Opinion Magazine
Number of visits: 9483058
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કામદારો માટે કોરોના કરતાં લૉક ડાઉન બદતર છે

અરુણા રોય નિખિલ ડે, અરુણા રોય નિખિલ ડે|Opinion - Opinion|18 May 2020

લાખો સ્થળાંતરિત મજૂરો અને વંચિતો માત્ર ત્રણ અઠવાડિયાના ટૂંકા સમયગાળામાં આજીવિકા, આવકની સલામતી અને પોતાનું સ્વમાન એમ ત્રણેય વાત ગુમાવી બેઠા છે.  તેમને વાઇરસના ખતરાનો અહેસાસ છે, પરંતુ તેમના માટે આ દેશ વ્યાપી લૉક ડાઉન કોરોનાની બીમારી કરતાં પણ બદતર છે.

દરેક વ્યક્તિનું જીવન અમૂલ્ય હોવાની વાત કરતા વડાપ્રધાને લોકો પાસે એક પછી એક લૉક ડાઉનમાં શિસ્ત અને બલિદાનની માગણી કરી. આ પ્રકારના આકરા આદેશો વખતે, મીઠા મીઠા શબ્દો બોલીને દેશ માટે બલિદાનની માગણી કરવાની એક કાયમી પદ્ધતિ જ થઈ ગઈ છે. સરકારના બીજા નીતિ ઘડનારાઓની જેમ પોતાના વક્તવ્યમાં વડાપ્રધાને પણ માત્ર રોગના ફેલાવવાની જ ગણતરી માંડી. લૉક ડાઉનના કારણે જે ભૂખ અને અસલામતીની પરિસ્થિતિ સર્જાઈ, તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. લાખો પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને તેમાં પણ ખાસ કરીને દેશભરમાં ગીચ વસ્તીઓમાં ફસાયેલાં અને પોતાની આજીવિકા ગુમાવનાર સ્થળાંતરિત મજૂરો માટે લેવાયેલ કોઈ નક્કર પગલાં વડાપ્રધાનના ભાષણમાં ન હતાં.

વડાપ્રધાને આપણને સાત સૂત્રોનું પાલન કરવા કહ્યું. પહેલું, તેમણે કહ્યું ઘરડાં લોકોની વિશેષ કાળજી લો. પરંતુ વડાપ્રધાને પોતાનાં છ વર્ષના કાર્યકાળમાં વૃદ્ધોની માગણીઓ કયારે ય સાંભળી નથી. કેન્દ્ર સરકાર દ્વારા દેશના એક તૃતિયાંશ વૃદ્ધોને સામાજિક સુરક્ષા હેઠળ દર મહિને રૂ. 200નું વૃદ્ધાવસ્થા પેન્શન આપવામાં આવે છે, જે તેમની ક્રૂર હાંસી નહીં તો બીજું શું છે? આ રકમમાં વર્ષ ૨૦૦૭થી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ યોજના અંતર્ગત વધારાના રૂ. 1,000 બે મહિના માટે ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એવી આશા છે કે વૃદ્ધ માણસો બે મહિના સુધી, મહિને વધારાના રૂ. 500ની મદદથી આ સમસ્યાનો સામનો કરે, જ્યારે બાકીના મોટી સંખ્યાના ‘વરિષ્ઠ નાગરિકો’એ આ નજીવી રકમમાં સંતોષ માનવાનો છે. જો રાજ્ય તેમને સહાય નહીં કરે તો તેઓ ભૂખ્યા અને નિરાધાર બની રહેશે.

બીજું, વડાપ્રધાને લૉક ડાઉનની ‘લક્ષ્મણરેખા’ને ચોકસાઈથી વળગી રહેવા અને ‘સામાજિક અંતર’ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કહ્યું. શહેરી ગરીબ વર્ગ માટે તો ‘સામાજિક અંતર’ અને ‘લક્ષ્મણરેખા’ ક્રૂર મજાક છે. તે તો ખૂબ જ નાની અને અતિશય ખરાબ જગ્યામાં રહે છે. તેમને માટે મોકળાશવાળી જગ્યાનો પહેલાંથી જ અભાવ છે, તે જાણીતું છે. નોકરીમાંથી છૂટા થતાં અને પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે રૂપિયા ન હોવાના કારણે તે ઘરે જવાની માગ કરી રહ્યા છે, જ્યાં તેઓ સ્વમાન સાથે જીવી શકે અને બચી પણ શકે.

ત્રીજુ, વડાપ્રધાને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુષ મંત્રાલયના આપેલા દિશાનિર્દેશોનું પાલન કરવા કહ્યું છે. પોતાના ભાષણમાં મહામારીને ફેલાતી અટકાવવા માટે કરાતાં પરીક્ષણ તથા આરોગ્યસંબંધી સરકારની વ્યૂહરચનાનો ભાગ્યે જ કશો ઉલ્લેખ કર્યો. તેના બદલે તે આપણને આયુષ મંત્રાલયે તૈયાર કરેલાં પગલાં તરફ લઈ ગયા. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 16 સુવિખ્યાત વૈદ્યો દ્વારા તૈયાર કરાયેલી આ ગાઇડલાઇનમાં દિનચર્યા અને ઋતુચર્યાની વાત કરાઈ છે. 11 મુદ્દાની આ ગાઇડલાઇનમાં વિવિધ પ્રકારની ઔષધિઓ અને મસાલાના ઉપયોગનું કહેવાયું છે, જે ભારતમાં ઘણા લોકોએ ભાગ્યે જ જોયા હશે અને તેમની ખરીદવાની ક્ષમતા પણ નથી. આખો દિવસ ગરમ પાણી પીવાની, ઉપરાંત દરરોજ અડધા કલાક માટે યોગ-પ્રાણાયામ અને ધ્યાન કરવાની સલાહ અપાઈ છે. છેલ્લે આયુષ મંત્રાલય, જાહેર કરેલી વાતનો નકાર કરતાં લખે છે કે આ સલાહ કોવિડ-19ની સારવાર માટે હોવાનો દાવો કરતી નથી. ચોથું, વડાપ્રધાને કોરોનાથી બચવા માટે તમામ લોકોને મોબાઇલમાં ‘આરોગ્યસેતુ એપ’ ડાઉનલોડ કરવાની અને તેનો ઉપયોગ કરવાની સલાહ આપી.  કેટલા શહેરી અને ગ્રામીણ ગરીબો પાસે સ્માર્ટ ફોનની સુવિધા છે? તેમને કેવી રીતે સમજાશે કે તેઓ મોબાઈલ એપ દ્વારા કોવિડ-19થી સુરક્ષિત રહી શકે? આ એપની પ્રાઈવસી અને ડેટાની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એપ ત્યારે જ અસરકાર રીતે કામ કરે, જ્યારે અંદાજે  50 ટકા ભારતીય પ્રજા તેને ડાઉનલોડ કરે.

પાંચમું, વડાપ્રધાન ઇચ્છે છે કે લોકો પોતાને ત્યાં કામ કરતાં લોકો પ્રત્યે કરુણા દાખવે. તેમણે કહ્યું કે કામદારોને નોકરીમાંથી કાઢી મૂકશો નહીં તેમ જ તેમનો પગાર કાપશો નહીં. સાથે સાથે શ્રમ અને રોજગાર મંત્રાલયે માલિકોને આદેશ આપ્યો કે લૉક ડાઉન દરમિયાન કામદારોને નોકરીમાંથી કાઢી ન મૂકે અને પૂરતો પગાર ચૂકવે. પરંતુ સરકાર પોતે રોજગાર બાંહેધરી આપતી મનરેગા યોજના ચલાવે છે. તેમાં સરકાર સૌથી વધુ કામદારોને લાભ આપી શકે તેમ છે. સરકારે આ યોજનામાં 24 માર્ચથી શરૂ કરીને 20 એપ્રિલ સુધી લોકોના પગાર આપવાની ના કહી દીધી! ઉલ્લેખનીય છે કે મનરેગાને લૉક ડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી ન હતી. ખરાબ સ્થિતિમાં મૂકાયા હોવા છતાં ખાનગી ક્ષેત્રના લોકોએ આ નિર્દેશોનો કેટલાંક અંશે પાલન કર્યું હોય તેવા દાખલા છે. તેમનો રેકોર્ડ સરકારે મનરેગાના કામદારો સાથે જે કર્યું, તેના કરતાં તો સારો જ છે.

છઠ્ઠું, કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે લીધેલાં કડક પગલાંને કારણે જેમની પર સૌથી વધુ અસર થઈ છે તેવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું વડાપ્રધાને કહ્યું. જો સરકારે પોતે તેનો અમલ કર્યો હોત તો પરિણામ ઘણાં સારાં આવ્યાં હોત. દુર્ભાગ્યે સરકારે આ અંગે માત્ર શાબ્દિક ચર્ચાઓ જ કરી. જે ઝડપથી ભૂખમરો, ગરીબી અને નિરાશા ફેલાઈ રહ્યાં છે, તે જોતાં સરકારે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા પડશે. આપણી સમક્ષ કેટલીક રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવાયેલાં સક્રિય કામગીરીના નોંધપાત્ર ઉદાહરણો છે. ભારત સરકાર પાસે સ્થિતિને કાબૂમાં લાવવા માટેના યોગ્ય ઉપાયો હોવા છતાં આ વિકટ પરિસ્થિતિમાં શ્રમિકો અને નબળા વર્ગો પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવામાં તે નિષ્ફળ રહી છે. સરકારે લૉક ડાઉન જાહેર કર્યું તે પહેલાંથી ગોડાઉનો અનાજથી છલકાઈ રહ્યાં હતાં. ભૂખ અને પૂરતો ખોરાક ન મળવાના ભય સામે લડવાના મહત્ત્વના ટાણે સરકાર પી.ડી.એસ. સિસ્ટમને સાર્વત્રિક બનાવી શકી નહીં, તેના કારણો સમજાતાં નથી. જ્યારે કામદારોની આજીવિકા સૌથી વધુ જોખમમાં મુકાઈ ત્યારે જ બરાબર મનરેગાના વિકલ્પને દૂર કરવામાં આવ્યો. આવા વિશ્વાસઘાતી પગલાં પછીનો ઉપદેશ ઠાલો અને નકામો છે.

