હાલની પરિસ્થિતિ અંગ્રેજી શબ્દપ્રયોગ ‘કૅચ-22’ની યાદ અપાવે એવી છેઃ કોરોનાનો પ્રસાર અટકે તો અર્થતંત્ર ચાલુ થાય કે અર્થતંત્ર ફરી પાટે ચડે તો કોરોનાનો ખોફ ઓછો થાય? ત્રણ-ત્રણ લૉક ડાઉન અને ફેરફાર સાથેના ચોથાની તૈયારી પછી સ્વાભાવિક રીતે જ લોકો કંટાળ્યા હોય. સરકારો પણ આફતનું આવડ્યું એટલું મૅનેજમૅન્ટ કર્યા પછી, તેના કાતિલ ચક્રવ્યૂહમાંથી કોઈ પણ રીતે બહાર નીકળવા માટે તલપાપડ હોય. અખબારોમાં છેલ્લા થોડા દિવસથી અમદાવાદના સમાચારોને હકારાત્મકતાના રંગરોગાન સાથે રજૂ કરાતા હોય, તેમાં વળી રૂ. ૨૦ લાખ કરોડના આર્થિક પૅકેજની જાહેરાત ભળે, એટલે આશાનો માહોલ બંધાય – સૌ સારાં વાનાં થશે એવી લાગણી ધીમે ધીમે વ્યાપક બને.
ફક્ત અમદાવાદને કે ગુજરાતને જ નહીં, સમગ્ર વિશ્વને હંફાવનારા વાઇરસ-ચેપના મહિનાઓ પછી આશાનું કિરણ શોધવાની ઝંખના માનવસહજ છે. પરંતુ આવી આશા જ્યારે હકીકતો નજરઅંદાજ કરવાના રસ્તે દોરી જાય, ત્યારે સાવધ રહેવું. અત્યાર લગી વેઠેલી મુશ્કેલીઓ એળે ન જાય તે માટે પણ સાવધાન રહેવું અને સરકારી સમાચારોની પહેલી તકે બિરદાવલીઓ ગાવા દોડી જવાને બદલે વિચારીને કામ લેવું.
સરકારોને વાઇરસના મૅનેજમૅન્ટ જેટલો રસ મથાળાંના મૅનેજમૅન્ટમાં પણ હોય છે અને એ તેને વધારે ફાવતું કામ છે. તકલીફ એ છે કે વાઇરસ પ્રસાર માધ્યમનું મથાળું નથી કે સરકારી પ્રયુક્તિઓથી મૅનેજ થઈ જાય. તે વૈજ્ઞાનિક પરિબળ છે અને વિજ્ઞાન કે કુદરત કે બંનેનો સરવાળો જ તેને નાથી શકે. તેનો પ્રકોપ ચાલુ હોય ત્યારે હકારાત્મક મથાળાં બાંધનારા હકીકતમાં લોકોને ગાફેલ બનાવવાની કુસેવા કરે છે. ‘ઑલ ઇઝ વૅલ’ના મંત્રોચ્ચાર કરવાથી વાઇરસના ફેલાવા પર કશી અસર પડવાની નથી. આ બાબતનું સરકારો ને મીડિયા ધ્યાન રાખે કે પોતપોતાનાં કારણસર ધ્યાન ન પણ રાખે, નાગરિકોએ ગાફેલ રહેવા જેવું નથી.
પહેલાંના જેવું સામાન્ય જીવન શરૂ કરી દેવાની તાલાવેલી અને ઉતાવળ સમજી શકાય એમ હોવા છતાં, જૂઠાણાં આધારિત કે આભાસી હકારાત્મકતાના નામે બેદરકાર બનવું નહીં. અને ‘વાઇરસની બીક ફગાવીને આપણે આપણું રુટિન ચાલુ કરી દઈશું તો વાઇરસ તેની મેળે જતો રહેશે’ — એવા ખોટા આશાવાદથી ભરમાવું પણ નહીં. વ્યૂહાત્મક રીતે ‘હર્ડ મેન્ટાલિટી’ એટલે કે સામૂહિક પ્રતિકારશક્તિ કેળવવા માટે પગલાં એક વિકલ્પ છે. તેમાં પણ બધું બેદરકારીથી નહીં, આયોજનપૂર્વક અને ચોક્કસ તૈયારી સાથે ખુલ્લું મૂકવાનું હોય છે. વર્તમાન સરકારની પદ્ધતિ મુજબ, ઝાઝું વિચાર્યા વિના બધું ચાલુ કરી દેવું, એ બીજી વાત છે ને તેનાથી ચેતવા જેવું છે.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 14 મે 2020
![]()


વિવેચકોએ અન્યાય કર્યો તે ગાયા કરવાનો અર્થ નથી. એ વિવેચકોમાંના અત્યારે ઘણા નથી અથવા નિષ્ક્રિય છે, પણ તે પછી પણ વિવેચકોની પેઢીઓ આવી. એ લોકોએ શું કર્યું? એમાંના મોટે ભાગનાઓએ પીએચ.ડી મેળવીને અધ્યાપનમાં ગોઠવાઈને સલામત જિંદગી સ્વીકારી લીધી. સલામતી મળતાં પિરિયડ લેવા સિવાય વિવેચનની ચિંતા અપવાદરૂપે જ કરવાની રહી. જે સર્જકો હતા એમણે લખવા સિવાય બીજી ચિંતા કરી નહીં. એમને રસ, ઉપલક પ્રશંસાથી વધારે હતો નહીં. સર્જનનાં પણ ધોરણો બદલાયાં છે. કશુંક, સારું, જુદું થવાના અણસાર પણ મળે છે, પણ ગંભીરતાને અભાવે, અભ્યાસના અભાવે ઝાઝા ટકતા નથી.
ગુજરાત સાથે ઘનિષ્ટ સંશોધકીય સંબંધ ધરાવનારા ખ્યાતનામ સમાજશાસ્ત્રી ડૉ. સુધીર ચન્દ્રએ એક વક્તવ્યમાં કહ્યું હતું કે જગત કોરોના સામેની જદ્દોજહદને યોગ્ય રીતે જ યુદ્ધ તરીકે ઓળખાવે છે અને યુદ્ધ ક્યારે ય એકપક્ષીય હોતું નથી. સામે કુદરત પણ યુદ્ધે ચડી છે. તેમનું આ કથન સાંભળીને વિચાર આવ્યો કે વાસ્તવમાં યુદ્ધે કોણ ચડ્યું છે, માનવી કે કુદરત? કોણ આક્રમણકર્તા છે અને કોણ બચાવકર્તા છે? કુદરત યુદ્ધે ચડી છે અને તેની પાસે યુદ્ધે ચડવાનાં કારણો છે. આધુનિક યુગમાં માણસ એમ માનીને ચાલે છે કે તે સૃષ્ટિનું એક અંગ નથી, પણ તે સૃષ્ટિના કેન્દ્રમાં છે અને આખી સૃષ્ટિ એના લાભાર્થે છે. માનવીય ભૌતિક સુખને માનવીય પુરુષાર્થ માની લેવામાં આવ્યો છે.