તુકોજીરાવનો જીવનમંત્ર : ‘તૂ નહિ, ઔર સહી.’
આજથી દાયકાઓ પહેલાં એક હિન્દી ફિલ્મ આવેલી : ‘તૂ નહિ, ઔર સહી.’ એ જ શબ્દોથી શરૂ થતું ટાઈટલ સોંગ લખેલું મજરૂહ સુલતાનપુરીએ. સંગીતકાર રવિએ બાંધેલી તરજમાં ગાયું હતું મુકેશ ચંદ માથુર ઉર્ફે મુકેશે. આ ફિલ્મ તો આવેલી ૧૯૬૦માં. અને ઇન્દોર રાજવી તુકોજી મહારાજે ગાદીત્યાગ કર્યો તે ૧૯૨૬માં. એટલે તેમણે તો આ ગીત ક્યાંથી સાંભળ્યું હોય? હા, કદાચ તેમના જીવન પરથી મજરૂહ સુલતાનપુરીને પ્રેરણા મળી હોય!
રાજકાજ ગયા પછી કરવું શું? દીકરો યશવંતરાવ ગાદીએ તો બેઠો પણ હજી સગીર વયનો હતો એટલે રાજ્યનો કારભાર પોલિટિકલ એજન્ટ અને તેમણે નીમેલી સમિતિના હાથમાં હતો. એટલે તુકોજીરાવને તુક્કો આવ્યો : ચાલો જઈએ, પરદેશની મુસાફરીએ.
સ્વિત્ઝરલેન્ડમાં તુકોજીરાવનો પોતાનો બંગલો હતો. એટલે નાની રાણીને લઈને ઊપડ્યા સ્વિત્ઝરલેન્ડ. પણ છ એક મહિના થયા ત્યાં નાની રાણી તો કંટાળી ગયાં. કહે ચાલો, પાછાં ઘરે જઈએ! ‘તમારે જવું હોય તો જાવ, ઇન્દોર. મને તો અહી ગોઠી ગયું છે.’ નાની રાણી ઇન્દોર ગયાં પછી તુકોજીરાવ મનમાં ને મનમાં ગણગણ્યા હશે: ‘આજ મૈં આઝાદ હું દુનિયા કે ગગન મેં.’ અને તૈયાર થઈ ગયા નવી ગિલ્લી નવો દાવ, માટે.
અમેરિકન પત્ની નેન્સી સાથે તુકોજીરાવ
અને થયું કાગનું બેસવું, અને તાડનું પડવું જેવું. અમેરિકાના સીએટલ, વોશિંગ્ટનમાં ૧૯૦૭ના સપ્ટેમ્બરની નવમીએ જન્મેલી નેન્સી મિલર. બાપ અલાસ્કાની ઘણી સોનાની ખાણોનો માલિક. તો મા હતી કોન્સર્ટ પીઆનિસ્ટ. નેન્સીએ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ‘ઓરિએન્ટલ સિવિલીઝેશન’ કહેતાં પૂર્વની સંસ્કૃતિનો અભ્યાસ કરેલો. બાપ પાસે ચિક્કાર પૈસો, એટલે કમાવાની ચિંતા તો નેન્સીને હતી જ નહિ. અવારનવાર ફરવા નીકળી પડે, ઘણી વાર મા-બાપ પણ સાથે હોય. જે વખતે તુકોજીરાવ સ્વિત્ઝરલેન્ડમાં, એ જ વખતે નેન્સી પણ ત્યાં. તુકોજીરાવ અવારનવાર લુસેનના કેસિનોમાં જાય. લાખ્ખો કમાય કે ગુમાવે. નેન્સી પણ એ કેસીનોમાં જાય. અને એક વાર બંનેની નજર મળી, મન હળ્યાં. મૈત્રી થઈ. તુકોજીરાવ કરતાં નેન્સી સત્તર વરસ નાની. પણ તુકોજીરાવના સંગનો રંગ લાગ્યો. એ પેરિસ ગઈ, તો તુકોજીરાવ પણ પેરિસ. એ દાદી પાસે અમેરિકા ગઈ તો તુકોજીરાવ પણ અમેરિકા. ત્યાં જઈ નેન્સીનાં દાદીને મળ્યા. કહે : ‘હું નેન્સી સાથે લગન કરવા માગું છું.’ દાદીએ નેન્સી સામે જોયું. નેન્સી કહે : ‘હા, હું પણ તેમના પ્રેમમાં પડી છું.’ મિયાં-બીબી રાજી, તો ક્યા કરે દાદીજી! દીકરી અને દાદી એસ.એસ. જિનોઆ નામની સ્ટીમરમાં બેઠાં અને ૧૯૨૭ના ડિસેમ્બરની ૨૬મી તારીખે આવી પહોચ્યાં મુંબઈ.
મુંબઈના એક છાપામાં લગ્નની તૈયારીઓ વિશેનો અહેવાલ
તુકોજીએ હિન્દુસ્તાનનો કિનારો છોડ્યો ત્યારથી બ્રિટિશ સરકારના ખબરીઓ તેમની નાની-મોટી વાતોની ખબર લંડન પહોચાડતા હતા. એટલે તુકોજીરાવ અને નેન્સીના પ્રેમપ્રકરણની વાત વાયા લંડન મુંબઈ પહોંચી ગઈ હતી. મુંબઈ સરકારે અમેરિકન એલચીને ચેતવ્યા. એસ.એસ. જિનોઆ મુંબઈના બેલાર્ડ પિયર પર નાંગરી ત્યારે નેન્સીને મળવા અમેરિકન એલચી હાજરાહજૂર હતા. તેમણે તુકોજીરાવ સાથે લગ્ન ન કરવાની સલાહ આપી. પછી આડકતરી ધમકી. કશું બોલ્યા વગર નેન્સીએ પોતાનો પાસપોર્ટ તેમના હાથમાં મૂક્યો અને બોલી : ‘વાંચો મારી જન્મ તારીખ.’ એલચીએ વાંચી: ‘સપ્ટેમ્બર ૯, ૧૯૦૭.’ નેન્સી : ‘હવે હું સગીર વયની નથી, પુખ્ત વયની છું. એટલે આપ મને રોકી શકો નહિ.’ અને અમેરિકન એલચીએ ચાલતી પકડી.
એ અરસામાં ગ્રેટ બ્રિટન અને અમેરિકાના સંબંધો બહુ એખલાસભર્યા નહોતા. એટલે એક તો બ્રિટિશ સરકારને વહેમ હતો કે આ નેન્સી હિન્દુસ્તાનમાં રહીને જાસૂસી તો નહિ કરે ને? નેન્સીના બાપની સંપત્તિ અને લાગવગ અંગે બ્રિટિશ સરકાર જાણતી હતી. એટલે એવો પણ વહેમ હતો કે અમેરિકન સરકારને ઉશ્કેરીને તુકોજીરાવના ગાદીત્યાગ અંગે હોબાળો તો ઊભો નહિ કરાવે ને? અમેરિકન એલચીના હાથ હેઠા પડ્યા એટલે બ્રિટિશ સરકારે તુકોજીરાવ સામે હથિયાર ઉગામ્યું : ‘તમને દર વરસે ૫૦ હજાર પાઉન્ડનું પેન્શન આપીએ છીએ તે સાવ ઘટાડી નાખશું.’ તુકોજીરાવ કહે : ‘ગાદીત્યાગ અંગેના કરારમાં આવી કોઈ કલમ નથી. છતાં તમે આમ કરશો તો હું પ્રીવી કાઉન્સિલમાં ધા નાખીશ.’
તો બીજી બાજુ ઈન્દોરની રૈયતે આ લગ્નનો વિરોધ કર્યો. કારણ નેન્સી પરધર્મી હતી. તેમાં ય તુકોજીરાવની ધનગર જ્ઞાતિનો વિરોધ તો ઘણો ઉગ્ર હતો. મોટી અને નાની રાણીઓએ પણ વિરોધ કર્યો : ‘ન કરે નારાયણ, ને કાલ સવારે તમારાં સંતાનો રાજગાદી પર હક્ક કરતાં આવે તો? અને નાની રાણીએ તો તરત ઉપવાસ શરૂ કરી દીધા. પણ આ વખતે તુકોજીરાવે મનમાં ગાંઠ વાળી લીધી હતી : ‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું.’ બે રાણીઓનો વિરોધ છે? નેન્સી અને તુકોજીરાવે લેખિત બાંહેધરી આપી કે ભવિષ્યમાં અમારું કોઈ સંતાન રાજગાદી પર હક્ક નહિ કરે. બિન-હિંદુ સ્ત્રી સાથેનાં લગનનો ધનગર જ્ઞાતિ વિરોધ કરે છે? ૧૩મી માર્ચે નાશિક જઈને નેન્સીએ પોતાનો ધર્મ ત્યજી હિંદુ ધર્મ અંગીકાર કર્યો અને નામ બદલીને નેન્સીમાંથી શર્મિષ્ઠા દેવી બની.
નવવધૂ નેન્સી લગ્ન પહેલાં ભેટ–સોગાદો સ્વીકારતાં પાછળ ઇન્દોરનરેશ અને ઓરમાન દીકરા યશવંતરાવ હોલકરનું તૈલચિત્ર
૧૭ માર્ચ ૧૯૨૮. ઇન્દોરથી લગભગ ૩૭ માઈલ દૂર આવેલ બડવાહ ગામ વહેલી સવારથી ધમધમતું હતું. દરિયા મહાલ પેલેસને શણગારવામાં આવ્યો હતો. ગામમાં ઠેર ઠેર તોરણો બંધાયાં હતાં અને ચોરે-ચૌટે શરણાઈઓ ગુંજતી હતી. પેલેસની બહારના મેદાનમાં પચીસ હજાર મહેમાનોને સમાવી શકે એવો વિશાળકાય તંબુ બાંધ્યો હતો. વરઘોડા માટે ઇન્દોર રાજ્યના હાથી-ઘોડા, પાયદળના સૈનિકો, બેન્ડ વગેરે વાપરવાની તુકોજીરાવની માગણી અંગ્રેજ સરકારે સ્વીકારી હતી. પણ પોલિટિકલ એજન્ટે તમામ અંગ્રેજ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે લગ્ન સમારંભ વખતે હાજર ન જ રહેવું. પણ કેટલાક બિન-સરકારી અંગ્રેજો અને પારસી અમલદારો હાજર રહ્યા હતા. કેટલાંક દેશી રાજ્યોએ પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા.
તુકોજીરાવ ત્રીજાનાં ત્રીજાં લગ્નનાં બેન્ડ, બાજા, બારાત
… લગ્ન પછી તુકોજીરાવ અને નેન્સી ઉર્ફે શર્મિષ્ઠા દેવી પરદેશ આવજા કરતાં, પણ મુખ્યત્ત્વે ઇન્દોરમાં જ રહ્યાં. નેન્સીએ ચાર દીકરીને જન્મ આપ્યો. અને બધીને મરાઠા કુટુંબોમાં પરણાવી. ૧૯૭૮ના મે મહિનાની ૨૭મી તારીખે તુકોજીરાવાનું અવસાન થયું. તે પછી નેન્સી મોટો મહેલ છોડી સુખ નિવાસ પેલેસ નામના નાના મહેલમાં રહેવા ગઈ. એક અહેવાલ પ્રમાણે નેન્સીના મૃત્યુ પછી તેની ચાર દીકરીઓ – શારદા રાજે, સીતા રાજે, સુમિત્રા રાજે, અને સુશીલા રાજે – પોતાની માની સંપત્તિ અંગે ઝગડી હતી અને ઝગડો અદાલત સુધી ગયો હતો.
યશવંતરાવ હોલકર (બીજા) ઉંમર લાયક થતાં ૧૯૩૦ના મે મહિનાની ૯મી તારીખે પોલિટિકલ એજન્ટે તેમને રાજસત્તા સોંપી હતી. તેમણે ઇન્દોર રાજ્યમાં પહેલી વાર વિધાન સભાની સ્થાપના કરી અને વડા પ્રધાન અને ત્રણ પ્રધાનોનું મંત્રીમંડળ નીમીને તેમને કારભાર સોંપ્યો. ૧૯૪૭ના ઓગસ્ટની ૧૧મી તારીખે ભારતીય સંઘમાં જોડાવાના કરાર પર તેમણે સહીસિક્કા કર્યા અને ૧૯૪૮ના મે મહિનાની ૨૮મી તારીખે ઇન્દોરનું રાજ્ય ‘મધ્ય ભારત’ (આજનું મધ્ય પ્રદેશ) રાજયમાં ભળી ગયું. મુંબઈની એક હોસ્પિટલમાં ૧૯૬૧ના ડિસેમ્બરની પાંચમી તારીખે યશવંતરાવનું અવસાન થયું.
પણ પછી મુમતાઝનું શું થયું? ૧૯૨૫ના જુલાઈની ૧૯મી તારીખે તેણે બાવલાથી થયેલી દીકરીને મુંબઈમાં જનમ આપ્યો, અને તેનું નામ પાડ્યું સદ્દાત બેગમ. પણ પછી ૧૯૨૬ના માર્ચમા તેણે ૨૮ વરસના અબ્દુલ રહેમાન સાથે નિકાહ પઢી લીધા. તે ચામડાનો મોટો વેપારી હતો. આ તેની ત્રીજી શાદી હતી. કૌટુંબિક ઝગડાને કારણે મુમતાઝે પોતાની અમ્મીજાન પર કેસ માંડ્યો તો અમ્મીજાને સામો તેના પર કેસ ઠોકી દીધો. અબ્દુલ રહેમાન અને મુમતાઝ મુંબઈ છોડી કરાચી રહેવા ગયાં. ત્યાં ગયા પછી એ બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી. અને બંનેએ કાયદેસર છૂટાછેડા લીધા. ૧૯૨૯માં મુમતાઝ ફરી મુંબઈ આવી અને ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ કરી. ઉર્દૂ, ફારસી, અને મરાઠી ગીતોના તેના કાર્યક્રમ રોયલ ઓપેરા હાઉસ અને એડવર્ડ થિયેટરમાં યોજાતા. થોડા વખત પછી તેને હોલીવૂડની પાંચ લાખ રૂપિયાની ઓફર મળી અને તે અમેરિકા ગઈ. તે પછીની તેને અંગેની કોઈ વિગત જાણવા મળતી નથી. હોલીવૂડની કોઈ ફિલ્મમાં તે જોવા મળી નહિ.
પણ હા, બાવલા મર્ડર કેસ પરથી મુંબઈમાં ‘કુલીન કાન્તા’ નામની મૂંગી ફિલમ બનેલી. ૧૯૨૫માં રિલીઝ થયેલી અ ફિલ્મનું દિગ્દર્શન હોમી માસ્તરે કર્યું હતું અને ઇન્દોરનરેશનું પાત્ર ભજવ્યું હતું જેને હિન્દી સિનેમાના પહેલવહેલા સ્ટાર તરીકે ઓળખાવવામાં આવે છે તે ખલીલ નામના એક્ટરે. મુમતાઝનો રોલ મિસ મોતીએ ભજવ્યો હતો. પટકથા લેખક હતા મોહનલાલ જ. દવે અને સિનેમેટોગ્રાફી હતી જી. કે. ગોખલેની.
આજે આપણા દેશનાં વહીવટી તંત્રમાં, ન્યાય પદ્ધતિમાં, પોલીસ ખાતામાં, જે કાંઈ મર્યાદા કે ઊણપ દેખાય તેને માટે અંગ્રેજ રાજને ભાંડવાની આપણને ટેવ પડી ગઈ છે. પણ જરા વિચાર કરો : જ્યારે આજના જેવાં સાધન-સગવડ મુદ્દલ નહોતાં ત્યારે બાવલા ખૂન કેસનો નિવેડો કેટલો ઝડપથી આવી ગયેલો!
મિસ્ટર બાવલાનું ખૂન થયું ૧૯૨૫ના જાન્યુઆરીની બારમી તારીખે સાંજના સાડા સાત વાગ્યે. વાઈસરોયની મંજૂરી મેળવ્યા પછી ૧૯મી જાન્યુઆરીએ મુંબઈ પોલીસની ટીમ ઇન્દોર પહોંચી અને આરોપીઓને ‘વધુ પૂછપરછ માટે’ મુંબઈ લઈ આવી. ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ એસ. એસ. રાંગણેકરની કોર્ટમાં ૨૬મી માર્ચે કેસ દાખલ થયો અને એ જ દિવસે બોમ્બે હાઈ કોર્ટમાં ટ્રાન્સફર થયો. ૨૭મી એપ્રિલથી ત્યાં સુનાવણી શરૂ થઈ. ૨૩મી મે,૧૯૨૫ના દિવસે બોમ્બે હાઈ કોર્ટે ચુકાદો જાહેર કર્યો. ગવર્નર, વાઈસરોય, લંડનની પ્રીવી કાઉન્સિલ સુધી અપીલ થઈ. તેમના જવાબો આવી ગયા. અને ૧૯મી નવેંબરની સવારે તો બે ગુનેગારોને ફાંસી પણ અપાઈ ગઈ.
પહેલા ખૂન કેસ સાથે રાજાબાઈ ટાવર જોડાયેલો હતો. આ બીજા ખૂન કેસ સાથે મલબાર હિલનો સંબંધ. હવે ત્રીજા ખૂન સાથે મુંબઈનું કયું સ્થળ જોડાયેલું હશે? રાહ જુઓ, આવતા શનિવાર સુધી.
e.mail : deepakbmehta@gmail.com
XXXXXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 14 જૂન 2025