સાતમું, વડાપ્રધાને આપણને ડૉક્ટરો સહિત કોરોના સામે લડી રહેલા લડવૈયાઓના કામને બિરદાવવા કહ્યું. પરંતુ જો ગરીબોને ડૉક્ટર અને નર્સની સેવાઓ સહેલાઈથી મળી જાય તો એ તેમની પૂજા કરશે. ભાંગી પડેલી જાહેર આરોગ્ય વ્યવસ્થાનું મહત્ત્વ પહેલાં ક્યારે ય આપણને સમજાયું નથી. આરોગ્યતંત્ર અને કર્મચારીઓ યુદ્ધનાં ધોરણે કામ કરી રહ્યાં છે, જે સરાહનીય છે. પણ તેની સાથે સાથે દેશના તમામ નાગરિકોને આરોગ્યની એકસમાન સેવા મળે તેની ખાતરી પણ થવી જોઈએ. આરોગ્યસેવા સાથે જોડાયેલ લોકો અને સ્વતંત્ર નાગરિક સંગઠનો ઘણા સમયથી આરોગ્યક્ષેત્રમાં જાહેર રોકાણ વધારવા અને હૅલ્થ કૅરની સુવિધાઓની ક્ષમતા વધારવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમ છતાં આપણા વડાપ્રધાન અને તેમની સરકાર માને છે કે નબળી પડેલી જાહેર આરોગ્ય વ્યવસ્થાની કમજોરી છુપાવવા તાત્કાલિક ધોરણે, તાળીઓ પાડવા જેવા જાહેર કાર્યક્રમ યોજવા જરૂરી છે.

મહામારી સામે લડવા માટે રાજકીય કુશળતા (સ્ટેટ્સમૅનશિપ) જોઈએ. આવી વિકટ પરિસ્થિતિમાં લોકોને સાથે રાખીને અને લોકોની તકલીફ અને જરૂરિયાતને નિવારવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. ઉપરાંત તમામ લોકોની વિકટ સ્થિતિ અને જરૂરિયાત માટે સહાનુભૂતિપૂર્વક કામ લેવું પડે. જ્યારે ખોરાક, આરોગ્ય અને રોજગારની સુરક્ષાને નકારવામાં આવે ત્યારે આશા પણ મરી પરવારે છે.

આ સંકટ કલ્પનાશીલ અને મહત્ત્વાકાંક્ષી એવા રાજ્ય તેમ જ નાગરિકોની ભાગીદારી માટે આહ્વાન કરે છે. ખોરાકનો અધિકાર, લઘુતમ વેતન સાથે કામ કરવાનો અધિકાર અને તમામને સ્વાસ્થ્ય સુવિધાની સમાન તક પ્રાપ્ત થાય, તેવા મૂળભૂત અધિકારો સૌને આપવાની તક રાજ્યે ઝડપી લેવી જોઈએ. આ અધિકાર આપવાથી ગરીબી ઘટાડવામાં મદદ મળશે, આપણે રોગચાળાનો વધુ આત્મવિશ્વાસપૂર્વક અને સહકારની વ્યૂહરચના સાથે સામનો કરી શકીશું, ખાદ્ય સુરક્ષા અધિનિયમનના અસરકારક અમલથી અનાજ અને દાળ સાર્વત્રિક રીતે પહોંચાડી શકીશું. પ્રાથમિક રોજગારીના મુદ્દાને ઍમ્પ્લોયમેન્ટ ગેરંટી ઍક્ટના વિસ્તારથી અને નવસંસ્કરણ દ્વારા અમલ કરી શકીશું. જાહેર અને ખાનગી સેવાઓ સાથે મળીને કામ કરે તે આજના સમયની માંગ છે.

આંબેડકર જયંતીના દિવસે વડાપ્રધાને બંધારણના આમુખને યાદ કરતા કહ્યું ”WE, THE PEOPLE OF India” (આપણે, ભારતના લોકો). જેમાં ભારતના બંધારણથી લોકશાહી વિકાસની વાત વણાયેલી છે. અત્યારે આપણે આપખુદશાહી-પિતૃસત્તાક વ્યવસ્થા અને સ્વાતંત્ર્ય, બંધુત્વ અને સમાનતાનો અધિકાર આપતાં લોકતંત્રમાંથી એકની પસંદગી કરવાની છે. આપણે વ્યક્તિના ગૌરવને સુનિશ્ચિત કરી શકીશું, ત્યારે જ આપણે એકતાની સાચી ભાવનાને આ લોકશાહી રાજ્યમાં સુરક્ષિત કરી શકીશું. બંધુત્વવાદના ખ્યાલને આપણા આમુખમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો આ સિદ્ધાંતોનો ઉપયોગ મહાવિકટ પરિસ્થિતિનો સામનો કરવા કરવો જોઈએ.

અનુવાદઃ રક્ષિત શાહ

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 મે 2020

Loading

18 May 2020 admin
← પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર
મુશ્કેલ સમયમાં (15) →

Search by

Opinion

  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved