Opinion Magazine
Number of visits: 9446507
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કમ સે કમ સુરતને કોમી આગમાં ના ઝોંકશો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 June 2022

કોણ જાણે કેમ પણ આપણને લોહી રેડ્યાં વગર નથી ચાલતું. અનેક પ્રજાઓએ ભારતમાં આવીને આક્રમણો કર્યાં, જગતે બબ્બે વિશ્વયુદ્ધો જોયાં ને કરોડો માણસોને વગર મોતે માર્યાં, જેમણે કોઈનું કૈં બગાડયું ન હતું ને  જેમને ખબર જ ન હતી – મોતનું કારણ, એ પણ કોઈ વાંક વગર લાખોની સંખ્યામાં મર્યાં, યુક્રેન-રશિયાને હજી લોહીનો ધરવ થતો નથી ને યુદ્ધ વધુ વિનાશક બનાવવાની ધમકીઓ અપાયા જ કરે છે, કોરોનામાં લાખો માણસો સ્વજનોની દેખરેખ વગર જ અંતિમ વિધિ પામ્યા, પણ આપણી લાશો ગણવાની લાલચ ઘટતી નથી. કોરોના જેટલો નિયમિત રોગ બીજો આયાત થયો નથી. દર ચાર છ મહિને એ દેશ આખામાં વિઝિટ મારી જાય છે. એણે આવવું નથી, પણ આવે તો આપણા ધંધાપાણી ચાલે એટલે આમંત્રણ આપી આપીને એને બોલાવાય છે. ચોથી લહેર લાવવા બધાં જ મહેનત કરી રહ્યાં છે એટલે વળી થોડી વસતિ ઘટે તો નવાઈ નહીં!

થોડો સમય જાય છે ને લાશો પાડવાની ઈચ્છા તીવ્ર થઈ ઊઠે છે. કોરોનાથી બચી ગયા તે કોમી આગમાં ભડકે એવી તકો પણ આવી જ મળે છે. દાયકાઓ થયા આઝાદીને, પણ કોમી વૈમનસ્ય વકરવામાંથી જ ઊંચું નથી આવતું. આપણી લાગણીઓ એટલી તકલાદી થઈ ગઈ છે કે તે વાતે વાતે દુભાઈ જાય છે. કોઈ પયગંબર વિષે બોલે છે તો કોઈ મહાદેવને ઈંડું ફોડી આવે છે. કોઈ મંદિર તોડે છે તો કોઈ નમાજનો વાંધો પાડે છે. બીજી કોઈ કોમને એક બીજાનો વાંધો નથી, માત્ર હિન્દુ-મુસ્લિમો જ એકબીજાથી કતરાતાં રહે છે. આટલાં કોમી હુલ્લડો થયાં, પણ થોડાકનાં અહમ્‌ સંતોષવા સિવાય કોઈના હાથમાં કૈં આવ્યું હોય એવું જણાતું નથી, છતાં થોડે થોડે મહિને કોરોના આવે છે તેમ કોમી વિવાદ પણ ચાલે છે ને થોડું લોહી રેડાય છે કે ફરી નવું લોહી વહાવવાની રમતો શરૂ થઈ જાય છે.

આમ જોઈએ તો દરેક પક્ષમાં થોડું ‘ઘાસલેટ’ હોય છે તે ગમે ત્યારે ભડકો કરવાનું લાઇસન્સ ધરાવતું હોય છે. તે પક્ષના હિતમાં એવી વાસ મારે છે કે પક્ષ તો નથી ગંધાતો, એ તો પોતાની વાસથી ટેવાઇ ગયો હોય છે, પણ પેલું ઘાસલેટ જરા પણ બહાર ગંધાય છે કે લોકો સળગી ઊઠે છે. એમાં ઘાસલેટને તો બહુ વાંધો નથી આવતો, પણ લોકો મરવા-મારવા પર આવી જાય છે. એનાથી મૂળ પક્ષ તો સલામત રહે છે, પણ લોકો અમસ્તા જ કુટાઈ મરે છે. બહુ ઊહાપોહ થાય છે તો લોકોને ખુશ કરવા ઘાસલેટનો ડબ્બો સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અથવા તો કહી દેવામાં આવે છે કે આ ઘાસલેટ અમારું નથી ને પછી મામલો પક્ષનો નથી રહેતો, ઘાસલેટનો ને લોકોનો થઈ જાય છે. અત્યારે દેશમાં આ ખેલ ચાલી રહ્યો છે. એક પક્ષના ઘાસલેટને કારણે કોમી આગ ભડકી ઊઠી છે ને તોફાનો ફાટી નીકળ્યાં છે. આમાં બળે છે તેનું બળે છે ને મરે છે તેનું મરે છે. બાકી તમાશો થાય છે ને થોડા ઘણાંને પકડીને સળિયા પાછળ ધકેલી દેવાય છે. એમાં બધાં ગુનેગાર જ હોય છે એવું નથી, પણ પકડી લેવાય તે ગુનેગાર – એ જ દાખલો ગણાય છે. ઘણીવાર તો આગ લાગવાનાં કારણો પણ બદલાઈ જાય છે ને રહી જાય છે તે ભડકાનો ફેલાવો. એકમાંથી બીજા ને બીજામાંથી ત્રીજા નગરમાં એમ આગ વધે છે ને પાપડી ભેગી ઇયળ પણ બફાતી રહે છે. જે જવાબદાર છે તે તો આગમાં હાથ તાપે છે.

કરુણતા એ છે કે હવે કોઈ, કોઈને ખોટું લાગતું જ નથી, દરેકને પોતે સાચાં જ લાગે છે ને સત્ય હવે ભડકામાં જ પ્રગટે એવી સ્થિતિ છે. રીતસર ઉશ્કેરવાની ને ભડકાવવાની યોજનાઓ ચાલે છે. સાચું એ છે કે એમાં સાચું કશું હોતું નથી, માત્ર ખોટું, ખરું સાબિત કરવાની કરામતો થાય છે. આ ખોટો છે ને પેલો સાચો છે એ વાત જ નથી, તકલીફ બંને ખોટા છે, એની છે ને ગેરસમજ એ છે કે બંને સાચા છે એવો વહેમ બંનેને છે.

થોડાં ઉદાહરણોથી આ જોઈએ. ભા.જ.પ.નાં રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર અંગે જે ટિપ્પણી કરી એનો મુસ્લિમ રાષ્ટ્રોને અને દેશના કેટલાક સમ્પ્રદાયોને સખત વાંધો પડ્યો છે. રાંચીમાં વિધર્મીઓએ પથ્થરમારો કર્યો તો પોલીસે હવામાં ગોળીબાર કરવો પડ્યો, એમાં બે જણાંના મોત થયાં છે. લાઠીચાર્જ થયો. પાર્ક કરેલાં વાહનોની તોડફોડ થઈ. ઉત્તર પ્રદેશનાં ઘણાં શહેરોમાં હંગામો થયો. સહારનપુરમાં રસ્તાઓ જામ કરી દેવાયા. પ્રયાગરાજમાં લોકોએ પથ્થરમારો કર્યો. જવાબમાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા. મોરાદાબાદમાં, લખનૌમાં પ્રદર્શનો ને સૂત્રોચ્ચાર થયાં. યુ.પી.માં અનેક શહેરોમાં 255ની ધરપકડો થઈ છે. પશ્ચિમ બંગાળમાં હાવડા સહિત અનેક વિસ્તારોમાં તોફાનો ને આગજનીની ઘટનાઓ બની છે. એમાં 60ની ધરપકડ થઈ છે. આની સામે પણ અવાજ ઊઠ્યો છે. કાશીના સંતોએ કટ્ટરપંથીઓની સામે કડક હાથે કામ લેવાની ને હિન્દુ દેવી દેવતાઓની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારાઓને જેલમાં મોકલવાની વાત કરી છે.

આ આગ ગુજરાતમાં પણ ફેલાવા માંડી છે. બોરસદમાં શનિવારની રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારાની ને છરાબાજીની ઘટનામાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે.

તોફાનીઓએ એક પોલીસકર્મીને પણ છરી મારી છે. 14ની અટકાયત કરવામાં આવી છે. નૂપુર શર્માનાં નિવેદનનો પડઘો રાજકોટમાં પણ પડ્યો છે. ત્યાં ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલાં અસંખ્ય પોસ્ટરો રસ્તા પર ચિપકાવવામાં આવ્યાં છે. અમદાવાદમાં વિરોધ રેલીનો પ્રયત્ન થયો છે. અમદાવાદ અને વડોદરામાં પણ પોસ્ટરો લગાવાયાં છે. સુરતમાં પણ પોસ્ટર લગાડવાનો પ્રયત્ન થતાં ત્રણની અટકાયત કરવામાં આવી છે. અહીં પણ હિન્દુ સંગઠનો અને બ્રહ્મસમાજે નૂપુર શર્માનું સમર્થન કર્યું છે. સુરતમાં પોસ્ટરો ઓછાં પડ્યાં ને તેમણે એ અંગેનો મેસેજ કર્યો ને ઉમેર્યું કે અહીં યુ.પી. અને ઝારખંડ જેવું કરવું છે. મતલબ કે આગ ભડકાવવી છે.

આ બધાંનો કોઈ છેડો દેખાતો નથી. નૂપુર શર્માએ પયગંબર અંગે ટિપ્પણી કરી તે એમ જ કરી? શોખ થયો એટલે કરી કે કોઈકે એ અંગેનું કારણ આપ્યું? એ કોઈકને વળી બીજા કોઈકે કારણ આપ્યું હોય ને એમ વાત વધતી જ જાય એમ બને. ટિપ્પણી ન જ કરવી જોઈતી હતી ને થઈ. તેનો કેટલી હિંસા પછી અંત આવશે તે કોઈ કહી શકે? ને શર્માની ટિપ્પણી ખોટી છે તો સામે બીજું કેટલું ખોટું થાય છે ને તે કોણ કરે છે તે પણ જોવું પડશેને ! મહાદેવને માથે ઈંડું ફૂટે છે, મૂર્તિઓ તૂટે છે તે બરાબર છે? દેવી-દેવતાઓની મજાક ઊડે છે તે યોગ્ય છે? પગરખાં પર હિન્દુ દેવી-દેવતાઓ કોણ છાપે છે? આ મજાક તો વિદેશમાં પણ થાય છે. એટલે કોઈ એક જ ધર્મ ટીકા કરે છે એવું નથી. બંને ધર્મો દ્વારા આ થાય છે. જવાબદાર હોય તો બંને છે.

આમ એક ધર્મે ટીકા કરી તો બીજાએ પણ કરી ને સામાન્ય પ્રજાએ એ જ જોયાં કરવાનું છે? બીજા કોઈ કામ જ નથી કે એકબીજાની ખણખોદ કરીને જ દિવસો કાઢવા પડે? આમાં નુકસાન બંને ધર્મો ભોગવે છે. કોઈ લાભમાં નથી. જે ધર્મ બીજાની નિંદા કરીને જ ટકે છે તે ધર્મ કઇ રીતે હોય? કોઈ ધર્મ જો બીજા ધર્મની નિંદા કરવાનું ન કહેતો હોય તો અત્યારે આ શું ચાલી રહ્યું છે? નિંદા એ જ ધર્મ ! ને આ બધું ધર્મપ્રીતિને લીધે થાય છે? ના. આના હેતુઓ ધર્મ પ્રેરિત નથી.

જરા ધ્યાનથી જોઈશું તો બંને ધર્મો કટ્ટરતાને પંથે વિકસી રહ્યા છે. જે નથી તે કટ્ટર થવામાં જ ધર્મને જોઈ રહ્યો છે. જો એકની કટ્ટરતા અધર્મ હોય તો બીજાની ધર્મ કઇ રીતે હોય? વહેમ તો એવો પડે છે કે આ કટ્ટરતા રાજકારણ પ્રેરિત છે. એમાં કાર્યકરોને પહેલાં તો ઝનૂનના સંકેતો આપવામાં આવે છે ને એ ઝનૂનમાં કોઈ કૈં બકવાસ કરી પાડે તો પક્ષ પહેલાં તો ચૂપ રહે છે, પણ પછી, જો એ બકવાસનો વિરોધ ઊઠે તો બકવાસ કરનારને હટાવી દેવાય છે ને એમ પક્ષની છબી ચોખ્ખી રાખવામાં આવે છે. આ બરાબર નથી. કોઈને બલિનો બકરો બનાવીને છબી લાંબો સમય સાફ રાખવાનું મુશ્કેલ છે ને જો કોઈ આઈડિયોલોજી નક્કી  હોય ને કાર્યકરોને એ જ પાઠ ભણાવાયા હોય ને કોઈ ઉશ્કેરાટમાં બાફી મારે ને પ્રજા એ બફાટની સામે પડે તો પક્ષની એ નૈતિક ફરજ છે કે તે ધર્મ વિષેની પોતાની સમજ સ્પષ્ટ કરે ને જે તે કાર્યકરની ભૂલ હોય તો તેની પ્રજાને જાણ કરે ને જરૂર લાગે તો બચાવ પણ કરે. કમનસીબે એવું થતું નથી ને જવાબદારથી ઓચિંતો જ છેડો ફાડી લેવાય છે.

છેલ્લે બે હાથ જોડીને સુરતના તમામ નગરજનોને, પક્ષોને, ધર્મ ધુરંધરોને એ વિનંતી કરવાની કે આ નગરને કોમી આગમાં ન ઝોંકે. આ શહેરનું લોહી ખુન્નસનું ને મારધાડનું નથી. તમામ કોમના લોકો એકબીજા સાથે ધંધાધાપાથી સૈકાઓથી જોડાયેલા છે. અહીં ઈદ ને ઉતરાણ, દિવાળી ને રમજાન, હોળી ને મહોરમ ભાઇચારાથી ઊજવાય છે તે કોમને કારણે તો ખરું જ, પણ કામકાજને લીધે પણ ખરું જ ! આ નગરને બીજા નગર જેવું કિન્નાખોર કૃપા કરીને કોઈ ન કરે. બીજા નગરોનાં લોહી જુદાં હશે, પણ અહીં એવું નથી. આ લોહી મહેરબાની કરીને કોઈ જુદું ન કરશો. એ જુદું થશે તો એકલું લોહી જ સડક પર દેખાશે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 જૂન 2022

Loading

13 June 2022 admin
← કે.કે. નાની ઉંમરમાં કેવી રીતે યુવા દિલોની ધડકન બની ગયો
મહાન ચિંતક બર્ટ્રાન્ડ રસેલની 150મી જયંતી … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved