Opinion Magazine
Number of visits: 9447174
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંદિર તારું વિશ્વ રૂપાળું

હરનિશ જાની|Opinion - Opinion|16 October 2014

આ વરસના ઓગસ્ટના છેલ્લા દિવસોમાં, ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં, સ્વામીનારાયણ સંસ્થાના (બોચાસણ) મંદિરમાં, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. સ્વયં પ્રમુખ સ્વામીજી પધાર્યા હતા. અને તે પ્રસંગે અમેરિકાના જુદા જુદા સ્ટેટમાંથી ભક્તોનાં ટોળાં ઉમટ્યાં. અમેરિકા તો અમેરિકા, આખા જગતમાંથી ભક્તોના ધાડાં રોબિન્સવિલ (ન્યૂ જર્સી) પર ઊતરી આવ્યાં.

આ મંદિર અમારા ઘરથી પાંચ કિલોમિટર દૂર છે. અમેરિકામાં તો દસ માણસનું પણ મોટું ટોળું ગણાય. તો આ તો વીસ હજાર જેવા હરિભક્તો પધાર્યા હતા. નવાઈની વાત એ હતી કે કોઈને જમ્યા સિવાય નહોતા જવા દેવાયા. જમવાનો મહિમા બીજા કોઈ પણ મંદિર કરતાં આ પંથના મંદિરોમાં સૌથી વધુ છે. ભૂખે ભજન ન હોય ગોપાલા – એ સિદ્ધાંતને લીધે મારા જેવા અભક્તો પણ ભગવાન માટે નહીં પણ રસરંજનના થાળનાં દર્શન માટે ઘુસી જાય છે. મારા જેવા અભક્તને જ્યારે જ્યારે ઇન્ડિયન ફુડની ઇચ્છા થાય છે, ત્યારે ત્યારે આ મંદિરની વિઝીટ મારી આવે છે. આ જ એક મંદિર છે કે જ્યાં અમે બન્ને, પતિપત્નીની જરૂરિયાત પૂરી થાય છે. એ ભજનગૃહમાં જાય છે. અને હું ભોજનગૃહમાં. પણ તેથી વધુ આનંદ એ વાતનો છે કે મારે એની સાથે નથી બેસવું પડતું. કહેવાય છે કે આ પંથના સાધુ સંતો સ્ત્રીઓથી અને તેમનાં દર્શનથી દૂર રહે છે. વિધિની વક્રતા એ છે કે સ્ત્રીઓ જ એ મંદિર તરફ વધુ દોડે છે. કદાચ ભગવાનને સ્ત્રી-દર્શનનો વાંધો ન હોય.

પંદર કરોડ ડોલરના ખર્ચે બંધાયેલા આ મંદિરમાં મારા જેવા મફતિયાનો આનંદ લૂંટાઈ ગયો છે. હવે અહીં રવિવારના મફતના જમવાના પૈસા પડશે. આ મંદિરના પરિસરમાં જાત જાતનાં બીજા સ્ટોલ્સ છે. અને અંદર મોલ જેવું લાગે. આપણને થાય કે આ બધો માલ વેચવા જ મંદિર બનાવ્યું  છે. ભગવાનનું તો બહાનું છે.

ત્રીસ ચાળીસ વરસ પહેલાં, મંદિર માટેનો આવો વીસ હજાર હરિભક્તોનો ધસારો કોઈની કલ્પનામાં પણ ન આવ્યો હોત !

સ્વામીનારાયણનું પહેલું મંદિર, અમેરિકામાં ક્વિન્સમાં બાઉની સ્ટ્રીટ પર, એક સામાન્ય ઘરમાં હતું, ત્યાં મારે ભારતથી આવેલા મિત્રને લઈ જવાના હતા. હું અને મારી પત્ની, હંસા એ ભાઈને લઈ ગયા હતાં. સાલ હશે ૧૯૭૪–૭૫. પ્રમુખ સ્વામીની પધરામણી થઈ હતી. બસો હરિભક્તો અને અમે હાજર હતાં. એ દિવસે એ સૌને એક કલાકમાં જમાડ્યા હતાં. ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું હતું અને ત્યારથી સ્વામીનારાયણ સંસ્થાના સ્વયંસેવકો માટે બહુ માન છે. જે નિષ્ઠાથી તેઓ કામ કરે છે એવી કર્તવ્યપરાયણતા મિલિટરીમાં જ જોવા મળે.

ત્યારે અમેરિકામાં એ એક જ સ્વામીનારાયણ મંદિર હતું. આજે હજાર કરતાં વધુ મંદિરો પ્રમુખ સ્વામીની આગેવાની હેઠળ આખા જગતમાં થયાં છે. અમેરિકાની લોકશાહીના તો કેટલાં વખાણ થાય ? અમે લોકો આવાં મંદિરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વખતે અમેરિકન સેનેટર, કોંગ્રેસમેનને પકડી લાવીએ છીએ. અને એ લોકો અમારા વોટ લેવા આવા પ્રસંગોએ આવી જાય છે. મને આ પોલિટિશયનોના અને વેશ્યાના ધંધામાં કાંઈ ફેર નથી લાગતો. સ્વાર્થ માટે ગમે તે કરવા તૈયાર થાય.

આવા મંદિરોમાં એકેય ગોરો કે કાળો અમેરિકન દેખાતો નથી. કરોડોના ખર્ચે અમેરિકાની ધરતી પર મંદિરો બાંધીએ છીએ, પણ અમેરિકન પ્રજા માટે કેટલા પૈસા ખર્ચાતા હશે ? યાદ આવે છે. હોલિવુડની ફિલ્મ "ધ સિક્સથ સેન્સ"  બનાવનાર ઇન્ડિયન યુવાન ડાયરેક્ટર એમ. નાઈટ શ્યામલને ફિલ્મના નફામાંથી પંદર મિલિયન ડોલર, ફિલાડેલ્ફિયાના કાળા અમેરિકનોના સ્લમમાં ઘરો બંધાવવામાં ખર્ચ્યા. વાત એમ હતી કે એ ફિલ્મનું શુટિંગ ફિલાડેલ્ફિયાના એ સ્લમમાં થતું હતું. તેમની ગરીબાઈ જોઈને, આ યંગ ઇન્ડિયને પોતાના પૈસા અમેરિકા માટે ખર્ચ્યા. આવા વિચારો આવે તો આ ભૂમિ આપણને સ્વીકારે. આખો વખત દેશ પાસેથી લે લે કરીએ, અને દેશ માટે ન ખર્ચીએ તો પરિણામ આફ્રિકા જેવું આવે. − એક સર્વે મુજબ અમેરિકામાં ૪૭ ટકા ઘરોમાં ગન છે.

મને યાદ છે કે ૧૯૭૦માં, ન્યૂ યોર્કમાં જો ખોટ હતી તો તે મંદિરની અને બીજી ઇન્ડિયન ગ્રોસારી સ્ટોર્સની. જો ભૂખનો પ્રશ્ન ઉકલે તો ભગવાનના પ્રશ્નનું કાંઈ ઠેકાણું પડે. તેમાં ન્યૂ યોર્કના મેનહટન વિસ્તારમાં લેક્ઝિંગ્ટન એવન્યુ પર એક આર્મેનિયનનો ગ્રોસરી સ્ટોર્સ હતો. અને મંદિર માટે એક "હરે રામા, હરે કૃષ્ણા"વાળાઓનું સેકન્ડ એવન્યુ પર  ખાનગી ઘરમાં મંદિર હતું.

રસ્તા પરથી જ દાદર પર ચઢી ઉપર જવાનું હતું. એક વાર અમે ચાર પાંચ મિત્રો, મંદિર છે તો જોઈએ, એ ભાવથી ગયા હતા. ત્યાં ઉપર મોટા ગાદી તકિયા પર શ્રીલા પ્રભુપાદ આડા પડયા હતા, અને અમેરિકન યુવાન યુવતીઓ તેમના પગ પાસે બેઠાં હતાં. ગોરી છોકરીઓ સાડીમાં ખૂબ શોભતી હતી. અમે ત્યાં મહા પ્રસાદમ્ આરોગ્યો. કારણ કે અમે બધાં "સિંગલ" હતા અને રૂમ પર રેડીમેડ ફુડના ડબ્બા ખોલી ખોલીને ચણા, વટાણા, દાળ, ગરમ કરીને પાંઉ  રોટી સાથે ખાઈ લેતા. એટલે ભગવાનનો પ્રસાદ આરોગીને ભગવાનના આશીર્વાદ મેળવાય અને પેટ ભરાય. આમ બહાર મંદિરોમાં જમવાનો ચસ્કો મને વરસોથી લાગ્યો છે.

પછીથી એ મંદિર, બ્રુકલિનમાં હેનરી સ્ટ્રીટ પર ગયું. ઇન્ડિયાથી આવતા વિઝીટર્સને અને નવા સ્ટુડન્ટ્સને એ મંદિર જોવા લઈ જતા. આખા ન્યૂ યોર્કમાં એક માત્ર હિન્દુ મંદિર અને તે પણ અમેરિકનો ચલાવે એ વિચારે જ હિન્દુઓએ મરવું પડે. અને હિન્દુઓ હવે તો સારું કમાતા હતા. તેમાં ખાસ કરીને ગુજરાતીઓને ગરબા માટે કોઈ જગ્યા જોઈતી હતી. હવે ન્યૂ યોર્કમાં દેશીઓની − અમે અમેરિકાના ગુજરાતીઓ કોઈ પણ ઇન્ડિયનને માટે "દેશી" શબ્દ વાપરીએ છીએ − સંખ્યા વધવા માંડી હતી. (મારાં પત્ની પણ ઇન્ડિયાથી મારી મોટી દીકરી આશિનીને લઈને આવી ગયાં હતાં. અને અમે અમારો નવો સંસાર ન્યૂ યોર્કમાં ચાલુ કર્યો. મને બર્નાર્ડ સ્ક્રીન પ્રિન્ટીંગમાં સુપરવાઈઝર તરીકે નોકરી મળી ગઈ હતી. એટલે પૈસાની સગવડ થઈ ગઈ હતી. એટલે મનમાં શાંતિ હતી.)

૧૯૭૮ની આસપાસ ન્યૂ યોર્કના કરોના એરિયામાં ગીતા મંદિરની સ્થાપના થઈ. ભગવાનનું બહુ મહત્ત્વ નહોતું. પરંતુ ગરબા માટે જગ્યા મળી ગઈ. જ્યાં ત્રીસ ચાળીસ જણથી ગરબા ગવાતા હતા. બે વરસ પછી તે જગ્યા પણ નાની પડવા લાગી. એટલે મોટી જગ્યામાં કરોનામાં જ નવું મંદિર બન્યું. મંદિર બનાવનારા લોકો સ્માર્ટ હતા. તેમણે તે મંદિરમાં બધા ભગવાનો ગોઠવી દીધા. ગાયત્રીમાતા, હનુમાનજી, શંકર પાર્વતી, દુર્ગામાતા, રામ–સીતા, રાધા–કૃષ્ણ. જાણે કે ભગવાનોની પરિષદ ભરાઈ હોય તેમ. આપણા લોકોના સંસ્કાર જ એવા છે કે મંદિર વિના આપણું જીવન સૂનું સૂનું લાગે.

સેકન્ડ વર્લ્ડ વોર પછી યુરોપના મોટા શહેરો અને ટાઉનમા સૌથી પહેલાં બન્યા હોય તો તે ટાઉન હોલ. યુરોપના બધા દેશમાં જોઈશું તો ટાઉન મોટું હોય કે નાનું હોય, પરંતુ તેમાં ટાઉન સ્ક્વેર (ગામનો ચોક) અને એક ટાઉન હોલ જોવા મળશે. આ ટાઉન હોલમાં ગામની બધી જ સામૂહિક પ્રવૃત્તિ થતી હોય છે. તેમાં નાટકો, સંગીતના સાંસ્કૃિતક કાર્યક્રમો પણ થાય. અને સામાજિક મિટીંગો પણ થાય. હા, તેઓ પણ ચર્ચ બનાવે છે. પરંતુ તેની પહેલી જરૂરિયાત નથી ગણાતી.

૧૯૮૦ પછી તો ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં બીજા બે રામ મંદિર થયાં. કોઈ માને ના પણ એક પટેલે અને એક બામણે મળીને એક ચર્ચનું જૂનું બિલ્ડીંગ ન્યૂ જર્સીમાં ખરીદી લીધું અને પહેલું ખાનગી મંદિર ચાલુ કર્યું. ફક્ત કમાણીના સાધન માટે જ. લોકો ગ્રોસરીની કે દૂધની દુકાન કાઢે તેમ આ લોકોએ ખાનગી મંદિર કાઢ્યું "ઓનલી ઈન અમેરિકા" − આવું ફક્ત અમેરિકામાં જ બને અને તે પણ ગુજરાતી જ કરે. અને એ લોકોએ એ મંદિર સામાજિક પ્રસંગોએ લોકોને ભાડે આપવા માંડ્યું. અને મંદિરનો બિઝનેસ ચાલુ કર્યો. આવા તો ઘણાં મંદિરો ચાલુ થયાં. આજે ન્યૂ યોર્ક ,ન્યૂ જર્સીમાં બધાં ભગવાનો અને માતાઓ વસ્યાં છે.

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

August 30th, 2014  

E mail- harnishjani5@gmail.com

4 Pleasant Drive, Yardville NJ 08620 USA

Loading

16 October 2014 admin
← ચાર ગાંધી કાવ્યો
ગંભીર અને અગંભીરની રાજરમત ! →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved