Opinion Magazine
Number of visits: 9451122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 October 2022

મારી સ્ત્રીને પરણ્યો તે પછી, ‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ તેવું અનેક વખત પૂછતો રહેતો હતો એટલે તેને તો એ પ્રશ્ન કોઠે પડી ગયેલો ને તેણે એમ મન વાળી લીધેલું કે જેને આ એક જ સવાલ આવડે છે તેનું ભેજું પણ ખાસ કૈં ચાલતું નહીં હોય. એ તો ત્યારે મારું ચાલતું ન હતું, નહિતર એની કૌમાર્ય અવસ્થામાં પણ એને ત્યાં જઈને પૂછી આવ્યો હોત, ફ્લેશબેકમાં, ‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ પણ, એ કામ મારા ભાવિ સસરાએ કર્યું જ હશે એમ માનીને મેં ફ્લેશબેકમાં જવાનું માંડી વાળેલું. જો કે, હું પરણી ચૂક્યો છું, છતાં મારા પિતાજી આ સવાલ પૂછવાનું ભાગ્યે જ ચૂકે છે ને તેમના પિતાજી પણ તેઓ હતા ત્યાં સુધી એ પ્રશ્ન પૂછવાની એક પણ તક પિતાજીના લાભાર્થે જતી કરી શક્યા ન હતા. આ એવો પ્રશ્ન છે જે શિક્ષક તેનાં વિદ્યાર્થીને, પરીક્ષા ન હોય તો પણ, વખતોવખત પૂછતો રહે છે. આપણે ભણી પરવારીએ ને નોકરીએ લાગીએ ત્યારે આપણો બોસ અખરોટ ફોડતો હોય તેમ આપણું જ ભેજું ખાતાં જઈને આપણને પૂછતો હોય છે, ‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ ને આપણે છતે ભેજે, ભેજા વગરના જ હોઈએ તેમ બબૂચકની જેમ જોઈ રહીએ છીએ.

જ્યાં સુધી લગ્ન નથી થતાં ત્યાં સુધી આ પ્રશ્ન બીજા આપણને પૂછતાં હોય છે, પણ જેવાં લગ્ન થાય છે કે પતિને, આ પ્રશ્ન, પત્નીને પૂછવાનો અબાધિત અધિકાર કાયમી ધોરણે મળી જતો હોય છે. એ પછી સંતાનો પણ એ પ્રશ્ન સાંભળવા જ જલદી જલદી મોટાં થઈ જતાં હોય છે. એમણે ય પરણીને કોઈને ‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ એવું પૂછવું હોય ને !

‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ આ પ્રશ્નનો સમાનાર્થી પ્રશ્ન દુનિયાની તમામ ભાષાઓ, બોલીઓ, લોકબોલીઓમાં મળી રહે એવો ભય છે. મને એવું છે કે આ પ્રશ્ન ગુજરાતીમાં જ વધારે પ્રસ્તુત છે, પણ પૃથ્વી પર જન્મેલી આખી માનવ જાત કદી મગજ વગર જન્મી નથી. માણસ જન્મ્યો ત્યારથી તે મગજ અથવા તમે જેને ભેજું કહો છો તે ધરાવે છે, ભલે પછી તે કોઈ પણ ભાષા કે બોલી બોલતો હોય, તે ભેજું ધરાવે છે એમ માનવામાં મને નથી લાગતું કે કોઈને કૈં મુશ્કેલી હોય. વારુ, જ્યારથી માણસ અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી તેને ભેજું મળેલું છે, એ જુદી વાત છે કે એનો વપરાશ મોડો શરૂ થયો હોય ને એવું તો આજે ય ક્યાં નથી થતું? ભેજું વાપરવાનું પણ હોય છે એવું તમે યાદ ન અપાવો ત્યાં સુધી સામેવાળો ભેજું વાપરવા બહુ ઉત્સુક હોતો નથી. એને એવું હશે કે ભેજું એ ઇન્વેસ્ટમેન્ટ છે, સારો ભાવ ઉપજે ત્યારે કાઢી નાખવાનું. જો કે, ભેજાને લગતો આ પ્રશ્ન પરાપૂર્વથી પુછાતો આવતો હોય તો નવાઈ નહીં? બહુ દૂર ના જઈએ તો પણ નજીકના ભૂતકાળમાં પણ આ પ્રશ્ન પુછાતો રહ્યો હોવાનું હું માનું છું. તે એટલે માનું છું કે મને ભેજું છે. કોઈ ન માને તો પણ હું એટલે માનું છું, કારણ, આ વાત હું કરી રહ્યો છું ને તમે સાંભળી રહ્યાં છો એટલે તમારા ભેજા વિષે પણ હું કોઈ અવઢવમાં નથી. જે નથી સાંભળતા એમને વિષે મને એટલે શંકા છે, કારણ તેઓ સાંભળી રહ્યા નથી. એટલે એમને કાનનો પ્રશ્ન છે એવું નથી, ધ્યાનનો છે.

તમે નહીં માનો, પણ હું એક સનાતન પ્રશ્ન ચર્ચી રહ્યો છું.

‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ આ પ્રશ્ન મારા બાપે મને ને તેના બાપે તેને ન પૂછ્યો હોય એવું બન્યું નથી. આ પૃથ્વી પરના પહેલા બાપે તેના પુત્રને કે પુત્રીને આ પ્રશ્ન પૂછેલો ને તે પછી તે દરેક યુગમાં ને દરેક પેઢીમાં પુછાતો રહ્યો છે ને જ્યાં સુધી મનુષ્ય અવતરતો રહેશે, પુછાતો રહેવાનો છે. શબ્દો આમ તેમ થશે, પણ ‘ભાવ’ આમ તેમ નહીં થાય તેની ગળા સુધીની ખાતરી છે. કહેવાનું એ છે કે જગતના પહેલા પિતાને ભેજું હતું, પણ તેને શંકા હતી કે તેનાં સંતાનને કદાચ ભેજું નથી. સંતાન પણ કંતાન જેવું જ હોય તો તેને પણ હોય તો ય કેટલુંક ભેજું હોય? ઓછું હોય, તો પણ હોય તો ખરું જ. જો કે, આ પ્રશ્નમાં ભેજું હોય એ વિષે પૂછનારને શંકા નથી. તે એટલું તો સ્વીકારે જ છે કે ભેજું તો છે જ, પણ તેનાં ચાલવા વિષે તેને શંકા છે. આ શંકા હજારો વર્ષ જૂની છે. આમાં પણ પૂછનારને પોતાનાં ભજા વિષે કે તેનાં ચાલવા વિષે કોઈ શંકા નથી. તેને શંકા જેને પૂછે છે તેનાં ભેજા વિષે જ છે. એ પણ છે કે આ પ્રશ્ન કોઈ જાતિ કે કોમને જ ટાર્ગેટ કરે છે એવું નથી. તે બધી જાતિ કે કોમમાં પુછાય છે. એટલે આ પ્રશ્નથી કોઈ મુક્ત નથી. દાદા, દાદીને – દાદા તેના પુત્ર કે પુત્રીને – પિતા તેનાં પુત્ર કે  પુત્રીને – માતા – તેની માસીને કે તેનાં પુત્રને પૂછતી આવી છે. ટૂંકમાં, જેમ મોજાં ફ્રી સાઈઝના આવે તેમ આ પ્રશ્ન પણ ફ્રી સાઇઝનો છે ને તે કોઈનાં પણ ભેજામાં ફિટ થઈ જાય તેમ છે, ભલે પછી કોઈ તેને ભેજાગેપ માનતું હોય તો તે તેનો પ્રશ્ન છે.

આ પ્રશ્ન વૈશ્વિક અને સાર્વત્રિક છે. દરેક સમયમાં દરેક મોટી વ્યક્તિએ દરેક નાની વ્યક્તિને દબડાવવા ‘તારું ભેજું ચાલે’છ કે નહીં?’ એવું ક્યારેકને ક્યારેક તો પૂછ્યું જ હોય છે. આવું પૂછનારનું ભેજું સવાલ પૂછવા જેટલું તો ચાલે જ છે ને એનો જવાબ માન જાળવવા કોઈ ચૂપ રહીને ન આપતું હોય તો તેનું ભેજું નથી જ ચાલતું એવું માની લેવામાં આવે છે. આ પ્રશ્નની વિશેષતા એ છે કે જેમાં ભેજાનો સૌથી વધુ ઉપયોગ થતો હોય ત્યાં પણ, તે સરકારી, અર્ધ સરકારી કે અ-સરકારી ઓફિસોમાં પુછાતો હોય છે. પટાવાળાને ક્લાર્ક, ક્લાર્કને  તેનો ઓફિસર, ઓફિસરને તેનો મેનેજરને ને એમ મેનેજિંગ ડિરેક્ટર સુધીના તમામ તેની હાથ નીચેના સૌને સારી કે નઠારી ભાષામાં એમ પૂછતાં હોય છે, ‘ભેજું ચાલે’છ કે નહીં?’ અહીં એ મૂંઝવણ તમને થશે કે મેનેજિંગ ડિરેક્ટરને કોણ પૂછતું હશે, ‘ભેજું ચાલે’છ કે નઈં?’ તો એનો એક જ સનાતન જવાબ છે, ‘પત્ની.’ પત્નીની ઉપરવટ તો ભગવાન પણ જઈ શકતાં નથી, જ્યારે આ તો સિમ્પલી મેનેજિંગ ડિરેક્ટર છે. એને તો પત્ની જ પહોંચે.

એવું નથી કે ભેજું હોતું જ નથી. ભેજું તો હોય જ છે, પણ આશ્ચર્ય એ વાતે થાય છે કે એક જ ભેજું, એકમાં ચાલે છે ને એકમાં નથી જ ચાલતું. જેમ કે કોઈનું ભેજું, ભાષામાં ચાલે છે તો કોઈનું ગણિતમાં નથી જ ચાલતું. કોઈનું ઓછું ચાલે, તો કોઈનું વધારે. કોઈનું જેમાં ચાલે તેમાં બીજાનું ન જ ચાલે. જેમ કે ન્યૂટને ઝાડ પરથી સફરજન પડતું જોયું તો એને ગુરુત્વાકર્ષણનો નિયમ જડ્યો, એવાં કૈં સફરજન એની અગાઉ ને પછી પણ પડ્યાં, ક્યાંક તો ઝાડનાં ઝાડ પડ્યાં, પણ નિયમ કોઈને ન સૂઝ્યો. તેને તો જીરૂમીઠું નાખીને સફરજન ખાવાનું જ યાદ આવ્યું. એ પણ જવા દો, ‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ જેવું પતિ વારંવાર પૂછતો રહ્યો હોય ને પત્ની પણ અનેક વાર ભેજું પુરવાર કરી ચૂકી હોય તો પણ, બંને એ તીવ્ર અથડામણો વહોરી હોવા છતાં, આઘાત ને પ્રત્યાઘાત સરખા ને સામસામે હોય છે એ નિયમ કોઈ પતિ-પત્નીએ ન શોધ્યો, પણ અપરિણીત ન્યૂટને જ શોધ્યો. અથડાય પરિણીતો ને નિયમ અપરિણીત શોધે એ પણ કમાલ જ છે ને ! એટલે ભેજું બધાંમાં હોવા છતાં તે બધાંમાં બધી જ દિશાએ એક સરખું સક્રિય હોતું નથી, તો સવાલ એ થાય કે ભેજું બધાંમાં હોવા છતાં તે કયાં, કેટલું એક્ટિવ રહેશે એ જેમાં ભેજું છે તે વ્યક્તિ પોતે પણ નક્કી કરી શકતી નથી અને બહારની વ્યક્તિ એનું સંચાલન કરતી નથી, તો એ તો ક્યાંથી કરે? ભેજાની આ સક્રિયતા કોને આભારી છે તેની ગુજરી જવા પહેલાં કે પછી પણ ખબર પડતી નથી.

એવું નથી કે ભેજું હોદ્દા કે શિક્ષણનું મહોતાજ છે. નબળાં ભેજાંવાળા અને પ્રચંડ સંપત્તિવાળા વિદ્યાર્થીઓ એટલું જાણે છે કે કોને પટાવવાથી ને ખટાવવાથી સાહેબ પીએચ.ડી.નો થીસિસ લખીને સર્ટિફિકેટ ઘરે આપવા આવી શકે એમ છે. એટલે નબળું ભેજું પણ એટલું તો ચાલે જ છે કે સબળું ભેજું પગ પકડીને કામ કરી આપે. એવું નથી કે ઉચ્ચ હોદ્દે બેસનારનું ભેજું ઉચ્ચ જ હોય. કેટલાક રાજાઓ ખરેખર વિલક્ષણ હતા, તો કેટલાકના મંત્રીઓ વધારે વિચક્ષણ હતા ને મોટે ભાગે કારભાર તો તેઓ જ કરતા. મંત્રીઓ ત્યારે રાજા પછીનું મહત્ત્વ ધરાવતા. હવે રાજાઓ તો રહ્યા નહીં, એટલે મંત્રીઓ બધા અપગ્રેડ થઈ ગયા છે. એમાં જરૂરી નથી કે અપગ્રેડ થયેલા કે ડિગ્રેડ થયેલા મંત્રીનાં ભેજાં ચાલે જ. હવે જ્યાં ભેજાં નથી ચાલતા ત્યાં પૈસા ચાલે છે ને જ્યાં પૈસા દેખાય છે ત્યાં ભેજાં આપોઆપ ચાલવા લાગે છે. હવે મંત્રીઓનું ભેજું કોઈ ચકાસતું નથી, પણ તેની હાથ નીચેના અધિકારીઓનું ભેજું યુ.પી.એસ.સી. કે જી.પી.એસ.સી. ચકાસે છે. એમાં જેમનાં ભેજાં ચાલે છે એ મંત્રીના હાથ નીચે ફરજ બજાવે છે ને મંત્રીઓ આખો દેશ બજાવે કે ગજાવે તો પણ ભેજાં ન ચાલે એમ બને. ઘણી વાર તો ઘણાને એવી શંકા થાય છે કે ભેજું ન ચાલે તો સારું, કારણ હોય તો પણ તે કામ લાગતું નથી. ઉત્તમ ભેજું હોય ને તેની પાસે કામ જ ન હોય તો એ ભેજાનો કોઈ મતલબ છે? કારણ ભેજાંવાળા, સાહેબોની ગુલામી કરે છે ને દેશ તો ભેજું નથી ચાલતું એવા નમૂનાઓ જ ચલાવે છે, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “કુમાર”, ઑક્ટોબર 2022

Loading

29 October 2022 Vipool Kalyani
← હાદઝા
ચલ મન મુંબઈ નગરી—168 →

Search by

Opinion

  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved