‘દિવ્ય ભાસ્કર’ની મુંબઈની આવૃત્તિ શરૂ થઈ ત્યારે તેની એક નાનકડી લોન્ચિંગ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં બી.જે.પી.ના નેતા પ્રમોદ મહાજન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જાત સાથે સંવાદ કરતા હોય એવા અંદાજમાં કહ્યું હતુ કે હમ કહાં જાને નિકલે થે ઔર હમ પહુંચે કહાં. એ પછી તેમણે કહ્યું હતું કે ભારતના સત્તાકીય સંસદીય રાજકારણમાં ટકી રહેવા માટે સામાધાનો કરવા પડે છે અને એ એવો કૂવો છે જેને તળિયું જ નથી. એક દિવસ તમે તમારો મૂળ ચહેરો જ ગુમાવી બેસો તે ત્યાં સુધી કે તમે તમને જ ન ઓળખી શકો. આ વાત તેમણે મીડિયાને તેનો ધર્મ યાદ કરાવવા માટે કરી હતી. મીડિયાએ નેતાઓને યાદ દેવડાવતા રહેવું જોઈએ કે સાહેબ, તમે શું કહેતા હતા અને અત્યારે શું કરો છો.
પ્રમોદ મહાજનને સાંભળ્યા એ પછી અત્યાર સુધીમાં અનેકવાર તેમના કથનની યાદ આવતી રહી છે. આજકાલ અરવિંદ કેજરીવાલને જોઈને તેની વધારે યાદ આવે છે. ઊલટું મનમાં એક બીજો જ પ્રશ્ન પેદા થયો છે. અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અને તેનું આંદોલન મૂળમાં જ પ્રજાકીય છેતરપીડીનું કાવતરું હતુ કે પછી મહાજને કહ્યુ હતું એમ ટકી રહેવા માટે અનિચ્છાએ કરવા પડેલાં સમાધાનોનું પરિણામ છે? આ પહેલાં ૧૯૭૭માં જનતા પાર્ટી વખતે અને ૧૯૮૯માં વી.પી. સિંહના જનતા દળ વખતે પણ દેશને આવો જ અનુભવ થયો હતો. આ સિવાય રાજ્યોમાં એન.ટી. રામારાવ, રામકૃષ્ણ હેગડે જેવાઓ સાથે પણ પ્રજાના નસીબે છેતરાવાનું આવ્યું હતું.
તો પ્રશ્ન એ છે કે જે લોકો મૂલ્યોની મોટીમોટી વાતો કરીને પ્રજાનો વિશ્વાસ રળીને સત્તા સુધી પહોંચે છે એ મૂળમાં જ પ્રજાકીય છેતરપિંડી હોય છે કે પછી સત્તાના પ્રત્યક્ષ રાજકારણમાં અટવાઈ પડેલા હોય છે? બન્ને બાબત ગંભીર છે. ગણતરીપૂર્વકની છેતરપીંડી ગંભીર છે જ પણ સારા માણસને ધરાર સમાધાનો કરવાં પડે એવી રાજકીય સંસ્કૃતિ પણ એક ગંભીર રાષ્ટ્રિય બીમારી છે.
મારું એવું માનવું છે કે ૧૯૭૭નો જનતા પાર્ટીનો પ્રયોગ એક વિશિષ્ઠ પરિસ્થિતિનું પરિણામ હતું. લોકોને ઇન્દિરા ગાંધીની કાઁગ્રેસ સામે લોકતાંત્રિક વિકલ્પ જોઇતો હતો અને સમય ઓછો હતો. જનતા પાર્ટીના નેતાઓએ લોકતંત્રનાં રક્ષણ સિવાય બીજા કોઇ વાયદા નહોતા કર્યા અને લોકતંત્રનું રક્ષણ તેમણે કર્યું પણ હતું. પરંતુ જનતા પાર્ટી વિવિધ અને પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા પક્ષોનો મેળો હતો અને ઉપરથી પોતાની મૂળ જગ્યા પકડી રાખવાની અને બને તો બીજાના ભોગે પોતાની જગ્યા બનાવવાની રાજકીય પક્ષો પ્રયાસ કરતા હતા. આને કારણે જનતા પાર્ટીનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો હતો. એ પૂર્વઆયોજિત પ્રજાકીય છેતરપિંડી નહોતી.
વિશ્વનાથ પ્રતાપસિંહની મૂલ્યો પ્રત્યેની ખેવના શંકાસ્પદ હતી. શબ્દપ્રયોગ તરફ ધ્યાન આપવામાં આવે; શંકાસ્પદ હતી. એક જમાનામાં તેઓ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં સક્રીય હતા. પોતાની જમીન દાનમાં આપી દીધી હતી. પ્રજાકીય અને માનવતાના પક્ષે ઊભા રહેતા હતા. બહુ સારા કવિ અને ચિત્રકાર હતા જેમાં તેમની સંવેદના પ્રગટ થતી હતી. પણ વી.પી. સિંહ હતા ચાલાક. તેઓ કાઁગ્રેસની સામે પડ્યા ત્યારે જ ચંદ્રશેખર જેવા લોકો કહેવા માંડ્યા હતા કે આ માણસ શિયાળને શરમાવે એવો ચતુર છે. એક દિવસ તમારી આંખ ઊઘડશે પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. વિશ્વનાથ પ્રતાપ સિંહની બાબતમાં પણ પ્રજાને છેતરાવાનું આવ્યું હતું.
અરવિંદ કેજરીવાલ અને તેમના ખેલ વિશે મને પહેલેથી જ શંકા હતી અને એ મેં ત્યારે લખ્યું પણ હતું. અત્યારે આમ આદમી પાર્ટી કોઇ પણ દૃષ્ટિએ અનોખી પાર્ટી રહી નથી. દેશના અર્થતંત્રને પાટે ચડાવવા દેવદેવીઓના ફોટા ચલણી નોટ ઉપર છાપવા જોઇએ એમ કહીને તેમણે સાબિત કરી આપ્યું છે કે તેને લાજશરમ નથી. બી.જે.પી.ની જેમ કોઈ પણ ભોગે સત્તા જોઇએ છે. ખેડૂત આંદોલન, દિલ્હીમાં કોમી હિંસા, બળાત્કાર જેવી બર્બર ઘટનાઓ, બિલ્કિસ બાનુના બળાત્કારીઓ અને તેનાં પરિવારના સભ્યોના હત્યારાઓની મુક્તિ જેવી ગમે તેવી વ્યથિત કરી મૂકે એવી ઘટના હોય, એ ભાઈ મૂંગા રહી શકે છે. દસ વર્ષ પહેલાં એ ભાઇ જે કહેતા હતા એ બધું જ ભૂલાઈ ગયું છે.
એ વાતમાં કોઈ શંકા નથી કે ૨૦૧૧ અને એ પછીની ઘટનાઓ કાઁગ્રેસને બદનામ કરવાનું કાવતરું હતું. એમાં બાબા રામદેવ અને ઓડિટર ઍન્ડ કન્ટ્રોલર જનરલ વિનોદ રાય પણ ભાગીદાર હતા. બાબા કાળું નાણું ભૂલી ગયા છે અને વિનોદ રાયનો એક પણ આરોપ સાબિત થયો નથી. ૧૯૮૯માં ટી.ઈન. ચતુર્વેદી નામના સી.એ.જી.એ પણ આ જ રીતે રાજીવ ગાંધીની સરકારના ભ્રષ્ટાચારના આંકડા વધારીને આપ્યા હતા. નિવૃત્તિ પછી બી.જે.પી.માં જોડાયા અને ગવર્નર તરીકે લાભ લીધા હતા. અરવિંદ કેજરીવાલ અને એ સમયના ભ્રષ્ટાચાર વિરોધીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવેકાનંદ ફાઉન્ડેશનમાં મળતા હતા અને ત્યાં જ તેમની મિટીંગો થતી હતી. આ બાજુ નરેન્દ્ર મોદીએ પોતાની ઇનિંગ શરૂ કરી હતી. ટીમ ‘એ’ અને ટીમ ‘બી’ એમ બન્નેને મેદાનમાં ઉતારામાં આવી હતી. ગમે તે જીતે ટીમ.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 નવેમ્બર 2022
![]()


‘ઊંચાઈ’ જોઈ. જોવા જેવી છે. કોઈ પર્વત પોતાને જોવા આવવાનું કહેતો નથી. હિમાલય પર કોઈ જાય કે ન જાય, હિમાલયને ફરક પડતો નથી. એ તો એની બર્ફિલી સાધનામાં મસ્ત છે. માણસ પણ પહાડોમાં ન જાય તો એનું રૂટિન ખોરવાતું નથી, પણ રૂટિન ખોરવીને પણ એ હિમાલયનાં દર્શને નીકળી પડે છે એ પણ ખરું. એ સાધુ નથી એટલે સંસાર પણ ખીણમાંથી પહાડો સુધી ખેંચાઈ આવે છે. બલકે, એ ખટમીઠો સંસાર જ એને એ ઊંચાઈ આંબવા પ્રેરે છે. અહીં સગવડો નથી. કારની ગતિ નથી. ટ્રેનની ઝડપ નથી. એક એક ડગલું શ્વાસને બરફ બનાવતી સ્થિતિમાં જાતે જ માંડવાનું હોય છે. આપણે કોઈના વતી હોઈએ તો પણ, કોઈ અહીં આપણા વતી નથી. બધા અહંકારો બાજુ પર મૂકીને, જાતને નમાવીને જાતે જ આગળ વધવાનું હોય છે. ઝૂકો નહીં તો શિખર સુધી પહોંચાતું નથી. ખરેખર તો આપણે જ પર્વત સુધી જવાનું હોય છે, પર્વત સામે તેડવા આવે એવું બનતું નથી. એ તો કહે જ છે કે ઈચ્છા હોય તો આવો ને ન હોય તો ઘર તો બોલાવે જ છે …
રાજશ્રી પ્રોડક્શનની સૂરજ બડજાત્યા દિગ્દર્શિત ફિલ્મો ઘણુંખરું તો સામાજિક રીતરિવાજોની ફિલ્મો રહેતી. તે લોકોનાં મનોરંજન માટે જ બનાવાઇ, પણ ‘ઊંચાઈ’ સૂરજે પોતાને માટે બનાવી છે, એવું એમણે જ કહ્યું છે ને એ ફિલ્મ દરમિયાન અનુભવાય પણ છે. એક જ લીટીમાં કહેવું હોય તો કહેવાય કે આ ફિલ્મ સિત્તેર, એંશીની આસપાસના ત્રણ મિત્રો એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી કેવી રીતે પહોંચે છે તેની વાત કરે છે. પણ, વાત એટલી જ નથી. ચાર મિત્રોની એકબીજા પ્રત્યેની લાગણીની આ ફિલ્મ છે. અમિત શ્રીવાસ્તવ (અમિતાભ બચ્ચન), ઓમ શર્મા (અનુપમ ખેર), જાવેદ સિદ્દિકી (બમન ઈરાની) અને ભૂપેન બરૂઆ (ડેની ડોંગ્ઝપ્પા) આ ચાર મિત્રો ભૂપેનની વર્ષગાંઠે પાર્ટીમાં ભેગા થાય છે ને અહીં ભૂપેન અગાઉ ઘણીવાર કહી ચૂકેલો તે વાત, માઉન્ટ એવરેસ્ટ જવાની, ફરી દોહરાવે છે ને મિત્રો પોતાની ઉંમરને જોતાં એ વાત નકારતા રહે છે. અચાનક ભૂપેનનું મૃત્યુ થાય છે ને આઘાત પામેલા મિત્રો નક્કી કરે છે કે ઉંમર, માંદગી ને બીજા અનેક પ્રશ્નો છતાં ભૂપેનની આખરી ઈચ્છા એવરેસ્ટ બેઝ કેમ્પ જવાની પૂરી કરવી. ટ્રેક ઇન્સ્ટ્રક્ટર શ્રદ્ધા(પરિણતિ ચોપરા)ની દોરવણી હેઠળ અન્યોની સાથે આ મિત્રો વિમાન માર્ગે હિમાલયની ખીણમાં ઊતરે છે. ખીણમાં ઊતરે છે એ સાથે જ આ બધાં પોતાનાં સંસારની સ્મૃતિમાં ય ઊતરે છે. જેમ કે એવરેસ્ટ જતાં પહેલાં લખનૌમાં રહેતી દીકરીને સાસરે ઓચિંતા પહોંચીને જાવેદ અને તેની પત્ની શબીના (નીના ગુપ્તા) ને આ મિત્રો, વર્ષગાંઠ નિમિત્તે સરપ્રાઈઝ આપવા માંગે છે, પણ દીકરીએ તેનાં ગ્રૂપમાં પાર્ટી અગાઉથી ફિક્સ કરી દીધી છે ને સરપ્રાઇઝની સામે સરપ્રાઈઝ મળતાં અગવડ એવી ઊભી થાય છે કે આ મિત્રોએ હોટેલ શોધવી પડે છે. માર્ગમાં માલા ત્રિવેદી (સારિકા) જોડાય છે. તેને એર ટિકિટ ભૂપેને મોકલી છે. ભૂપેનની તે પર્વતી મિત્ર/પ્રેમિકા છે. એ જ કારણ છે કે ભૂપેન પરણ્યો નથી ને માલા પરિસ્થિતિવશ પરણી જાય છે, પણ ભૂપેનને તે વર્ષો પછી પણ ભૂલી નથી, જો કે, આ મિત્રો માલાને, ભૂપેન માટે જવાબદાર ગણે છે ને તેને બહુ ભળવાથી દૂર રાખે છે. ઓમ શર્મા ગોરખપુરમાં પૂર્વજોની પોતાની હવેલી છે, તેમાં રહેવાની વાત કરે છે ને ભવ્ય હવેલીનો ફોટો પણ બતાવે છે, પણ વર્ષો પછી પાછા ફરેલા ઓમને હવેલી બિસ્માર હાલતમાં જોવા મળે છે ને ઘર છોડીને નીકળી ગયેલા ઓમને આવકારમાં ઠપકો મળે છે. અમિત શ્રીવાસ્તવ લેખક છે અને લોકપ્રિય રહેવા જે લખવું પડે તે લખે છે. મતભેદ થતાં પત્ની ઘણા સમય પહેલાં અલગ રહેવા ચાલી ગઈ છે. જાવેદની પત્ની શબીનાથી છુપાવીને આ મિત્રો એવરેસ્ટ બેઝ કેમ્પ જવા નીકળ્યાં છે, પણ તે જાણી જાય છે ને ઝઘડો છતાં, જાવેદ, પત્નીને નારાજ કરીને અમિત અને ઓમ સાથે એવરેસ્ટ માટે નીકળી પડે છે. ટ્રેક ઇન્સ્ટ્રક્ટર શ્રદ્ધાના પિતા અમિતથી પ્રભાવિત છે ને તેને આદર્શ માનીને શ્રદ્ધાને અમિતનાં પુસ્તકો વાંચવા આપે છે, પણ તેને એમાં ભરોસો પડતો નથી. અમિતને પણ પોતાની પોકળતા સમજાય છે ને તે, તે હજારો પ્રશંસકો સમક્ષ જાહેર પણ કરે છે. આ વાતે શ્રદ્ધા પ્રભાવિત થાય છે ને નાદુરસ્ત તબિયતને કારણે ત્રણે વૃદ્ધોને પરત મોકલવાનો પોતાનો નિર્ણય બદલે છે. બેઝ કેમ્પ સુધીનો જોખમી માર્ગ અનેક મુશ્કેલીઓ વચ્ચે પાર પડે છે એ પછી બર્ફીલી સફેદીમાં ભૂપેનની રાખનું વિસર્જન થાય છે. એ દૃશ્ય હૃદયસ્પર્શી છે. અમિત, ભૂપેનની રાખને હવામાં છોડે છે. ઓમ પણ એમ જ રાખ વિસર્જિત કરે છે. જાવેદ ઘડાને ચૂમે છે ને ડૂસકાતી આંખે રાખ છોડે છે, પછી એ ઘડો માલા તરફ લંબાવે છે. જેને જવાબદાર ગણી હતી એનો જ કદાચ વધારે હક ભૂપેનની રાખ પર હતો. એ રાખ વિસર્જિત કરે છે .., આ દૃશ્ય હૈયું વલોવનારું છે.