Opinion Magazine
Number of visits: 9447583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Breaking Out : મુક્તિયાત્રા :  લેખિકા : પદ્મા દેસાઈ 

બકુલા ઘાસવાલા|Diaspora - Reviews|21 July 2022

સુરતની છોકરીની ભારતથી અમેરિકાની સંઘર્ષથી સિદ્ધિની યાત્રા એટલે અર્થશાસ્ત્રી પદ્મા દેસાઈની આત્મકથા ‘Breaking Out’ [મુક્તિયાત્રા]. પદ્મા દેસાઈનો જન્મ ૧૯૩૧ એટલે હાલ એમની વય એકાણુ વર્ષ પૂરાં. એમને દેશ છોડ્યાને ૬૪-૬૫ વર્ષ થયાં. સુરત, મુંબઈ, દિલ્હી, અમેરિકા, રશિયામાં એમણે વસવાટ કર્યો અને હાલ અમેરિકા રહે છે. તેઓ રશિયન અર્થતંત્રના અમેરિકન અભ્યાસુ અર્થશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠિત છે.

એમની આત્મકથા વાંચતાં પ્રથમ છાપ એમની અપ્રતિમ બૌદ્ધિકતા, સંવેદનશીલતા, સંઘર્ષને અતિક્રમી જઈ ફરીથી જાતને પુરવાર કરવાની ઉત્કટતા માટે અહોભાવ જગાડે છે. એમના પિતા કાલિદાસ દેસાઈ – કે.એલ. દેસાઈ સુરતની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રોફેસર તો હતા જ ઉપરાંત નિવૃત્તિકાળમાં સુકાની પણ બનેલા. બે બહેનો અને એક ભાઈ સાથે એમનું બાળપણ વીતેલું. ઘરમાં માતા-પિતા અને કાકી સાથે તેઓ કુલ સાત વ્યક્તિ રહેતાં અને મહેમાનો, વિદ્યાર્થીઓની અવરજવર પણ રહેતી. ઉચ્ચ મધ્યમવર્ગીય, સંપન્ન અને સમૃદ્ધ જીવનશૈલી તો હતી જ. શાળાજીવનથી જ પ્રથમ સ્થાને રહેવાની સહજતા એમને વરી હતી. ભણવામાં તો હોશિયાર હતાં જ સાથે સંસ્કૃત, વક્તૃત્વ, સંગીત પણ એમના રસના વિષયો હતા. સુરતમાં શિક્ષણ લીધા પછી અર્થશાસ્ત્રનો વધુ અભ્યાસ મુંબઈમાં કર્યો. મુંબઈ હતાં ત્યારે જ ‘આર.બી.’ના પ્રેમમાં પડેલાં અને પછી એની સાથે લગ્ન પણ કર્યાં. ત્યાર પછી દિલ્હી જોબ માટે અને અમેરિકા વધુ અભ્યાસ માટે ગયાં અને ત્યાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી. આર.બી. સાથે લગ્ન ન ટક્યું. છૂટાછેડા માટે ખાસ્સી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો. આ દરમિયાન જગદીશ ભગવતી સાથે ઓળખાણ થયેલી અને નવ વર્ષના મૈત્રીસંબંધ પછી તેઓએ લગ્ન કર્યા. અમેરિકામાં એમની સરસ કારકિર્દીનું મંડાણ થયું. તેઓ હાર્વર્ડમાં ભણ્યાં. એમનાં જેવી જ તેજસ્વી કારકિર્દી જગદીશ ભગવતીની પણ રહી. ઉપર જણાવ્યું તેમ તેઓ રશિયા પણ સંશોધન પ્રકલ્પ અંતર્ગત ગયાં હતાં. અમેરિકામાં એમને એક દીકરી જન્મી જેનું નામ અનુરાધા-ક્રિસ્ટીના. આત્મકથામાં એમણે પોતાનાં સમગ્ર જીવનની વાતો અત્યંત નિખાલસતા અને પારદર્શકતાથી લખી છે.

આટલી તો એમની જીવનકથાની ઝલક. બાકી એમનું જીવન કાંઈ ખાયાપીયા અને મઝા કીયા એવું સીધુંસાદું રહ્યું નથી. બાળપણમાં પણ માતાની માનસિક હાલત અને મિજાજ પરિવર્તનનો અનુભવ કપરો જ રહેલો. મુંબઈમાં આર.બી. સાથે શરૂઆત તો સારી થયેલી, પરંતુ પછી એ જ સંબંધના કારણે જાતીય રોગનો ભોગ બનવું પડેલું. એની શારીરિક-માનસિક અસર અમેરિકા ગયા પછી પણ રહેલી. દિલ્હી અને અમેરિકાના વસવાટ દરમિયાન જગદીશ ભગવતીનો પરિચય રાહતપ્રદ રહ્યો, છતાં છૂટાછેડાની જટિલ પ્રક્રિયાએ એમને ખાસ્સી તકલીફ આપી ત્યાં સુધી કે એમણે ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી- ક્વેકર બનવું પડ્યું. એ પ્રક્રિયા પૂરી તો કરી અને આર.બી.એ મન બદલ્યું અને છૂટાછેડા ન આપ્યા ! આ સમયખંડ જ્યારે છૂટાછેડાનો કાયદાકીય માર્ગ સરળ ન હતો ત્યારનો છે. એક સવાલ તો આજે પણ થાય કે કાયદા સરળ કેમ નથી હોતા અને તે વ્યક્તિગત ભીંસ કેમ વધારે છે ? જો કે પદ્માબહેન પોતાના ધર્મપરિવર્તનની ઘટનાને દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિ તરીકે મૂલવે છે. પોતે કર્મકાંડી નથી અને ધાર્મિકતાનો પોતીકો અર્થ ધરાવે છે જેની છણાવટ એ કરતા રહે છે. જે રીતે ધર્મ એમના પર હાવી નથી તે રીતે સામાજિક બંધનોને પણ નજરઅંદાજ કરીને જીવનશૈલી ગોઠવવાની એમને ફાવટ રહી છે. અલબત્ત, એમને માનસિક રીતે જે તકલીફો પડી, એમણે એ સંદર્ભે જે સારવાર લેવી પડી, બાળક જન્મ માટે પણ જે પડકારોનો સામનો કર્યો તેનું વિશદ વર્ણન પણ એમણે કર્યું જ છે. માતાપિતા સાથેના સંબંધોમાં પિતા સાથે એમનું પ્રત્યાયન સંવાદિત રહ્યું છતાં એમને એ સંબંધો વિશે જે અનુભૂતિ રહી એનું વર્ણન પણ એમણે કર્યું જ છે, માતાની મક્કમતા અને નિર્ણયશક્તિની વારસાઈનો પણ એ ઉલ્લેખ કરે છે. ભાઈ-બહેનો સાથે સંબંધોમાં સૌહાર્દ ખરો પરંતુ સંપર્ક જ છૂટી ગયો. તો જગદીશ ભગવતી સાથેના લગ્નજીવનની સુખદ અનુભૂતિને પણ આલેખી છે. દીકરી સાથેના નિખાલસ સંબંધો અને દીકરીના નિજી જીવનનાં વલણોની સ્વીકૃતિ એ એમની અમેરિકન માનસિકતા અને જીવનશેલીને સમજવાની દૃષ્ટિનો પરિચય કરાવે છે. 

ભારત, અમેરિકા અને રશિયા, દેસાઈ  અને ભગવતી પરિવારની જીવનશૈલી, સંબંધો, પરંપરા વિશે એમનું આલેખન સમજીએ તો ભગવતી કુટુંબ સાથે સંબંધોની પરિપાટી સુગમ રહી તે સહજ દેખાઈ આવે. અમેરિકામાં  ‘મનુષ્યત્વ’ના સ્વીકાર સાથે પણ કારકિર્દીના પડકારોની સંઘર્ષકથા કાંઈ લાલ જાજમની બિછાત તો નથી જ એમ તેઓ માને છે છતાં પોતે અમેરિકામાં મોકળાશથી પોતાનું સ્થાન બનાવી શક્યાં તે પણ સ્વીકારે છે. આપબળે કારકિર્દી બનાવવી એમાં પણ આર્થિક રીતે સ્વનિર્ભર રહેવું એ તો પદ્માબહેનની યાત્રાનું અભિન્ન અંગ રહ્યું છે. વાચકે એ સમયખંડ ધ્યાનમાં રાખવો જ જોઈએ. બન્ને પરિવાર પોતપોતાના ક્ષેત્રમાં અગ્રણી છતાં કારકિર્દી બનાવવા માટે તો સ્વબળ પર જ ઝઝૂમ્યાં. પદ્માબહેન પોતાની સિદ્ધિઓ માટે તો સંયમથી જ કલમ ચલાવે છે. પોતાનું અર્થશાસ્ત્રી તરીકે વૈશ્વિક સ્તરે પણ અવ્વલ હરોળમાં હોવું ક્યારે ય એમના પર હાવી થયું હોય તેવું જણાતું નથી. પોતાના કે જગદીશ ભગવતીના નિજી સંપર્ક ભારતના તત્કાલીન વડા પ્રધાન સાથે હોય કે યુનોનાં મહામંત્રી સાથે હોય પણ પદ્માબહેન અછડતો જ ઉલ્લેખ કરે. એમણે પ્રવાસ તો ખાસ્સો કર્યો, જગદીશભાઈ સાથે પુસ્તક લખ્યું, એ વખણાયું, જર્નલ્સમાં પણ લેખો લખ્યાં, અનેક સેમિનારોમાં પેપર વાંચ્યાં, આર્થિક નીતિમાં સલાહકાર પણ રહ્યાં અને માનઅકરામ પણ મળ્યા એવી વ્યસ્ત અને સફળ  કારકિર્દી સાથે જે સંઘર્ષોનો સામનો કરવો પડ્યો તે વિશે એમણે ઉલ્લેખ કર્યો છે પણ કકળાટ નહીં. માનસિક તણાવ અને હતાશાનો દોર આવે તો પણ તેને પોતાના વ્યવસાય પર તો હાવી ન જ થવા દે એ એમનું આગવું લક્ષણ કહેવાય. તેઓ કહે છે કે એમને સંગીત અને વાંચનથી ખાસ્સો સધિયારો મળ્યો. જગદીશભાઈની ષષ્ઠીપૂર્તિ અને પોતાના અમૃત મહોત્સવની ઉજવણી આ બે અવસરથી એમને થયેલા રાજીપાની અભિવ્યક્તિ એમણે આનંદ અને ગૌરવથી કરી છે. એમની કુદરતી સૌંદર્ય પ્રતિની વિશિષ્ટ દૃષ્ટિ, માનવ સ્વભાવનાં નિરીક્ષણનો પરિચય એમના વર્ણનમાં મળે છે. ભગવતી પરિવારની હળવી રીતભાત અને ભોજનપ્રીતિને તેઓ સહજતાથી વર્ણવે છે. વાતોના વડાં જગદીશભાઈની પ્રિય પ્રવૃત્તિ હોય તેમ એનું વર્ણન તેઓ આ રીતે કરે છે કે ત્રણેક વર્ષની અનુરાધાને એનાં ટીચરે પૂછ્યું કે તારા પિતા શું કરે છે તો અનુરાધાએ જવાબ આપેલો કે He talks ! એક વાર નાનકી અનુરાધા એના મામા સાથે ફરી આવી અને પછી કહે કે હું તો ઝૂમાં જઈ આવી ! પદ્માબહેન લખે છે કે વિવિધ મંદિરોમાં દેવીદેવતાઓના જુદા જુદા વાહનો જોઈ આવેલી એટલે જેમ કે શિવનો પોઠિયો, ગણપતિનો ઉંદર, સરસ્વતીનો હંસ…… ! આમ પોતાની ગંભીર અનુભૂતિને આલેખવાની હથોટી એમને છે તો આ રીતે એમની લેખિનીમાં હળવાશ પણ છે. મને એક જ મુદ્દે નવાઈ લાગી કે ૧૯૩૧માં જન્મેલાં પદ્માબહેનની કથામાં આઝાદી આંદોલન વિશે કે ત્યાર પછીના નવનિર્માણ જેવી ચળવળ વિશે ખાસ ઉલ્લેખ નથી. યુવાન અનુરાધાની અમેરિકન વ્યક્તિગત સ્વતંત્રતાનો તેઓ આદર કરે છે છતાં જ્યારે અનુરાધા એમને સજાતીય સંબંધનો ઉલ્લેખ કરી સવાલ પૂછે છે ત્યારે પોતાના પહેલાં તાત્કાલિક પ્રતિભાવ માટે પાછળથી એમને અફસોસ પણ થાય છે તે કબૂલાત પણ તેઓ કરે છે. પદ્માબહેને પોતાનાં કાકીની વિધવા તરીકેની પરાધીન જિંદગીથી લઈ પોતાની, દીકરીની અને અન્ય ભારતીય – અમેરિકન સ્ત્રીઓની જિંદગીના ચડાવ-ઉતરાવ જોયાં છે તે સંદર્ભે એમની અનુભવયાત્રાનું સ્ત્રીઓનો સામાજિક દરજ્જો, હક્કો, ફરજો વગેરેની દૃષ્ટિએ મૂલ્યાંકન કરવા જેવું છે.

સમાપનમાં તેઓ અમેરિકન અને ભારતીય જીવનનું મૂલ્યાંકન કરે છે ત્યારે આપણને મુક્તિની સાચી વિભાવનાનો અહેસાસ થાય છે. એ અહેસાસ માટે તો પુસ્તક વાંચવું રહ્યું. મને તો અનાવિલ સ્ત્રી તરીકે પણ એમનો પરિવેશ અને અનુભવનું એમણે કરેલું અર્થઘટન પોતીકું લાગે છે. જો કે એઓ તો નાતજાતને અતિક્રમીને વૈશ્વિક માનુષી જ બની રહ્યાં છે. આ પુસ્તક Kindle પર વાંચીને મે પણ એક નવો અનુભવ લીધો.

Publisher  :  Viking; 2012th edition (28 April 2012)
Language  :  English : kindle edition ₹296/80 Hard Cover ₹480 / 00

Loading

21 July 2022 Vipool Kalyani
← દરિયામાં સૂર્ય
સનદી સેવા અને સનદી સેવા પરીક્ષા બદલાવ માંગે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved