Opinion Magazine
Number of visits: 9448941
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરાંભીનાં સ્મરણો (૬) ગણિત

સુમન શાહ|Opinion - Opinion|6 August 2022

અમે વાણિયા, નાણાંનું અને નાણાના હિસાબકિતાબનું મૂલ્ય બહુ સમજીએ. પિતાજી નાનપણથી જ ઘડિયા ગોખાવે. મને એકડે એકથી સો, પછી એકા અગિયારા એકવીસા અને થોડાક એકત્રીસા પણ આવડતા’તા; પા અડધા પૉણા ને થોડાક ઊઠા પણ આવડતા’તા. ઘડિયા જ્યાંથી બાકી હોય ત્યાંથી રોજ રાત્રે સૂતાં પહેલાં ગગડાવી જવાની ટેવ પાડવામાં આવેલી, તેનું પરિણામ.

દાદાએ પિતાજીને અને પિતાજીએ મને રોજે રોજનો ઘરખર્ચ લખવાનું આગ્રહથી કહેલું – રોજમેળ. ડાબી બાજુએ જમા અને જમણી બાજુએ ઉધારના આંકડાનો સરવાળો કરવાનો. ‘શ્રીપુરાન્ત’ દર્શાવવાની અને ‘સિલક’ કાઢવાની. વગેરે સાદું નામું હતું.

મને બરાબર યાદ છે, એક વાર મેં પિતાજીને કહેલું, ઉધારમાં આંકડા ઉમેરાતા જાય છે પણ જમા બાજુના આંકડામાં કશો ઉમેરો નથી થતો, સિલક પણ ઘટતી રહે છે, રોજમેળ લખીને કાઢવું છે શું? ખરચો જોઈને દુ:ખ થાય છે. એ કશું બોલેલા નહીં. એ પછી મેં એમના માટે રોજમેળ કદી લખ્યો જ નહીં, અમારા માટે તો શરૂ જ ન કર્યો.

એક વાર એક સાહિત્યકાર મિત્ર ઘરે મહેમાન હતો. જમીપરવારીને સૂવાનો સમય થયેલો. એની બેડમાં બેસી નાનકડી ડાયરીમાં એ કશું લખતો’તો. મેં પૂછ્યું તો ક્હૅ, પ્રવાસખર્ચ લખું છું. હું બોલ્યો નહીં પણ મારે એને કહેવું’તું કે ભલા આદમી, ટ્રેનના કોઇ સહપ્રવાસીનું નાનું શબ્દચિત્ર કર કે તને આવેલો કો’ક સુવિચાર લખ. પણ એ બિરાદર ભરુચ સ્ટેશને આરોગેલાં વડાપાઉં કેટલાંનાં હતાં, તેની યાદમાં ગૂંચવાયેલો હતો. મેં એને એમ જ રહેવા દીધેલો.

પ્રાથમિકમાં મને સરવાળા-બાદબાકી ને ગુણાકાર-ભાગાકાર સારા આવડતા’તા. હવે તો, બે આંકડાનો ગુણાકાર પણ કૅલ્ક્યુલેટર પાસે કરાવું છું.

આ ‘કૅલ્ક્યુલેટર’ લખ્યું એટલે મને મારું એક નિકટવર્તી જન યાદ આવી ગયું. મારા આઈ-ફોન નિમિત્તે એ મારી મશ્કરીઓ બહુ કરે છે. મને ડર છે કે પૂછશે : આટલો ઍડવાન્સ ને કીમતી ફોન લઈને ફરો છો, તો બોલો, એમાં કૅલ્ક્યુલેટર છે એની તમને ખબર છે ખરી? : તરત નહીં કહું, જરા વાર લગાડીશ. પછી કહીશ કે ‘યુટિલિટીઝ’-માં હોય છે, કેમ કે મને એટલી ખબર તો છે જ. હજી એ ઘટના ઘટી નથી એટલું સારું છે, વળી, નવો પ્રશ્ન પણ થવાનો છે – ‘યુટિલિટીઝ’ ખોલી બતાવો ને કહો કે કૅલ્ક્યુલેટર જોડે બીજી કઈ કઈ યુટિલિટીઝ છે …

ફોન જેવાં યાન્ત્રિક સાધનો અંગે મને હેતુવાદી રહેવું વધારે ગમે છે. આમે ય મારા જેવાને ધ્યાનમાં રાખીને એ લોકો ગજેટ્સ યુઝર ફ્રૅન્ડલિ બનાવતા હોય છે.

હું એમ કહેવા જતો’તો કે પ્રાથમિક પછી માધ્યમિકમાં ઍલ્જિબ્રા આવ્યું ને હું મૂંઝાવા માંડ્યો. મને પ્રશ્ન થાય, AB પર અંક 2 કે 3 ચડ્યો હોય છે તે શા સારું. કૅમેસ્ટ્રીમાં એ મૂંઝવણ વધી ગઈ કેમ કે અંક નીચે ઊભેલા દેખાતા’તા. એ H2Oને, એ NO2ને, એ HNO3ને, એ C8H8NO2ને હું તાક્યા જ કરતો, માથું ભમી જતું.

સૌ જાણે છે કે ગણિતનો પ્રારમ્ભ ૦-થી, શૂન્યથી, ઝીરોથી, થયો છે. શૂન્ય કલ્પના લાગે, વિભાવના લાગે, પણ મારું મન્તવ્ય છે કે એ એક ગૃહીત છે – ઍક્સિઓમ. કોઇપણ ગૃહીત સ્વત:સિદ્ધ હોય છે. ડહાપણ એમાં છે કે એને પ્રમાણિત અને શ્રદ્ધેય ગણીને ચાલવું. ઈશ્વર એવું જ એક ગૃહીત છે. એમ ગણીને ચાલવું તર્કહીન લાગે. એમ સ્વીકારી લેવું લાગે કે બરાબર નથી. પણ માનવું કે તર્કનો ય પ્રારમ્ભ એ પ્રકારે જ થયો હશે. ઈશ્વર એક હતો અને એણે કહ્યું કે – એકોહમ્ બહુસ્યામ્ … એ જ રીતે ૦-માં ૧ ઉમેરાયો અને પછી, ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ … ઉમેરાતા ચાલ્યા.

માણસ પાસે અંક છે તેમ શબ્દો પણ છે – લાખ – કરોડ – અબજ – નિખર્વ – પરાર્ધ … હમણાં એક વ્યાખ્યાનમાં મારે એમ કહેવાનો પ્રસંગ આવેલો કે દુનિયામાં સૌથી વધુ વીજ-ઉર્જા, ઇલેક્ટ્રિસિટી, વાપરે છે ચિન; દર કલાકે 6.3 ટ્રિલિયન કિલોવૉટ્સ ! મેં કહેલું કે એક ટ્રિલિયન એટલે ૧-પછી ૧૭ મીડાં, ૧ પરાર્ધ. શ્રોતાઓને પરાર્ધનું જ્ઞાન ન્હૉતું તે મને જોઈ રહેલા.

ફળિયાના ઓચ્છવકાકાકની નિમુને ગણિત સરસ આવડે, મારાથી બે વર્ષ આગળ, ઉમ્મરમાં પણ મોટી. સવિતાકાકી કહે, તને જે દાખલા ન આવડે એ નિમુ શીખવશે. મને ઍલ્જિબ્રા શીખવવા નિમુએ નિષ્ફળ પ્રયાસ ઘણા કરેલા. એ યાદથી દુ:ખ જ થાય છે. પણ ગણિતની વાતમાં એણે મને સરસ સમજાવેલું કે ૧-પછી કેટલાં મીડાં મુકાય તો અબજ થાય, નિખર્વ થાય. એણે જ કહેલું કે ૧-પછી ૧૭ મીડાં મુકાય તો પરાર્ધ થાય.

પણ મારે જાણવું હતું કે પરાર્ધથી આગળ કેમનું થાય અને એને શું કહેવાય. મેં પૂછેલું, નિમુ, પરાર્ધ પછી? તો કહે, નથી ખબર. પણ, એણે ઉમેરેલું : જેની ખબર ન હોય એને ‘અ’ અથવા ‘બ’ અથવા ‘ક’ કહી શકાય : એમ !? : હા, અને સમજ, એને ઍલ્જિબ્રા કહેવાય ! : હું એને જોતો રહી ગયેલો, એના ચ્હૅરે ચમક અને સજ્જ શિક્ષકનું સ્મિત રમતું’તું.

તેમછતાં, આકાશમાં તારા-નક્ષત્ર કેટલાં છે એમ કોઈ પૂછે તો નથી કહી શકાતું કે એ અ છે કે બ છે કે ક છે. હું જુદું કહેતો હોઉં છું – તારાનક્ષત્ર અગણિત છે. હા, ખરો ઉત્તર એ જ છે કે તારા-નક્ષત્ર અગણિત છે. અસંખ્ય છે કહો તો પણ ખરું છે. મને ખાતરી છે કે ગાણિતિક અંકમાં આપેલો ઉત્તર ખોટો પડી શકે છે, ‘અગણિત’ અને ‘અસંખ્ય’ હમેશાં ખરા જ પડવાના …

બન્યું એમ કે ઉત્તરોત્તર ગણિતને વિશે મને દુર્ભાવ થવા માંડ્યો. ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ થવા કૉમર્સમાં ગયો, બે વાર નપાસ થયો, દુર્ભાવ સુદૃઢ થયો. સુવિદિત છે કે ગણિત શુદ્ધ વિજ્ઞાન છે – પ્યૉર સાયન્સ. પણ એ પ્યૉરિટી આ કુટિલ જીવનને સમજવામાં નથી કામ આવતી. ગણિતને ૧+૧ = ૨ દેખાય છે પણ જીવનનાં સમીકરણો એટલાં સીધાંસાદાં નથી હોતાં, સમવિષમ હોય છે, ખબર નથી પડતી કે એમાં સરવાળા બાદબાકી કે ભાગાકાર ક્યારે ને કેમ થયાં.

જેમ કે પતિ-પત્ની સુખે જીવતાં હોય, સુખી જ દેખાતાં હોય, છતાં એમની વચ્ચે વારંવાર ખટખટ થતી હોય. ‘ખટખટ’ને બદલે ‘તડાતડી’ ‘મગજમારી’ ‘લમણાંઝીક’ ‘માથાકૂટ’ ‘જીભાજોડી’ જે શબ્દ વાપરવો હોય એ વાપરી શકાય; એ દરેકની અર્થચ્છાયા મુજબની લડાલડી કરનારાં જડી આવશે. તો એવું કેમ? એ સુખની નીચે કઠોર કંઈક સંતાયેલું હશે? જે હશે એ. પણ એક વાત નક્કી છે કે એક-ને-એક કારણ હશે જ હશે – કોઈ ન દેખાતું ત્રીજું જન અથવા ભૂતકાળમાં ધરબાઈ ગયેલી કો’ક ઘટના.

વીસમી સદીના ઍબ્સર્ડ થીએટરમાં અને સવિશેષે ફ્રૅન્ચ આવાં ગાર્દ થીએટરમાં નાટ્યકાર યુજિન આયોનેસ્કો (૧૯૦૯-૧૯૯૪) જગવિખ્યાત નામ છે. એમના એક નાટકનું  શીર્ષક છે, “આમેડિ ઑર હાઉ ટુ ગેટ રિડ ઑફ ઇટ”, ૧૯૫૪.

મિસ્ટર આમેડિ નાટ્યલેખક છે, એની પત્ની મૅડલીન સ્વિચબૉર્ડ ઑપરેટર છે. ઘરમાં એ બે સિવાયનું કોઈ નથી પરન્તુ એક રૂમમાં એક શબ છે. શબ વિશે બન્ને અવારનવાર ચર્ચા કરતાં હોય છે. શબ પુરુષનું છે અને નિરન્તર વિકસતું રહે છે. ભજવણી દરમ્યાન રંગમંચના બીજા છેડા લગી શબના પગને ક્રમે ક્રમે વિકસતો બતાવાય છે. શબને લીધે આસપાસમાં જ્યાંત્યાં મશરુમ ઊગી નીકળ્યાં છે, પડોશીઓ જાતભાતની શંકાઓ કરવા લાગ્યાં છે. પ્રશ્ન એ છે કે શબનો નિકાલ કેમનો કરવો. એનાથી છૂટવું શી રીતે? હાઉ ટુ ગેટ રિડ ઑફ ઇટ?

પણ શબ છે કોનું? શું આમેડિએ કોઈની હત્યા કરેલી ને પછી એના શબને ઘરમાં રાખી મૂકેલું? હત્યા કોની? આમેડિના પિતાની? કે મૅડલીનના પ્રેમીની? મૅડલીન વાત વાતમાં સૂચવી દે છે કે હત્યા આમેડિએ એના પ્રેમીની કરી છે. આમેડિ અનેક ખુલાસા કરે છે, પણ વ્યર્થ. નાટકના ઉત્તરાર્ધમાં, શબને આમેડિ નદીમાં નાખી આવવાનો પ્રયાસ શરૂ કરે છે. એને લોકો જુએ છે. જોનારાઓમાં એક ‘યુજિન’ હોય છે, સંભવ છે કે એ, લેખક પોતે, આયોનેસ્કો હોય …

દરેક યુગલની વચ્ચે કોઈ ત્રીજું ઇતરજન અદૃશ્ય રૂપે ચૉંટેલું હોય છે. મનુષ્યનું એ જ ઐતરેય છે. એને અંતરમાં અનુભવાય છે, પુરવાર કરી શકાતું નથી. દરેક વર્તમાનને એક ભૂતકાળ હોય છે અને તે કદી મરતો નથી. સ્મરણો કોરાં હોય, ભીનાં પણ હોય. મૅડલીનનું સ્મરણ કોરું, શુષ્ક અને અશ્રુસિક્ત છે – આંસુભીનું.

શી ખબર, મને કોરાંભીનાં સ્મરણ બહુ ગમે છે. એના વિનાની જિન્દગી નીરમ વિનાની નાવ લાગે છે – હાલકડોલક થતી ગોથાં ખાય ને ક્યારેક ડૂબી જાય …

= = =

(August 6, 2022 : USA)
Pic Courtesy : Google Images : Eugene Ionesco :
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

6 August 2022 Vipool Kalyani
← વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી
બે ગઝલ →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved