Opinion Magazine
Number of visits: 9449035
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેતા ન લડે તો ભલે ભારત માટે લડવા ભારતીયો ઊભા છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|2 February 2020

હું મારી કોલમમાં અનેક વેળા લખી ચૂક્યો છું કે ભારતમાં મુસલમાનો અને દલિતો કમનસીબ પ્રજા છે. કમનસીબ એટલા માટે નહીં કે તેઓ લઘુમતીમાં છે અથવા છેવાડે છે; પણ એટલા માટે કે તેમને પ્રજાવત્સલ અને વ્યવહારુ દૃષ્ટિકોણ ધરાવતું નેતૃત્વ જ નથી મળ્યું.

મુસલમાનોની બાબતોમાં એવું બન્યું કે ભારતનું વિભાજન થયું ત્યારે મુસ્લિમ લીગના રાજકીય સગવડના ભાગરૂપે કોમવાદી પણ વ્યવહારમાં પ્રગતિશીલ નેતાઓ પાકિસ્તાન જતા રહ્યા અને ભારતમાં રહ્યા એ મુસલમાનોને આમ જુઓ તો ભારતપરસ્ત પણ દરેક વાતે સાતમી સદી (જ્યારે ઇસ્લામની સ્થાપના થઈ) અને અરબસ્તાન તરફ નજર રાખીને જીવતા અભણ મૌલાનાઓ અને તકવાદી નેતાઓને ભરોસે મૂકતા ગયા. બહુ થોડા મુસ્લિમ નેતાઓમાં ભારતપરસ્તીની સાથે સાથે આધુનિક દૃષ્ટિકોણ અને વ્યવહારવાદી વલણ જોવા મળતા હતા. આવા જે બે-ચાર નેતાઓ હતા તેમને રૂઢિચુસ્ત અને તકવાદી નેતાઓએ ઇસ્લામ વિરોધી કહીને ધકેલી દીધા હતા.

કેટલાક નેતાઓ તો એવા હતા જે વિભાજન પહેલાં પાકિસ્તાનવાદી હતા, પરંતુ વિભાજન પછી તેમણે જ્યારે જોયું કે પોતાના ધંધો-રોજગાર અને સંપત્તિ છોડીને અજણ્યા દેશમાં જવામાં જોખમ છે ત્યારે તેઓ રાતોરાત ભારતીય રાષ્ટ્રવાદી બની ગયા હતા. તેઓ પાકિસ્તાન તો નહોતા ગયા, તેમણે લજવાઈને જાહેરજીવનમાંથી નિવૃત્તિ પણ નહોતી લીધી, ઉપરથી મુસ્લિમ લીગીમાંથી કૉન્ગ્રેસી બનીને જે મુસલમાનો પાકિસ્તાન નહોતા ગયા અને વિભાજનના વિરોધી હતા તેમનું નેતૃત્વ કરવા લાગ્યા હતા. આમ વિભાજન પછી ભારતીય મુસલમાનોને જૂનવાણી વિચારો ધરાવનારા, રૂઢિચુસ્ત, હઠીલા, અને તકવાદી લોકોનું નેતૃત્વ મળ્યું હતું.

ભારતના સેક્યુલર રાજકીય પક્ષો મુસલમાનોને વોટબેંક તરીકે જોતા હતા. તેમના નેતાઓ પણ મુસલમાનોને વોટબેંક તરીકે ખપાવીને અને પોતાના હાથમાં બેંકનો બેરર ચેક હોય એવો દાવો કરીને રાજકીય પક્ષો સાથે સોદાબાજી કરતા હતા. હિન્દુત્વવાદીઓ માટે તો આ ભાવતું હતું. આમ હિંદુઓમાંના કેટલાકે હિંદુ કોમવાદીઓને અપનાવ્યા એનું કારણ ‘મુસ્લિમ વોટબેંક’ જેવી થોડી વાસ્તવિક અને વધુ કાલ્પનિક ચીજ હતી. આને કારણે કેટલાક હિંદુઓને ‘હિંદુ વોટબેંક’માં ફેરવવાની હિન્દુત્વવાદીઓને તક મળી ગઈ હતી.

‘શરિયતના પવિત્ર કાયદાને અમે હાથ લગાડવા નહીં દઈએ, ભલે બલિદાન આપવું પડે’, ‘only on our dead body’ જેવી ગર્જના કરનારાઓ તીન તલાકની બાબતે સરકારે અને દેશે નોંધ લેવી પડે એવી તાકાત સાથે રસ્તા પર પણ ઊતર્યા નહોતા. શા માટે? એક તો ‘મુસ્લિમ વિરોધી દુશ્મન સરકાર’ છે એટલે તેઓ ડરી ગયા હતા, પણ એનાથી પણ વધારે મોટું કારણ એ હતું કે મુસ્લિમ સમાજમાં તીન તલાકને બચાવી લેવાના સમર્થનમાં લોકમત નહોતો. લગભગ સો ટકા સ્ત્રીઓ અને અડધાથી વધુ યુવાનો તીન તલાક નથી ઈચ્છતા. ‘ભલે કોમના દુશ્મનોએ દુશ્મની કાઢી, પણ આપણા માટે તો ટાઢા પાણીએ ખસ ગઈ’ એવી માનસિકતા પ્રવર્તતી હતી. મુસ્લિમ નેતૃત્વને પહેલો ઝટકો ત્યારે લાગ્યો હતો.

હવે નાગરિક ધારામાં કરવામાં આવેલા સુધારા સામે અને હવે પછી થનારી નાગરિક નોંધણી સામે જે રીતે મુસલમાનો દ્વારા અભૂતપૂર્વ પ્રચંડ દેખાવો થઈ રહ્યા છે તેમાં મુસ્લિમ નેતાઓ અને અભણ મૌલવીઓ ક્યાં ય જોવા મળે છે? એકાએક તેઓ અપ્રાસંગિક બની ગયા છે. મોટી સંખ્યામાં સ્ત્રીઓ બહાર પડી છે અને ખરું જોતાં મુસ્લિમ નેતૃત્વ સ્ત્રીઓના હાથમાં છે. ક્યાં ય નાની સંકુચિત કોમી વાત નથી કરવામાં આવતી. લીલા રંગના ઝંડા, ઉર્દૂમાં પ્લેકાર્ડ્સ, મૌલવીઓના ભાષણો, બિકાઉ નેતાઓનું નેતૃત્વ વગેરે કોઈ ચીજ નજરે નથી પડતાં.

જ્યારે દેશમાં ફાસીવાદી રાજ્યનો ઉદય થતો હોય ત્યારે લઘુમતી કોમે નાગરિક બનીને બહુમતી કોમના સેક્યુલર નાગરિકો સાથે મળીને નાગરિક ધર્મ બજાવવો જોઈએ એ તેમને કોણે શીખવ્યું? ગયું હતું કોઈ આ બધું શીખવવા? કુરાન પવિત્ર છે એની ના નહીં, પણ આ-લોકમાં જે દેશમાં જીવતા હોઈએ એ દેશનું બંધારણ પણ જો માણસને માણસ તરીકે જીવવાની સુવિધા કરી આપતું હોય તો એ કુરાન જેટલું જ પવિત્ર છે એ તેમને શીખવવા કોણ ગયું હતું? મુસ્લિમ હોવામાં અને સેક્યુલર રાજ્યના નાગરિક હોવામાં કોઈ આંતર્વિરોધ નથી એ તેમને કોણે શીખવ્યું? ટૂંકમાં અત્યારે મુસલમાનોમાં જે નાગરિક-ભાન જોવા મળે છે એ આવ્યું ક્યાંથી? કોઈએ મુસ્લિમ મહોલાઓમાં જઈને મુસલમાનોનું પ્રશિક્ષણ કર્યું નથી.

આ મુસલમાનોમાં હતું જ. સ્થાપિત હિતો તેને મુખરિત થવા નહોતા દેતા. રખે મુસલમાન વોટબેંક મટી જાય તો? આજે જે રીતે હિન્દુત્વવાદીઓ માંડ રચેલી હિંદુ વોટબેંક ન તૂટે એ માટે આકાશપાતાળ એક કરી રહ્યા છે, એમ તેઓ કરતા હતા. વળી સામાન્ય મુસલમાન પણ સ્થાપિત નેતાઓની તાકાત જરૂર કરતાં વધુ આંકતા હતા. પણ જ્યારે અસ્તિત્વનો સવાલ હોય એવા ખરે ટાણે જો તેઓ મુસ્લિમ મટીને નાગરિક ન બની શકતા હોય, માર્ગદર્શન ન કરી શકતા હોય, મસ્જિદમાંથી બહાર ન આવતા હોય, મોખરે ઊભા રહેવા જેટલી હામ ન ધરાવતા હોય તો તેમને શું પૂળો મૂકવો? ભારતના ‘મુસ્લિમ નાગરિકો’એ ‘મુસ્લિમ નેતાઓ’ને તેમની જગ્યા બતાવી દીધી છે. પ્રારંભમાં કહ્યું એમ જો સગો બાપ ખરા ટાણે કામમાં ન આવે તો સગો દીકરો તેને છોડી દેતો હોય છે.

જો મુસ્લિમ નાગરિક વીરાંગનાઓ આઝાદી રળીને આપતી હોય તો તેઓ ભોગવવા તૈયાર છે. ઇસ્લામિક મૂળભૂતવાદને અને કોમવાદને પોષવા માટે, મદરસાના શિક્ષણને જાળવી રાખવા માટે, સમયે સમયે ઇસ્લામના નામે ગર્જના કરવા માટે કે રુદન કરવા માટે અને રાજકીય સોદાબાજી કરવા માટે પણ છેવટે આઝાદી તો જોઈએ જ અને એ તેમને માટે મુસ્લિમ નાગરિક બહેનો રળીને આપી રહી છે. આને કહેવાય નમાલું નેતૃત્વ.

આનો અર્થ એ થયો કે ભારતના મુસલમાનોને એક અરસાથી એમ લાગવા માંડ્યું હતું કે તેમને તેમના અધિકારનું નાગરિકત્વ સમાજની અંદરથી જ નકારવામાં આવી રહ્યું છે. તેમને એમ પણ લાગવા માંડ્યું હોવું જોઈએ કે તમારા મુસ્લિમ હોવાપણાને સેક્યુલર ભારતમાં નકારવામાં ન આવતું હોય અને ઉપરથી તેને સુરક્ષિત કરી આપવામાં આવ્યું હોય ત્યારે પણ ચોવીસે કલાક મુસ્લિમ જ બની રહેવું અને નાગરિક હોવાપણાને નકારવું એ કેટલું ઊચિત છે? શા માટે મૌલવીઓ અને નેતાઓ આવું કરી રહ્યા છે અને કોમ પાસે કરાવી રહ્યા છે? એ પણ ઠીક છે, પણ જ્યારે મુસલમાનો માટે ભારતનું નાગરિકત્વ જોખમમાં હોય અને તેની પણછે મુસ્લિમ હોવાપણું જોખમમાં છે ત્યારે ઇસ્લામના ઠેકેદારો ક્યાં ય દીઠ્યા જડતા નથી.

આનો બીજો અર્થ એ થાય કે ક્યારે ય કોઈ પ્રજાને મુઠ્ઠીમાં હોવાના ભ્રમમાં રહેવું નહીં. જેમ રેતી હાથમાંથી સરકી જાય એમ પ્રજા એક દિવસ સરકી જતી હોય છે. શંકાનું એક ટીપું મસ્તિષ્કમાં પડ્યું કે એ અજ્ઞાનને ધોવા માટે પૂરતું હોય છે. ધીરે ધીરે એ જ્ઞાનના પ્રકાશમાં ખવડાવવામાં આવતા કોળિયાને તપાસવા લાગે છે. શંકા સાથે એ ત્યાં સુધી આપેલા કોળિયા ખાતો રહેશે જ્યાં સુધી એક નિર્ણાયક વળાંક નહીં આવે. આને અંગ્રેજીમાં ‘ડિફાઇંગ મોમેન્ટ’ કહેવામાં આવે છે. બસ, હવે નહીં. ઇનફ. અમે અમારો વર્તમાન સુધારી લઈશું અને ભવિષ્ય ઘડી લઈશું. મુસલમાનોમાં આમ બની રહ્યું હોય એવાં એંધાણ મળે છે. હિંદુઓમાં પણ કેટલાક સમર્થકોની આંખ ઉઘડવા લાગી છે એનાં પણ એંધાણ મળી રહ્યા છે.

મુસલમાનોની માફક આવાં એંધાણ દલિતોમાં પણ નજરે પડી રહ્યા છે. ડૉ. આંબેડકરના અવસાન પછી દલિતોનું નેતૃત્વ જે તે રાજકીય પક્ષો સાથે સોદાબાજી કરતું આવ્યું છે. આજે આની સાથે તો કાલે બીજા સાથે. માયાવતી, રામવિલાસ પાસવાન અને રામદાસ આઠવલે આનાં ઉદાહરણ છે. તેઓ પણ દલિતોને વોટબેંક સમજે છે, રાજકીય પક્ષો પણ દલિતોને વોટબેંક સમજે છે અને દલિતો પણ આત્યાર સુધી આપણા માણસને વોટ આપીને ચૂંટવો જોઈએ અને જો તે પ્રધાન બનતો હોય તો તે માટે પોરસાતા હતા.

હવે નાગરિક નોંધણીની બાબતે સામાન્ય દલિતો પણ દલિત નેતાને પડતો મૂકીને રસ્તા ઉપર ઊતર્યા છે. તેને સમજાઈ ગયું છે કે આ આખી રમત અત્યારે મુસલમાનોના નાગરિકત્વને નકારવા માટેની છે. આજે મુસલમાનનો વારો છે તો કાલે દલિતોનો પણ આવી શકે છે. દલિતોની સાથે આદિવાસીઓનો પણ વારો આવી શકે છે. તેઓ પણ વગર નેતાએ મોટી સંખ્યામાં રસ્તા પર ઊતર્યા છે. કારણ બહુ સ્પષ્ટ છે. ભારતમાં સવર્ણોને છોડીને કોઈ પ્રજા સો ટકા પોતાનું નાગરિકત્વ સિદ્ધ કરી શકે એમ નથી. તેઓ હિંદુ છે માટે નાગરિકત્વ નકારવામાં તો નહીં આવે, પરંતુ એ જન્મજાત મળેલું હકનું નહીં હોય, પણ રાજ્ય દ્વારા ‘નાગરિકત્વ અસિદ્ધ’ હોવા છતાં મહેરબાનીની રાહે આપેલું હશે. જે આપેલું હોય એ ગમે ત્યારે છીનવી શકાય. આખરે હિંદુરાષ્ટ્ર બ્રાહ્મણકેન્દ્રી રાષ્ટ્ર જ હોવાનું. જો એમ ન હોત તો હિંદુરાષ્ટ્રની રૂપરેખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દેશ સમક્ષ રાખી હોત. શું ખબર તેમની બાંયમાં હજુ બીજાં કેટલાં અને કેવાં પત્તા હશે! આ નાગરિકત્વનું પત્તું ઉતાર્યું એ પછી ભારતની હાંસિયામાં રાખવામાં આવેલી પ્રજા ડરી ગઈ છે. ભારતમાં બ્રાહ્મણી હિંદુ રાજ્ય આવતું લાગે છે.

દલિતોને આ વાતનો ભય છે અને તેમના નેતાઓ ચૂપ છે. સ્ત્રીઓને પણ આવો ભય છે એટલે તેમણે પણ કહેવાતા સેક્યુલર પક્ષોના મહાન નેતાઓ પર ભરોસો રાખવાનું છોડી દીધું છે. ટૂંકમાં સાર્વત્રિક મતદાનના હકવાળા લોકતંત્રને અને સેક્યુલર ભારતને બચાવવાનું મિશન પ્રજાએ પોતાના હાથમાં લઈ લીધું છે. આઝાદીની લડત વખતે, એ પછી બંધારણ ઘડાતું હતું ત્યારે અને એ પછી વખતોવખત કેટલાક શિક્ષિત સવર્ણો કહેતા રહે છે કે મતદાનનો અધિકાર સાર્વત્રિક ન હોવો જોઈએ. તેઓ ઉત્તમ લોકતંત્ર માટે શિક્ષણ જેવી શરતોની વાતો કરે છે, પરંતુ વાસ્તવામાં તેમનો ઈરાદો કેટલાક લોકોને સત્તાથી બહાર રાખવાનો છે.

ઘણીવાર સંકટ આશીર્વાદ બનીને આવતું હોય છે. ભારતની પ્રજા; ખાસ કરીને મુસલમાનો, દલિતો, આદિવાસીઓ અને સ્ત્રીઓએ; મૌલાનાઓને, જગ્ગી-રવિ જેવા બિકાઉ ધર્મગુરુઓને, બોલબચ્ચન બાવાઓને, કરોડરજ્જુ વિનાના અને બિકાઉ નેતાઓને અને પિતા કે પતિઓને પડતા મૂકીને શંખનાદ કરી દીધો છે. આને કહેવાય ડિફાઈંગ મોમેન્ટ! અવજ્ઞાની ક્ષણ! બસ. હવે ઘણું થયું.

માટે બી.જે.પી.ના સાયબરસેલે સોશ્યલ મીડિયા પર હેશટેગ વહેતો કર્યો છે : ‘રિસ્પેક્ટ પ્રાઈમ મિનિસ્ટર’. વડા પ્રધાનને આદર આપવા માટે કહેવું પડે એવી જગતમાં આવી પહેલી ઘટના હશે. આમ પણ આદર રળવાનો હોય, માગવાનો ન હોય એટલી તો જાણ આપણા વડા પ્રધાનને હશે જ.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ફેબ્રુઆરી 2020

Loading

2 February 2020 admin
← શાહીનબાગની સ્ત્રીઓ
47 વર્ષ પછી યુરોપિયન સંઘમાંથી બ્રિટનની વિદાય સંઘમાંથી કાશી ગયું →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved