી છે એ કમ સે કમ ભા.જ.પે. ભૂલવા જેવું નથી, સાથે જ એ પણ યાદ રાખવાનું રહે કે 26 વિપક્ષો પહેલીવાર સાથે આવ્યા છે. વધારે શું કહેવું, સમજદારને તો ઈશારો જ પૂરતો છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જુલાઈ 2023