Opinion Magazine
Number of visits: 9446628
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંબેડકરનાં સન્માન, આંબેડકરનાં અવમાન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 June 2021

ભારતીય બંધારણના અનન્ય ઘડવૈયા અને દલિત મસીહા ડો. બાબાસાહેબ આંબેડકર વ્યક્તિપૂજાના સખત વિરોધી હતા. ૧૯૪૩માં સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડેના ૧૦૧મા જન્મમદિને આપેલ ‘રાનડે, ગાંધી અને જિન્હા’ વ્યાખ્યાનમાં તેમણે વ્યક્તિ અને વ્યક્તિપૂજા વિંશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પરંતુ આજે ભારતમાં સૌથી વધુ પ્રતિમાઓ ડો. આંબેડકરની જોવા મળે છે. બાબાસાહેબની જન્મજયંતી (૧૪મી એપ્રિલ) અને નિર્વાણ દિન(૬ઠ્ઠી ડિસેમ્બર)ના રોજ મહાનગરો, નગરો, કસબાઓ અને જાહેર ચોક-પાર્કમાં આવેલી તેમની પ્રતિમા અને અન્ય સ્મૃતિસ્થળોએ લાખો દલિતો એકઠા થાય છે. વ્યક્તિપૂજાના વિરોધી ડો. આંબેડકરની આ વ્યક્તિપૂજા છે એમ કહી તેની ટીકા કરનારા એ વાતે મૌન હોય છે કે દેશમાં કેમ સૌથી વધુ પ્રતિમાઓ પણ બાબાસાહેબની જ ખંડિત કરવામાં આવે છે?

ડો. બાબાસાહેબ આંબેડકરને તેમની હયાતીમાં જે માનના તેઓ હકદાર હતા તે પણ આપવામાં આવ્યું નહોતું. સંવિધાન નિર્માણના અદ્વિતીય કાર્ય માટે તેમને ‘આધુનિક મનુ’ તો ગણવામાં આવે છે. પરંતુ સંવિધાન સભામાં તેમના પ્રવેશના તમામ રસ્તા કૉન્ગ્રેસે બંધ કરી દીધા હતા, તે ભુલાવી દેવાય છે. પંડિત નહેરુના વડા પ્રધાન પદ હેઠળના કૉન્ગ્રેસના પ્રધાનમંડળમાં કૉન્ગ્રેસના આજીવન વિરોધી રહેલા વિપક્ષના નેતા ડો. આંબેડકરને સ્થાન આપવામાં આવ્યું હતું. જો કે બાબાસાહેબ જેને ‘વૃદ્ધ વકીલો માટેનું કેરમ બોર્ડ’ ગણતા તેવા કાયદા ખાતાના પ્રધાન તેમને બનાવાયા હતા. કાયદા મંત્રી તરીકે તેમણે બંધારણના કાર્ય જેટલું અગત્યનું કાર્ય હિંદુ કોડ બિલના ઘડતરનું કર્યું હતું. પરંતુ રૂઢિવાદીઓના વિરોધના કારણે તે બિલ પસાર ન થઈ શક્યું એટલે તેના વિરોધમાં બાબાસાહેબે પ્રધાનપદેથી રાજીનામું આપ્યું. એ સમયે કરેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું તેમ ભણતર અને અનુભવને યોગ્ય એવા, આયોજન, શ્રમ અને જાહેર બાંધકામ વિભાગના પ્રધાન તો તેમને ન બનાવ્યા. પણ વડા પ્રધાને કદી કોઈ પ્રધાનની ગેરહાજરીમાં તેના ખાતાનો ચાર્જ પણ આપ્યો નહોતો !

આઝાદી બાદના ત્રણેક દાયકા સુધી દેશમાં કૉન્ગ્રેસનું એક ચક્રી રાજ હતું. એ દરમિયાન કૉન્ગ્રેસના ત્રીજી હરોળના નેતાઓને પણ પદ્મશ્રી અને બીજાં નાગરિક સન્માનો આપવામાં આવ્યાં હતાં. પરંતુ ડો. આંબેડકરને બાકાત રાખવામાં આવ્યા હતા. ઇન્દિરાઈ કટોકટી પછીની, બીજી આઝાદીની, પહેલી બિનકૉન્ગ્રેસી સરકારે નહીં, પણ બહુજન રાજનીતિ બળવત્તર બની રહ્યાના અણસાર પછી, ૧૯૯૧માં, ડો. આંબેડકરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ મરણોત્તર આપવામાં આવ્યું હતું ! સંસદીય લોકશાહીના બાબાસાહેબ તરફ્દાર હતા. પરંતુ ચૂંટણી જીતીને તેઓ કદી લોકસભાના સભ્ય બની શક્યા નહીં. ૧૯૫૨ની પ્રથમ લોકસભા ચૂંટણી મુંબઈમાંથી અને ૧૯૫૪ની પેટાચૂંટણી ભંડારામાંથી તેઓ કૉન્ગ્રેસી ઉમેદવારો સામે હાર્યા હતા. આજે મુંબઈમાં સાડાચારસો ફૂટનું અને આંધ્ર પ્રદેશની નવી રાજધાની અમરાવતીમાં સવાસો ફૂટનું આંબેડકરનું પૂતળું મૂકવાની વાતો હવામાં છે, પણ સ્વાતંત્ર્યનાં ચાળીસ વરસો બાદ ૧૯૮૯માં સંસદના સેન્ટ્રલ હોલમાં તેમનું તૈલ ચિત્ર મૂકવામાં આવ્યું હતું.

અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના પીએચ.ડી ડો. આંબેડકરને, કોલંબિયા યુનિવર્સિંટીએ, ૨૦૦૪માં તેની સ્થાપનાના બસોમાં વરસની સ્મૃતિમાં, તેના સર્વશ્રેષ્ઠ સો વિધાર્થીઓની યાદી, ‘કોલંબિયન અહેડસ ઓફ ધેર ટાઈમ્સ’માં પ્રથમ સ્થાન આપી બહુમાન કર્યું હતું. તેમને આધુનિક ભારતના નિર્માતા તરીકે બિરદાવ્યા હતા. પરંતુ હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટી સિવાય દેશની એક પણ યુનિવર્સિટીએ બાબાસાહેબને પીએચ.ડી.નું માનદ્દ સન્માન આપ્યું નથી ! મહારાષ્ટ્રના શૈક્ષણિક પછાત મરાઠાવાડા વિસ્તારમાં બાબાસાહેબે જ સૌ પ્રથમ વખત ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સ્થાપી શિક્ષણની જ્યોત પ્રજવલિત કરી હતી, પરંતુ મરાઠાવાડાની શિક્ષણ શલ્યા જેમના સ્પર્શે અહલ્યા થઈ હતી તે આંબેડકરનું નામ ઔરંગાબાદની મરાઠાવાડા યુનિવર્સિટી સાથે જોડવામાં આવ્યું ત્યારે તેના વિરોધમાં આખા રાજ્યમાં હિંસક રમખાણો થયા હતા. લાંબાસમયની સમજાવટ પછી મરાઠાવાડા વિશ્વ વિધ્યાલયનો નામપલટો થઈ શક્યો હતો. આજે ભારતની ડઝનેક યુનિવર્સિટીઓ સાથે બાબાસાહેબનું નામ જોડી શકાયું છે. તે સન્માન આશ્વસ્ત કરે છે.

ડો. બાબાસાહેબ આંબેડકરની ઉપેક્ષા અને અવમાનનાં ભારતના સર્વ ક્ષેત્રોમાં થતી હતી. ગાંધીજીના જીવનમાંથી, ખાસ તો તેમના અસ્પૃશ્યોના પ્રશ્ને આલોચક રહેલા, આંબેડકરની  બાદબાકી થઈ શકે નહીં પરંતુ ગાંધીજીના જીવનને આલેખતી રિચર્ડ એટનબરોની બોલીવુડ ફિલ્મ ‘ગાંધી’માં આંબેડકરનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ૨૦૦૦ના વરસની જબ્બાર પટેલની આંબેડકર વિશેની ફિલ્મ સહિત આજે તો મરાઠી, તમિલ, કન્નડ અને હિંદી ભાષામાં આંબેડકર વિષયક ફિલ્મો અને  ટી.વી. ધારાવાહિકો બની છે. પરંતુ દલિત કેન્દ્રી હિંદી ફિલ્મોની પૃષ્ઠભૂમાં પણ આંબેડકરની છબી ન દેખાડવા જેટલી તેમના પ્રત્યેની આભડછેટ બોલીવુડે વરસો સુધી પાળી હતી. હિંદી ફિલ્મોના અભ્યાસીઓના મત મુજબ શાયદ પહેલીવાર ૧૯૮૫માં જે. ઓમ પ્રકાશ દિગ્દર્શિત હિંદી ફિલ્મ ‘આખિર ક્યોં?’ના બ્રેકગ્રાઉન્ડમાં આંબેડકરની તસવીર  દેખાઈ હતી.

દલિત રાજનીતિના જનક બાબાસાહેબ આંબેડકરના ભૌતિક વારસાની ઝૂંટાઝૂંટ હવે કેન્દ્ર અને રાજ્યોની સરકારો દલિત વોટ બેન્કને રાજી રાખવા કરી રહી છે. ૨૦૦૩માં મધ્ય પ્રદેશની કૉન્ગ્રેસી સરકારે  ઈન્દોર જિલ્લાના  આંબેડકર જન્મ સ્થળ મહુ( મિલિટરી હેડ ક્વાર્ટસ ઓફ વોર)નું નામ બદલીને આંબેડકરનગર કર્યું હતું. તો હાલની કેન્દ્રની ભા.જ.પા. સરકારે તેના તાબામાં આવતા મહુના રેલવે સ્ટેશનનું નામ આંબેડકરનગર કરી દીધું છે. રામનામને વરેલી ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના તમામ સરકારી રેકર્ડ અને શાળાના પાઠયપુસ્તકોમાં બાબાસાહેબનું નામ ‘ભીમરાવ રામજી આંબેડકર’ જ લખવાનો આદેશ કર્યો છે. છત્તીસગઢની હાલની કૉન્ગ્રેસ સરકારે અગાઉની બી.જે.પી. સરકારની પંડિત દિનદયાલ સર્વસમાજ માંગલિક ભવન યોજનાના નામમાંથી દિનદયાલનું નામ કાઢીને આંબેડકરનું નામ જોડી દીધું છે.

ગુજરાત સરકારે સમાજ કલ્યાણ ખાતાની સઘળી સરકારી યોજનાઓ સાથે માત્ર બાબાસાહેબનું જ નહીં તેમના આખા કુંટુબના સભ્યોનાં નામો જોડી દીધાં છે. પરંતુ જે આંબેડકરના ત્રિમંત્રમાં પહેલું સ્થાન શિક્ષણનું છે, તેમનું નામ રાજ્યની રાજધાની ગાંધીનગરની એકેય સરકારી શાળા સાથે ન જોડવાની કાળજી લીધી છે. ગુજરાતની બી.જે.પી. સરકારના મહિલા શિક્ષણ મંત્રીએ રાજ્યના પાટનગર ગાંધીનગરની સરકારી શાળાનાં નવા નામકરણ કર્યા ત્યારે પાટનગર સાથે ગાંધીજીનું અને સચિવાલય સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું હોવા છતાં તેમના નામ સરકારી શાળાઓ સાથે જોડ્યા છે. અરે ગાંધીનગરમાં રાણા પ્રતાપના નામની સરકારી શાળા છે પણ આંબેડકરના નામની નથી ! મહિલા શિક્ષણ મંત્રીના અનુગામી દલિત શિક્ષણ મંત્રી પણ તેમાં કોઈ સુધારો કરી શક્યા નહીં. ગુજરાતમાં કામધેનુ યુનિવર્સિટી છે પણ સામાજિક ન્યાય યુનિવર્સિટી નથી !

ગાંધીનગરના જાહેર માર્ગો સાથે ઇન્દિરા ગાંધી અને વિવેકાનંદનું નામ છે (કૉન્ગ્રેસ-ભા.જ.પ.નું સહિયારું !) પણ આંબેડકરના નામનો જાહેર નહીં આંતરિક માર્ગ પણ નથી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે તા. ૨૧-૧૦-૧૯૯૨ના ઠરાવથી સરકારી કચેરીઓ, મકાનો, શાળાઓ કે પોલીસ થાણામાં ક્યા રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શિત કરવી તેનો હુકમ કરતી યાદી નક્કી કરી હતી. તેમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલનાં નામો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થઈ ત્યારે, ૨૮-૦૬-૧૯૯૬ના ઠરાવથી ત્રણ રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં બી.જે.પી.ની રાજકીય વિચારધારાને અનુરૂપ ભારત માતા, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીનાં નામો ઉમેર્યા હતા. પરંતુ રાષ્ટ્રીય નેતાઓની આ યાદીમાં ડો. આંબેડકરનું નામ ઉમેરવાની દલિતોની માંગણી સરકારે લેખિતમાં નકારી છે. દલિત કર્મશીલ કિરીટ રાઠોડ જોગના સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૧-૦૧-૨૦૨૧ના પત્રમાં જણાવ્યું છે કે, ‘સરકારશ્રી દ્વારા સક્રિય વિચારણાના અંતે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શિત કરવા અંગેની પ્રવર્તમાન સૂચનાઓ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવેલ હોઈ આપની રજૂઆત (ડો. આંબેડકરને રાષ્ટ્રીય નેતા ગણવા) ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.’

ડો. આંબેડકર એટલે માત્ર પૂતળાં, સ્મારકો, છબીઓ, જય ભીમના નારા અને નવા જમાનાની ભીમ એપ નહીં. પરંતુ આંબેડકર એટલે સમાનતા અને ભાઈચારાની વિચારધારા. આભડછેટનું જ નહીં જ્ઞાતિનું નિર્મૂલન, ભૂમિસુધાર, જાહેર સેવાઓનું રાષ્ટ્રીયકરણ, સાર્વજનિક, મફત,  ગુણવતાયુક્ત શિક્ષણ અને આરોગ્ય, આત્મસન્માન સાથેનું જીવન એ આંબેડકર વિચારના થોડા પ્રાણતત્ત્વો ગણાવી શકાય. પરંતુ રાજકીય પક્ષો જ નહીં બહુમતી દલિતો પણ તેમના આ વૈચારિક વારસાના લેવાલ નથી. બાબાસાહેબના આસાન ભૌતિક વારસાની લૂંટાલૂંટ અને તેમના તેજસ્વી પણ અમલમાં અઘરા વિચારવારસાથી દૂર રહેવાનું વલણ તે ખરું ભીમરુદન છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

5 June 2021 admin
← ‘નળથી જળ’ માટે જળ ક્યાં ?
ચલ મન મુંબઈ નગરી—98 →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved