Opinion Magazine
Number of visits: 9483186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લહરોં મેં નિમંત્રણ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|18 February 2015

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ – ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૫ : દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રીપદે અરવિંદ કેજરીવાલના શપથ સાથે એક વર્તુળ જાણે પૂરું થાય છે. એનાર્કિસ્ટ અને ભગૌડા અરવિંદ અને આપ સમસ્તને લોકશાહી રાહે અશ્રુતપૂર્વ અનુમોદના મળે છે.

ધારો કે સ્વાસ્થ્યવશ હાજર ન રહી શકે તો પણ અણ્ણા હજારેનાં આર્શીવચનો આપ સાથે છે, કેમ કે આખરે તો આમ આદમી પાર્ટી દ્રૌપદીની પેઠે યાજ્ઞસેની છે. આંદોલનના અગ્નિદિવ્યની પેદાશ છે. સ્થાપિત રાજકીય પક્ષો પરત્વે અનાસ્થા અને અંતર અલબત્ત પોતાને ઠેકાણે છે, પણ આંદોલનમાંથી નીકળેલા પક્ષ પરત્વે અને એમાં ઉભરેલ નેતૃત્વ માટે પુણ્યપક્ષપાત પણ ઠીક જ છે. અણ્ણા આંદોલનમાં સુકાન અને કમાનઢઢ્ઢા સંદર્ભે ઠીક ઠીક દોર અરવિંદ કેજરીવાલે સંભાળ્યો હતો તેની કદરબૂજ અણ્ણાને અવશ્ય છે. એટલે આંદોલનગર્ભ પક્ષમાં નહીં જોડાતે છતે એમનું એક ભાવનાત્મક સંધાન છે તે સાફ જણાઈ આવે છે. અરવિંદની ભૂમિકા અને સજ્જતા સબબ એમણે આ દિવસોમાં પણ ‘બ્રાઈટર ધેન મી’ (‘મુંથી અદકો ઉજ્જવલ’) એવો હૃદયભાવ વ્યક્ત કર્યો છે.

આંદોલનસાથી કિરણ બેદીના ભા.જ.પ. પ્રવેશ વિશે અણ્ણાએ પોતાની નાપસંદગી અને નારાજગી પ્રગટ કરતાં સંકોચ કર્યો નથી. મોદી વિશે અણ્ણાને પક્ષે નિર્ભ્રાન્તિનો પહેલો ધક્કો મે ૨૦૧૧ની એમની ગુજરાતયાત્રા સાથે લાગ્યો હતો, અને કેજરીવાલ તથા સિસોદિયાની સમજ પણ આ મુલાકાત સાથે કદાચ ઓર સાફ થવા લાગી હતી. કંઈ નહીં તો પણ આંદોલનની કોર કમિટીના કેટલાક સભ્યો(ખાસ કરીને કિરણ બેદી અને ઉદ્યોગપતિ જિંદાલ)ની જેમ ભ્રષ્ટાચારવિરોધી (અને એથી એસ્ટાબ્લિશમેન્ટ વિરોધી) આંદોલનનો કેજરીવાલ-સિસોદિયા આદિનો અર્થ કૉંગ્રેસને સ્થાને ભા.જ.પ. (જયપ્રકાશના શબ્દોમાં સાપનાથને સ્થાને નાગનાથ) એવો અલબત્ત નહોતો.

જ્યાં સુધી અણ્ણાનો સવાલ છે, કેન્દ્રમાં મોદી સરકારની કામગીરીના આઠનવ મહિના સંદર્ભે એમનું મૂલ્યાંકન પાસ માર્કનું પણ નથી. ક્યાં છે ‘અચ્છે દિન’, એમણે પૂછ્યું છે અને જનલોકપાલ બાબતે ક્યાં છો એવો ચીપિયો પણ એમણે તહેદિલથી પછાડ્યો છે. આંદોલનના દિવસોમાં ચેનલચોવીસાએ એમને ગાંધી-જેપીમાં સ્થાપવા પરત્વે લગરીક પણ વિવેકપોરો ખાધો નહોતો એ સાચું; પણ પક્ષીય રાજનીતિથી ઉફરી નાગરિક શક્તિની ઉદ્યુક્તિની દિશામાં એમનું ચોક્કસ અર્પણ હતું અને છે તે પણ સાચું.

૨૦૧૪-૧૫ના આપ ઘટનાક્રમનું પગેરું દબાવતા હમણાં મે ૨૦૧૧ની અણ્ણાની ગુજરાતયાત્રાની જિકર કરી, પણ સગડ દબાવતે દબાવતે ખરું જોતાં ગુજરાતમાં હજુ પાછળ જવાની જરૂર છે : ફેબ્રુઆરી ૧૯૭૪માં ‘ચાહે તો હાઇજેક કરીને લાવો’ એવા નવનિર્માણી ઉદ્રેકના ઝંખ્યા જયપ્રકાશ અમદાવાદ આવ્યા હતા અને છાત્રોને સંબોધતાં નવી રાજનીતિના સાદને એમણે દાદ આપી હતી કે આજે લહેરોમાં નિમંત્રણ છે ત્યારે હું તીરે કેમ ખોડાઈ શકું. તટસ્થતાને નામે કોઈ સલામત અંતરની ચિંતા વગર એમણે પોતાના જીવનકાર્યના અનુસંધાનમાં નવસક્રિયતાની રીતે વિચારવાપણું જોયું હતું. આ જ ફેબ્રુઆરી મહિનો અને એનું આ જ બીજું અઠવાડિયું હતું જ્યારે એમની ઉપસ્થિતિમાં ‘લોકસ્વરાજ આંદોલન’નો આરંભ થયો હતો જે આગળ ચાલતાં લોકસંઘર્ષ સમિતિ વાટે જનતા મોરચા લગી પહોંચ્યો હતો. એમાંથી સ્તો ૧૯૭૭માં લોકશાહીની પુનઃ પ્રતિષ્ઠા સારુ અગ્રનિમિત્ત બની રહેલ જનતા પાર્ટીની ભૂમિકા રચાઈ હતી.

‘આપ’ના ઉદયમાં આ આખા ઇતિહાસપર્વ પરત્વે જેમ સાતત્ય અને સંધાન છે તેમ એક શોધન-શક્યતા પણ બેલાશક છે. જેપી આંદોલનની નિયતિ, છેવટ જતાં, ચાલુ પક્ષોની સહાયથી (ભલે ‘જનતા’ બેનર છતાં) રોડવવાની રહી. જયપ્રકાશે જો કે જનતા પક્ષ બાબતે આત્મીયતા છતાં લોકસમિતિ અને છાત્રયુવા સંઘર્ષ વાહિની જેવાં આગવાં ઓજારો પર ભાર જરૂર મૂક્યો હતો. તાજેતરનાં વર્ષોની આપ ઘટના આ આગવાં ઓજારો અને વિધિવત્ પક્ષરચના બેઉ મળીને એક પ્રકારે નૃસિંહ કોશિશ જેવી છે.

નાતજાતકોમમાં વહેંચીને ચાલતી રાજનીતિને બદલે આમ આદમીને અનુલક્ષીને ચાલતી નાગરિક હિલચાલ લેખે આ નવોદયને સારુ ગુજરાતમાં પણ એક આશાઅપેક્ષા અસ્થાને નથી. સ્થાપિત પક્ષો સિવાયની જે પણ હિલચાલો આજે સક્રિય છે એમની સાથે સિનર્જીભેર કાંક કશુંક નિર્માણ કરવાની દિશામાં પહેલ કરવાનો દડો આ ક્ષણે નાગરિક શક્તિના પર્યાયરૂપે ઉભરેલ ‘આપ’ના આંગણામાં છે.

આપ ભલે હાલ દિલ્હીમાં કાર્યરત થશે, એના ભણી મીંટ દેશ સમસ્તની હોવાની છે કેમ કે નાગરિક કહેતાં સેક્યુલર વિકલ્પખોજ જારી છે.

ફેબ્રુઆરી ૧૨, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2015, પૃ. 01 – 02

Loading

18 February 2015 admin
← ભાષાનું ગાડું ચાલે છે
કદમોથી પણ વિશેષ થકાવટ હતી ‘મરીઝ’ મંઝિલ ઉપરથી પાછા ફરેલી નિગાહમાં →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved