Opinion Magazine
Number of visits: 9454411
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતના ભદ્રવર્ગનો ચડિયાતા દેખાવાનો મોહ અંગ્રેજોને શાસન કરવા ઉપયોગી બન્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|15 March 2020

વિડંબના જુઓ! છ હજાર માઈલ દૂર બેસીને અંગ્રેજો બસો-ત્રણસો નોકરો દ્વારા ભારતમાં સામ્રાજ્યની રચના કરી રહ્યા હતા, ત્યારે ભારતમાં પેશ્વાઓ ચોથાઈ લઈને તાગડધિન્ના કરતા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક પણ સંચાલકે ભારતમાં પગ નહોતો મુક્યો. કંપનીનો રાજ કરવાનો આ અજીબ પ્રકાર ભારતીયોને ધ્યાનમાં જ નહોતો આવ્યો. બીજું, સૈનિક કે સેનાપતિ લડીને, કોઈ પ્રદેશ જીતીને રાજા બનીને રાજ કરે એવા તો સેંકડો દાખલા મળી આવશે, પણ ધંધો કરતી કંપની રાજ કરે એવું તો પહેલીવાર જોવા મળ્યું. કોઈ ભારતીયે આ જોણું જોવામાં અને સમજવામાં રસ નહોતો દાખવ્યો.

બીજું, અપભ્રંશ ભાષામાંથી વિકસેલી અને વિકસી રહેલી પ્રાદેશિક ભારતીય ભાષાઓને હજુ વધુ વિકસાવવામાં અંગ્રેજોએ, ખાસ કરીને મિશનરીઓએ ખૂબ રસ લીધો હતો. આની પાછળનો ઉદ્દેશ ખ્રિસ્તી ધર્મના પ્રચારનો હતો. જે તે પ્રાદેશિક ભાષામાં બાયબલ અને અન્ય સાહિત્ય ઉપલબ્ધ કરી આપવા માટે તેમણે દરેક ભાષાનું વ્યાકરણ, લિપિ અને છાપખાનાં માટે બીબાં વિકસાવ્યાં હતાં. શબ્દકોશ તૈયાર કર્યા હતા કે જેથી હવે પછી આવનારા મિશનરીઓ સહેલાઇથી ભારતીય પ્રાદેશિક ભાષા આત્મસાત કરી શકે. તેમણે ખ્રિસ્તી બાયબલ અને ઇસુની સ્તુતિ કરતું સાહિત્ય જે તે ભાષામાં લખ્યું હતું કે લખાવ્યું હતું. આને કારણે ભારતીય પ્રાદેશિક ભાષાઓ સમૃદ્ધ થઈ છે અને તેને માટે આપણે યુરોપિયનોના ઓશિંગણ છીએ એની ના પાડી શકાય એમ નથી.

પણ આ જ અંગ્રેજો હિંદુ અને મુસલમાનને, ઉત્તર અને દક્ષિણને, પૂર્વ અને પશ્ચિમને, વેપારી અને ફકીરને જોડતી હિંદુસ્તાની ભાષા વિકસવા દેતા નથી. ફોર્ટ વિલિયમ કોલેજમાં તેઓ પંડિત લલ્લુ લાલજી અને મૌલવીઓને એકબીજાને નકારતા ભાળી ગયા હતા. અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે હિંદુઓને ફારસી અને અરબી શબ્દોને નકારી સંસ્કૃતપ્રચૂર હિંદી ભાષા વિકસાવવામાં રસ છે અને મુસલમાનોને સંસ્કૃત શબ્દો નકારીને અરબી-ફારસીપ્રચૂર ઉર્દૂ વિકસાવવામાં રસ છે. અંગ્રેજોએ એ તક ઝડપી લીધી હતી.

આ તો બેવડો લાભ! સમૃદ્ધ પ્રાદેશિક ભાષાઓ દ્વારા પ્રાદેશિક અસ્મિતાઓ બળવત્તર બનશે અને આખા દેશને જોડતી હિંદુસ્તાનીનો છેદ ઉડાડવા માટે હિન્દી-ઉર્દૂની તિરાડ પાડીને રાષ્ટ્રીય અસ્મિતાને વિકસતી અટકાવી શકાશે. સરવાળે બનશે એવું કે એક દિવસ પ્રબળ પ્રાદેશિક અસ્મિતાઓ રાષ્ટ્રીય અસ્મિતાની આડે ઊભી રહી જશે. જ્યાં સુધી પ્રાદેશિક અસ્મિતાઓ પ્રબળ છે ત્યાં સુધી અંગ્રેજોને ડરવાની જરૂર નથી. જે દિવસે રાષ્ટ્રીય અસ્મિતા આકાર પામશે અને પ્રબળ બનશે એ દિવસે આપણે ઉચાળા ભરવા પડશે એ કંપની સરકારના હાકેમો અને બ્રિટિશ સરકારના શાસકો જાણતા હતા.

પંડિત લલ્લુ લાલજી અને બીજા હિંદુઓને અને બીજે છેડે મુસલમાન મૌલવીઓને એ ધ્યાનમાં નહોતું આવ્યું કે અનુક્રમે હિન્દી અને ઉર્દૂને વિકસાવવામાં અને હિંદુસ્તાનીને નકારવામાં એમ બંને દિશામાં અંગ્રેજો શા માટે બંનેને કેમ મદદ કરી રહ્યા છે? અત્યારે સામાન્ય લાગતા આ સવાલો ત્યારે કોઈના મનમાં પેદા જ નહોતા થયા. અંગ્રેજોએ એ પણ માપી લીધું હતું કે ભારતીય માનસને પ્રશ્નો કરવાની અને તેનાં મૂળ સુધી ઊંડા ઉતરવાની આદત નથી. તેઓ શંકા પણ કરતા નથી.

આમ દરેક રીતે સારાં વાનાં હતાં, પણ સાર્વત્રિક શિક્ષણ વિના રાજ કરવું શક્ય નહોતું. આવડા મોટા દેશમાં મોટી સંખ્યામાં નોકરો જોઈએ, કાયદાઓ જોઈએ, વહીવટી નીતિ-નિયમો જોઈએ, અદાલતો જોઈએ, વકીલો જોઈએ અને જે કોઈ ભાષામાં રાજ ચાલવાનું હોય એ ભાષા સમજનારી રૈયત જોઈએ. તો પછી એ ભાષા કઈ હોવી જોઈએ? અંગ્રેજી કે ભારતીય? અંગ્રેજી પ્લસ ભારતમાં બોલાતી પ્રાદેશિક કે પછી ભારતીય પ્લસ પ્રાદેશિક?

અંગ્રેજોએ ભારતમાં અને લંડનમાં આ વિશે ખૂબ ઊંડી મલ્લીનાથી કરી હતી. બન્ને વિકલ્પોમાં લાભ અને ગેરલાભ બંને હતા. એક દલીલ એવી હતી કે અંગ્રેજી ભાષા નવોથ્થાનની ભાષા છે. અંગ્રેજી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતમાં પહોંચશે અને અંગ્રેજી ભાષા દ્વારા નવજાગરણના પરિણામે જે આધુનિક વિચાર અને માનવીય મૂલ્યો વિકસ્યાં છે તે ભારતમાં પહોંચશે. આ સાથે ભારતીય પ્રજા શંકા કરતી થશે, પ્રશ્નો પૂછતી થશે, રસ્તાઓ શોધતી થશે એ જોખમ હતું. આને પરિણામે એક દિવસ અંગ્રેજોએ ઉચાળા ભરવા પડશે. બીજી બાજુ ભારતીય ભાષાઓ માત્ર વ્યવહારની અને પોતાની સામાજિક પરંપરાને ટકાવી રાખવાની ભાષા છે. લોકો એવાને એવા રહેશે અને આપણે યાવદ્ચન્દ્ર દીવાકરૌ રાજ કરી શકીશું.

જો અંગ્રેજી દાખલ કરીશું તો લોકોમાં જાગૃતિ આવશે અને તેઓ ગુલામી અને આઝાદીનો ફરક સમજતા થઈ જશે અને વહેલા ઉચાળા ભરવા પડશે; પણ જો ભારતીય ભાષાઓને યથાવત્ રહેવા દઈશું તો લાંબો સમય શોષણ કરી શકીશું. આ બાબતે મતભેદનો પાર નહોતો અને તેમની વચ્ચે વ્યાપક ચર્ચા થઈ હતી. માનવતાવાદીઓને એમ લાગતું હતું કે વિજ્ઞાન, ટેકનોલોજી અને આધુનિક મૂલ્યોથી ભારતીય પ્રજાને પરિચિત કરવી એ શાસનધર્મ છે પછી એ ભારતીય ભાષામાં આપવામાં આવે કે અંગ્રેજીમાં. જો ભારતીય ભાષાઓ સમર્થ ન હોય તો અંગ્રેજીમાં આપવામાં આવે. આપવું એ મુખ્ય છે, ભાષા મુખ્ય નથી. પાશ્ચાત્ય અને ખ્રિસ્તી સભ્યતાની સર્વોપરિતામાં માનનારાઓ એમ કહેતા હતા કે બ્રિટિશ સરકારનું કામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હિતોનું રક્ષણ કરવાનું નથી, પણ ભારત અંગ્રેજોનાં કબજામાં આવ્યું એ દૈવી અકસ્માતનો ઉપયોગ કરીને અજ્ઞાની ભારતીય પ્રજાનો હાથ ઝાલવાનું છે. તેમને નવા યુગમાં પ્રવેશ આપવાનું છે. આ દૈવીકર્તવ્ય છે. બીજી બાજુ કેટલાક લોકોને એમ લાગતું હતું કે મૂલ્યો અને સભ્યતા ગઈ ભાડમાં, ભારતીય પ્રજાના અજ્ઞાનનો લાભ લઈને ભારતને લૂંટી શકાય એટલું લૂંટો.

એક વર્ગ વ્યવહારવાદીઓનો પણ હતો. તેમને એમ લાગતું હતું કે લૂંટવા માટે પણ ભારતીય ભાષા કરતાં અંગ્રેજી ભાષા વધારે કારગર નીવડી શકે એમ છે. આનું કારણ એ હતું કે આખા દેશને જોડતી હોય એવી વિકસિત ભારતીય ભાષા છે જ નહીં. હિંદુસ્તાની નામની જે ભાષા છે એ હજુ જોઈએ એટલી વિકસિત નથી અને તેને અપનાવામાં અને વિકસાવવામાં હિંદુઓને મુસલમાનોને એમ બેમાંથી કોઈને રસ નથી. તેઓ તો પોતપોતાની ભાષા વિકસાવવા માગે છે જે દેશ ભરના હિંદુઓને અને મુસલમાનોને જોડે. તેમને દેશને જોડવામાં રસ નથી, તેમને પોતપોતાની કોમને એટલે હિંદુઓને અને મુસલમાનો દ્વારા તેમની પોતીકી ભાષામાં જોડવામાં રસ છે. આવા શૂન્યાવકાશમાં અંગ્રેજી ભાષા પણ સ્વીકાર્ય બની શકે એમ છે.

બીજું ભારતનો ભદ્ર વર્ગ અંગ્રેજોની નજીક જવાનો, તેમના જેવા દેખાવાનો અને બીજાં કરતાં અનોખા કે ચડિયાતા દેખાવાનો મોહ ધરાવે છે. આવું ચડિયાતાપણું તેમને અંગ્રેજી ભાષા આપી શકે એમ છે. આનો એક અનુભવ તેમને બ્રાહ્મણોએ કરેલા ધર્માંતર પછી થઈ ગયો હતો. આ સિવાય મુખ્યત્વે કલકત્તામાં અને મદ્રાસમાં જે ભારતીયો અંગ્રેજોના સંપર્કમાં આવ્યા હતા અને થોડું ઘણું અંગ્રેજી બોલી લેતા હતા તેમના તેવર પરથી પણ ખ્યાલ આવવા લાગ્યો હતો.

આ તો ભલે ભદ્રવર્ગની પણ આમ જનતાની વાત થઈ. બંગાળમાં રાજા રામમોહન રાય જેવા ભારતીય નવજાગરણના પિતામહે અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાની માગણી કરી હતી. તેમનું કહેવું એમ હતું કે ભારતીય ભાષાઓ આધુનિક જ્ઞાન શાખાઓનું અને નવજાગરણનું વહન કરી શકે એવી સક્ષમ નથી અને ભારતને જરૂર નવજાગૃતિની છે. તેમણે અંગ્રેજી ભાષા માટે મજબૂત વકીલાત કરી હતી અને અંગ્રેજો ભાષાના માધ્યમ વિશે નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા છે તેની ટીકા પણ કરી હતી.

આખરે ઈ.સ. ૧૮૩૫માં લૉર્ડ મૅકોલેની સલાહથી કંપની સરકારના ભારત ખાતેના ગવર્નર લૉર્ડ વિલિયમ બૅન્ટિકે અંગ્રેજી ભાષા ભારતમાં આપનારા આધુનિક શિક્ષણનું માધ્યમ હશે એવી જાહેરાત કરી હતી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 માર્ચ 2020

Loading

15 March 2020 admin
← દિલ્હી નહીં, ન્યાય દૂર છે
હુલ્લડની બૂમ →

Search by

Opinion

  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved