અમેરિકાના ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રમાં, થોડાં વર્ષો પહેલાં એક ચોંકાવનારો લેખ છપાયો હતો. એ લેખની શરૂઆતમાં, ઈરાક યુદ્ધમાં લડાઈ કરીને આવેલા ૨૦ વર્ષના મેથ્યુ સેપી નામના સૈનિકના એક સમાચારનો ઉલ્લેખ હતો. મેથ્યુ જુગારખાનાઓ માટે પ્રસિદ્ધ લાસ વેગાસ શહેરના એક એવા વિસ્તારમાં રહેતો હતો, જ્યાં સવાર પડે સડકો પર દારૂ-બીઅરનાં કેન વિખારાયેલાં પડેલાં હોય, અને રાત પડે ધીંગામસ્તી ચાલતી હોય અને પોલીસની સાઇરનો વાગતી હોય.
મેથ્યુ ક્યારે ય મોડી રાતે બહાર નીકળતો નહોતો, પરંતુ યુદ્ધમાં તેના યુનિટના હાથે ઈરાકી નાગરિકોનો સંહાર જોઇને તેની માનસિક શાંતિ જોખમાઈ ગઈ હતી અને તેને ઊંઘવા માટે શરાબની જરૂર પડતી હતી. તે રાતે ઓવરકોટમાં એ.કે.-47 એસોલ્ટ રાઈફલ ભરાવીને એ બહાર નીકળ્યો. એ મિલીટરીમાં ટ્રેઈન થયેલો હતો, પરતું તેને એ વિસ્તારમાં ડર લાગતો હતો અને ખુદના રક્ષણ માટે હથિયાર જરૂરી હતું.
આજુબાજુમાં રખડતા લુખ્ખાઓઓની હાહાહીહીની ઉપેક્ષા કરીને મેથ્યુ ઓવરકોટમાં માથું નમાવીને 7-ઈલેવન સ્ટોર પર પહોંચ્યો અને તેની રોજની ‘દવા’ તરીકે બીઅરનાં બે મોટાં કેન ખરીદ્યા. ઓવરકોટમાં કેન દબાવીને મેથ્યુ પાછો ઘર તરફ વળ્યો. એક અંધારી સડક પર, બે વિશાળ કદના, સશસ્ત્ર લુખ્ખાઓએ તેને આંતર્યો. પાછળથી એક ઇન્ટરવ્યૂમાં મેથ્યુએ કહ્યું હતું તે મુજબ, તેણે રાઈફલના બટ પર હાથ ફેરવ્યો અને એક ધમાકો થયો. એક લુખ્ખો તત્ક્ષણ મરી ગયો. બીજો ચીસ પાડીને દૂર ઉછળીને પડ્યો. સડક લોહીલુહાણ થઇ ગઈ.
મેથ્યુ ત્યાંથી ભાગી છૂટ્યો. મિલીટરીની ભાષામાં તેને દુશ્મનથી ‘કોન્ટેક્ટ બ્રેક’ કરવાનું કહે છે. એ ઘરમાં ઘુસ્યો અને ૧૮૦ ગોળીઓનો રાઉન્ડ ઉપાડીને કાર લઈને ફરી ભાગ્યો. આ વખતે તેની પાછળ પોલીસની સાઇરનો વાગતી હતી. થોડી દોડાદોડી પછી એને પકડી લેવામાં આવ્યો. પોલીસ સ્ટેશનમાં તેણે મિલીટરીની ભાષામાં કહ્યું, “મારી પર ઘાત લગાવામાં આવી હતી (એમ્બ્યુઝડ) અને સહજ રીતે જ મેં ટાર્ગેટ પર નિશાન સાધ્યું. મારી સામે એક જ પ્રશ્ન હતો; ગોળી ખાવી કે મારવી?” એ રડી પડ્યો.
બીજા દિવસના સમાચારપત્રોમાં હેડલાઇન્સ હતી; ઈરાકના સેવાનિવૃત્ત યોદ્ધાની હત્યા બદલ ધરપકડ. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ લખે છે, આ એકલદોકલ ઘટના નથી. પૂરા દેશમાં અનેક શહેરોમાં લડાઈઓમાંથી નવરા પડેલા જવાનોએ મારામારી-હત્યા કરી હોવાના સમાચારો છે. આમ ભલે તે સ્થાનિક સમય-સંજોગોના અપરાધ હોય, પરંતુ જ્યારે તમે એ દરેક કિસ્સાને એક કડીમાં પરોવીને જુઓ તો ખબર પડે કે આ અમેરિકાએ વહોરેલી અનેક ખુંખાર લડાઈઓનો એ પોસ્ટ-ટ્રૉમેટિક ડિસૉર્ડર છે.
એ લેખનું મથાળું હતું; એક્રોસ ધ અમેરિકા, ડેડલી ઇકો ઓફ ફોરેન બેટલ્સ (ઉછીની લડાઈઓનો અમેરિકામાં ઘાતકી પડઘો). ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સે’ એવા 121 કિસ્સાઓ શોધ્યા હતા, જેમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં બંધૂકો ચલાવીને ઘરે આવેલા સૈનિકો હત્યાઓમાં સંડોવાયા હતા. યુદ્ધોની બર્બરતા, શરાબખોરી અને પારિવારિક-સામાજિક માથાફૂટો નિવૃત્તિ પછી બીજાની અને ખુદની તબાહીનું કારણ બની હતી.
આમાં ખૂન-ખરાબા અને તબાહીમાંથી પસાર થઈને પાછા ફરેલા જવાનોની ખંડિત માનસિકતા અને તેના કારણે પેદા થતો સ્ટ્રેસ તેમ જ ડિપ્રેસન જવાબદાર છે.
આ લેખની વાતને યાદ કરવાનું કારણ ભારતના યુવાનો માટેની ‘અગ્નિપથ’ યોજના છે. આ યોજના સામે દેશના અનેક રાજ્યોમાં યુવાનો વિરોધ કરી રહ્યા છે, તેની પાછળ મૂળ મુદ્દો એ છે કે જે 75 ટકા યુવાનોને 4 વર્ષની નોકરી બાદ સેનામાંથી છૂટા કરાશે (માત્ર 25 ટકા જવાનોને જ કાયમી કરવામાં આવશે) તે બાકી જીવનમાં શું કરશે? આના જવાબ રૂપે સરકારે યોજનામાં જરૂરી સુધારા કર્યા પણ છે, પરંતુ જાણકાર લોકોની બીજી એક ચિંતા છે. સેનામાં દર વર્ષે 50,000 યુવાનોની ભરતી થાય છે. તેમાંથી 4 વર્ષના અનુભવ પછી 40,000 જેટલા જવાનો પાછા આવશે. આવું દર વર્ષે થશે. એટલે કે, આત્મવીર જવાનોની સંખ્યામાં ઉત્તરોત્તર 40,000નો વધારો થતો રહેશે.
એકાદ દાયકા પછી, મિલીટરીમાં ટ્રેઈન્ડ આટલા બધા બેરોજગાર યુવાનો સમાજમાં હશે તો, તેઓ શું કરશે? જમ્મુ-કાશ્મીરમાં ડિરેકટર જનરલ ઓફ પોલીસ અને પાછળથી બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કામ કરી ચુકેલા ગુરુબચ્ચન જગતે એક ન્યૂઝ પોર્ટલને કહ્યું હતું, “કામકાજ અને આર્થિક ભવિષ્યની અનિશ્ચિતતાઓ વચ્ચે આવા અગ્નિવીર અપરાધિક ગેંગ્સ માટે સંભવિત ઉમેદવાર સાબિત થશે. તેમને મિલીટરીમાં મળેલી વ્યૂહાત્મક તાલીમ તેમને આવાં કામો માટે આદર્શ બનાવશે.”
ડિફેન્સ નિષ્ણાત મેજર જનરલ અમૃત પાલ સિંહ (નિવૃત્ત) પણ કહે છે કે, “ચાર વર્ષના કાર્યકાળ પછી આવા અગ્નિવીરમાં, નિયમિત સૈનિકની જેમ, સેના માટે ‘નામ, નમક, નિશાન’ની ભાવના નહીં હોય. સૈનિકગિરી અને તેની ઈજ્જતના આ ત્રણ પાયાના આદર્શ છે. શક્ય છે કે આવી કોઈ નિષ્ઠાની ગેરહાજરીમાં, મિલીટરી સ્કીલવાળા ભૂતપૂર્વ અગ્નિવીર અપરાધિક પરિવેશમાં કામ કરતા થઇ જશે.”
શ્રીલંકામાં ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સમાં કમાન્ડર રહી ચૂકેલા લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અશોક મહેતા એક લેખમાં કહે છે કે આવા અગ્નિવીર ભાડૂતી ગુંડા, વિદ્રોહી ગતિવિધિઓના સભ્ય કે અપરાધિક ગેંગમાં સામેલ થઇ જાય તેવી ચિંતા છે.
છતીસગઢના મુખ્ય મંત્રી બુપેશ બઘેલે પણ આવી આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “23-24 વર્ષના આ યુવાનો બંધૂક ચલાવાની ટ્રેનિંગ લઈને પાછા આવશે અને તેમને નોકરી નહીં મળે તો અપરાધ તરફ વળી જશે. અગાઉ બહુ લોકો સવાલો કરતા હતા કે માઓવાદીઓને કોણ ટ્રેનિંગ આપે છે?” ભા.જ.પ.ના રાષ્ટ્રીય મહા મંત્રી કૈલાશ વિજયવર્ગીએ બઘેલના નિવેદનને ખારીજ કરતાં કહ્યું હતું કે દેશમાં ૩૨ લાખ એક્સ-સર્વિસમેન છે, એમાંથી એક જવાન ગેરકાનૂની ગતિવિધિમાં સંડોવાયો હોય તો બતાવો (આ જ વિજયવર્ગીએ જો કે એમ કહ્યું હતું કે જો મારે ભા.જ.પ.ની ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ રાખવાનો હોય તો હું અગ્નિવીરને જ પ્રાથમિકતા આપીશ).
‘અગ્નિપથ’ યોજનાના વિરોધ અંદોલનમાં, હરિયાણાનો એક વીડિયો વાઈરલ થયો હતો. તેમાં, પાણીપતના ડ્યુટી મેજીસ્ટ્રેટ અમુક અંદોલનકારી યુવાનોને સમજાવાની કોશિશ કરી રહ્યા હતા. તેમાં એક યુવાન તેમને ગળે વળગીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, “અંકલ, પ્લીઝ, ઇસ અગ્નિપથ સ્કીમ કો બંધ કરવા દો, ચાર સાલ કી નોકરી કે બાદ યુવા અપરાધી બનેંગે.”
અલબત્ત, આ માત્ર આશંકા છે, એનો કોઈ તથ્યાત્મક આધાર નથી કે સંભાવના પણ નથી. આવી આશંકાનું કારણ મિલીટરીની ટ્રેનિંગ નથી. તેનું કારણ ભારતીય સમાજ છે. મિલીટરી અત્યંત શિસ્ત અને આદર્શો પર ચાલનારું સંગઠન છે. તેનાથી વિપરીત, આપણો સમાજ નિરંકુશતા અને બેઈમાનીથી ભરેલો છે. ચિંતા એ છે કે 10મું પાસ યુવાન જ્યારે એક શિસ્તબદ્ધ જવાન બનીને પાછો સમાજમાં આવે ત્યારે અહીંની રીતરસમો સાથે એડજસ્ટમેન્ટ કરી શકશે?
1991માં, એક્ટર નાના પાટેકરને આવો પ્રશ્ન થયો હતો, અને તેણે “પ્રહાર” નામની ઘણી વખણાયેલી ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ માટે નાનાને સેના તરફથી માનદ કેપ્ટનની પદવી પણ આપવામાં આવી હતી, અને તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરમણ તરફથી પ્રશંસા પત્ર આપવામાં આવ્યો હતો. એ ફિલ્મમાં એક સૈનિક કેવી રીતે ભ્રષ્ટાચાર, અનૈતિકતા અને અરાજકતાથી ભરેલા સમાજમાં સામંજસ્ય સાધી શકતો નથી તેની કહાની હતી, અને એથી વ્યથિત થઈને સમાજની ‘ગંદકી’ સાફ કરવા કાયદો હાથમાં લે છે.
નાનાનું પાત્ર મેજર ચૌહાણ અમેરિકાના જવાન મેથ્યુ સેપી જેવું જ છે. મેજર ચૌહાણને પણ ગુંડાઓની હત્યા બદલ ગિરફ્તાર કરવામાં આવે છે અને, મેથ્યુ સેપીની જેમ જ, તે પણ કોર્ટમાં તેના કૃત્યને એક સૈનિકની ફરજ ગણાવીને ઉચિત ઠેરવે છે. જો કે સિવિલિયન કોર્ટ તેના તર્કને માન્ય નથી રાખતી અને મેજરને માનસિક રીતે બીમાર ગણાવીને સારવાર માટે પાગલખાને મોકલી આપે છે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 જૂન 2022
સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર