Opinion Magazine
Number of visits: 9446979
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લગ્નમાં પડે એટલી મુશ્કેલી હવે કદાચ છૂટાછેડામાં નહીં પડે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 May 2023

રવીન્દ્ર પારેખ

એક તરફ આપણે પોતાની જાતને બહુ મોડર્ન, એડવાન્સ્ડ, લેટેસ્ટ ફેશન્ડ ગણાવીએ છીએ ને લગ્નમાં પ્રિ-વેડિંગ શૂટ, હાઇફાઈ રિસેપ્શન ને સ્વિત્ઝર્લેન્ડ કે પેરિસમાં હનીમૂન ને એવું એવું તો કૈં કૈં પ્લાનિંગ કરીએ છીએ, ક્યાંક એ ખરા અર્થમાં થતું પણ હશે, પણ મોટે ભાગે તો આપણી ચામડી નીચે આપણે વધુ રૂઢિચુસ્ત, વહેમી ને દંભી માણસો છીએ તે પણ એટલું જ સાચું છે. ક્યાંક લગ્ન પહેલાં હનીમૂન થઈ ગયું હોય છે, તો ક્યાંક કુટુંબો દ્વારા સંતાનોનાં લગ્ન જ્ઞાતિમાં જ કરવાનો આગ્રહ રખાય છે, ક્યાંક છોકરી પોતાની પસંદગીનો વર શોધે છે તો માબાપ તેનું ભલું ઇચ્છવાની લ્હાયમાં પોતાને ગમતો છોકરો ભટકાડી આપે છે ને છોકરી ક્મને પરણી જાય છે અથવા તો આત્મહત્યા કરી લે છે. અમે તો કૈં જ્યોતિષ-બોતિશમાં માનતા નથી – કહીને ખાનગીમાં કુંડળી ખોલી નાખતાં માબાપો છે ને કુંડળી નથી મળતી તો દિલ મળે કે ન મળે, માબાપને કોઈ ફરક પડતો નથી, તેવું પણ છે. તેમણે તો સંતાનોને ઠેકાણે પાડવાં હોય છે. ટૂંકમાં, આપણા ચાવવાના ને બતાવવાના જુદા છે.

ક્યારેક છોકરાંઓ પણ માથાનાં નીકળે છે. માબાપ કહે ત્યાં પરણી તો જાય છે, પણ પછી જેની સાથે પરણવું હતું એની સાથેનું કનેક્શન પણ ચાલુ રાખે છે. પછી જ્યારે ખબર પડે કે છોકરો કે છોકરી તો પૂર્વપ્રેમને ભૂલ્યાં નથી, તો માબાપ પર આભ તૂટી પડે છે ને તેઓ છાતી કૂટવા લાગે છે, પણ એ બધું ઢોળાયેલાં દૂધ પર અફસોસ કરવા જેવું જ છે. માબાપ ખોટી આનબાન ને શાનમાં સંતાનોની પથારી ફેરવી નાખે છે. એમાં સૌથી વધારે મરો તો એ નિર્દોષ વ્યક્તિનો થાય છે જે પરણીને એ ઘરમાં આવે છે. એને તો ખબર જ નથી કે એનાં આવતાં પહેલાં જ ઘરમાં ઘણું રંધાઈ ચૂક્યું છે. પછી જે કકળાટ થાય છે તે લોહીનાં આંસુ પડાવે છે. ઘરની શાંતિનો સર્વનાશ થાય છે ને રોજના ઝઘડાનો ઉકેલ છૂટાછેડામાં શોધાય છે. સાચું તો એ છે કે છૂટાછેડા પણ અત્યંત મુશ્કેલ બાબત આજ સુધી રહી છે, એટલે ઘણાં તો એનાથી દૂર જ રહેવા મથે છે.

એક સમય હતો જ્યારે લગ્ન, કોઈ એકનાં મૃત્યુ પછી જ પૂરાં થતાં. પતિપતિની વચ્ચે બને કે ન બને, જિંદગી પૂરી થતી. તેનું એક કારણ તે મહિલાઓ એટલી શિક્ષિત ન હતી તે હતું. ઘર અને વર સાચવવા સિવાય બીજું કોઈ લક્ષ્ય જ તેમની પાસે ન હતું. સાસરામાં સચવાઈ રહે એટલે દીકરીને કરિયાવર કે દહેજ અપાતું. સ્વેચ્છાએ અપાતું. તે પછીથી સાસરિયાં તરફથી હકની જેમ મંગાતું થયું. વરને મોટો કરાયો, તેને ભણાવાયો, નોકરીધંધે લગાડાયો તે વહુ માટે જ ને ! એમ કહીને દહેજ પછી પણ ઉઘરાણીઓ થતી ને દીકરીનો બાપ કટકે કટકે કપાતો રહેતો. કોઈ છોકરીનો બાપ એમ નથી કહેતો કે દીકરીને મોટી તો મેં પણ કરી છે, તેને ઘરકામ શીખવ્યું છે, ઢસરડો કરવાની ટેવ પાડી છે તે પણ વર માટે જ ને !

એ પછી તો છોકરીઓ પણ ભણીગણીને નોકરીધંધે લાગી, પ્રેમમાં પડવા લાગી, વર પસંદ કરતી થઈ, ફેર અફેરમાં પડી, ઘણાં કુટુંબોમાં તેનું વર્ચસ્વ વધ્યું, પણ સાસરામાં તેને મળવું જોઈતું માન આજે ય ઓછું જ પડે છે. તે પોતે વરને છોડતી થઈ છે, સાસરિયાંઓનાં ત્રાસ સામે પોલીસમાં ફરિયાદ કરતી ને તેમને સળિયા પાછળ ધકેલતી થઈ છે. જો કે, એનું પ્રમાણ ઓછું જ છે. ભણી હોય કે નોકરી કરતી હોય તો પણ કન્યાના બાપે હજી દહેજ આપવું જ પડે છે. એરેન્જ્ડ મેરેજમાં હજી દહેજ માંગનાર ઘણાં કુટુંબો છે જ. એ ન મળે તો અસંતોષ સાસરિયાંઓનો વધતો જ આવે છે. એટલું છે કે હવે સમાજ શિક્ષિત થયો છે એટલે ઘણા વ્યવહારો અન્ડર ટેબલ થાય છે. સમાજ જેમ જેમ શિક્ષિત થયો, તેની શોષણની રીતો વધુ આધુનિક અને વધુ સૂક્ષ્મ થતી ગઈ છે. બીજી તરફ લગ્નજીવન પણ એટલું જ જટિલ અને તનાવયુક્ત થયું છે. પ્રેમલગ્ન કરનારાંઓ સુખી નથી તો, એરેન્જ્ડ મેરેજ કરનારાં બધાં દુખી જ છે એવું પણ નથી. થયું છે એવું કે સંવેદનશીલ અને સહનશીલ સમાજ હવે ઘટતો આવે છે. શાંતિનું સ્થાન અજંપાએ લીધું છે. મતભેદો અને મનભેદો આજનાં સમાજનાં વ્યાવર્તક લક્ષણો છે.

એવું નથી કે દહેજને મામલે જ છૂટાછેડા થાય છે, હવે તો શિક્ષિત પતિપત્નીનાં જીવનમાં ત્રીજી વ્યક્તિનો પ્રેમ પણ ઉમેરાયો છે. નોકરીધંધા નિમિત્તે લગ્નેતર સંબંધોની ટકાવારી વધી છે. એ મુદ્દે પણ કોર્ટમાં છૂટાછેડાની અરજીઓ વધી છે. આજે ઘણાં યુગલો છૂટાં થઈને નવી જિંદગી જીવવા ઈચ્છે છે, પણ કેસનો ભરાવો એટલો છે કે વહેલો નિકાલ લાગતો નથી. વળી છૂટાં થનાર યુગલને સંપત્તિના, ભરણપોષણના, સંતાનોના એટલા બધા પ્રશ્નોનો છે કે ન્યાય મેળવવામાં સમય જાય જ છે. પરિસ્થિતિ એટલી ઘેરી બને છે કે ન સાથે રહેવાય કે ન અલગ રહેવાય. ત્રિશંકુ જેવી દશામાં વર્ષો નીકળી જતાં હોય છે, પણ કેસનો નિકાલ લાગતો નથી. દેખીતી રીતે લાગતું હોય કે પતિપત્ની વચ્ચે બધાં પ્રયત્નો છતાં કોઈ સમાધાન થઈ શકે એમ જ નથી, ત્યાં પણ છૂટાછેડા થતાં નથી ને પતિપત્નીએ કેટલોક સમય દોજખ જેવી જિંદગી જીવવી પડે છે. આવી વિષમ પરિસ્થિતિમાંથી કોર્ટે તાજેતરમાં જ એક ઉકેલ શોધ્યો છે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે ગયા સોમવારે કરેલા નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે પતિપત્ની વચ્ચેના તમામ સંબંધો પૂરા થાય અને તેમાં સુધારાને કોઈ અવકાશ જ ન હોય તો અત્યાર સુધી જરૂરી ગણાયેલો છ મહિનાનો વેઇટિંગ પિરિયડ વિશેષ સંજોગોમાં જરૂરી રહેશે નહીં. સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 142 હેઠળ પતિપત્ની વચ્ચેના સંબંધોમાં કોઈ સુધારો ન થાય એવી સ્થિતિમાં, એવી સ્થિતિમાં જ, 6 મહિનાનો વેઇટિંગ પિરિયડ અનિવાર્ય ગણ્યો નથી. આમ તો સુપ્રીમે 29 સપ્ટેમ્બર, 2022 ને રોજ આ નિર્ણય અનામત રાખ્યો હતો, પણ ગયા સોમવારે એનો ચુકાદો આપી દીધો છે. આ ચુકાદો હવે મહિલાઓને આગળ વધવાની તકો પૂરી પાડશે એવું નેશનલ કમિશન ફોર વુમન-NCWને લાગે છે. સુપ્રીમે કેટલીક વધુ સ્પષ્ટતાઓ કરતાં  ઉમેર્યું છે કે આ ચુકાદો હિન્દુ મેરેજ એક્ટ સંદર્ભે જ લાગુ થશે ને જે તે છૂટાછેડા ઇચ્છુક યુગલે સ્વેચ્છાએ, પરસ્પર સંપૂર્ણ સહમતિથી અલગ થવું હશે, તો, ફેમિલી કોર્ટમાં અરજી કરવાની રહેશે. કોઈ પણ પક્ષ અનુચ્છેદ 32 હેઠળ સુપ્રીમમાં સીધી અરજી કરી શકશે નહીં. હા, સુપ્રીમને પોતાને લાગશે તો તે સામેથી કેસ હાથ પર લઈ શકશે. એ પણ સ્પષ્ટ છે કે આ ચુકાદો દરેક કિસ્સામાં લાગુ નહીં પડે. જે કિસ્સામાં મતભેદ દૂર થવાની થોડી પણ શક્યતાઓ છે, ત્યાં આ ચુકાદો લાગુ કરાશે નહીં. અત્યાર સુધી એવું હતું કે હિન્દુ મેરેજ એકટની કલમ 13બી-1 હેઠળ સંમતિથી છૂટાછેડાની અરજી પર ફેમિલી કોર્ટ પતિપત્નીને ફેરવિચારણા માટે અને સમાધાનની કોઈ શક્યતા હોય તો તે તપાસવા માટે 6થી 18 મહિનાનો ગાળો આપતી હતી ને જયાં હજી એવી તકો છે ત્યાં એ વાત હજી લાગુ પડે જ છે, પણ જ્યાં બધા પ્રયત્નો પછી પણ સમાધાનની કોઈ શક્યતા જ નથી, ત્યાં અને ત્યાં જ સુપ્રીમે 6 મહિનાની રાહ જોવાનું જરૂરી ગણ્યું નથી.

આમ તો અત્યારે પણ લગ્નોમાં ન્યાતજાત, ધર્મ, કુંડળી, ગોત્ર જેવી અનેક બાબતો મુશ્કેલીઓ ઊભી કરે જ છે ને એ બધું જોયા-તપાસ્યા પછી પણ લગ્નો સફળ થાય જ એની કોઈ ખાતરી કોઈ ધર્મ, કોઈ જ્યોતિષ, કોઈ કુટુંબ તરફથી મળતી નથી ને જિંદગીભર જોડાવા માટે બે વ્યક્તિને, ઇચ્છાથી કે અનિચ્છાથી ફરજ પાડવામાં આવે છે. ઉધારઉછીનું કરીને, કુટુંબો લખલૂટ ખર્ચ કરીને વાહવાહી લૂંટે છે ને સંતાનોની જિંદગી દાવ પર લગાવે છે. આ અગાઉ હતું ને આજે પણ છે. ક્યાંક સાચા પ્રેમની વાત બનતી પણ હશે, ક્યાંક કોર્ટ મેરેજની સાદાઈ પણ અપનાવાતી હશે, પણ છેલ્લે તો વાત કોર્ટ પર જ આવે છે. બધી જ વખતે કુટુંબ જ જવાબદાર હોય એવું પણ નથી, પતિપત્ની પણ નાની નાની વાતે છણકાતાં રહે છે. નભાવવાનું કયારેક જ બને છે ને સંતાનોનો પણ વિચાર કર્યાં વગર અલગ થવા કોર્ટ સુધી ઊભાં જ નથી રહેતાં. ક્યાંક સમજાવટ કામ કરતી પણ હશે, પણ વાતે વાતે અલગ થવાની ફેશન પડી હોય એવું પણ લાગે છે. મુશ્કેલી એ છે કે દુ:ખ તો વેઠાતું નથી, સુખ પણ વેઠાતું નથી. બહુ ઝડપથી સુખનો ઓડકાર આવી જાય છે ને પછી ફરિયાદો, આરોપો ને ઝઘડાઓનો સિલસિલો શરૂ થાય છે ને એનો છેડો છૂટા થવામાં આવે છે. આવનારા સમયમાં કદાચ લગ્નો મુશ્કેલીથી થશે, પણ છૂટાં થવાનું સરળ થઈ જશે ને જ્યાં સમાધાનની કોઈ શક્યતા જ નહીં રહે ત્યાં 6 મહિના વેઇટિંગ પિરિયડની રાહ જોવાનું ફરજિયાત ન રાખતો છેલ્લો ચુકાદો ઘણા યુગલોને ઉપકારક નીવડે એમ બને.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 મે 2023

Loading

8 May 2023 Vipool Kalyani
← ગુર્જરી વિશ્વરૂપને વરે : નોબૅલ-સન્માનિત સર્જકોનાં ‘સાહિત્યત્વ’નું ગુજરાતીમાં અવતરણ
નાગરિકોને મૂળભૂત અધિકારોની સુરક્ષા આપતાં કેશવાનંદ ભારતી કેસના પચાસ વર્ષ! →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved