હૈયાને દરબાર
આજની નવી પેઢી સંગીત ક્ષેત્રે કમાલ કરી રહી છે! ખાસ કરીને ગુજરાતમાં. માતૃભાષા માટે એ કટિબદ્ધ છે. પોતાની ભાષા સાચવીને યુવા પેઢીને ગમે એવાં ઉમેરણ કરી રહી છે. કન્ફ્યુઝ થવાય એવું ફ્યુઝન તેઓ નથી આપતા. એમના વિચાર સ્પષ્ટ છે, સંગીત સરળ છે, અભિવ્યક્તિ સચોટ છે. ગુજરાતની યુવા પેઢી આ નવાં ગુજરાતી ગીતો સાંભળીને ઊછરી રહી છે. બે દિવસ પહેલાં એવું જ એક આધુનિક પતંગ ગીત સાંભળ્યું. રાગ મહેતાનો કંઠ અને આકાશ શાહનું સ્વરાંકન. રાગ મહેતા યુવા સંગીતકાર અને ગાયક છે. છેલ્લાં આઠ વર્ષથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે. આજે ઉત્તરાયણ નિમિત્તે આ ગીત તો સાંભળવું જ પડે એવું સુંદર છે.
ઉતરાણ એ એવો તહેવાર છે જે નાના-મોટા, આબાલવૃદ્ધ, સ્ત્રી-પુરુષ, ગરીબ-તવંગર, હિંદુ-મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી સૌ ઉત્સાહપૂર્વક ઊજવે છે. મકરસંક્રાંતિ તરીકે ઓળખાતા આ તહેવારની મજા તો ગુજરાતમાં જ.

ઉતરાણની આગલી રાતથી જ સુરત-વડોદરા-અમદાવાદ જેવાં શહેરોમાં આખી રાતનું પતંગ બજાર ભરાય. શોખીન લોકો તો આગલી રાત્રે જ ડઝનબંધ પતંગો કિન્ના બાંધીને ક્યારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે-છાપરે જઈને ચગાવીએ એની રાહમાં સરખું ઊંઘે પણ નહીં! ગૃહિણીઓ આગલે દિવસે તલ-સાંકળી કે તલના લાડુ બનાવી રાખે છે. સાથે બોર, જામફળ ને શેરડીની જ્યાફત તો ખરી જ! અમદાવાદીઓ ઊંધિયું-જલેબી કે ધનુર્માસની ખીચડી બનાવીને ઉતરાણ ઊજવે છે.
ઉતરાણના દિવસે વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્યા વિના હાથે ગરમ મોજાં સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધનો મંગલ પ્રારંભ કરી દે. આઠ-નવ વાગતાંમાં તો આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય. પેચ માત્ર આકાશમાં જ લડાય એવું નહીં, ધાબા પર પહોંચેલાં યુવા હૈયાંના પેચ પણ લાગી જાય. આ બધાની સાથે સંગીત તો જોઈએ જ. એના વિના તો રંગ જામે નહીં. ગુજરાતી ફિલ્મોમાં પતંગની વાત આવે તો લોકોને જલસા પડે જ, પરંતુ હિન્દી ફિલ્મોમાં ય પતંગ ગીતો ઊજવાય છે, જેમ કે,
ઊડી ઊડી જાય, દિલ કી પતંગ દેખો ઊડી ઊડી જાય
કહેને કો તો ખેલ હૈ યે તેરા મેરા સાંઝા
પર મેરા દિલ હૈ પતંગ ઔર તેરી નઝર માંઝા
માંઝે સે લિપટી હૈ પતંગ જુડી જુડી જાએ …!
કેટલાંક ગીતો સાથે વળી માનવ સ્વભાવ અને ચિંતન પણ રજૂ થાય, જેમ કે,
ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા ઉસ પતંગ કો ઢીલ દે
જૈસે હી મસ્તી મેં આયે ઉસ પતંગ કો ખીંચ દે ..!
રમેશ પારેખની આ ગુજરાતી કવિતા જુઓને;
પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ!
ખરેખર, ગુજરાતીઓનો ઉમળકો ઉતરાણને દિવસે પતંગ જેટલો જ ઊંચે ચગે છે.
રઈશ મનીઆર લિખિત મેહુલ સુરતીએ સ્વરબદ્ધ કરેલું આ ગીત
આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઊમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો …
ગુજરાતીઓની શાન જેવું છે. સુરતનાં ધાબાંઓ પર અચૂક સાંભળવા મળે. ફિલ્મી ગીતોની ભરમાર વચ્ચે હવે નવાં ગુજરાતી ગીતો પણ પ્રજા સાંભળતી થઈ છે. તેથી અમદાવાદના યુવા કલાકાર રાગ મહેતાએ એક સરસ મજાનું પતંગ ગીત આ ઉતરાણે રિલીઝ કર્યું.
ડાયનેમિક કલાકારો રાગ મહેતા અને આકાશ શાહે મળીને છેલ્લાં થોડાંક વર્ષોમાં દસ ઓરિજિનલ ગુજરાતી ગીતો આપ્યાં છે. ‘ઊડે ઊડે રે પતંગ …’ ગીત વિશે રાગ મહેતા કહે છે, ‘ઊડે રે પતંગ ગીત માટે અમે સૌ ઉત્તેજના અનુભવીએ છીએ. વિડિયોગ્રાફી, શબ્દ અને સૂરના સુંદર સંયોજનને લીધે આખું ગીત મજેદાર બન્યું છે.’
ઉજ્જ્વલ દવે લિખિત આ ગીત કમ્પોઝ અને ડિરેક્ટ કર્યું છે આકાશ શાહે. મૌલિકા પટેલ, રાગ મહેતા અને આકાશ શાહના અભિનય સાથેનો આ વીડિયો પણ રોમેન્ટિક અને મસ્તીસભર છે. ગીતની પંક્તિઓને અનુરૂપ ભાવ સાથે રજૂ થયેલું આ ગીત ‘ઊડે રે પતંગ …’ આ વખતે અમદાવાદનાં ધાબાંઓ પર સાંભળવા મળે તો નવાઈ નહીં.
ગીતનું હાર્દ ઉત્તરાયણ અને ધાબાંઓ પર પાંગરતી પ્રેમ કહાણી છે. રંગબેરંગી પતંગોની વચ્ચે બે દિલોની ધડકનની અભિવ્યક્તિ થઈ છે.
રાગ મહેતાએ આ પહેલાં ‘નવ નવરાત’, ‘આવી નવરાત્રિ’, ‘લીલા લહેર’, ‘તરવરાટ’ જેવાં ટ્રેક્સ આપ્યાં છે. આકાશ શાહનાં રક્ષાબંધન અને હોળી ગીત પણ લોકપ્રિય થયાં છે.
રાગ મહેતાએ માતા-પિતા ગાયત્રી-રિષભ મહેતા પાસેથી જ સંગીતના સંસ્કાર મેળવ્યા છે. ગાયત્રી-રિષભ મહેતા એ સુગમ સંગીતની અગ્રગણ્ય ગાયક બેલડી છે. રાગ મહેતાએ ગુરુ અનિકેત ખાંડેકર પાસે સંગીતની વિશેષ તાલીમ લીધી છે. રાગ કહે છે, ‘પિતાએ હંમેશાં મને આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાની સલાહ આપી હોવાથી હું પોતે જ મારું મ્યુઝિક બનાવું છું. ક્યારેક પપ્પાનાં લખેલાં ગીતો સ્વરબદ્ધ કરું છું. ગુજરાતી સુગમ સંગીત પણ મને ગમે છે, કારણ કે એમાં સુંદર કાવ્યતત્ત્વ સાથે કર્ણપ્રિય મેલડી હોય છે. ઉતરાણનું અમારું આ ગીત યુવાનોને પસંદ આવશે જ.’
આજે ઉતરાણના તહેવારે પતંગની મજા સાથે નવી અરેન્જમેન્ટ સાથેનું ગીત માણજો. હેપ્પી ઉત્તરાયણ.
————————
આશાની પતંગ લઈને
અરમાનોની ફીરકી ઉપાડી
આસમાને ઊડવા ચલી સવારી
આખું ધાબું એ ગજાવે
આજુબાજુ સૌને સતાવે
ફીરકીથી ખુશીઓ ચગાવે
ઊડે ઊડે રે પતંગ
જાણે આકાશે જામ્યો છે મસ્તીનો જંગ
એની પતંગ કોઈ કાપી જો નાખે તો,
ગુસ્સામાં બીજો ચગાવે,
કિન્નાઓ બાંધીને, ફીરકીઓ પકડીને
જુસ્સો આ એનો વધારે,
ઢીલ ખેંચથી પેચ લડાઈ
સામેની જો પતંગ કપાઈ
ખુશીઓ આ બધા મનાવે
આખું ધાબું એ ગજાવે
ફીરકીથી ખુશીઓ ચગાવે
ઊડે ઊડે રે પતંગ …!
• ગીતકાર : ઉજ્જ્વલ દવે • સંગીતકાર: આકાશ શાહ • ગાયક : રાગ મહેતા
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 જાન્યુઆરી 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=673112
![]()


આ યુગના અસામાન્ય ચિંતક પ્રૉફૅસર નોમ ચોમ્સ્કીએ ૨૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ, હાર્વર્ડ લૉ સ્કૂલના (HLS) પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે, સારી આવતીકાલ માટેની અપેક્ષાઓ અંગે વાર્તાલાપ કર્યો. માઈકલ લહાવીએ પ્રૉફૅસર ચૉમ્સ્કીના વાર્તાલાપનું સંચાલન કર્યું.

હવે અપેક્ષિત આયુષ્યમાં ઘટાડો થયો છે. જે વિકસિત સમાજોમાં અપૂર્વ છે સિવાય કે યુદ્ધ કે મહામારીના સંજોગો હોય. અર્થશાસ્ત્રીઓ જેને ‘ડૅથ્સ ઑફ ડિસ્પૅર’ (નાઉમેદીનાં મૃત્યુ) કહે છે, ખાસ કરીને શ્વેત કામદાર વર્ગ જેમણે ઉમેદ છોડી દીધી છે, એ લોકોનો આ આંકડામાં સમાવેશ નથી, એ આમ જ મૃત્યુ પામે છે. એમના માટે કોઈ જોગવાઈ નથી. આવું માત્ર યુનાઈટેડ સ્ટેટ્સમાં જ નહીં પરંતુ અન્ય પણ, યુરોપ અને બીજે ઠેકાણે બન્યું છે જેથી સ્વાભાવિક નારાજગી, ગુસ્સો, સંસ્થાઓ માટે તિરસ્કાર જન્મ્યાં છે. પશ્ચિમી વિશ્વ આખામાં મધ્યમસરના વિચાર ધરાવનાર પક્ષોનો અર્થપૂર્ણ રીતે હ્રાસ થયો છે. અહીં પણ એવું બન્યું છે. અહીં નામ એ જ રાખે છે, યુરોપમાં નામ બદલી નાખે છે. વિશ્વભરમાં કંઈક આવું જ બની રહ્યું છે. આ બાબતનું એ પાસું એ છે કે જેને નિત્જે ‘રીઝોન્તોમોં’ કહેતા હતા, માત્ર ગુસ્સો, કેન્દ્રિત ન થયેલી નારાજગી રાજકીય ચળવળિયાઓ માટે ખૂબ અનુકૂળ ભૂપ્રદેશ સાબિત થાય છે. એ આવીને તમને કહી શકે, “હું તમારો મસિહા છું, મારો ભરોસો કરો, મને અનુસરો”, એમ બોલતાં જાય ને તમારી પીઠમાં ખંજર મારતા જાય. છેલ્લાં ચાર વર્ષથી આપણે આ જ માહોલમાં જીવી રહ્યાં છે ને આવતાં ચાર વર્ષ દરમ્યાન પણ આમ જ રહેશે, ભલે ને જે પણ ઓવલ ઑફિસમાં સ્થાન ગ્રહણ કરે.
પયગંબરોનો આદર કરવાનો હોય ને ઢોંગી પયગંબરોને દોષિત ઠેરવવાના હોય. એ ઢાંચો ઇતિહાસમાં સળંગ જોવા મળે છે, આજ સુધી. સાંપ્રત સમયમાં એના માટે જુદાં શબ્દો વપરાય છે. ઢોંગી પયગંબરો પોતાને technocratic (તકનીકતંત્ર સંબંધી) અને meritocratic (લાયકાત જોઈને ચૂંટી કાઢેલા લોકોનું શાસન) બુદ્ધિજીવીઓ કહેવડાવે છે અથવા એવા કોઈ નામથી પોતાને ઓળખાવે છે. આ લોકો, જેમ કિસિંજરે એક વખત કહ્યું હતું, સત્તા ધરાવતા લોકોના મત અને વિચારો રજૂ કરે છે ને એમનું સારું ચાલે છે. તો બીજી તરફ, ટીકાકારો ને વિરોધીઓ છે જેમને તકલીફ પડે છે. કેવો સમાજ છે એની પર નિર્ભર છે, પરંતુ એક યા બીજી રીતે લગભગ દરેક સમાજ પાસે કાં તો એમને હાંસિયાકૃત કરવાનો અથવા એમની હત્યા કરવાનો અથવા એમનો કેદ કરવાનો અથવા એમની પર યાતના ગુજારવાનો કોઈ ને કોઈ રસ્તો હોય જ છે, સમજ્યા. પ્રોત્સાહનના માળખા જે તમે વર્ણવ્યા એના આધારે તમે આ અપેક્ષા કરો એ સ્વાભાવિક છે. ઇતિહાસમાં સતત આપણે આ જોઈ શકીએ છીએ. એટલે દા. ત. તરીકે તમે ‘બુદ્ધિજીવી’ શબ્દ લો. એનો આધુનિક ઉપયોગ ૧૯મી સદીના ઉતરાર્ધમાં ફ્રાંસમાં ડ્રાયફસ ટ્રાયલ વખતથી શરૂ થયો હતો. આધુનિક અર્થમાં ડ્રાયફસાર્ડ્સને બુદ્ધિજીવીઓ કહેવામાં આવ્યાં હતાં, એમાંના સૌથી જાણીતા એવાં ઍમિલ ઝોલા અને બીજાં હતાં. આજે આપણે ડ્રાયફસાર્ડ્સને માન અને આદરથી જોઈએ છીએ. એમના સમયમાં એવું નહોતું. એમની પર આકરા પ્રહારો થયાં હતાં. ઍમિલ ઝોલાને જીવ બચાવવા ફ્રાંસથી ઇંગ્લૅન્ડ નાસી જવાની ફરજ પડી હતી. ધી ઈમોર્ટલ્સ, ધી અકૅડૅમી ફ્રોંસેંસ — મહત્ત્વનું બુદ્ધિજીવી કેન્દ્રએ આપણી અદ્ભૂત સંસ્થાઓ, ન્યાયાલયો, સેના, વગેરેની નિંદા કરવાની હિંમત કરવા સારુ ડ્રાયફસાર્ડ્સની સખત ટીકા કરી હતી. ૧૯૬૮માં હાવર્ડ ભૂતપૂર્વ ડીન, મકજ્યોર્જ બંડીએ જેમને ‘wild men in the wings’ (રંગમંચના પડખાના બેકાબૂ માણસો) કહેલાં એવાં હતાં ડ્રાયફસાર્ડ્સ. જૉનસન, કેનેડીના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર રહી ચૂકેલા હતા બંડી. ૧૯૬૮માં વિદેશ નીતિ પર એમણે એક મહત્ત્વનો લેખ લખેલો. તે સમયે શાંતિ ચળવળ ટોચે હતી. એ લેખમાં એમણે જવાબદાર, ગંભીર બુદ્ધિજીવીઓને તારવી બતાવેલા કે જેઓ આપણી યુક્તિપ્રયુક્તિઓની ટીકા કરે પણ એથી વિશેષ કશું નહીં. બીજી તરફ wild men in the wings હતાં મારા જેવા જે એમની નીતિઓની ટીકા કરવાની હિંમત કરતાં હતાં, એમના આયોજનનો તાગ મેળવવા એમની નીતિઓના લક્ષ્યો, હેતુઓ અને આંતરિક દસ્તાવેજો તપાસતાં. એ હતાં wild men in the wings. જેવું ઇતિહાસમાં સતત બનતું આવ્યું છે એવું આજ પણ બને છે, બરાબર છે? તો તમે શું કરશો? પસંદગી તમારી છે. (લહાવીને સંબોધે છે માટે man — એકવચનનો પ્રયોગ કર્યો છે) તમે wild man in the wings બનીને બધાંના સારા માટે કાર્ય કરી શકો છો અથવા પ્રલોભન સ્વીકારીને ધનવાન કોર્પૉરૅટ વકીલ બની શકો છો. ઠીક છે? પસંદગી તમારે કરવાની છે.
સરકાર પોતે સમસ્યા છે, નિરાકરણ નહીં. એટલે સરકાર સંકળાઈ નહીં. તેથી એમ કહી શકાય કે કોઈએ દડો ઉપાડ્યો નહીં. કરી શકાય એવી બાબતો હતી. ૨૦૦૯માં ઓબામા જ્યારે સત્તા પર આવ્યા ત્યારે પ્રથમ એમણે પ્રૅસિડૅનશ્યલ સાયન્ટિફિક ઍડવાઈઝરી કાઉન્સિલની મિટિંગ બોલાવી અને એમણે મહામારીને પહોંચી વળવાનો કાર્યક્રમ (pandemic response programme) તૈયાર કરવાનું કાર્ય સોંપ્યું. થોડાંક અઠવાડિયાઓમાં એ લોકો કાર્યક્રમ તૈયાર કરીને લાવ્યા અને ઓબામા સરકારે એનો અમલ કર્યો. ચીનમાં સંભવિત કોરોના વાયરસને ઓળખવાનો, એના લક્ષણો વિશે જાણવાનો કાર્યક્રમ અમૅરિકન વૈજ્ઞાનિકો એ ગણતરીએ પાર પાડી રહ્યાં હતાં કે જો કદાચ આ વાયરસ પ્રાણીમાંથી મનુષ્યમાં સંક્રમિત થાય અને મહામારી ફેલાય. ઓબામાના કાળ દરમ્યાન જાન્યુઆરી ૨૦૧૭ સુધી આ ચાલું રહ્યું. પછી પ્રૅસિડન્ટ ટ્રમ્પ ચૂંટાયા. ઑફિસ સંભાળ્યાના પ્રથમ દિવસોમાં જ એમણે pandemic response programmeનો અંત આણી દીધો. પછીનાં વર્ષોમાં ચીનમાં કાર્ય કરી રહેલાં અમૅરિકન વૈજ્ઞાનિકોના કાર્યક્રમોને ખતમ કરી દીધા અને એમનો નિકાલ કરી દીધો. ત્યારબાદનું પગલું, ખરેખર શરૂઆતથી, સેન્ટર ફૉર ડિઝિઝ કન્ટ્રોલને અપાતી નાણાંકીય સહાય બંધ કરી દીધી. આવું સરકારના આરોગ્ય સંબંધી તમામ પાસાઓ સાથે બન્યું. દર વર્ષે, દરેક બજેટમાં આ ચાલું રહ્યું. કૉંગ્રૅસે ક્યારેક એને અસફળ બનાવ્યું પરંતુ વ્હાઇટ હાઉસે હંમેશાં એની તરફેણ કરી. જનતાને રક્ષણ પૂરું પાડે એવી તમામ બાબતોની નાણાંકીય સહાય બંધ કરવાના ને એનો વિનાશ કરવાના પ્રયત્નો થતાં રહ્યાં વ્હાઇટ હાઉસમાં. આવું છેલ્લે બન્યું ફૅબ્રુઆરી ૨૦૨૦માં. મહામારી પૂરજોશમાં ચાલી રહી હતી. ટ્રમ્પનું બજેટમાં સેન્ટર ફૉર ડિઝિઝ અને સરકારના અન્ય આરોગ્યલક્ષી પાસાંઓ માટે કોઈ જોગવાઈ નહોતી કરવામાં આવી. આવતી ફૅબ્રુઆરીમાં આપણે આજ બાબતને નાણાં ફાળવીશું.
અમૅરિકન જીવવિજ્ઞાનની મહાન અને વરિષ્ટ હસ્તી, હાવર્ડના જીવવિજ્ઞાની અર્નસ્ટ માયરે એક વખત કહ્યું હતું કે આપણી પાસે જે એક ઉદાહરણ છે એ જો આપણે લઈએ, પૃથ્વી પરની જીવસૃષ્ટિ, તો માલુમ પડશે કે સૌથી સફળ પ્રજાતિઓ એ હોય છે જે જીવવિજ્ઞાનની દૃષ્ટિએ સફળ હોય. જેની સંખ્યા વિપુલ પ્રમાણમાં વધે છે ને જે જીવી જાય છે એ સાવ સામાન્ય હોય છે. બૅક્ટિરિયા, જંતુ, ભમરા, એને વાંધો આવતો નથી. બુદ્ધિના ધોરણ સંદર્ભે વાત કરીએ તો જેમ તમે ઉપરની તરફ વધો તો ઓછા ને ઓછા થતા જાય છે ને બહુ લાંબો સમય ટકી શકતા નથી. હકીકતે, નજીકના ભૂતકાળ સુધી એટલા બધાં મનુષ્યો નહોતા. લગભગ છેલ્લાં ૧૦ હજાર વર્ષોથી આ એક જ પ્રજાતિ છે અને માયરનું કહેવું છે કે આખા બ્રહ્માંડમાં અનેકો ગ્રહો છે. ફૅરમીઝ પૅરૅડૉક્સ વિશે તમે સાંભળ્યું હશે. ફૅરમી બહુ મોટા ભૌતિકશાસ્ત્રવિદ્ હતા. એ કહેતા કે બ્રહ્માંડ આખામાં આટલી મોટી સંખ્યામાં આપણા જેવાં કેટલાં ય ગ્રહો છે તેમ છતાં એમના પર બુદ્ધિશાળી જીવની કોઈ જ નિશાની શા માટે નથી? માયરનું સૂચન છે કે એક પણ નથી. મૂળ વાત કહીએ તો, હોંશિયાર હોવા કરતાં મૂર્ખ હોવું સારું છે. ઉચ્ચ બુદ્ધિના વિકાસનો અવકાશ ઓછો છે અને જો વિકાસ થાય તો પ્રાણઘાતક પરિવર્તન થાય. એમણે કહ્યું નથી પરંતુ હવે હું ઉમેરું છું કે એ પ્રાણઘાતક પરિવર્તન છે એ પુરવાર કરવાના પ્રયત્નની મધ્યે છીએ આપણે. પૃથ્વી પરની જીવનસૃષ્ટિનો વિનાશ થાય એવા વ્યવહારોની ઘેરાયેલાં છીએ આપણે. આપણે બહુ મોટા પાયે એવું કરી રહ્યાં છીએ, છઠ્ઠા વિનાશનો (sixth extinction) દાખલો લઈએ તો. આ બધાં જ અનેરા ગુણ, કદાચ બ્રહ્માંડના ઇતિહાસમાં એક માત્ર, ભાષાના અસ્તિત્વ પર આધારિત છે. એટલે તમારે ના કેવળ મનુષ્યોને પરંતુ બ્રહ્માંડની પ્રકૃતિ વિશે સમજ કેળવવી હોય તો આ વિષયનો અભ્યાસ રસપ્રદ બને છે.