એક સવાલ કાયમ રહ્યો છે કે ભારત પર વિદેશી પ્રજાઓ વેપારને નામે સતત કબજો કરતી જ કેમ આવી? પોર્ચુગીસ, ડચ, અંગ્રેજ, ફ્રેંચ જેવી પ્રજાઓ પહેલાં, મોગલો આવ્યા. આ બધાએ હજારેક વર્ષ દેશ પર રાજ કર્યું. આ પ્રજાઓ ભારતમાં પ્રવેશી ત્યારે તે કૈં લાખોની સંખ્યામાં આવી ન હતી. તે વખતે પણ ભારતમાં એટલા રાજાઓ તો હતા જ કે વિદેશી આક્રમણ ખાળી શકાય, પણ એમ ન થયું. મુશ્કેલી એ હતી કે રાજાઓ વચ્ચે સંપ ન હતો. તેઓ અંદરોઅંદર લડવામાંથી જ ઊંચા ન આવ્યા ને એનો લાભ વિદેશી પ્રજાઓએ લીધો. સામેવાળા રાજાને પરાસ્ત કરવા ઘણીવાર વિદેશી પ્રજાની મદદ લેવાઈ. અંગ્રેજી સલ્તનતનો પાયો એ રીતે નંખાયો. અંગ્રેજોએ જોયું કે રાજાઓ વચ્ચે સંપ નથી. એનો લાભ રોબર્ટ કલાઈવે લીધો ને 1757માં પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ પૂરો પગદંડો જમાવ્યો. અંગ્રેજી સૂબાઓએ ભારતના જ લોકોનું સૈન્ય ઊભું કરીને ભારતીય પ્રજા પર છોડી મૂક્યું ને એમ આખા દેશને એડી નીચે કચડવાનું ચાલ્યું. એવું ન હતું કે બધા જ નિર્માલ્ય હતા. પૃથ્વીરાજ ચૌહાણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ ને એવા ઘણાં રાજવીઓ વિદેશી સત્તા સામે ઝઝૂમ્યાં, 1857નો બળવો પણ થયો, પણ તે નિષ્ફળ ગયો, એ સાથે જ હિન્દુસ્તાનને કપાળે ગુલામી દૃઢપણે લખાઈ. એ દરમિયાન પણ ભગતસિંહ, ખુદીરામ બોઝ જેવા ઘણા યુવાનોએ અંગ્રેજો સામે બાથ ભીડી, પણ નસીબે ગાળિયો જ આવ્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજારામ મોહનરાય, તિલક, ગોખલે જેવાઓએ વૈચારિક પરિવર્તનનું હવામાન ઊભું કર્યું ને સ્વરાજની ઝંખના તીવ્ર થઈ. 1915માં ગાંધીજી ભારત આવ્યા. એ દક્ષિણ આફ્રિકામાં અપમાનનો સ્વાદ ચાખી ચૂક્યા હતા એટલે એમને રાજકીય પરિસ્થિતિ સમજવાનું સરળ થઈ પડ્યું. ભારત ભ્રમણ દ્વારા એમણે પ્રજાની સ્થિતિ પણ પ્રમાણી. નહેરુ, સરદાર પણ એમની ચળવળમાં સાથે થયા. સુભાષચંદ્ર બોઝને ગાંધીજીનો અહિંસાનો માર્ગ અનુકૂળ ન આવ્યો. એમણે ‘આઝાદ હિન્દ ફોજ’ની રચના કરી ને પોતાની કેડી કંડારી. આ બધાનું પરિણામ એ આવ્યું કે આખો દેશ ગુલામી વિખેરવા તત્પર થઈ ઊઠયો અને 15મી ઓગસ્ટ, 1947ને રોજ ભારતને આઝાદી મળી.
14મી ઓગસ્ટે પાકિસ્તાન આઝાદ થયું ને 15મી ઓગસ્ટની પહેલી મિનિટે ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આઝાદ ભારતના પ્રથમ વક્તવ્યમાં કહ્યું કે મધરાતે વિશ્વ ઊંઘતું હશે ત્યારે ભારત જીવન સ્વાતંત્ર્ય તરફ જાગતું થશે. પણ, આ જાગવું બહુ મોંઘું પડ્યું. દેશ સ્વતંત્ર તો થયો, પણ અખંડ ન રહ્યો. ભારતના ભાગલા થયા ને તે લોહિયાળ પુરવાર થયા. જે નરસંહાર થયો તેમાં 10થી 15લાખ લોકોનો રાક્ષસી રીતે ભોગ લેવાયો ને એકાદ કરોડ લોકો બેઘર થયા. ભાગલાને કારણે થયેલો આટલો સંહાર અભૂતપૂર્વ છે. કોઈ રોગચાળામાં ન મરે એટલા લોકો એકબીજા વડે કપાયાં. આ સંહાર ન રોકી શકાયો એ ભારતીય ઇતિહાસની સૌથી કમનસીબ ઘટના છે. જે ગાંધીજીએ સ્વતંત્રતા ચળવળની આગેવાની લીધી હતી તે આ લોહિયાળ સ્વાતંત્ર્યના પક્ષમાં ન હતા. ઘણું બધું અહિંસક રહેલું સ્વતંત્રતાનું આંદોલન ઓગસ્ટની શરૂઆતમાં જ હિંસક થઈ ચૂક્યું હતું ને તેને માટે અંગ્રેજોની ભાગલા પાડીને રાજ કરવાની નીતિ અને કાઁગ્રેસની ઝૂકીને ભાગલા સ્વીકારી લેવાની ઉતાવળ જવાબદાર હતી. એ વખતે જે લોહી રેડાયું એ બીજી કોઈ પણ હિંસા કરતાં વધારે હોય તો નવાઈ નહીં. એમાં હિન્દુઓ મર્યાં ને મુસલમાનો ય મર્યાં. માણસાઈ હોત તો એ બચી ગયા હોત. એ માણસો એવાં મુક્ત થયાં કે મૃત્યુ પણ એમને રોકી ના શક્યું. એ વખતે જે નફરત જન્મી તે 75 વર્ષ પૂરાં થવા આવ્યાં છતાં ક્યાંક ફણગાયા કરે છે.
એ પછી કાઁગ્રેસે ઘણાં વર્ષ સત્તા ભોગવી. વચ્ચે બીજી સરકારો પણ આવી, પણ કાઁગ્રેસનું વર્ચસ્વ ઘણા દાયકાઓ સુધી રહ્યું. નહેરુની ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ની ભાવના છેતરામણી પુરવાર થઈ ને 1962માં ચીને ભારતને યુદ્ધમાં સંડોવ્યું. પાકિસ્તાન સાથે 1965, 1971માં યુદ્ધ થયું ને એ પછી તો કારગિલ વિજય પણ અનેક શહીદીઓ સાથે ભારતે જોવાનો આવ્યો. એમાં વામન – વિરાટ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને ગુમાવવાનું ય આવ્યું. એમનું મૃત્યુ ‘તાશ્કંદ’ રહસ્ય બનીને જ રહી ગયું. 1975માં આ દેશે કટોકટીનો સામનો કર્યો ને એ ઘટનાએ ઘણા આપખુદી અનુભવો દેશને કરાવ્યા. કાઁગ્રેસના ભાગલા થયા ને બીજા બે વડા પ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાઓ પણ આ દેશે જોવાની આવી. મોરારજી દેસાઇ, અટલબિહારી બાજપાઈ જેવા વડા પ્રધાનોએ પણ જુદો ચીલો ચાતરવા જેવું કર્યું, પણ એમાં ય પ્રાપ્તિ ઓછી જ હતી. મનમોહનસિંહ વડા પ્રધાન થયા ત્યારે લાગ્યું કે દેશને વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી વડા પ્રધાન તરીકે મળ્યા છે, તો દેશનું દળદર ફીટશે, પણ બધી શક્તિઓ છતાં તેમને આગવી રીતે કામ કરવાની તકો જ ઓછી રહી. કાઁગ્રેસની છાયામાં મનમોહનસિંહ ઢંકાઈને જ રહી ગયા. 1992માં બાબરી ધ્વંસની ઘટનાએ ઘણાં કોમી રમખાણોને ને લોહિયાળ હિંસાને જન્મ આપ્યો, પણ એ ઘટનાએ ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય નકશા પર રમતી કરી.
કાઁગ્રેસી શાસનમાં એટલું થયું કે હિન્દુઓની આ દેશમાં બહુમતી છતાં, લઘુમતીની આળપંપાળ વધુ થઈ. ગુજરાતમાં ગોધરાકાંડ થયો ને તેમાં કારસેવકોનો ડબ્બો સળગાવી દેવાયો એ પછી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીની એવી રાષ્ટ્રીય અસર ઊભી થઈ કે 2014માં કાઁગ્રેસી શાસનના વળતાં પાણી થયાં. નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા તે સાથે આખા દેશમાં ભા.જ.પ.નું કમળ લહેરાતું થયું. આજે પણ કેન્દ્રમાં બીજી ટર્મ સાથે ભા.જ.પ.નું શાસન અમલમાં છે. મોદી વડા પ્રધાન થયા તે પછી નોટબંધી, 370મી કલમની નાબૂદી, સર્જિકલ સ્ટ્રાઈક જેવાં પગલાં લેવાયાં. હિન્દુત્વનો મહિમા થવા લાગ્યો અને વૈશ્વિક સ્તરે આત્મનિર્ભર ભારતનો અને ભારતમાં વિદેશી રોકાણનો મહિમા વધ્યો. વિદેશી પ્રવાસો દ્વારા વડા પ્રધાને ભારતની એવી છબિ વિકસાવી કે રશિયા અને અમેરિકામાંથી કોઈ ભારતને અવગણી શકે નહીં. એ સાથે જ ચીન, પાકિસ્તાનની કનડગત તો ચાલ્યા જ કરે છે. બાકી હતું તે શ્રીલંકા પણ ભારતનું ખાઈને ભારતનું ખોદી રહ્યું છે. ભારતે શ્રીલંકાને મદદ જ કરી છે, પણ તેને શરમ નડતી નથી. ચીનનું જાસૂસી જહાજ શ્રીલંકા પર લાંગરે નહીં એવી ભારતની ઈચ્છાને અવગણીને શ્રીલંકાએ ધરાર ચીની જહાજને મંજૂરી આપી દીધી છે. ચીન-પાકનાં છમકલાં થતાં રહે છે, પણ કોઈની સીધું યુદ્ધ ખેલવાની હિંમત ન થાય એટલું વર્ચસ્વ તો ભારતે જમાવ્યું જ છે.
એમ ન કહેવાય કે ભા.જ.પ.ના શાસનમાં કૈં થયું નથી, આજે વડા પ્રધાન વિશ્વની સૌથી લોકપ્રિય વ્યક્તિનું માન ખાટી ચૂક્યા છે તે એમને એમ નથી થયું. આઝાદીના 75 વર્ષ દરમિયાન કોઈ નેતા દેશમાં અને વિશ્વમાં આટલી પ્રસિદ્ધિ પામ્યો નથી. મોદીનો પડ્યો બોલ આ પ્રજા ઝીલે છે. મોદી કહે કે થાળી વગાડો, તો દેશ થાળી વગાડે છે. એઓ કહે કે દીવા પ્રગટાવો તો દેશ વગર દિવાળીએ ઝગમગવા લાગે છે. કોરોના કાળમાં આ દેશે ઘણું વેઠ્યું છે, પણ અન્ય દેશોની તુલનાએ મૃત્યુ દર ઓછો રહ્યો છે તે સિદ્ધિને કોઈ નકારી શકે નહીં. દેશમાં 200 કરોડ વેક્સિન તૈયાર થાય ને તેનો પ્રજાને લાભ મળે, એટલું જ નહીં, અન્ય દેશોને પણ એ મોકલાય એ નાની વાત નથી. અન્નક્ષેત્રે ભારત અન્ય દેશોને મદદ કરી શકે એ સ્થિતિમાં આવ્યું છે. આ બધી વાતે ભારત ગૌરવ લેવાની સ્થિતિમાં છે, પણ કેટલીક બાબતે પ્રજા સમક્ષ સાચું ચિત્ર નથી પણ ઉપસતું તે પણ નોંધવું ઘટે.
વડા પ્રધાન ઘણી બાબતે ભારતનું ગુલાબી ચિત્ર ઊભું કરે છે, પણ જે ચિત્ર ભારતનું વિશ્વમાં ઉપસે છે તે જુદી જ છાપ ઉપસાવે છે. વડા પ્રધાને વખતોવખત કહ્યું છે કે વિશ્વ ભારતની ભૂરી ભૂરી પ્રશંસા કરી રહ્યું છે, પણ આર્થિક, રાજકીય, સામાજિક ક્ષેત્રે જે વાસ્તવિક પરિસ્થિતિ છે તે ઘણી નિરાશા જન્માવનારી છે. દાખલા તરીકે ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના આંકમાં ભારતનો ક્રમ 94મો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના માનવ વિકાસ આંકમાં ભારતનો નંબર 131 છે. જાતીય ભેદને મામલે વિશ્વમાં ભારતનો ક્રમ 146માંથી 135મો છે. આમ ઘણા બધા ક્ષેત્રમાં 2014 પછી ભારતનો ક્રમ નીચે ગયો છે. જો ભારત પર વિશ્વની નજર છે એમ વડા પ્રધાન કહેતા હોય તો તે કેવીક નજર હોઈ શકે તે સમજવાનું બહુ અઘરું નથી. ભારત લોકશાહી દેશ છે તે માત્ર ચૂંટણીઓ થતી રહે છે એટલા પરથી કહેવાનું હોય તો કહી શકાય તેમ છે, બાકી ઘણાં કામો કરવાનાં રહે જ છે તે દેશની અંદર પ્રમાણિક નજર દોડાવીએ તો સમજી શકાય એમ છે. ભ્રષ્ટાચારનો મુદ્દો સીધો સરકાર સાથે જોડાયેલો છે. ચૂંટાયેલી સરકારો પાડવાનું જે રીતે ચાલે છે ને પક્ષાંતર માટે જે નાણાં ખર્ચાય છે તે કોઇથી અજાણ્યું નથી. મોંઘવારીની વાસ્તવિક પરિસ્થિતિએ ઘણાં બજેટો ખોરવ્યાં છે. સરકારનો વિરોધ દેશદ્રોહમાં ખપે કે ન્યાયતંત્રોની વિશ્વસનીયતા દાવ પર લાગે તો એ લોકશાહીની સૂચક કેટલી રહે તે પ્રશ્ન જ છે. લોકશાહીમાં જ્ઞાતિ-જાતિનાં સમીકરણો સક્રિય ન હોય, પણ તે વધુ તીવ્રતાથી સપાટી પર આવ્યાં હોય એવું નથી લાગતું? વૈશ્વિક અસમાનતાનો રિપોર્ટ કહે છે કે સૌથી અમીર 1 ટકા લોકો રાષ્ટ્રની 22 ટકા સંપત્તિ ધરાવે છે ને આપણે, ભારતના ઉદ્યોગપતિઓ પહેલે કે બીજે નંબરે આવે છે તો એને અહોભાવથી જોઈ રહીએ છીએ. એ સંદર્ભે પ્રજા પણ ઓછી જવાબદાર નથી. આ સ્થિતિમાં ‘ઘર ઘર તિરંગા’ અભિયાનમાં દેખાડો ન હોય એવું ઓછું જ બનવાનું. આખા દેશમાં તિરંગાનો જે વાવર ફાટ્યો છે એમાં દેશભક્તિ નહીં જ હોય એમ માનવાને કારણ નથી, પણ પ્રજા જે ભક્તિ પ્રગટ કરી રહી છે એમાં 75 વર્ષની અમૃતમયતા ઓછી જ છે. ભક્તિમાંથી ગુલામીની ગંધ ન આવે એવું ક્યાં ય લખેલું નથી, છતાં નક્કર વાસ્તવિકતા એ છે કે ભારત આજે સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં કરે છે અને ભારતના રૈખિક સમયમાં આ અવસર આવ્યો છે એની ના તો કેમ પડાય? તો, એ અવસરે સૌને આઝાદીના અમૃત મહોત્સવનાં હૃદયપૂર્વકનાં અભિનંદનો …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઑગસ્ટ 2022