Opinion Magazine
Number of visits: 9567342
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામે પ્રવાહે તરનાર લેખક મોહમ્મદ માંકડની વિદાય 

દીપક મહેતા|Opinion - Literature|7 November 2022

વીસમી સદીના છઠ્ઠા દાયકામાં ગુજરાતી સાહિત્યમાં પ્રયોગપરાયણતા, ભાષાકર્મ, ઘટનાનું તિરોધાન, વગેરેને આગળ કરનારા આધુનિકોની બોલબાલા હતી. એમાંના ઘણા અધ્યાપકો, પંડિતો, અભ્યાસીઓ હતા. અને ‘મુખ્ય પ્રવાહ’ના હતા. ત્યારે ૧૯૫૯માં એક લેખકની પહેલી લઘુનવલ પ્રગટ થાય છે, ‘કાયર.’ રેલવે-અકસ્માતમાં પુરુષત્વ ગુમાવી બેઠેલા નાયક ગિરધરના ચિત્તની લીલાઓનું, ગુણિયલ પત્ની ચંપાના સંદર્ભમાં, વેધક નિરૂપણ અહીં થયેલું જોવા મળે છે.  

એનો લેખક ‘અભ્યાસી’ નથી, પણ અનુભવી છે. કોઈ વાદની કંઠી બાંધી નથી. ગામડું કહી શકાય તેવા પાળિયાદ જેવા ગામમાં જન્મ. ભણ્યો છે ઇન્ટર સાયન્સ સુધી. અને છતાં નરવી નજરવાળા વાચકો અને કેટલાક વિવેચકો પણ એ પહેલી નવલકથાને આવકારે છે, પોંખે પણ છે. એ લઘુનવલના લેખકનું નામ મોહમ્મદ માંકડ. ૧૯૨૮ના ફેબ્રુઆરીની ૧૩મી તારીખે જન્મ. બે દિવસ પહેલાં, પાંચમી નવેમ્બરે, ૯૪ વરસની ઉંમરે જન્નતનશીન થયા.

‘ગુરુ થા તારો તું જ’ એ કવિ અખાની શીખ પ્રમાણે બીજા કોઈને નહિ, પણ પોતાની જાતને જ અનુસર્યા. પોતાની જાતને જ વફાદાર રહ્યા. બોટાદની હાઈ સ્કૂલમાં દસેક વરસ શિક્ષકની નોકારી કર્યા પછી લેખન એ જ વ્યવસાય. ગુજરાત સરકારે ગાંધી નગરમાં ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી અને તેના પહેલા અધ્યક્ષ તરીકે મોહમ્મદભાઈની નિમણૂંક કરી ત્યારે ઘણા સાહિત્યકારોનાં ભવાં ચડેલાં: આવો, ગ્રેજ્યુએટ પણ ન થયેલો, લોકપ્રિય નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો, અખબારી કોલમો લખનાર તે વળી આવી મોટી જગ્યાએ?

પણ મોહમ્મદભાઈ પહેલા અધ્યક્ષ બન્યા તેનો એક મોટો લાભ એ થયો કે અકાદમી ને તેની પ્રવૃત્તિઓ, તેનાં પ્રકાશનો લોકાભિમુખ બની રહ્યાં. અભ્યાસીઓ, અધ્યાપકોને આવકાર, પણ આમઆદમીને, તેનાં રસ-રુચિને જાકારો નહિ. મોહમ્મદભાઈના પોતાના લેખનમાં પણ આ લોકાભિમુખતા કાયમ રહી. અને છતાં – કે એટલે જ? – ૨૦૦૭ના વરસનો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને આપવામાં આવ્યો. તેમને જ્યારે આ ચન્દ્રક મળ્યો ત્યારે આપણા સાહિત્યમાં એ ચંદ્રકની સારી એવી પ્રતિષ્ઠા હતી.

૧૯૬૫માં પ્રગટ થયેલી ‘ધુમ્મસ’ તેમની બીજી જાણીતી લઘુનવલ છે. નાયક-નાયિકાના સ્વભાવના બે વિરુદ્ધ છેડાઓને લઈને લખાયેલી આ કથા જીવનની નિરર્થકતાનાં ભિન્ન ભિન્ન સ્તરોને ઉકેલી આપીને માણસને, માનવીય સંબંધોને સમજવાની ચાવી પૂરી પાડે છે. આ ઉપરાંત ત્રણ જ પાત્રો ધરાવતી લઘુનવલ ‘અજાણ્યાં બે જણ’ ‘ગ્રહણરાત્રિ’, ‘મોરપિચ્છના રંગ’, ‘વંચિતા’, ‘રાતવાસો’, ‘ખેલ’, ‘દંતકથા’, ‘મંદારવૃક્ષ નીચે’, ‘બંધનગર’, ‘ઝંખના’, ‘અનુત્તર’, ‘અશ્વદોડ’ વગેરે તેમની લોકપ્રિય નીવડેલી, અને સાહિત્યિક સત્ત્વ ધરાવતી નવલકથાઓ છે. ‘બંધનગર’માં તેમણે ૧,૩૫૦ પાનાંના વિસ્તૃત ફલક ઉપર ગુજરાતના અટપટા રાજકારણનું વૈવિધ્યપૂર્ણ ચિત્ર આપ્યું છે.

તેમના વાર્તાસંગ્રહોમાં ‘ઝાકળનાં મોતી’, ‘મનના મરોડ’, ‘વાતવાતમાં’, ‘ના’, ‘તપ’, ‘માટીની મૂર્તિઓ’, ‘સંગાથ’, ‘ક્યારે આવશો?’ વગેરેનો સમાવેશ થાય છે. જૂના-નવા અનેક પ્રવાહોને પોતાનામાં સમાવી લેતી તેમની વાર્તાઓ વિષયનું અને નિરૂપણનું સારું એવું વૈવિધ્ય પ્રકટ કરે છે. તેમની કેટલીક વાર્તાઓના હિન્દીમાં અનુવાદ થયા છે.

‘કેલિડોસ્કોપ’, ‘સુખ એટલે’, ‘આપણે માણસો’, ‘ચાલતા રહો’, ‘આજની ક્ષણ’, ‘ઉજાસ’ વગેરે તેમના નિબંધોના સંગ્રહો છે. તેમાંના ઘણાખરા અખબારોની કોલમ માટે લખાયેલા. બાંધે ભારે કહેવું હોય તો આ નિબંધો જીવનલક્ષી છે, રીડર ફ્રેન્ડલી છે. સરળ, દૃષ્ટાંતસભર શૈલીને કારણે આ નિબંધોને બહોળો વાચકવર્ગ સાંપડ્યો છે.

વધતી જતી વય અને કેટલીક શારીરિક બીમારીને કારણે છેલ્લા કેટલાક વખતથી તેમની પાસેથી નવું લેખન ભાગ્યે જ મળ્યું છે. પણ તેમનાં કેટલાંક પુસ્તકો એક કરતાં વધુ વખત ફરી છપાયાં છે તે તેમની કલમની લોકપ્રિયતા અને લોકભોગ્યાતાને કારણે. અને છતાં વાચકને કે બીજા કોઈને રીઝવવા ખાતર મોહમ્મદભાઈએ ક્યારે ય લખ્યું નથી. પોતાના કે બીજા કોઈ મઝહબના પ્રચાર-પ્રસાર માટે કદી લખ્યું નથી. શબ્દ એ જ તેમનો સાચો મઝહબ હતો. શબ્દ એ જ તેમની સાચી ઓળખાણ. કોઈ પણ દેશનો નકશો માત્ર પર્વતોથી જ શોભી ઊઠતો નથી. નદી-સરોવર, વનરાઈ, નાની-મોટી ટેકરીઓ, વગેરે પણ તેનાં આભૂષણરૂપ હોય જ છે. મોહમ્મદભાઈની કલમ પણ ગુજરાતી સાહિત્યના નકશાનું આવું એક આભૂષણ હતી. ના, છે, અને લાંબા વખત સુધી રહેશે.

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 નવેમ્બર 2022

Loading

7 November 2022 Vipool Kalyani
← લેખક ઇલાબહેન ભટ્ટ : એક અંજલિ 
એની ફ્રેંક : યાતનાનાં ૭૫ વર્ષ →

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved