Opinion Magazine
Number of visits: 9447195
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પેટ્રોલ-ડીઝલનો ભાવ લિટરના હજાર રૂપિયા કરી નાખવો જોઈએ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 June 2020

પેટ્રોલ-ડીઝલનો ભાવ લિટરના હજાર રૂપિયા થઈ જાય તો પણ કોઈના પેટનું પાણી હાલે તેમ નથી. એના બે અર્થ થાય. એક તો એ કે પ્રજા પાસે વધારાની એટલી કમાણી છે કે તેને મોંઘવારી ગમે તેટલી વધે તો પણ ફેર પડે તેમ નથી. તેને ખાતરી છે કે સરકાર ગમે તેટલો ભાવ વધારો ઝીંકે તો પણ બીજી ઘણી રીતે એટલી કમાણી તો કરી જ લેવાશે કે ગજવું હલકું નહીં થાય. બીજો અર્થ એ થાય કે અનેક પ્રકારની મોંઘવારીનો ત્રાસ વેઠીને પ્રજા એટલી બેહાલ થઈ ગઈ છે કે તેની વિરોધની શક્તિ જ મરી પરવારી છે. તે જાત બચાવે કે સરકાર સામે દાંતિયા કરે? લોકોમાં એક વર્ગ એવો છે જેને સરકારમાં ઉત્તમથી ઓછું તો કંઈ જણાતું જ નથી ને એક વર્ગ એવો છે તે ખામી ગણ્યા કરે છે, પણ તેના વિરોધના દાંત-નખ નીકળી ગયેલા છે એટલે તેનું કંઈ ઉપજે તેમ નથી. એક વફાદાર વર્ગ છે જે નફાદાર પણ છે એટલે તે તો સરકારની આરતી ઉતારવામાં માને છે ને જે ખોટમાં છે તે વર્ગ ખૂણે રડીને બેસી રહે છે. આ બંને પરિસ્થિતિનો ભરપેટ લાભ ઉઠાવાય છે. તંત્રો બરાબર જાણે છે કે ક્યાંયથી વિરોધ થવાનો નથી એટલે પ્રજાની બોચી પકડવામાં વાંધો નહીં આવે. કૉન્ગ્રેસ વિરોધ કરે છે, પણ એ તો કરે હવે, એમ માની લેવાયું છે. એ વિરોધ પક્ષ છે તો વિરોધ તો કરે જ ને! કૉન્ગ્રેસનો વિરોધ સરકાર લેખામાં લેતી નથી. કારણ એમાં દમ નથી ને એ વિરોધનો પડઘો દૂર સુધી પડે એમ નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં એટલું થયું છે કે જરૂરી બાબતોનો પ્રજા કે સંગઠનો દ્વારા વિરોધ કરવાનું લગભગ બંધ થયું છે. આ સારાં એંધાણ નથી. લોકશાહીને દાવ પર લગાવવા જેવું છે. પ્રજાએ વિચારી લેવાનું રહે કે તે લોકશાહીને સાચવવા માંગે છે કે તેને લોકશાહી વિરુદ્ધનું પણ કંઈ ખપે તેમ છે?

એવું જરા ય માનવાની જરૂર નથી કે લોકશાહી ખતરામાં છે. એવું નથી. તે ઈન્ટેકટ છે, પણ અત્યારના સંજોગો એવા છે કે પ્રજા લોકશાહી અંગે પૂરતી બેપરવા થઈ ગઈ છે. ચિંતાજનક છે તે આ. ઉદાહરણ આપીને વાત કરું તો ગઈ ૭ જૂનથી રોજ, એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ વધે છે. હવે એ સાબિત કરવાની જરૂર નથી કે વ્યક્તિના ભાવ ઘટે છે ને વસ્તુના ભાવ વધે છે. એ ક્રમે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધે છે ને રોજ વધે છે, પણ કૉન્ગ્રેસના જરાતરા વિરોધ સિવાય ખાસ કોઈ ઊહાપોહ નથી. એનો અર્થ એવો થાય કે ભાવવધારો કૉન્ગ્રેસને જ લાગે છે ને પ્રજાને તેની કોઈ અસર વર્તાતી નથી. કોઈ માઈનો લાલ પૂછતો નથી કે ભાઈ આ રોજ શું માંડ્યું છે? રોજ જ ભાવ કેમ વધે છે? એવું કોઈ પૂછતું નથી. આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ભાવો વધ્યા છે? કોઈ યુદ્ધ શરૂ થયું છે?ના, એવું તો કંઈ નથી. તો પછી ભાવો વધે છે કેમ? ને આ પેટ્રોલ-ડીઝલ પૂરતી જ વાત નથી. શાકભાજીનો ઉપાડ ઘટી ગયો ત્યારે શાક ફેંકાઈ ગયું, પણ સસ્તું ન જ થયું. બીજી ખાસિયત પણ જોવા જેવી છે. માની લઈએ કે આવક નથી એ સ્થિતિમાં ભાવો વધે તો તે સમજી શકાય, પણ આવક થાય પછી ભાવો ઘટવા જોઈએ, પણ તેવું થતું નથી. ભાવો વધેલા જ રહે છે ને તેમાં વધારો થશે, પણ ઘટાડો થતો નથી.

સરકારે માર્ચ ૧૪ને રોજ પેટ્રોલ અને ડીઝલમાં ત્રણ ત્રણ રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી વધારી. પછી ફરી મે ૫ ને રોજ પેટ્રોલમાં ૧૦ રૂપિયા અને ડીઝલમાં ૧૩ રૂપિયા વધાર્યા. એમાં બે લાખ કરોડની વધારાની આવક થઈ. યાદ રહે કોરોના કાળમાં સરકારને આ આવક થઈ. આપણે ત્યાં એવું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સરકાર જ વધારે એવું નથી. એ સરકારની જ ત્રણ કંપનીઓ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ ભાવોની સમીક્ષા જૂન ‘૧૭થી કરતી જ આવી છે. એ બધામાં ન પડીએ તો પણ એટલું છે કે ૭ જૂનથી ૧૮ જૂન સુધીના ૧૨ દિવસમાં જ પેટ્રોલમાં ૬.૫૫ રૂપિયા અને ડીઝલમાં ૭.૦૪નો લિટરે વધારો થયો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે અગાઉ પેટ્રોલના ભાવમાં બે વખત સાત ટકાનો ઘટાડો સરકારે કર્યો હતો. આ એટલે કહ્યું કે રાજ્ય સરકારે ૧૬ જૂનથી બે રૂપિયાનો વધારો કર્યો તેનો ઊહાપોહ ન થાય. આ વધારો, પેલા રોજ વધતા ભાવ ઉપરાંતનો છે. આ બે રૂપિયા ખાસ ગુજરાત સરકારની ભેટ (કે ફેંટ) છે. આ વધારાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલા ભાવ નથી. તે તો હજી તળિયે જ બેઠેલા છે. તો, ભાવ વધારવાનું કારણ શું? કારણ એ કે સરકાર પાસે પૈસા નથી. મે મહિનામાં બે લાખ કરોડની સરકારને કમાણી થઈ તેમાં ગુજરાત સરકારને કંઈ મળ્યું નથી એમ માનીએ તો જ સરકાર પાસે પૈસા નથી એ વાત ગળે ઊતરે. નાયબ મુખ્યમંત્રીશ્રી, સરકાર પાસે પૈસા નથી તો તમે ભાવ વધારીને પ્રજાનું ખીસું કાતરશો, પણ આ ગાળામાં પ્રજા ક્યાં કમાવા ગઈ તે કહેશો? પૈસા તો પ્રજા પાસે પણ નથી. તો, તે કોનું ગજવું કાતરે? જેમ સરકારની આવક ઘટી છે એમ જ પ્રજાની આવક પણ પણ ઘટી છે તેનું શું? જેને કમાણી જ નથી થઈ એને લૂંટો છો, એટલી શરમ તો રાખો, ભલા માણસ!

એ સમજી શકાય એવું છે કે કોરોના પ્રકરણને કારણે સરકારોની આવક ઘટી છે એટલે તે વધારવા જુદા જુદા હેડ નીચે તે ભાવ વધારી આવક મેળવવા મથે છે, પણ આ જ ગાળો પ્રજા માટે પણ ખતરનાક પુરવાર થયો છે, તેનું શું? લાખો લોકોએ રોજગારી ગુમાવી છે. પગાર વગર રહેવાનું આવ્યું છે ને ખર્ચા તો ચાલુ જ રહ્યા છે. ઘરમાં રહેવાને કારણે વીજળીનો વપરાશ વધ્યો છે. સ્કૂલો-કોલેજો બંધ રહી, પણ તેની ફીની તલવાર માથે લટકે જ છે. ખાનગી નોકરી કરનારાઓ ઘરમાં રહેવા જતાં ઘરે બેઠાં છે તે સરકાર જાણે છે? ઘરમાં રહેવાનો કોઈ પગાર આપતું નથી, તેમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારીને સરકાર મરેલાંને મારવા બેઠી છે તે બરાબર નથી.

સરકાર પોતે મોંઘવારી વધારી રહી છે તે સ્પષ્ટ છે, કારણ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધે છે તો ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ પણ વધે છે. કારણ એ વાહનો ડીઝલથી ચાલે છે ને ડીઝલના ભાવ વધે તો તેનાં ભાડાં વધે જ છે. એને લીધે વાહનોમાં આવતી ચીજ વસ્તુઓ પણ મોંઘી થાય છે. એની અસર પણ પ્રજા પર જ પડે છે. એટલે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો સરકારે વિચારીને જ કરવો જોઈએ. છાશવારે ભાવ વધારવાનું કોઈ પણ રીતે પ્રજાનાં હિતમાં નથી એ સરકારે સમજવાનું રહે છે.

લોકડાઉનમાં દુનિયા લગભગ બંધ રહી એમાં એવું થયું કે વાતાવરણ સુધર્યું. જળ,વાયુનું પ્રદૂષણ ઘટ્યું. વાહનો બંધ પડ્યાં એને કારણે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ લગભગ બંધ રહ્યો. એની અસર એ પડી કે પેટ્રોલ-ડીઝલના ભાવ તળિયે નહીં, માઈનસમાં ગયા. પેટ્રોલને, પેટ્રોલની ટાંકીમાં જ પડીને આપઘાત કરવાનો વખત આવ્યો. એ તબક્કે તો એવું લાગતું હતું કે પેટ્રોલ, પાણીને ભાવે વેચાશે. પણ, ભારતમાં તો પાણી જ પેટ્રોલને ભાવે વેચાતું હોય ત્યાં પેટ્રોલ, પાણીને ભાવે તો વેચાય જ કેમ?ભારતમાં સસ્તું ને શુદ્ધ કશું મળે એમ નથી. તેનું કારણ છે – રાજા અને પ્રજા. બંને ભ્રષ્ટ છે. સરકાર જાણે છે કે પ્રજાને કઈ કઈ યુક્તિથી લૂંટી શકાય એમ છે. એટલે તે તો અનેક પ્રકારના સીધા-આડા કરવેરા નાખીને લૂંટશે જ. બીજી બાજુ પ્રજા પણ જાણે છે કે કેવી રીતે સરકારની આંખમાં ધૂળ નાખીને છટકતાં રહેવું. આ સ્પર્ધા છે ને એમાં જે પ્રમાણિક છે, ગરીબ છે, સાધારણ છે તેનો મરો થાય છે. એને જીવવાનો અધિકાર જ ન હોય તેમ દુનિયા તેની સાથે વર્તે છે. આમ ન થવું જોઈએ, પણ થાય છે ને એની શરૂઆત ઘણીવાર તો સરકારથી થતી હોય એવું લાગે છે. આ અટકવું જોઈએ.

પ્રગટ : “ધબકાર”, 19 જૂન 2020

Loading

19 June 2020 admin
← સમય ભરડવા બેઠી
માણસની માણસાઈ મિટાવીને હિંદુ પેદા કરવાના અભિયાનમાં તમે સમર્થક છો કે વિરોધી છો? અસંદિગ્ધ ભાષામાં સ્પષ્ટ કરો →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved