Opinion Magazine
Number of visits: 9448064
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પિતૃત્વ દોષિત નથી, પણ માતૃત્વ દોષિત હોઈ શકે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 June 2022

સ્ત્રી-પુરુષના સંયોગથી બાળક જન્મે છે ને સ્ત્રી માતા બને છે ને પુરુષ પિતા બને છે. આમ તો આ સહજ ને સરળ લાગે છે, પણ દરેક કિસ્સામાં એવું નથી. ઘણીવાર બાળક જન્મવાનું સહેલું નથી પણ હોતું. કેટલાક કિસ્સાઓમાં પુરુષની ક્ષમતા પિતા બનવામાં ઓછી પડે છે અથવા તો સ્ત્રી માતા બનવામાં ઓછી પડે છે. ઘણીવાર બધાં પ્રયત્નો છતાં સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી તો તબીબી સલાહ લેવામાં આવે છે. એ સારવાર પછી કેટલાંક યુગલો બાળક મેળવવામાં સફળ થાય છે, તો તબીબી સારવાર પછી પણ એવું બને છે કે બાળક પ્રાપ્ત ન જ થાય. ટૂંકમાં, માતા બનવું દરેક વખતે સહેલું નથી. એટલે જ આપણે માતૃત્વને પવિત્ર વરદાન ગણ્યું છે. કેટલાંકને એમાં કૈં નવું લાગતું નથી. બચ્ચાં તો પશુપંખી પણ પેદાં કરે છે, એમાં પવિત્ર શું ને વરદાન શું? પણ બાળક ન થવાની ચિંતા મનુષ્યોની છે. પશુપંખીમાં બચ્ચું જન્મશે કે નહીં એવી ચિંતા હોય છે કે કેમ તેની આપણને ખબર નથી, પણ મનુષ્યને અભિવ્યક્તિની અનુકૂળતા કુદરતે આપેલી છે એટલે આનંદ કે ચિંતાની ખબર પણ તેને જ વધારે પડે છે.

જો કોઈ સંજોગોમાં ઉપચાર પછી પણ બાળક શક્ય નથી બનતું તો કેટલાંક યુગલો અનાથ બાળકને દત્તક લે છે ને એને પોતાનાં બાળકની જેમ જ મોટું કરે છે. ઘણાં યુગલોનો એવો આગ્રહ હોય છે કે બાળક પોતાનું જ હોય. પોતાનું જ બીજ વિકસે ને એને મોટું કરવાની ઈચ્છા પણ, પતિ-પત્નીની, બાળક માટેની ઝંખના વધારે એમ બને. એના એક ઉપાય તરીકે હવે સરોગસીનો આશરો પણ લેવાય છે. એમ લાગે કે સ્ત્રી બાળકને જન્મ આપી શકે એમ જ નથી, તો ભાવિ માતા-પિતાનું બીજ, બીજી સ્ત્રીની કૂખમાં ઉછેરવામાં આવે છે. એ સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ને પૂરા સમયે બાળકને જન્મ આપે છે. એ પછી મૂળ માતાપિતાને તે બાળક પરત કરે છે. ખરેખર તો મા, કૂખ ભાડે આપનાર સ્ત્રી બને છે, પણ અગાઉથી ઠરાવ્યા મુજબ માબાપ બીજા જ બને છે. એ યુગલ બને છે જેનું બીજ આ ભાડૂતી કૂખે ઉછેર્યું છે. આ સ્ત્રી પણ માતા થઈ છે, ખરેખર તો તે જ થઈ છે, કારણ બાળકને જન્મ તો આ સ્ત્રીએ જ આપ્યો છે, પણ તે ભાડૂતી માતા પણ ગણાતી નથી. ઇન ફેક્ટ તે માતા જ ગણાતી નથી. માતાપિતા તો બીજા જ બને છે. બાળક પર કાનૂની અધિકારો પણ તેમના જ રહે છે. જન્મ આપનાર સ્ત્રી આ કામ આર્થિક વળતરની અપેક્ષાએ કરે છે. આમ તો હમણાં હમણાં આવી સ્ત્રીને રક્ષણ મળે એવા કાયદાઓ બન્યા છે, પણ માતૃત્વનો અધિકાર તેને નથી જ મળતો, કારણ કરાર જ એવો થયો હોય છે, પતિપત્ની અને કૂખ ભાડે આપનાર સ્ત્રી વચ્ચે. એટલે કોઈ વિશેષ અધિકાર એ ભાડૂતી સ્ત્રી આગળ કરી શકતી નથી. હા, આર્થિક વળતર આપવામાં મૂળ માબાપ ગલ્લાંતલ્લાં કરે તો તેની સામે ફરિયાદ થઈ શકે છે અથવા તો બાળક ખામીવાળું જન્મે તો પેલી ભાડૂતી સ્ત્રી દાદ માંગી શકે છે, પણ નાજુક મુદ્દો ક્યારેક સંવેદનાનો ઊઠે છે ને તેનું કોઈ વળતર તેને મળતું નથી. ખરેખર તો એ વાત જ વળતરની હોતી નથી. 

બને છે એવું કે જે સ્ત્રી કૂખ ભાડે આપે છે તે બરાબર જાણે છે કે તેનો હક વળતર પૂરતો જ છે, પણ જે બીજ તે ધારણ કરે છે, તે જો બહાર રહ્યું હોત તો મોટે ભાગે તે વેડફાયું જ હોત. એને ભાડૂતી સ્ત્રી ધારણ કરે છે. તેને લોહીમાંસ સીંચે છે. આકાર આપે છે. એમાં જીવ રેડે છે એટલે જીવ પ્રગટે પણ છે. મહિનાઓ સુધી આ ભાડૂતી સ્ત્રી પોતાની છાયામાં જીવંત, નાજુક શરીર વિકસાવે છે. છોડ પર આવેલાં ગુલાબનું ખેંચાણ થતું હોય તો આ તો પેટમાં ખિલવેલું સંતાન છે, એને માટે લાગણી ન થાય? ન થાય ત્યાં સુધી તો વાંધો જ નથી, પણ થાય તો, શું? આમ તો ભાડૂતી મા બરાબર જાણતી હોય છે કે જે જન્મ્યું છે તે બાળક મૂળ સ્ત્રી પુરુષને સોંપી જ દેવાનું છે, પણ હકીકત તો એ છે કે મૂળ સ્ત્રી કરતાં માતૃત્વનો પહેલો અને સઘન રક્તજીવી અનુભવ તો આ ભાડૂતી માનો છે. તે તેણે થોડા પૈસાની લાલચમાં, લોહીમાંથી કાઢીને બાળક સીધું સોંપી જ દેવાનું? એના પર એનો કોઈ અધિકાર જ નહીં? એ બાળક ફરી ક્યારે ય જોવા ન મળે તો પેલી નોટોની થોકડી પર આંસુ સારીને જ તેણે રહી જવાનું? એ મા છે કે મશીન? એને કૈં થાય જ નહીં એવું તો કેમ બને?

પણ એના વલોપાતનો કોઈ અર્થ રહેતો નથી. કૈં પણ થાય, એણે બાળક તો છોડવું જ પડે છે. આવી ભાડૂતી માતાનું માતૃત્વ પણ સ્વાર્થ ગણાય છે. તે એ કારણે વગોવાય છે કે તેણે પૈસા માટે કૂખ ભાડે આપી છે. એનાં કારણોમાં ગરીબી મુખ્ય હોય, તો પણ તેને માટે તેણે સાંભળવાનું થાય છે. જ્યારે મૂળ પતિ-પત્ની દોષી નથી. એમને સંતાન નથી ને સંતાન વગર તેઓ તો ઝૂરે છે. બાળક માટે કોઈ કૈં પણ કરે તેમ તેઓ પૈસા આપીને જીવતી કૂખ થોડા સમય માટે ખરીદે છે. એ નિસ્વાર્થ ભાવે સંતાન મેળવે છે ને પેલી સ્ત્રી સ્વાર્થી છે, કારણ પૈસા માટે એ પેટ ઉછીનું આપે છે !

સાચું તો એ છે કે આપણે ત્યાં માતૃત્વ બાબતે બેવડાં ધોરણો છે. બેવડી નીતિ છે ને કમાલ એ છે કે  માતૃત્વની પ્રક્રિયા તો કોઈ પણ સ્ત્રી માટે એક જ છે, પણ સંજોગો પ્રમાણે માતૃત્વ વખણાય છે તો વગોવાય પણ છે. દીકરી પરણે ને માતા બને તો તે બાળકને અને તેની માતાને ફૂલડે વધાવાય છે. બાળકનાં જન્મોત્સવો થાય છે, પણ જો તે કુંવારી માતા બનવાની હોય તો? તો, એ પાપ થઈ જાય છે. એ દીકરીને કોઈ સંઘરવા રાજી નથી થતું. તેણે અપમૃત્યુ વહોર્યે જ છૂટકો થાય છે. એ ખરું કે સમાજે નક્કી કરેલાં ધોરણોનો એમાં ભંગ થાય છે એટલે કુંવારું માતૃત્વ સ્વીકાર્ય નથી બનતું, પણ એને માટે જે જવાબદાર છે તે પુરુષનું સમાજ કૈં બગાડી શકતો નથી, તે પણ એટલું જ સાચું કે નહીં? સગીરવયની કન્યાઓ પ્રેમમાં પડે છે કે કોઈ તેનાં પ્રેમમાં પડે છે ને જો પ્રેમીની દાનત માત્ર પ્રેમનાં નાટકની જ હોય તો ભોગવવાનું સગીરાએ થાય છે. કહેવાતા પ્રેમીની એ ચિંતા હોતી નથી કે લગ્ન વગર તે માતા બનવા તરફ ગઈ તો તેની શી વલે થશે?

હવે તો જો કે, સ્ત્રીઓ પણ માતૃત્વથી બચવાના માર્ગો જાણે છે, એટલે પ્રેમી દગો કરે તો તે એવી સ્થિતિથી બચે છે જેમાં બાળકનો સીધો સામનો કરવાનો આવે. તેમ છતાં કેટલાક બનાવો એવા બને છે કે ગર્ભપાત સુધી સ્ત્રીએ જવું પડે કે ગર્ભ ત્યજી દેવો પડે છે. આજની તારીખમાં પણ ભ્રૂણ કે નવજાત શિશુ કચરામાંથી મળી આવે છે એ બતાવે છે કે કોઈ સગીરા કે સ્ત્રીને ન જોઈતું માતૃત્વ માથે પડ્યું છે ને બદનામીના ડરે ગર્ભ કે બાળકથી છુટકારો તેણે મેળવવો પડે છે. આ તો થઈ એવી મહિલાઓની વાત જે ખરી કે ખોટી રીતે થોડી ઘણી જવાબદાર છે ને એણે પરાણે માતૃત્વ સ્વીકારવું પડે છે, પણ જ્યાં મહિલાઓ બળાત્કારનો કે શારીરિક શોષણનો ભોગ બને છે તેમાં તેની સીધી કોઈ ભાગીદારી પણ હોતી નથી ને તેનો પરાણે ભોગ લેવાય છે. અહીં પણ બળાત્કાર કરનાર એ વિચારતો નથી કે ભોગ બનનાર સ્ત્રી ગર્ભવતી થઈ તો તેની સમાજમાં શી દશા થશે? તે તો શિકાર કરીને ચાલતો થાય છે. પછી ભોગ બનનાર ગર્ભ ધારણ કરે તો તેણે તેનાથી છુટકારો મેળવવો પડે કે બાળકને જન્મ આપીને ક્યાંક ત્યજી દેવુ પડે કે અનાથાશ્રમને આંગણે છોડવું પડે છે. બહુ ઓછી સ્ત્રીઓ એ સંજોગોમાં સ્વસ્થ માતૃત્વ ધારણ કરી શકતી હોય છે.

કહેવાનું એ છે કે આ બધાં જ માતૃત્વના પ્રકારો છે. એમાં લગ્નને બાદ કરતાં એક પણ માતૃત્વ એવું નથી જે ઇચ્છિત હોય. એ ખરું કે લગ્નથી મળતાં માતૃત્વમાં જે માન સ્ત્રીને મળે છે તે અન્ય કોઈ રીતે પ્રાપ્ત થતાં માતૃત્વમાં મળતું નથી. માતા તો આ બધી પણ છે. એ પણ એ જ રીતે ગર્ભવતી થઈ છે જે રીતે લગ્ન પછી કોઈ સ્ત્રી થઈ હોય ને છતાં તે અપમાનિત થાય છે કે તેણે જીવન બહુ મુશ્કેલીથી વિતાવવું પડતું હોય છે. આ માતૃત્વ તેણે ઇચ્છયું નથી, તે આવી પડેલું છે, પણ જવાબદાર તો તે સ્ત્રીને એકલીને જ ઠેરવાય છે. આવાં અનિચ્છનીય માતૃત્વની લહાણી કોણ કરે છે? આવું એ સ્ત્રીઓએ ઇચ્છયું નથી, પણ માતૃત્વ સાચી ખોટી રીતે તેનાં પર થોપ્યું છે, પુરુષે. એને માટે જવાબદાર પુરુષ છે, પણ તેને સમાજ કે કાયદો ભાગ્યે જ કોઈ પાઠ ભણાવે છે. તે સહેલાઈથી બીજો શિકાર કરી શકે છે, લગ્ન કરી શકે છે, છૂટો થઈ શકે છે, બીજે ગોઠવાઈ શકે છે. ક્યાં ય તેનું પુરુષત્વ કે પિતૃત્વ ચર્ચામાં નથી આવતું, જ્યારે માતૃત્વ ડગલે ને પગલે દંડાય છે. સીધું પૂછવું એ છે કે આ યોગ્ય છે?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

16 June 2022 admin
← રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોનું દળદર ફીટશે ?
પતિ, પત્ની, વો, કુટુંબ અને મોબાઈલ … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved