Opinion Magazine
Number of visits: 9446689
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરત મનપાનું 27 માળનું વહીવટી ભવન 27 વર્ષ ટકશે કે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 April 2023

રવીન્દ્ર પારેખ

1,344 કરોડને ખર્ચે સુરત મહાનગરપાલિકાનું 27 માળનું વહીવટી ભવન રિંગ રોડ પર સાકાર થવા જઇ રહ્યું છે ત્યારે મનપાને અને શહેરીજનોને ‘ધબકાર’ હૃદયપૂર્વક અભિનંદનો અને શુભેચ્છાઓ પાઠવે છે. આમ તો 27-27 માળની બે ઇમારતો બનવાની છે. તેમાંની પહેલીનું કામ જ્યાં જૂની સબજેલ હતી ત્યાં પૂરજોશમાં શરૂ થઈ ગયું છે, તે આનંદની વાત છે. તેનું કામ ક્યારે પૂરું થશે તેની માહિતી નથી, પણ તે ભવન તૈયાર થશે તો તે સુરત મહાનગરનું તો ખરું જ, પણ દેશનું પણ સરકારી આઇકોનિક બિલ્ડિંગ હશે એમ કહેવાય છે.

આ બિલ્ડિંગનાં પહેલાં ચાર માળ સુધી પોડિયમ હશે. તેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પોડિયમ સાથે ઓફિસ પણ ખરી. ચાર ફ્લોરનું બેઝમેન્ટ પાર્કિંગ હશે, જેમાં ત્રણ ફ્લોર મનપાના સ્ટાફ અને ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ માટે હશે ને એક ફ્લોર પર વિઝિટર્સનું પાર્કિંગ હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર કોર્પોરેશનનું ડેશ બોર્ડ, ટેલિફોન કંટ્રોલ રૂમ, પબ્લિક ડીલિંગ ઑફિસ … વગેરે હશે. પોડિયમનાં પહેલા માળે પગાર અને પેન્શન, પી.આર.ઓ., મલ્ટિ પર્પઝ હૉલ, સભાખંડ, કાફેટેરિયાનું આયોજન થશે. બીજો માળ એફોર્ડેબલ હાઉસિંગ સેલ, જી.એસ.ટી., એકાઉન્ટ સેકશન માટે હશે. ત્રીજા માળે મેયર સહિતના પદાધિકારીઓની ઓફિસ, ખાસ સમિતિના ચેરમેનની ઓફિસ, શાસક અને વિપક્ષનો કોમન રૂમ વગેરે હશે, તો ચોથા માળે મ્યુનિસિપલ કમિશનર, વિવિધ વિભાગના વડાનો, વિજિલન્સ સેક્શનનો સમાવેશ થશે. પાંચમા માળે ટેરેસ ગાર્ડન, લાઇબ્રેરી, કાફેટેરિયાનું આયોજન છે. છઠ્ઠા માળે ટાવર હશે જ્યાં કોર્પોરેશનનાં વિવિધ વિભાગોને જગ્યા ફાળવાશે. આ બિલ્ડિંગમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ઑફિસોને પણ સ્થાન હશે. 27 માળની આ સૌથી ઊંચી બિલ્ડિંગ હશે જેનાં 27માં માળે ફાયર વિભાગ કંટ્રોલરૂમ બનાવાશે જ્યાંથી શહેર પર નજર રખાશે.

એમ લાગે છે કે કશુંક અદ્દભુત થવા જઇ રહ્યું છે. એ થાય તેમ જરૂર ઈચ્છીએ, પણ તે સાંગોપાંગ પાર પડે તે અંગે શંકા રહે છે. આટલો તોતિંગ ખર્ચ કર્યા પછી થોડાં વર્ષમાં તે ફરી બાંધવું પડે એવું તો નહીં થાયને એવો સવાલ રહી રહીને થયા કરે છે, કારણ આ શહેરમાં ઇમારતો તો ભવ્ય બનતી દેખાય છે, પણ તેની આવરદા પુખ્ત ઉંમરે પણ પહોંચતી નથી તે દુ:ખદ છે. અઠવા લાઇન્સમાં સરગમ શોપિંગ સેન્ટર નામની અનેક મજલી વિશાળ ઇમારત એવી બંધાઈ કે તે ઘણાંને સરનામામાં નિશાની તરીકે સૂચવાતી હતી. તે ત્રીસેક વર્ષ પણ ન ટકી ને તેને ઉતારી લેવી પડી. એવી તો ઘણી ઇમારતો વીસ પચીસ વર્ષમાં જ ભોંય ભેગી કરવી પડી. સુરત સિટી કોર્ટનું બિલ્ડિંગ વીસેક વર્ષમાં ફરી બાંધવાનું થયું. ગાંધી સ્મૃતિ ભવન 1980માં બંધાયું ને 2017માં તે ચાર કરોડને ખર્ચે રીપેર થયું, પણ ન ટક્યું ને 2019માં અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવું પડ્યું. અત્યારે ત્યાં કૈં નથી. કોર્પોરેશનની જ આ ઇમારત ચાળીસ વર્ષ પણ ન ટકી. આ ઇમારતો કેમ ન ટકી તે કોઇથી અજાણ્યું નથી. એમાં વફાદારી પ્રમાણિકતા ને નિષ્ઠા સિવાય બીજાં તત્ત્વો જ સક્રિય રહ્યાંનું ધારી શકાય એમ છે. તે વગર આવાં બાળમરણો થાય નહીં. બાળમરણ એટલે કે શહેરમાં જ એવી ઇમારતો આજે ય છે, જે સૈકાઓ પછી પણ ટકોરાબંધ છે. અત્યારે ઠેર ઠેર મલ્ટિસ્ટોરીડ બિલ્ડિંગ્સ બંધાયે જ જાય છે, એની આવરદાનો વિચાર કરીએ તો મનમાં નિરાશા જ વ્યાપે છે, તે એટલે કે એ જરા ય સસ્તાં હોતાં નથી ને એ ખરીદવા જે લોકો આગળ આવે છે એમણે જીવ પર આવીને જેમ તેમ એની રકમ ભેગી કરી હોય છે, લાંબા ને મોટા હપ્તા ભરતાં એમની ચામડી તતડી ગઈ હોય ને થોડા વખતમાં ખબર પડે કે રહેણાંક વિસ્તાર બિસ્માર હાલતને કારણે ખાલી કરવાનો છે કે બિલ્ડિંગ ઉતારવાનું છે તો શી સ્થિતિ થાય એની કલ્પના જ કરવાની રહે છે. આવું પતન પ્રમાણિકતા કે નિષ્ઠાનાં અભાવમાં જ શક્ય છે.

આવાં તકલાદી કામોની સામે સૈકાઓથી ટકેલાં કોઈ તાજમહાલ, કોઈ લાલકિલ્લા, કોઈ મીનાક્ષી મંદિરને જોઈએ છીએ ત્યારે થાય છે કે કેવી રીતે ટકી હશે એ ઇમારતો આજ સુધી? દેલવાડાનાં દેરાં તો આબુ પર્વતે થયાં. ત્યારે કોઈ સડકો કે વાહનોની સગવડ પણ ન હતી, તો કેવી રીતે એટલી ઊંચાઈએ હાથીઓ મારફતે આરસ ઉપર ચડાવ્યો હશે? શું ઉમેર્યું હશે એ બાંધકામમાં કે એ મંદિરો આજે પણ માખણ જેવા આરસની કવિતા ગાતાં આકર્ષે છે? ત્યારે તો કદાચ સિમેન્ટ પણ ન હતી, તો સાગોળ ઉપરાંત શું ઉમેરાયું હશે ત્યારની ઇમારતોમાં તે નથી સમજાતું. આજની એન્જિનિયરિંગની ડિગ્રી પણ તે વખતના બાંધનારાઓ પાસે ન હતી. એન્જિનિયરો આવ્યા પછી ઇમારતોની આવરદાના પ્રશ્નો ઊભાં થયા. તે પહેલાં તો કોઈ ટેક્નોલોજી કે ટેકનિક પણ નહીં હોય ને ઇમારતો ખડી થઈ હશે. બીજું તો અનુમાન નથી થઈ શકતું, પણ તે વખતે જે સાધન શુદ્ધિ હતી, ઈમાનદારી ને કામ પ્રત્યેની નિષ્ઠા હતી, તે આજે શોધી જડતી નથી. એવું નથી કે એ મોગલ રાજાઓની જ સ્થાપત્ય પ્રીતિ હતી કે એ દિલ્હી પૂરતી જ સીમિત હતી, એ ઠેર ઠેર હતી.

સુરતની જ વાત કરીએ તો એનો કિલ્લો ખુદાવંદખાને 1540-41માં બાંધ્યો. કિલ્લાના પથ્થરોની વચ્ચે સીસું પૂર્યું ને ઇમારતને લોખંડી મજબૂતી મળી. આ ઉપરાંત ચિંતામણિ જૈન મંદિર, જૂનું અંબાજી મંદિર જેવાં કૈં મંદિરો 300-400 વર્ષથી આજે પણ ધર્મધ્વજ લહેરાવતાં ઊભાં છે. સુરત જિલ્લાના જ મહુવામાં 1,050 વર્ષ જૂનું પાર્શ્વનાથનું જૈન મંદિર પણ અકબંધ ઊભું છે. એન્ડ્રૂઝ લાઇબ્રેરી સુરતમાં જ છેને, પણ છે હજી ! એમ.ટી.બી. આર્ટસ કોલેજ અને પી.ટી. સાયન્સ કોલેજનાં મકાનો પણ શતાબ્દી ઊજવી ચૂક્યાં છે. જો એ મકાનો આજે પણ ટકીને હજી વધુ ટકવાની ખાતરી આપતાં હોય તો હવે એવું શું થયું છે કે આજની ઇમારત માટે મનમાં કોઈ શ્રદ્ધા નથી બેસતી? કેમ કોઈ પણ મકાનની ખરીદીમાં છેતરાવાની દહેશત કાયમ રહેતી હોય છે? પૂરી રકમ આપવા છતાં, પૂરું મકાન હાથમાં ન આવે એવું વિકસતી ટેકનોલોજીના જમાનામાં જ વધારે બન્યું છે. આ દહેશત સૈકાઓ પછી પણ, સ્વતંત્રતા પહેલાંની ઇમારતો માટે ભાગ્યે જ રહે છે તે આજના સંદર્ભે ઘણું બધું સૂચક છે !

દૂર શું જવું? આજની મહાનગરપાલિકાની ઇમારત પણ સૈકાઓ વટાવીને અનેક અવરજવરથી ધમધમે છે. એ ઇમારત મુગલસરાઈ તરીકે સુરતના કિલ્લેદાર ઇશાક બેગ યઝદી ઉર્ફે હકીકતખાને 1644માં બંધાવેલી. ત્યારે તે હુમાયુસરાઈ તરીકે ઓળખાયેલી જે પાછળથી મુગલસરાઈ તરીકે જાણીતી થઈ. આ સરાઈમાં હજયાત્રીઓ, વિદ્વાનો, કાજીઓ, ગરીબો ઉતરતા ને તેમને આ મુગલસરાઈમાં ત્રણ દિવસ મફત ઉતારો અપાતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અમલ શરૂ થયો ત્યાં સુધી મુગલસરાઈનો ઉપયોગ મુસાફરો માટે જ થતો રહ્યો. એ પછી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારે કેદીઓ અને અટકાયતીઓને પણ એમાં રખાયા. 1869 સુધી તેનો કાચી જેલ તરીકે ઉપયોગ થયો. 1852ની 23 એપ્રિલે કલેકટર રોજર્સે નાનપરા પોસ્ટ ઑફિસનાં મકાનમાં સુરત સુધરાઈની સ્થાપના કરી. જો કે કોર્પોરેશનની ડાયરી એ સ્થાપનાની તારીખ 15 મે, 1852 જણાવે છે. આ સુધરાઇ 1867માં આજે જ્યાં મુગલીસરામાં મનપાનું મકાન છે, ત્યાં ખસેડવામાં આવી. 1 ઓકટોબર 1966થી પાલિકા, સુરત મહાનગરપાલિકા બને છે. આ મહાનગરપાલિકા રિંગ રોડ પર 27 માળનું ભવન તૈયાર થશે તો ત્યાં સક્રિય થશે, પણ એ તો થાય ત્યારે વાત. અત્યારે તો મુગલીસરા જ તેનું સરનામું છે.

સાચું તો એ છે કે આજની મહાનગરપાલિકા લગભગ બસોથી પણ વધુ વર્ષ જૂનાં મકાનમાં શરૂ થઈ અને તે પછી પણ દોઢસોથી વધુ વર્ષ સક્રિય રહી, ત્યારે એ પ્રશ્ન થાય જ છે કે આટલાં વર્ષ ટકવાની કોઈ ખાતરી 27 માળની નવી ઇમારત આપી શકે એમ છે કે એ પણ આજનાં પચીસ ત્રીસ વર્ષની આવરદાવાળા કોઈ મકાનની જેમ જ ફરી બીજું મકાન શોધવાની દિશા તરફ દોરી જશે? પ્રાર્થના કરીએ કે સુરત મહાનગરપાલિકાને તેનું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફળે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઍપ્રિલ 2023

Loading

21 April 2023 Vipool Kalyani
← પ્રેમની ‘બંદિની’:  મૈં બંદિની પિયા કી, મૈં સંગિની હૂં સાજન કી
હરિગીત →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved