Opinion Magazine
Number of visits: 9448854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધ દરેક નિષ્ફળતાનું અંતિમ બહાનું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2022

ચૂંટણીઓ તો લોકશાહી દેશોમાં સમયાંતરે યોજાતી જ રહે છે, પણ કેટલીક ચૂંટણીઓ ઐતિહાસિક હોય છે. ફ્રાન્સમાં યોજાયેલી પ્રમુખપદ માટેની આ વખતની ચૂંટણી આવી ઐતિહાસિક હતી. એટલા માટે નહીં કે બે દાયકા પછી કોઈ પ્રમુખને બીજી વખત સત્તા મળી, પણ એટલા માટે કે ફ્રાંસના નાગરિકોના એક વર્ગે સંકલ્પ કર્યો હતો કે પોતાને ફ્રેંચ રાષ્ટ્રવાદીઓ તરીકે ઓળખાવતા અંતિમવાદી જમણેરીઓથી દેશને બચાવવો. તેમને યુરોપના બીજા દેશોના ઉદારમતવાદી નાગરિકોનો ટેકો હતો, પછી ભલે તેઓ ફ્રાંસની ચૂંટણીમાં નાગરિક તરીકે મત આપવાનો અધિકાર નહોતા ધરાવતા. હકીકત તો એ પણ છે કે ફ્રાંસના લાખો નાગરિકો વર્તમાન પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન [Emmanuel Jean-Michel Frédéric Macron] માટે તીવ્ર અણગમો ધરાવે છે.

 નાગરિકોના એક વર્ગની સક્રિયતા માટે કેટલાંક કારણ હતાં :

એક તો એ કે તાજેતરનાં વર્ષોમાં કેટલાક દેશોમાં જમણેરી રાષ્ટ્રવાદીઓએ વાળેલા નખોદની તેમને જાણ છે. કેટલાક દેશોનો અનુભવ એમ કહે છે કે તેઓ લોકતાંત્રિક માર્ગે ચૂંટાઈને લોકતંત્રનાં મૂળિયાં ઊખાડે છે. લોકતંત્રના રખેવાળ સમાન લોકતાંત્રિક સંસ્થાઓને નિર્બળ કરે છે. લોકતંત્ર સરવાળે કમજોર બને છે અને નાગરિક તેના મૂળભૂત અધિકારો ગુમાવીને હાંસિયામાં ધકેલાતો જાય છે, પછી ભલે તે નાગરિક બહુમતી સમાજનો હોય. બીજું તેઓ સમાજની અંદર દ્વેષ અને ધિક્કારની ભાવના પેદા કરીને ઊભી તિરાડ પાડે છે અને સમાજમાનસને ઝેરીલું બનાવીને તેના પર કબજો કરે છે. ત્રીજું, તેઓ પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે દરેક પ્રકારના (અભદ્ર સુધ્ધાં) નુસખા અપનાવે છે અને જૂઠ બોલતા શરમાતા નથી. અંગ્રેજીમાં આને પોપ્યુલિસ્ટ પોલિટીકસ કહે છે. ચોથું તેમની પ્રાથમિકતા નક્કર સામાજિક-આર્થિક વિકાસ હોતી નથી. પ્રજાને જ્યારે લડાવીને, ડરાવીને અને રડાવીને સત્તા ભોગવી શકાતી હોય તો વિકાસની પળોજણમાં પડવાની જરૂર શું છે? એમાં બહુમતી સમાજનો એક વર્ગ નારાજ થાય જે રીતે આપણે ત્યાં ખેડૂતો નારાજ થયા હતા. આનું પરિણામ એ આવે છે કે દેશની પ્રજા પુરુષાર્થી બનવાની જગ્યાએ તે તેની ઉર્જા અનુત્પાદક નિરર્થક પ્રવૃત્તિમાં વેડફે છે.

બીજું કારણ હતું વ્લાદિમીર પુતિનનો પુતિનવાદ. પુતિન માત્ર વ્યક્તિ નથી એક પ્રકારની પ્રવૃત્તિ છે. જ્યારે પ્રજાને આપવા માટે કાંઈ ન હોય તો રાષ્ટ્રવાદ અને મહાન ભૂતકાળને પાછો જીવતો કરવાના નામે પ્રજાના હાથમાં યુદ્ધ પણ પકડાવી શકાય એ પુતિનવાદ. યુદ્ધ એ દરેક નિષ્ફળતાનું અંતિમ બહાનું છે. ફ્રાંસના જમણેરી નેતા અને વર્તમાન પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના પ્રતિસ્પર્ધી લી પેન પુતિનનાં પ્રસંશક છે અને ઉઘાડેછોગ પુતિનવાદનો બચાવ કરે છે. અત્યારે રશિયા ઉક્રેન સામે યુદ્ધે ચડ્યું છે એ સમયે જ ફ્રાન્સમાં ચૂંટણી યોજાઈ ત્યારે યુદ્ધજ્વરનો પ્રભાવ ચૂંટણી ઉપર પડ્યો હતો.

ત્રીજું કારણ યુરોપિયન યુનિયન છે. “આપણી” મહાન અસ્મિતા યુરોપિયનોના ભૌતિક વિકાસ કરતાં વધારે કિંમતી છે અને એ મહાન અસ્મિતા યુરોપના સંઘની વેદી ઉપર બલિ ચડાવવા માટે નથી એવી યુરોપની એકતાના વિરોધીઓ દલીલ કરે છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટા ભાગના યુરોપિયન એકતાના વિરોધીઓ સંકુચિત રાષ્ટ્રવાદીઓ છે. એક તરફ દેશઅંતર્ગત સહિયારાપણું, યુરોપના સ્તરે વ્યાપક સહિયારાપણું અને બીજી તરફ ભાગીદારીની ઐસીતૈસી, “આપણે અને માત્ર આપણે જ મહાન”. આમ માત્ર બ્રિટન કે ફ્રાન્સમાં જ નહીં, સમગ્ર યુરોપમાં પ્રજાકીય ઊભી તિરાડ પડી છે. પરસ્પર સહકાર અને શાંતિ વિના ભૌતિક વિકાસ શક્ય નથી, એમ માનનારા સમજદાર લોકો સહયોગની ભૂમિ બચાવી લેવા માગે છે. અસ્મિતાઓથી પેટ ભરાતું નથી.

અને ચોથું કારણ વધારે મહત્ત્વનું હતું. ઉદારમતવાદી ફેંચ નાગરિકોને ભય હતો કે કદાચ મરિન લી પેન [Marion Anne Perrine "Marine" Le Pen] આ વખતે મેદાન મારી શકે એમ છે, કારણ જગતની પ્રજા ગાંડપણનો શિકાર બની છે અને જગતના કેટલાક દેશોમાં બની રહ્યું છે એ ફ્રાન્સમાં પણ બની શકે એમ છે. આને માટે કારણ પણ હતું. ૧૯૭૨માં જીન લી પેન [Jean Louis Marie Le Pen] નામના અંતિમે જઇને જમણેરી રાષ્ટ્રવાદી રાજકારણ કરનારા માણસે નેશનલ ફ્રન્ટ (અત્યારનું નવું નામ નેશનલ રેલી) નામના પક્ષની સ્થાપના કરી હતી. એ પક્ષ જી લીન પેનના નેતૃત્વમાં ખાસ કાંઈ ગજું નહોતો કાઢી શક્યો. અલબત્ત, ત્યારે સમય પણ બહુ અનુકૂળ નહોતો જેમ આપણે ત્યાં ભા.જ.પ. માટે ત્રણ દાયકા પહેલાં સમય અનુકૂળ નહોતો. ૨૦૧૧ની સાલમાં તેમની નાની પુત્રી મરિન લી પેનના હાથમાં નેતૃત્વ આવ્યું અને જે પક્ષ હાંસિયામાં હતો એ ગજું કાઢવા માંડ્યો. મરિન લી પેન બાપ કરતાં પણ વધારે આક્રમક છે, પ્રભાવી વક્તા છે અને ચોવીસે કલાક ઝેર ઓકતાં રહે છે. વળી સમય પણ આવા રાજકારણ માટે અનુકૂળ છે. ૨૦૦૨ની પ્રમુખપદ માટેની ચૂંટણીમાં નેશનલ ફ્રન્ટને ૧૮ ટકા મત મળ્યા હતા. ૨૦૧૭માં મરિન લી પેને પ્રમુખપદ માટે ઉમેદવારી કરી અને તેમને ૩૪ ટકા મત મળ્યા હતા. મેક્રોનને ત્યારે ૬૬ ટકા મત મળ્યા હતા. સમય બદલાયો, જે પક્ષ હાંસિયામાં હતો એ મુખ્ય વિરોધ પક્ષ બની ગયો. આ વખતે નેશનલ રેલીના પ્રમુખપદના ઉમેદવાર મરિન લી પેનને ૪૧.૫ ટકા મત મળ્યા છે અને મેક્રોનને ૫૮.૫ ટકા મત મળ્યા છે.

આમ ઉદારમતવાદી ફ્રેન્ચોનો ભય અસ્થાને નહોતો. પાંચ વરસમાં લી પેનના મતોમાં સાડા સાત ટકાનો વધારો થયો છે અને મેક્રોનના મતોમાં એટલો જ સાડા સાત ટકાનો ઘટાડો થયો છે. આ ઉન્માદના યુગમાં કાંઈ પણ બની શકે છે અને એને ટાળવા નાગરિકોએ સક્રિયતા બતાવી હતી. ફ્રાન્સના બંધારણ મુજબ પ્રમુખ માત્ર બે મુદ્દત માટે જ ઉમેદવારી કરી શકે એટલે હવે પછી ૨૦૨૭માં યોજાનારી ચૂંટણીમાં મેક્રોન ઉમેદવાર નહીં હોય, અને પાંચ વર્ષ દરમ્યાન લી પેનની લોકપ્રિયતામાં હજુ કેટલો વધારો થશે એ કહેવું મુશ્કેલ છે. આ સિવાય ૨૮ ટકા મતદાતાઓએ મતદાન જ નહોતું કર્યું. ફ્રાંસ માટે આ આંકડો ઘણો મોટો છે.

માટે મેક્રોનનું વિજય પછીનું ભાષણ સૂચક છે. તેમણે કહ્યું હતું કે મરિન લી પેનને મત આપનારા ૪૧ ટકા ફ્રેંચ નાગરિકો કઈ વાતનો ગુસ્સો ધરાવે છે કે તેઓ પોતાનું ભવિષ્ય દાવ પર લગાડવા તૈયાર થઈ ગયા છે? તેમને જુઠ્ઠી મહાનતા જોઈએ છે, વેર વાળવા છે અને નક્કર વિકાસ નથી જોઈતો. આ ૪૧ ટકા નાગરિકોને પરાવૃત્ત કરવા પડશે. ઠેકડી ઉડાડવી એ તેનો ઈલાજ નથી. બીજી વાત તેમણે એ કહી કે જે ૨૮ ટકા મતદાતાઓએ લી પેનને સુદ્ધાં મત નથી આપ્યા એ રાહતની વાત નથી. પ્રશ્ન એ છે કે શા માટે તેમણે ભૌતિક સુખાકારીના પક્ષે મત ન આપ્યા? એ ૨૮ ટકા મતદાતાઓ બીજી દિશામાં જઈ શકે છે.

મેક્રોને કહ્યું છે કે આનો ઈલાજ એ છે કે જે માર્ગમાં આપણી નિષ્ઠા છે એ માર્ગે વધારે પ્રામાણિકતાપૂર્વક અને વધારે દૃઢતાથી ચાલવું પડશે. અહીં મેક્રોન તેમના ભારતના મેક્રોન અર્થાત્ અરવિંદ કેજરીવાલથી નોખા પડે છે. કેજરીવાલ મૂંગા રહીને, પીઠ ફેરવીને કાયરનું રાજકારણ કરે છે. જુઓ ફ્રાન્સમાં આગળ શું થાય છે. આજના યુગમાં પ્રત્યેક દિવસ આશાની જગ્યાએ ભય સાથે ઊગે છે. ખબર નહીં, આજે શું થશે!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2022

Loading

28 April 2022 admin
← દીવાસ્વપ્ન
ગુજરાત ડ્રગ્સનું ગેટ-વે બન્યું છે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved