Opinion Magazine
Number of visits: 9446648
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—90

દીપક મહેતા|Opinion - Opinion|10 April 2021

મુંબઈની ધરતી પર પોલીસદાદાએ પહેલી વાર પગ ક્યારે મૂક્યો?

ભગવાન શંકરના પરસેવામાંથી પેદા થઈ ભંડારી જમાત

અંગ્રેજ કંપની સરકાર સામે અંગ્રેજ સૈનિકોનો બળવો 

કરફ્યુ હોય કે લોકડાઉન હોય, મુંબઈના રસ્તા પર એક જણ તો જોવા મળે જ. એક જમાનામાં માથે પાઘડી પહેરતો, પછી પીળી ટોપી પહેરતો. હવે ડાર્ક બ્લુ રંગ પર પીળી પટ્ટીવાળી કેપ પહેરે છે. હા, આજકાલ ખોટા કારણે રોજ છાપામાં પહેલે પાને ચમકે છે. એનું નામ મુંબઈ પોલીસ. પણ મુંબઈની ધરતી પર આ પોલીસદાદાએ પહેલી વાર પગ મૂક્યો ક્યારે? મુંબઈ પોર્ટુગીઝોના તાબામાં હતું ત્યાં સુધી તો મુંબઈમાં પોલીસનું નામનિશાન હોવાનું જાણવા મળતું નથી. શરૂઆતમાં તો અંગ્રેજો પણ આ રીતે જ વર્તતા. સુરતમાં બેઠેલા ગવર્નરને મુંબઈની સલામતીમાં કેટલો રસ હોય? શા માટે હોય?

મુંબઈનો સ્વપ્નદૃષ્ટા ઓન્જિયાર

પણ જેરાલ્ડ ઓન્જિયાર જૂદી માટીનો માનવી હતો. એવણ મુંબઈના બીજા ગવર્નર. ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે મુંબઈના ગવર્નર બન્યા. ૧૬૭૭ના જૂનની ૩૦મીએ સુરતમાં અવસાન થયું ત્યાં સુધી એ પદે રહ્યા. તે વખતના બીજા ગવર્નરોની જેમ તેઓ પણ સુરતની ‘ફેક્ટરી’(આ શબ્દ એ વખતે ઓફિસના અર્થમાં વપરાતો હતો)ના પ્રમુખ અને મુંબઈના ગવર્નરનો બેવડો હોદ્દો ધરાવતા હતા. એટલે તેઓ અવારનવાર સુરતથી મુંબઈ આવતા અને સારો એવો વખત રોકાતા. મુંબઈ તો કાદવકીચડમાં ઢબુરાયેલી સોનાની લગડી છે એ વાત સૌથી પહેલી તેમના ધ્યાનમાં આવી. તેમણે કહેલું કે ઈશ્વરના આશીર્વાદથી મુંબઈ તો એક મહાન નગર થવા સર્જાયું છે. આવા માણસને આપણે સ્વપ્નદૃષ્ટા ન કહીએ તો કોને કહીએ?

શિવરીનો કિલ્લો

મુંબઈની મુલાકાતો દરમ્યાન એ વાત એમના ધ્યાનમાં આવી કે અહીં લોકોના જાનમાલની સલામતી માટે કશી જ વ્યવસ્થા નથી. વળી એ વખતે ડચ, પોર્ટુગીઝ, મોગલો, સીદી, અને મરાઠાનાં આક્રમણનો ભય સતત રહેતો હતો. એટલે ઓન્જિયારે માહિમ, સિવરી, શિવ (સાયન) અને બીજાં કેટલાંક સ્થળોએ સૂબેદારોની અને તેમના હાથ નીચે સિપાઈઓની નિમણૂક કરી. હા, તેમની કામગીરી આજની પોલીસ કરતાં હોમ ગાર્ડઝ જેવી વધુ હતી. તેમનું મુખ્ય કામ કંપની સરકારનું જે લશ્કર મુંબઈમાં હતું તેને મદદ કરવાનું હતું. પણ તે ઉપરાંત ચોરી-ચપાટી જેવા ગૂનાઓને કાબૂમાં રાખવાનું કામ પણ તેમને સોંપવામાં આવેલું. રોજ રાતે પોતપોતાના વિસ્તારમાં ફરીને આ પોલીસ ચોકીપહેરો ભરતી. આ દળમાં ભંડારીઓની સંખ્યા મોટી હતી. કારણ તેઓ કંપની સરકારને વફાદાર હોય છે એમ ગવર્નર માનતા હતા. કોળીઓની જેમ આ ભંડારીઓ પણ મુંબઈના સૌથી જૂના વતનીઓ.

ભંડારી જમાત વિશેની પુરાણકથા

ભંડારીઓ સાથે એક પુરાણકથા પણ સંકળાયેલી છે. પંડિત મહાદેવશાસ્ત્રી જોશીએ આ કથા નોંધી છે. તિલકાસુર નામનો એક રાક્ષસ કાળો કેર વર્તાવતો હતો. એટલે ભગવાન શંકરે તેને બળદ-ઘાણીમાં પીલાવા નાખ્યો અને નંદીને એ ઘાણી ચલાવવા કહ્યું. પણ એ મહાકાય રાક્ષસ સાથેની ઘાણી ફેરવતાં નંદીને ખૂબ ત્રાસ થતો હતો. એ જોઈને શંકરને કપાળે પરસેવો વળી ગયો. શંકરના કપાળ પરના પરસેવાના ધર્મબિંદુમાંથી એક પુરુષ પેદા થયો. એ પુરુષ તે ભંડારી જમાતનો આદિપુરુષ. શંકરે તેનું નામ પાડ્યું ‘ભાવગુણ.’ પણ પછી તેની ભક્તિની પરીક્ષા કરવા પોતાની લીલા વડે શંકરે નાળિયેરનું એક ઝાડ ઊભું કર્યું, અને ભાવગુણને તેનાં ફળ તોડીને લાવવા કહ્યું. તે તો આંખના પલકારામાં ઝાડ પર ચડી નાળિયેર લઈ આવ્યો. તેનું પાણી પીને શંકર તૃપ્ત થયા એટલે તેમણે ભાવગુણની નિમણૂક અલકા નગરીના ભંડારના અધિકારી તરીકે, એટલે કે ભંડારી તરીકે કરી. ત્યારથી ભાવગુણના વંશજો ભંડારી કહેવાયા. પણ સાથોસાથ નાળિયેરી, તાડ અને તેના જેવાં બીજાં ઝાડ સાથેનો તેમનો સંબંધ કાયમ રહ્યો. એટલે આ સમાજના ઘણા લોકો તાડી બનાવવાના ધંધામાં પડ્યા. તેઓ મૂળ ક્ષત્રિય જાતિના, એટલે બહાદુર અને માલિક કે રાજાને વફાદાર. તો બીજા કેટલાક ભંડારી ફળ-ફૂલના બગીચા તરફ વળ્યા. મુંબઈમાં પણ તેમણે આંબા, નાળિયેરી, તાડ, ફણસ, સોપારી, વગેરેની વાડીઓ ઠેર ઠેર બનાવેલી. ખેર, ઓન્જિયારના અવસાન સમયે મુંબઈના ‘પોલીસ’ની સંખ્યા ૫૦૦થી ૬૦૦ જેટલી હતી. એ બધાની મુંબઈમાં જમીન હતી. હકીકતમાં સરકારે દરેક જમીનદાર માટે પોલીસમાં કામ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. જો કે બ્રાહ્મણ અને વાણિયા જમીનદારોને તેમાંથી મુક્તિ આપેલી. પણ તેના બદલામાં તેમણે સરકારને સારી એવી રકમ ચૂકવવી પડતી, જેનો ઉપયોગ સરકાર ભંડારી પોલીસોને પગાર આપવામાં કરતી.

મુંબઈના પહેલા પોલીસ

૧૬૮૧થી ૧૬૯૦ સુધી જોન ચાઇલ્ડ મુંબઈના ગવર્નર હતા, જરા નરમ સ્વભાવના હતા. લંડનમાં બેઠેલા માલિકોને હા જી, હા કરવામાં માનતા. એ વખતે લંડનથી કંપનીના ડાયરેકટરોએ તેમને ફતવો મોકલ્યો કે મુંબઈમાં આ ભંડારી પોલીસ દળની કશી જરૂર નથી, માટે તેને વિખેરી નાખો. હવે બન્યું એવું કે એ જ વખતે એક બાજુથી છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ પર હુમલો કરશે એવી દહેશત ફેલાઈ હતી, અને બીજી બાજુથી સીદીઓ કંપનીની સત્તાને પડકારી રહ્યા હતા. એટલે જોન ચાઈલ્ડે નક્કી કર્યું કે પોલીસ દળ વિખેરી નાખવું નહિ. પણ સાથોસાથ એ વખતના સંજોગો સમજાવતો લાંબો કાગળ તેમણે લંડન મોકલ્યો. બીજે વરસે ડિરેક્ટરોએ ફતવો તો પાછો ખેંચી લીધો. પણ સાથોસાથ લશ્કરનાં પગાર અને સગવડોમાં ધરખમ ઘટાડો કરવા જણાવ્યું.

તાડી વેચતો ભંડારી

ઓન્જિયાર ગવર્નર હતા ત્યારે પણ મુંબઈના કંપની સરકારના લશ્કરમાં પગારને મુદ્દે અસંતોષ પ્રવર્તતો હતો. કેટલાક અંગ્રેજ સૈનિકોએ ભેગા મળીને બળવો કરવાનું કાવતરું રચ્યું. પણ ઓન્જિયારને આ વાતની ગંધ આવી ગઈ. એ બળવાખોર ટોળીના નેતા કોર્પોરલ ફેકને પકડીને તેના પર લશ્કરી અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું અને ૧૬૭૪ના ઓક્ટોબરની ૨૧મી તારીખે તેને જાહેરમાં ગોળી મારીને દેહાંત દંડની સજા અપાઈ. અંગ્રેજી અમલ દરમ્યાન મુંબઈમાં અપાયેલી આ પહેલવહેલી ફાંસીની સજા. પણ ઓન્જિયારના ગયા પછી પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી ગઈ. પોતાના સૈનિકો અને નાવિકોને કંપની સરકાર ન તો પૂરો પગાર આપતી, ન તો ખાસ કોઈ સગવડ.

અંગ્રેજ સૈનિકોનો બળવો

ફરી એક વાર સૈનિકો અને નાવિકોમાં બળવો કરવાનું કાવતરું કંપની સરકારના જ એક વહાણ પર છાને ખૂણે ઘડાયું. ૧૬૮૩ના ડિસેમ્બરની ૨૭મી તારીખે હતો સેન્ટ જોન્સ ડે. જોન ચર્ચ નામના પાદરી સવારે સાતેક વાગ્યે પ્રાર્થના માટે દેવળમાં ગયા. રોજ સવારે, લગભગ આ જ સમયે કોટ કહેતાં ફોર્ટના દરવાજા પરના રક્ષકોની ટુકડી બદલાય. રાતે પહેરો ભરનારી ટુકડી જાય, અને નવી ટુકડી તેની જગ્યા લે. એટલે ટુકડીઓની આ ફેરબદલી થાય ત્યાં સુધી પાદરીએ પ્રાર્થના રોકી રાખી. થોડી વારમાં કેપ્ટન રિચાર્ડ કેગ્વિનની સરદારી નીચે ખલાસીઓની એક મોટી ટુકડી આવી પહોંચી. તેમની પાછળ હેન્રી ફ્લેચર અને જોન થોર્બન પણ ટુકડીઓ સાથે આવ્યા. જેવી ત્રણે ટુકડી ફોર્ટની અંદર આવી ગઈ કે તરત જ જોન થોર્બને ગ્રેટ બ્રિટનના રાજવીની દુહાઈ આપીને ફોર્ટના બધા દરવાજા બંધ કરી દેવાનો સૈનિકોને હુકમ આપ્યો. પછી ત્રણે ટુકડીના સૈનિકોને થોર્બને ટૂંકું ભાષણ આપ્યું. અને કંપની સરકાર સામે – ગ્રેટ બ્રિટનના તાજ સામે નહિ – બળવાનું એલાન કર્યું. પછી લશ્કરની ત્રણે ટુકડી ખુલ્લી તલવારે મુંબઈના ગવર્નર જોન ચાઇલ્ડના આવાસે પહોંચી. એ વખતે તેઓશ્રી હજી મીઠી નિંદર માણી રહ્યા હતા. તેમને જગાડ્યા અને બળવાની ખબર આપી. પછી કહ્યું કે આ કિલ્લો અને મુંબઈનો ટાપુ અમે ગ્રેટ બ્રિટનના તાજ વતી કબજે કર્યો છે. ગવર્નર ગભરાયા. કહે કે તમારી જે ફરિયાદો અને માગણીઓ હોય તે મને કહો. એ દૂર કરવા હું બનતું કરીશ. તેમણે બારીની બહાર નજર નાખી તો આ બળવાના સૂત્રધાર કેગ્વિનને ઊભેલો જોયો. બૂમ પાડીને તેને બોલાવ્યો. પણ કશો જવાબ આપવાને બદલે કેગ્વિને સિપાઈઓને કહ્યું કે પેલા બંદીવાનને નીચે લઈ આવો. થોડી આનાકાની પછી ગવર્નર નીચે આવ્યા એટલે કેટલાક સૈનિકો તેમને કિલ્લાના કોઠારની એક અંધારી કોટડીમાં લઈ ગયા, અને બંદીવાન બનાવ્યા. એટલું જ નહિ, સૈનિકોને નવા ગવર્નરની નિમણૂંક કરવા જણાવ્યું. ત્યારે સૈનિકોએ એકી અવાજે કેગ્વિનનું નામ પોકાર્યું. ૨૭ ડિસેમ્બર ૧૬૮૩થી ૧૯ નવેમ્બર, ૧૬૮૪ સુધી રિચર્ડ કેગ્વિન મુંબઈના બિનસત્તાવાર ગવર્નર રહ્યા.

ગવર્નર જોન ચાઈલ્ડ

કંપની સરકારના કારભારથી ત્રાસેલા મુંબઈના ઘણા લોકોએ અને ઓન્જિયારે સ્થાપેલા ભંડારી પોલીસદળના સૈનિકોએ પણ આ બળવાને ટેકો આપ્યો અને કેગ્વિનને ગવર્નર તરીકે માન આપ્યું. લગભગ એક વરસ પછી બ્રિટનના રાજાએ નૌકાદળના કમાન્ડર સર થોમસ ગ્રેન્થમને કેગ્વિન સાથે વાટાઘાટ કરવા મુંબઈ મોકલ્યા. તેમણે બળવામાં સંડોવાયેલા દરેકને તાજ તરફથી માફી આપી. લગભગ એક વરસ સુધી કેગ્વિને ગવર્નર તરીકે પગારની જે રકમ લીધી હતી તે પાછી ન લેવાનું ઠરાવ્યું. અને કેગ્વિનને તેઓ પોતાની સાથે ગ્રેટ બ્રિટન પાછા લઈ ગયા, માનભેર! લશ્કરમાં જૂદા જૂદા હોદ્દા ભોગવ્યા પછી સેન્ટ કિટ્સની લડાઈમાં ૧૬૯૦ના જૂનની ૨૧મી તારીખે કેગ્વિનનું અવસાન થયું.

બ્રિટિશ સરકારની એક વિશિષ્ટતા હતી આખા દેશ માટે સમાન કાયદાકાનૂન. ૧૭૯૩ના ૩૩મા કાયદા દ્વારા કલકત્તા, મદ્રાસ અને મુંબઈ ત્રણે ઇલાકા માટે સમાન પોલીસતંત્ર ગોઠવાયું. દરેક ઇલાકામાં ગવર્નરના વડપણ હેઠળ ‘કમિશન ઓફ ધ પીસ’ નીમવામાં આવ્યું. આ કમિશનને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની નિમણૂક કરવાની સત્તા અપાઈ. મુંબઈમાં આ જગ્યા પર સાઈમન હાલીડેની નિમણૂક થઈ. મુંબઈના આ પહેલા સુપ્રિન્ટેન્ડન્ટના શાસન દરમ્યાન મુંબઈ પોલીસે કેવી અને કેટલી પ્રગતિ કરી તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 ઍપ્રિલ 2021

Loading

10 April 2021 admin
← પત્રકારત્વની દશા અને દિશા [બહુઆયામી માધ્યમો − સ્વતંત્રતા, સ્વચ્છંદતા, સંમોહન અને દમન]
હિંદુઓનાં હિંદુ સંતાનો શક્તિશાળી બનવાં જોઈએ કે માથાભારે ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved