Opinion Magazine
Number of visits: 9449227
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સી.બી.એસ.ઇ., તસલીમા અને આપણે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 July 2020

થોડા થોડા દિવસને અંતરે પણ બે સમાચાર લગભગ સાથે સાથે આવ્યા : સેન્ટ્રલ બોર્ડ ઑફ સૅકન્ડરી એજ્યુકેશને (CBSEએ) મહામારીના દિવસોમાં વિદ્યાર્થીઓ પરથી બોજ ઓછો કરવા વાસ્તે ત્રીસેક ટકા જેટલો કોર્સ એક વરસ પૂરતો કમી કર્યો છે, જેમાં નાગરિકતા, રાષ્ટ્રવાદ, વૈવિધ્ય, સમવાયવાદ, બિનસાંપ્રદાયિકતા જેવા વિષયોનો સમાવેશ થાય છે. પોતે દોડાવવા ધારેલ વિમર્શની રાજનીતિની દૃષ્ટિએ ભા.જ.પ.ને સારુ આ વાનાંની વ્યાપક સમજ અમથીયે અગરાજ રહેલ છે અને એને એ અંગે સતત અસુખ જ અસુખ રહેલ છે, એમાં માત્ર જોગાનુજોગ જ વાંચીએ તો ગોથું ખાવાનો સંભવ છે.

ગુજરાત સરકારે તરત જ સૂરમાં સૂર પુરાવ્યો છે કે અમે પણ એ રાહે વિચારીશું. રાજ્યની ભા.જ.પ. સરકારથી અલગ તરી આવતી પ્રતિક્રિયા પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારની છે કે તમે સમવાયવાદ, નાગરિકતા, બિનસાંપ્રદાયિકતા જેવા વિષયો પડતા મૂકી જ કેમ શકો? ખરું જોતાં, વિદ્યાર્થી પર ‘બોજ’નો મુદ્દો હાલની નકરી પરીક્ષાલક્ષી ગોખણપટ્ટીની પદ્ધતિ સમસ્ત બાબત તપાસ અને નવેસર વિચાર માગી લે છે, પણ આ ક્ષણે આપણે એમાં નહીં જઈએ.

જે બીજા સમાચારની જિકર કરવા ચાહું છું એ સુપ્રતિષ્ઠ બાંગલા લેખિકા તસલીમા નસરીનની બહુ જાણીતી નવલકથા ‘લજ્જા’ની અનુગામી નવલકથાનો અંગ્રેજી અનુવાદ ‘શેઇમલેસ’ (નિર્લજ્જ) સુલભ થયો તે છે. ‘લજ્જા’નું વસ્તુ વાચકોને સપાટાબંધ સંભારી આપું? એ બાંગલાદેશના દુર્ભાગી દત્તપરિવાર વિશે છે – પિતાપુત્ર સુધામય અને સુરંજન, તેમ મા-દીકરી કિરણમયી અને માયા (નીલાંજના). ૧૯૯૨ના ડિસેમ્બરની બાબરી ઘટનાના જે પડઘા સીમાપાર પડ્યા, એમાં બાંગલાદેશના ઉશ્કેરાયેલા કેટલાક મુસ્લિમોએ જેમ બીજા તેમ આ હિંદુપરિવાર પર પણ હુમલો કર્યો. સુધામય તો શેખ મુજીબર રહેમાનની હિલચાલના સમર્થક હતા અને સુરંજન એના પ્રગતિશીલ માનવતાવાદી ઝુકાવને કારણે હિંદુમુસ્લિમ કૂંડાળાને ઓળાંડી જઈ મુસ્લિમમિત્રો પણ ધરાવતો હતો. આ પરિવારને ૧૯૯૨ના ઘટનાક્રમમાં વેઠવું પડ્યું. માયાનું હરણ થયું, બળાત્કારનો ભોગ બની અને છેવટે બાંગલાદેશની આઝાદીના ખયાલે રાજી આ પરિવારે કકળતી આંતરડીઓ અભય અને સુરક્ષાની શોધમાં હિંદુબહુલ ભારત ચાલ્યા આવવું પડ્યું. તસલીમા નસરીને માંડેલી આ વાર્તા, કેમ કે તે માનવતાથી અનુપ્રેરિત હતી અને કોમી હિંસા અંગે એની ભૂમિકા ટીકાત્મક હતી, બાંગલાદેશના કટ્ટરપંથીઓ એના પર આક્રમકપણે ઊડ્યા. એણે દેશબહાર આશરો શોધવાની નોબત આવી.

સ્વાભાવિક જ ૧૯૯૨ પછી તરતના ગાળામાં ભારતમાં તસલીમા માટે માન અને ખેંચાણની લાગણી હતી અને એમાં પણ હિંદુત્વ રાજનીતિના ઝંડાબરદારો તો બોલ્યા ઝલાતા નહોતા. આ લખનારે ત્યારે, જો કે, સૌ ઝંડાબરદારોને લગરિક ટપારવાપણું જોયું હતું કે કટ્ટરપંથી મુસ્લિમો લિબરલ માનવતાવાદી મુસ્લિમોને (તેઓ બિનમુસ્લિમોના બચાવમાં હોય ત્યારે સવિશેષ) અગવડમાં મૂકે છે—અને તમે તસલીમા માટે આ મુદ્દે વેઠનાર તરીકે આદર પ્રગટ કરો છો. પણ આપણે ત્યાં લિબરલ હિંદુઓ અંગેનું તમારું વલણ કેવું છે,  તે તો જરી જાતમાં ઝાંખો.

હવે તસલીમા જે અનુભવ લઈને આવ્યાં છે, ‘શેઇમલેસ’, એનું વસ્તુ ભારત(પશ્ચિમ બંગાળ)માં સુરંજનનું શું થયું એને લગતું છે. ‘તમે ઓળખ્યો મને?’ એમ બારણે ટકોરા મારતું પાત્ર (સુરંજન) લેખિકાને બારણે આવી ઊભે છે અને પછી એની દાસ્તાં ચાલે છે. બાંગલાદેશના અનુભવથી આહત સુરંજન ભારતમાં કોઈ હિંદુત્વવાદી જૂથમાં સમાધાન શોધવા મથે છે, પણ દિલને ન તો એથી કરાર વળે છે, ન તો ભારતની આર્થિક વિટંબણાઓમાં એને ચેન પડે છે. હિંદુત્વ જૂથમાં ભળવું અને ખુલ્લા સમાજની ખેવના, બે વચ્ચેની કશ્મકશ છે. એકંદરે અસુખ જ અસુખ, અમૂંઝણ જ અમૂઝણ છે. ધરી ખસેલી ને ખસેલી છે, અને ગાડી પાટેથી ઊતરેલી છે ન સરહદની પેલી બાજુએ, ન સરહદની આ બાજુએ કશો નાગરિક સુરક્ષાનો અહેસાસ છે.

નવમી જુલાઈએ બરાબર છવ્વીસ વરસ થયાં દેશનિકાલ વતન છોડ્યાંને. ત્યારે ભારતમાં હજુ કાયમી નિવાસ નહીં મેળવી શકેલાં તસલીમાનું મનોવિશ્વ કેવુંક છે? હૃદયભાવ શા હશે? સુરંજનના ધરીચ્યૂત જીવતરમાં જો લેખિકાની ખુદની આંશિક ઝલક મળી રહે છે, તો, બીજે છેડે, ભારતનું બંધારણ સક્ષમ છે અને એમાં અધિકારગુંજાશ તેમ જ નાગરિકતાનો અહેસાસ છે, એવી પણ તસલીમાની એક લાગણી રહેલી છે, જે હજુ એક-બે મહિના પરની ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ સાથેની એમની મુલાકાત પરથી સમજાય છે.

જે દોરમાંથી આપણે ગુજરી રહ્યા છીએ, એમાં કઈ ને કેવી બંધારણીય જોગવાઈઓ ને એમાંથી ઊપસતાં કયાં ને કેવાં મૂલ્યો આપણને સવિશેષ આકર્ષે અગર જીવનનો ઉલ્લાસ કે આસપાસની (અને આપસની) આશ્વસ્તિ બક્ષે? લગરિક પોરો ખાઈને વિચારીએ તો સામે આવતાં વાનાં વૈવિધ્યમંડિત સમવાયી ભારત અને ભેદભાવરહિત બિનસાંપ્રદાયિક ભારત જેવાં છે. જેમણે હિંદુ કે મુસ્લિમ હોવાને નાતે દેશની વિભાજક વ્યાખ્યા કરી, એમને ‘ઔર ભી ગમ હૈ જમાને મેં’ એવી સાદી કે બુનિયાદી સમજ કેમ નહીં પડતી હોય ?

આ અમૂઝણ સામે તમે સી.બી.એસ.ઇ.એ ભલે ટૂંકમુદત માટે પણ પડતા મૂકવા ધારેલા વિષયો જુઓ એટલે બે અને બે ચાર થઈ જશે. મારા વિધાનમાં દૂરાકૃષ્ટતા હશે, એવી ટીકાને અવકાશ અવશ્ય છે. માત્ર, હાલના હુકમરાનોને લાંબા પટ પર શું અભીષ્ટ છે, એ પ્રકારના અવલોકન તરીકે મારા વિધાનને જોવાની જરૂર છે, એટલું ચોક્કસ ઉમેરું.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 13 જુલાઈ 2020; પૃ. 03-04

Loading

14 July 2020 admin
← ત્રણ કાવ્યો
કે જેથી અમેરિકા લઈ શકે શ્વાસ… →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved