Opinion Magazine
Number of visits: 9447111
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પેરસીટમોલ

જાગૃત ગાડીત|Opinion - Opinion|17 July 2021

ગઈ ૨૪ મેએ જ્યારે મેં ‘રસીકરણ’ વિશે લેખ મેઇલ કર્યો, ત્યારે સત્યની ક્ષણ નજીક જ હતી. ૨૬મીએ મને તાવ શરૂ થયો. સિઝનલ ફ્લુ હશે! બે દિવસમાં પત્નીને પણ તાવ આવ્યો. ટેસ્ટ કરાવવા ગયો, ત્યારે તો ખાતરી જ હતી કે કોવિડ છે. ચિંતા એ હતી કે ક્યાંક false negative (આશરે ૧૫ ટકા શક્યતા) રિપોર્ટ પકડાવી ન દે. હું પેલાને નાક અને ગળામાં એની સળી વધારે ખોસવાનો આગ્રહ કરતો હતો. છોકરાએ હસતાં-હસતાં થમ્સઅપ કર્યું, ‘કાકા, ચિંતા ના કરો! જે હશે તે આવી જ જશે.’

સાંજે અપેક્ષિત positive રિપોર્ટ આવી ગયો. CT value (બધાંને જાણવી હોય છે!) ૧૭ની આસપાસ હતી. ઓળખીતાઓની પાસેથી થોડાં ચિંતિત સૂચનો મળ્યાં. આટલા ટેસ્ટ કે સ્કૅન કરાવવાં જ જોઈએ વગેરે. પત્નીને મારી થોડી ચિંતા હતી. ૫૭ની ઉંમરે ઘણા જે માટે નિયમિત દવાઓ લેતા હોય છે, તે ક્રોનિક તકલીફો મને પણ છે. પણ હું દવાઓ લેવાને બદલે જીવનપદ્ધતિને થોડી સુધારી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરું છું. પણ આપણે કંઈ બાપુ નથી. ખાવાપીવાનો લોભ શોખ વધુ છે. સ્થિતિ આંશિક નિયંત્રણમાં રહે છે.

કોરોનામાં અચાનક આમ કે તેમ થઈ જાય એવો મોટો ખોફ ફેલાયેલો છે. Comorbidities બધા જાણે છે. CRP, D-Dimer, CT scan! અમુક દવાઓ તો લેવી જ જોઈએ, એવા અઢળક વૉટ્‌સએપ મૅસેજીસ! પણ મારી પૉલિસી નક્કી હતી. કોવિડ ઍક્યુટ ચેપ છે. થોડો વખત રહીને એની સાઈકલ પૂરી થાય એટલે વિદાય થશે. તાવ કે એવાં બીજાં લક્ષણો આપણામાં પ્રસ્થાપિત લાખો કરોડો વર્ષોથી કેળવાયેલી સંવેદનશીલ ઇમ્યુનિટીનો બચાવ-રિસ્પૉન્સ છે. તેની સાથે બિલકુલ અનિવાર્ય ન હોય ત્યાં સુધી છેડછાડ ન કરી શકાય.

મને નવ દિવસ સાધારણ (દરરોજ ૯૯થી ૧૦૧.૫ સુધી બદલાતો) અને પાંચ દિવસ ઓછો (૯૯થી ૧૦૦) તાવ રહ્યો. તાવ ઉતારવા એક પણ પેરસીટમોલ લીધી નથી. છઠ્ઠા દિવસથી મને થોડી ઉધરસ આવી. સાતમા-આઠમા દિવસથી ઉધરસ સાથે ગળફો (ખારો સ્વાદ) નીકળવાનો શરૂ થયો, જે તાવ ગયા પછી પણ થોડા દિવસ રહ્યું. એ માટે પણ કોઈ દવા લીધી નહીં. સતત એમ જ વાંચ્યું છે કે કોવિડમાં સૂકી ઉધરસ જ આવે છે. પણ મારા કેસમાં ગળફો કાઢવા માટે જ ઉધરસ આવી. ઇમ્યુનિટીને એની રીતે કામ કરવા દો, તો મોટે ભાગે દાખલો સાચો જ ગણે છે.

થોડી તકલીફ જરૂર થઈ. ત્રણચાર દિવસ કોઈ રીતે ઊંઘ આવે નહીં. દિવસે તો મટકું પણ ન મારી શકાય. બેએક (સાતમે-આઠમે) દિવસ ખાસી બેચેની લાગી. ભૂખ ઓછી થઈ. માંડ એક રોટલી કે ભાખરી કે થોડી ખીચડી ખાઈ શકાય. બેએક દિવસ (કદાચ સાતમો-આઠમો) મોઢાનો સ્વાદ ગયો. ભાખરી ખાતાં પૂઠું ચાવતા હોઈએ એવું લાગે. આ અનુભવ આટલો ખતરનાક હશે એ ખબર નહોતી. પણ એ બે દિવસ જ રહ્યું. મુખ્ય વાત એ છે કે તાવ ગયા પછી એક અઠવાડિયામાં બધું સામાન્ય થઈ ગયું.

દિવસમાં અમુક વાર શરીરનું તાપમાન અને ઑક્સિજન સેચ્યુરેશન (SPO2)  જોઈ લેતો હતો. Respiratory rate (RR) પણ સામાન્ય રેન્જમાં જ હતો. પણ આ વાઇરસના ખતરનાક ઇરાદાઓ વિશે એટલી હાઇપ જન્મી છે કે તાર્કિક સમજણ હોવા છતાં ચિંતા થાય કે આ જશે તો ખરો ને? કોઈ જોખમ તો પેદા નહીં થાય ને? સાલું રસી ન લઈને મૂર્ખામી તો નથી કરી ને? ભય એ તાર્કિક અને વૈજ્ઞાનિક સમજણની ઉપર પ્રવર્તે છે એ દેખાયું. ડેનિયલ કાયનેમાન!

દવા ન લો, પણ વિટામિન્સ કે બીજા સપ્લિમેન્ટ તો લો! કોઈ કાઢાઉકાળા તો પીઓ! કમ સે કમ અજમાલવિંગની પોટલી સૂંઘો, નાસ લો, ગરમ પાણીમાં લીંબુ નીચવીને પીઓ! કંઈક તો કરો! બધી સલાહોનો સાભાર અસ્વીકાર! હિતેચ્છુઓને થોડું માઠું લાગે છે, પણ સાચું કહું તો સક્રિય ચેપ વખતે આવું બધું શરીરમાં ઉમેરવું સલાહભર્યું નથી લાગતું.

આજકાલ ‘ઇમ્યુનિટી’ વિશેની આવકારદાયક સભાનતા એકદમ વધી છે. બધાને તાત્કાલિક કંઈ ખાઈને કે પીને ઇમ્યુનિટી વધારી દેવી છે. ગયા વર્ષથી વિવિધ વિટામિન્સ, મિનરલ્સ, અજમો, સૂંઠ, લવિંગ, વિવિધ કાઢા, લીંબુ વગેરે પર ભારે આક્રમણ થયું છે. ઘણા કસરત અને સાદા ખોરાક તરફ પણ વળ્યા છે. પણ ઇમ્યુનિટી તત્કાળ સુધારી કે boost કરી શકાય એવી સિસ્ટમ નથી.

અને શરીરમાં સક્રિય ચેપ હોય ત્યારે ઇમ્યુનિટી વધારવા ન બેસાય. કોવિડમાં મોટા ભાગની જીવલેણ સમસ્યાઓ ઇમ્યુનિટીની અતિ સક્રિયતાથી થઈ છે. નવા વાઇરસની હાજરીમાં શરીરનું Homeostasis સંવેદનશીલ હાઈ એલર્ટ પર સ્ટ્રેસમાં હોય છે. કાયમ જેની ટેવ હોય એવો સાદો ખોરાક અને આરામ સિવાય વધારાની વસ્તુઓ વધુ સંવેદનશીલ બનેલા Homeostasisમાં ભયજનક ખલેલ પાડી શકે. તો બધા કોવિડ પૉઝિટિવ લોકોને સરકાર તરફથી વિટામિન્સ, મિનરલ સપ્લિમેન્ટ, પેરસીટમોલ અને અન્ય દવાઓની એકસરખી કિટ કેમ વહેંચવામાં આવી? એનાથી કેટલા કેસ ખોટી રીતે બગડ્યા એનો કોઈની પાસે હિસાબ કે અભ્યાસ નથી.

‘તમારી હિંમત બહુ છે. વગર દવાએ કોરોનાને હરાવ્યો!’ કોઈ આમ કહે ત્યારે હું ત્રણ સુધારા કરું છું. એક, કોરોનાની આમે ય કોઈ દવા નથી. બીજું, મેં કોરોનાને હરાવ્યો કઈ રીતે? એ તો મસ્તીથી મને ગેસ્ટહાઉસ બનાવીને રહ્યો અને પૂરું આયુષ્ય ભોગવીને ગયો. મીયાંની મીંદડી થઈ બે અઠવાડિયાં ઘરમાં તો હું બેસી રહ્યો. મેં હાકોટા પડકારા કર્યા હોય કે મૂછે તાવ દીધા હોય એવું યાદ આવતું નથી. અને ત્રીજું, દવા ન લેવામાં મારી હિંમત નહીં પણ કાયરતા જવાબદાર છે. શરીરમાં નવો વાઇરસ સક્રિય બન્યો હોય, ત્યારે પૂર્વજો પાસેથી મળેલી અત્યંત સંવેદનશીલ અને બુદ્ધિમાન ઇમ્યુન સિસ્ટમ જે પ્રતિભાવ પેદા કરે, તેની સાથે બિનજરૂરી છેડછાડ કરવાની હિંમત હું બિલકુલ ધરાવતો નથી.

આ યુદ્ધની અવૈજ્ઞાનિક અને હાસ્યાસ્પદ પરિભાષાએ દાટ વાળ્યો છે. ‘કોરોના સામે જંગ’, ‘કોરોના વૉરિયર’! મેડિકલ પ્રોફેશન પણ અમુક અંશે આ પરિભાષાનો ભોગ બન્યો છે. ડૉક્ટરો અને તેમનાં પરિવારજનો વાઇરસના નામથી ડરેલાં દેખાય, ત્યારે સામાન્ય માણસોનું આતંકિત થવું સ્વાભાવિક છે. ભય અને આતંકમાં તાર્કિક રૅશનલ વિચાર પછડાયો છે. ઘણી બિનજરૂરી દોડાદોડ, દવાઓ અને ઇલાજના નામે અંધાધૂંધી થઈ છે. CT Scan, રેમડેસીવિર, હાઇડ્રૉક્સિક્લોરોક્વીન, આઇવરમેક્ટીન, પ્લાઝ્‌મા થેરાપી, પ્લાઝમા ડોનેશન કૅમ્પ! કદી બગડે નહીં એવા ઘણા કેસ એ રીતે બગડ્યા છે. ઘણા ડૉક્ટરોએ આ મહામારીમાં ભારણ હેઠળ અત્યંત ટાંચાં સાધનોથી પ્રશંશનીય કામ કર્યું છે. પણ સૌ પ્રથમ યુદ્ધની પરિભાષાનો વિરોધ કરી chill pill  મીડિયા, સરકાર અને લોકોને ગળાવવાની જરૂર હતી.

સ્વાનુભવથી હું જોઈ શક્યો છું કે કોવિડમાં ઇમ્યુનિટીએ તાવનો સમજણપૂર્વક વ્યૂહાત્મક ઉપયોગ કર્યો છે. તાવ જીવાણુને મારવા આવે છે, એ સૌથી સાદી સમજ છે. પણ તાવના એક કાંકરે શરીર કેટલાં પક્ષી મારે છે, એ ચોક્કસ કોઈ કહી શકે એમ નથી. કોવિડમાં blood-clottingની સમસ્યાઓ ઘણી થઈ. કદાચ hemodynamic stability જાળવવામાં તાવ મહત્ત્વની ભૂમિકા ભજવે. અને તાવ ફક્ત જીવાણુ-નિયંત્રણ કરતો હોય તો પણ તે ઉતારવાની દવા લેવામાં કયું ડહાપણ છે?

અસંખ્ય કેસમાં તાવ ઉતારવાની કોશિશથી જ સ્થિતિ બગડી છે. શક્ય હોય ત્યાં સુધી તાવ આવી જવા દેવાની સલાહ મેડિકલ પ્રોફેશન તરફથી મળવી જોઈતી હતી. પણ ઊલટાનું તાવ ઉપરાંત ખાંસી વગેરેની દવાઓ પણ આજની તારીખમાં ICMR/AIIMSની વેબસાઇટ પર ઘરે રહેલા દરદીઓ માટે symptomatic management માટે સૂચવાયેલી દેખાય છે. શરીરને પોતાના સંરક્ષણના ઉપાયો કરતાં રોકવાથી ચેપ વધુ ઊંડે ન જાય? Viral shedding અને એકથી બીજાને ચેપ લાગવાની શક્યતા ન વધે ? પણ આવા કોઈ અભ્યાસ થતા હોય એમ લાગતું નથી.

મોટા ભાગે મેડિકલ પ્રૅક્ટિસ લક્ષણોના મેનેજમેન્ટને જ પોતાનું કામ બનાવી બેઠી છે. અમુક સંજોગોમાં લક્ષણોને નિયંત્રિત કરવાં કે તેમને દબાવવાં ચોક્કસ જરૂરી હોય, પણ ઘણા ભાગે એમ કરવામાં જોખમ અને નુકસાન જ વધુ હોય છે. નવો વાઇરસ શરીરમાં આવે, ત્યારે બંનેને એકબીજાને નુકસાન કરવામાં કોઈ રસ હોતો નથી, પણ પોતપોતાને બચાવવા માટે વ્યૂહાત્મક બાજી જરૂર ગોઠવે છે. આ સંજોગોમાં તાવ શરીર માટે રામબાણ છે.

‘ડોલો’ એટલી પ્રખ્યાત થઇ કે ‘રેમડેસિવિર’ ફૅશનમાં આવી તે પહેલાં ઘણા લોકો ‘ડોલો’ને કોરોનાની મુખ્ય દવા માનતા હતા. ‘તાવ આવે તો કોરોના હોઈ શકે!’, પણ તાવ એ કોવિડ નથી. લોકો તાવથી ગભરાતા થઈ ગયા. દરેક મોટે દરવાજે થર્મલગન લઈ ચોકીદારો ગોઠવાઈ ગયા. એનાથી બચવા ઘણા લોકો પેરસીટમોલ લઈને કામ પર ગયા.

કદાચ લાખો કોવિડકેસ તાવ ઉતારવા માટે પેરસીટમોલના દુરુપયોગથી બગડ્યા હશે. એમાંના કેટલા ય અન્ય સગવડોની ઉપલબ્ધિને અભાવે રામશરણ થયા હશે. પેરસીટમોલ (કે તાવ ઉતારવાની અન્ય કોઈ દવા) ન મળતી હોત તો કેટલા બચ્યા હોત? એનો હિસાબ તમને કોઈ નહીં આપી શકે. જે થોડા ઘણા ડૉક્ટરોએ કોવિડમાં તાવ ઉતારવા સામે લાલબત્તી ધરી હોય તેમને હું સલામ કરું છું.

e.mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 12-13

Loading

17 July 2021 admin
← હૃદયસ્થ ડૉ. શાન્તિકુમાર પંડ્યા
જેવા સાથે તેવા થવું →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved