Opinion Magazine
Number of visits: 9460338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આપણો પ્રાણવંતો પૂર્વજ’ – કવિ નર્મદ

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|24 August 2020

'આ મારી પાસે શસ્ત્ર છે જે શબ્દ નામનું,

છે શબ્દ ચક્ર કૃષ્ણનું ને બાણ રામનું.'

ક્રાંતિકારી કવિ અને સમાજ સુધારક નર્મદને માટે અમૃત 'ઘાયલ'ના આ શબ્દો યથાયોગ્ય છે. કેમ કે નર્મદનો તેજે ઘડાયેલો શબ્દ કૃષ્ણના સુદર્શન અને રામના કોદંડ સમાન છે. એ નર્મદના જ શબ્દો હતા જેણે ગુજરાતી સાહિત્યની કાવ્યનૌકાનું સુકાન બદલી નાખ્યું . ગુજરાતી સાહિત્યને અર્વાચીનતાનો અરુણોદય બતાવનાર નર્મદ સાચેજ એના સાહિત્યિક અને સામાજિક પ્રદાનને કારણે નવયુગનો પ્રહરી કહેવાયો.

કવિ સુન્દરમ્ જેને 'આપણો પ્રાણવંતો પૂર્વજ ' કહે છે, એના જીવન સંઘર્ષ પર એક નજર નાંખીએ તો – નર્મદનો જન્મ ૨૪મી ઓગસ્ટે સુરતમાં પિતા લાલશંકર દવે અને માતા નવદુર્ગાના સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં થયો. બાળક નર્મદાશંકર બાલ્યાવસ્થામાં શરમાળ પ્રકૃતિનો, વહેમી અને ભીરુ હતો. પોતાની આત્મકથામાં આ અંગે નિખાલસ કબૂલાત કરતાં તે કહે છે – 'ન્હાનપણમાં મારી તબિયત ધિંગા મસ્તીવાળી તોફાની નહિ ,પણ ઠાવકી … …મા બાપ  સિવાય કોઈને દેખું કે શરમાઈ ખુણામાં અથવા માની સ્હોડમાં ભરાઈ જતો; બ્હિકણ પણ હતો' (પૃ. ૨૩ મા.હ.) આવી પ્રકૃતિનો બાળક યુવાન થતાં ઊર્મિલ પ્રકૃતિનો થયો. કોઈ પણ પ્રકારના કાર્ય માટે એ ઉત્સાહથી ઝંપલાવતો પછી એ પ્રેમની બાબત હોય કે સંસાર સુધારાની. તેનું વ્યક્તિત્વ રંગીલું છતાં તેજસ્વી અને સત્યનિષ્ઠ હતું. તેનું સમગ્ર જીવન એક સંગ્રામરૂપે વ્યતીત થયું. ત્રેપન વર્ષના ટૂંકા આયુષ્યકાળમાં નર્મદ વીર કાવ્યનો નાયક બની રહ્યો.

બહુમુખી પ્રતિભાના સ્વામી નર્મદને એણે કરેલા પ્રદાનને કારણે ક.મા. મુનશીએ 'અર્વાચીનોમાં આદ્ય' કહ્યો છે. સાહિત્યક્ષેત્રે સ્વરૂપ અને વિષયને સંદર્ભે તે નવપ્રસ્થાનકાર હતો તો સામાજિકક્ષેત્રે ક્રાંતિકારી સુધારક. નર્મદ સુધારાની બાબતમાં અંતિમવાદી (Extremist) હતો. સંસારસુધારો તેની સાહિત્યિક પ્રવૃત્તિઓનું ચાલકબળ હતું. સ્ત્રી કેળવણી અને સ્ત્રી ઉદ્ધાર માટે જીવન સમર્પિત કરનાર નર્મદ વિધવા પુનઃવિવાહ માટે વૈષ્ણવ ધર્માચાર્ય જદુનાથ મહારાજ સામે એલાને જંગ કરતાં કહે છે કે – 'લ્યુથરે તો એમ કહ્યું હતું કે મોહોલના જેટલાં નળિયાં છે. તેટલાં મારા દુશ્મન હશે તો પણ હું મારો મત કદી છોડવાનો નથી, પણ હું તો કહું છું કે તે નળિયાં ભાંગ્યાથી ન્હાની ન્હાની જે કકડીઓ થાય તેટલા મારા દુશ્મનો હશે તો પણ હું મહારાજની દરકાર રાખવાનો નથી'. (પૃ. ૬૨) નર્મદે જીવના જોખમે જદુનાથના કાળાકર્મો ઉઘાડાં પાડ્યા હતા. ધાર્મિક અંધશ્રદ્ધા, અત્યાચાર અને કુરિવાજો સામેની લડાઈમાં તેણે 'દાંડિયો' પાક્ષિકનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો. 'દાંડિયા'ના લખાણને તે ઇંગ્લેંડના સામયિક 'સ્પેકટેટર' જેવું બનાવવાની ઈચ્છા રાખતો હતો. લોકજાગૃતિ અર્થે સમાચારપત્રનો આવો ઉપયોગ કરનાર નર્મદ જેવા નીડર પત્રકારોની આજે તાતી જરૂરિયાત છે. નર્મદે પોતાના સમયની દરેક સુધારક પ્રવૃત્તિમાં સક્રિય ભાગીદારી નોંધાવી.

મધ્યકાલીન કવિ ધીરાની પદ રચનાઓથી પ્રભાવિત થઇ સર્જનક્ષેત્રે પદાર્પણ કરનાર નર્મદમાં દલપતરામને સાંભળ્યા પછી કવિયશ પ્રાપ્ત કરવાની આકાંક્ષા જાગી. નર્મદ જે કાર્ય માટે નિશ્ચય કરતા તેને પ્રાપ્ત કરવા અતિ ઉત્સાહ અને ખંતથી લાગ્યા રહેતા. તેણે કવિ, વિદ્વાન થવાનું નક્કી કર્યું તો તેને માટે સખત મહેનત કરી પિંગળ અને શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો એટલું જ નહિ પણ જે કંઈ અભ્યાસ થાય તે ઉપર પુસ્તક લખી પ્રસિદ્ધ કરવું એવી નેમ પણ તેમણે રાખી, જેને કારણે ગુજરાતી ભાષાને પિંગળ, શબ્દાલંકાર, અર્થાલંકાર અને નાયિકાભેદ જેવાં પુસ્તકો પ્રથમ વાર મળ્યાં. નર્મદના વ્યક્તિત્વની આ લાક્ષણિકતા આજના કોઈ પણ અભ્યાસી માટે પ્રેરણારૂપ છે.

'પોતે કવિ થવા માટે જન્મ્યો છે' એમ માનનાર નર્મદ કવિતાને પોતાના જીવનની  જડીબુટ્ટી ગણે છે. સાહિત્ય પ્રત્યેના લગાવને કારણે જ નોકરી છોડી નર્મદ 'હવે હું તારે ખોળે છું' કહી કલમને ખોળે માથું મૂકે છે. તેની સાહિત્યપ્રીતિ આ શબ્દોમાં વ્યક્ત થઈ છે. – ‘ભણવું, કમાવું, માન મેળવવું, બૈરી કરવી એ સહુ આનંદને માટે છે ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે, તારે હું તો એ જ કામ કરીશ'.

ઈ.સ. ૧૮૫૫થી નર્મદ કાવ્યક્ષેત્રે પદાર્પણ કરે છે. મધ્યકાલીન પરંપરામાં ચાલતી ગુજરાતી કવિતામાં સ્વરૂપ અને વિષય સંદર્ભે નર્મદે નવપ્રસ્થાન કર્યું. મધ્યકાલીન પદ્યના સાહિત્ય સ્વરૂપો અને ધર્મકેન્દ્રી વિષયો છોડી Lyric પ્રકારનાં ઊર્મિકાવ્યોનું સર્જન કર્યું. નર્મદની કવિતાની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો પ્રકૃતિવર્ણન, માનવપ્રેમ, જોસ્સો અને સ્વદેશપ્રેમ છે. અંગ્રેજી સાહિત્ય અને વર્ડઝવર્થના પ્રકૃતિવર્ણનોથી નર્મદ પ્રભાવિત છે. ગુજરાતી કવિતામાં અર્વાચીનતાનો અરુણોદય પોકારનાર વૈતાલિક નર્મદના પ્રકૃતિ કાવ્યો પાછળ તેના અંતરની વેદના છે. 'નર્મદ પ્રકૃતિથી જ  દરદી હતો, ઘાયલ હતો ચિત્તના સંતાપો વિસરવા તે પ્રકૃતિનો વિસામો શોધતો' તેનું આ કાવ્ય જુઓ –

               – 'મૈત્રી મારે કુદરત તણી, લેણાદેણી મારે ઘણી;
                   કુદરત મારી છે માશૂક, એથી પૂરું પામું સુખ,
                  બહું ગભરાઉં દુનિયા થકી, એકાંતે જઈ બેસું નકી
                  કુદરત કેરો કરું વિચાર, વિસરી જાઉં દુઃખને યાર'.

'ઋતુવર્ણન' નર્મદનું  નોંધપાત્ર  પ્રકૃતિકાવ્ય છે. વિવિધ ઋતુઓના વર્ણનની સાથે રોમેન્ટિક પ્રણય વર્ણન તે આ કાવ્યમાં કરે છે.  'કબીરવડ' કવિની ઉત્તમ પ્રકારની પ્રકૃતિ કવિતા છે.

                   – 'ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમસે પહાડ સરખો,
                      નદી વચ્ચે ઊભો, નિરભયપણે એક સરખો'.   

કબીરવડને એક હારેલા યોદ્ધા સાથે સરખાવવાની કલ્પના નર્મદ જેવા વીર કવિને જ આવી શકે. કબીર વડની વડવાઈઓ જોઈને નર્મદે પ્રયોજેલ ઉત્પ્રેક્ષા અદ્દભુત છે. જુઓ –

                  – 'જટાની શોભાથી અતીશ શરમાઈ શિવ ઉઠ્યા;
                     જટાને સંકેલી, વડ તજી ગિરિએ  જઈ રહ્યા.'  

ગુજરાતીમાં પ્રકૃતિની પરલક્ષી કવિતા કરનાર નર્મદ આપણો પ્રથમ કવિ છે.

પ્રણય વિષયક કવિતા. – નર્મદની આત્મકથા ' મારી હકીકત' અને નવલરામે લખેલ 'નર્મદ ચરિત્ર'ને આધારે એટલું તો સ્પષ્ટ છે કે નર્મદને સ્ત્રીઓ પ્રત્યે અતિશય આકર્ષણ હતું, પ્રેમ વ્યવહારમાં તે અસંયમી હતો, અનેક સ્ત્રીઓ સાથેના પ્રેમ સંબંધોમાંથી પ્રગટેલો વિલક્ષણ પ્રેમ એના પ્રણય વિષયક કાવ્યોનું ચાલકબળ છે. ઉદાહરણ તરીકે  –

                    – 'સજન નેહ નિભાવવો ઘણો દોહ્યલો યાર
                       તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્ર પર ધાર'

સંસારિક પ્રેમના આત્મલક્ષી ઊર્મિકાવ્યોમાં નર્મદ મોકળે મને માનવપ્રેમને ગાય છે.

                     – 'સલામ રે દિલદાર યારની કબૂલ કરજે;
                        રાખિશ માં દરકાર, સાર સમજી ઉર ધરજે'.

ગુજરાતી કવિતાને પરલક્ષી બનાવનાર નર્મદના પરલક્ષી કાવ્યોમાં કવિનો આત્માનુભવ વારંવાર પ્રગટ થતો દેખાય છે. અલબત્ત એ અનુભવ ખાસ કલાત્મકતા ધારણ કરતો નથી.

દેશપ્રેમ અને ચિંતન વિષયક કવિતા. – ગુજરાતી ભાષાને સ્વદેશાભિમાન જેવો શબ્દ આપનાર નર્મદની કવિતાનો પ્રાણ 'જોસ્સો' છે. દેશભક્તિનાં કાવ્યોમાં વીર કવિ સોળે કળાએ ખીલી ઊઠે છે. 'સ્વતંત્રતા', 'વીરસિંહ', 'હિન્દુઓની પડતી' જેવાં કાવ્યોમાં દેશભક્ત નર્મદનું વ્યથાપૂર્ણ ચિંતન જોવા મળે છે.

સાંપ્રત સમયમાં પણ પ્રસ્તુત જણાતું ૧,૫૦૦ પંક્તિમાં લખાયેલું કાવ્ય 'હિન્દુઓની પડતી' આપણી, આપણા લોકોની મર્યાદાઓ સામે અંગુલીનિર્દેશ કરે છે. 'સુધારાના બાઈબલ' તરીકે ઓળખાતા આ કાવ્યને ક.મા. મુનશી 'દેશભક્તનું કરુણ રુદન’ કહે છે. જ્યારે રા.વિ. પાઠક – 'આ કાવ્ય માત્ર હિંદુ ગુજરાતીએ જ નહિ પણ દરેક ગુજરાતીએ વાંચવું જોઈએ ….. તે ખરેખર સાહસ અને ઉત્સાહ પ્રેરનાર છે.’ (પૃ. ૬૩ નર્મદ) એમ કહી ઓળખાવે છે. વિશ્વનાથ ભટ્ટ જેવા વિવેચક 'હિન્દુઓની પડતી' કાવ્યની મહત્તા ત્રણ ગુણોને કારણે કરે છે. (૧) ઊંડા હૃદયની દેશદાઝ (૨) દેશની દુર્દશાનું વ્યાપક ચિંતન (૩) ઊછળતી જોમદાર બાની. કાવ્યની કેટલીક પંક્તિઓ જોઈએ તો –

                      – 'મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી,
                          પડ્યો પડ્યો પણ કહે, કાઢ શત્રુને અહીંથી'.

દેશદાઝથી ભર્યા ભર્યા નર્મદે પોતાના વતન પ્રત્યેની મમતા અને વ્યથાની સચોટ અભિવ્યક્તિ આ રીતે સાધી છે.    

                   – 'તાપી દક્ષિણ તટ, સૂરત મુજ ઘાયલ ભૂમિ;
                      મને ઘણું અભિમાન, ભોંય તારી મેં ચૂમી.'  

તો વળી આજે પણ લોકપ્રિય એવું  –  'ગરવી ગુજરાત' સ્વદેશપ્રેમનું ઉત્તમ કાવ્ય છે.

– 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પરભાત' દ્વારા તે અમર થઇ ગયો છે. ગૂર્જર અસ્મિતાના ગૌરવનો રણકો આ કાવ્યમાં છે. નર્મદના ‘જોસ્સા'ને, દેશદાઝને પ્રગટ કરતી કેટલીક પ્રતિનિધિ પંક્તિઓ જોઈએ તો. —

                    – 'ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું'    (ના હઠવું)
                   
                    – સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે,
                      યા હોમ કરીને પડો ,ફતેહ છે આગે ..'
(યા હોમ) 

                  – 'દેખી દારુણ દેશીનાં દુઃખ, નર્મદ દિલ દાઝે છે.'  (દેશદાઝ)

સમયના સંદર્ભે તત્કાલીન સમયમાં એની કવિતાનો ભારે પ્રભાવ હતો પરંતુ ઉમાશંકર જોશી કહે છે તેમ – 'નર્મદાશંકર કવિ ગુજરાતી કવિતા પરંપરામાં કયા સ્થાનના અધિકારી ?' આ પ્રશ્નનો ઉત્તર આપતા તેઓ કહે છે કે – 'એકંદરે સિદ્ધ કાવ્યકૃતિઓ આપનાર કરતાં વધુ તો કવિતાનું વહેણ બદલી નાખનાર એક બળ (Force) તરીકે, એક અગ્રયાયી (Pioneer) તરીકે નર્મદનું ગુજરાતી કવિતા સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન છે.' (પૃ. ૮૯. અ.ગુ.સ.)

નવયુગનો પ્રહરિ, નવપ્રસ્થાનકાર નર્મદ કવિતા ઉપરાંત 'ગદ્યનો પિતા' પણ છે. તેમણે નિબંધ, નાટક, ઇતિહાસ, વિવેચન, પત્રકારત્વ અને આત્મકથાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ‘મારી હકીકત' આત્મકથા દ્વારા તે 'સત્યના પ્રયોગો'ના આત્મકથાકાર મહાત્મા ગાંધીનો પણ પૂર્વજ બન્યો. સાહિત્ય અને સમાજના ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનની આલબેલ પોકારનાર નીડર અને ખુમારીભર્યા આપણા પ્રાણવંતા પૂર્વજ  નર્મદને એના જ શબ્દોમાં અંજલિ આપીએ તો –        

                       'વીર સત્યને રસિક ટેકીપણું ,અરિ પણ ગાશે દિલથી.'         

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ − 380 001.

Loading

24 August 2020 admin
← આ મુશ્કેલ સમયમાં (35)
નાગરિક તરીકેની સર્વોચ્ચ ફરજ →

Search by

Opinion

  • પુણેનું સમાજવાદી સંમેલન : શું વિકલ્પની ભોં ભાંગે છે?
  • રમત ક્ષેત્રે વિશ્વ મંચ પર ઉત્કૃષ્ટતાની નેમ સાથેની નવી ખેલકૂદ નીતિ
  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved