Opinion Magazine
Number of visits: 9448697
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યક્તિપૂજા પૂજનીયને અને પૂજા કરનારને નુકસાનકારી છે

નગીનદાસ સંઘવી|Gandhiana|5 February 2018

ગાંધી નિર્વાણ દિને ગાંધીજીની યાદમાં બધાં ગુજરાતી અખબારોએ પોતપોતાની રીતે અંજલિ આપી છે. આમાં ભાષા અભિમાન નથી પણ અન્ય પ્રદેશોમાંથી ગાંધીજી ભૂંસાતા જાય છે એવી દહેશત છે. આ પ્રસંગે ગાંધીજીને સમજવાના બદલે તેમને પૂજવાની મનોવૃત્તિ વધારે બળકટ હોય છે અને આવી વ્યક્તિપૂજા બંને પક્ષે પૂજનીયને અને પૂજા કરનારને નુકસાનકારી છે. પૂજા કરનારને વધારે નુકસાન થાય છે કારણ કે પૂજા કરવાની વૃત્તિનાં પરિણામે સામાન્ય રીતે અંધાપો આવે છે. અને ગાંધીજીના જીવન અને ઉપદેશમાંથી લાભ ઉઠાવવાની આપણી શક્તિ ઓછી થતી જાય છે.

જેની પૂજા કરીએ છીએ તેને પણ નુકસાન તો થાય જ છે કારણ કે જેની પૂજા થાય તે મોટાભાગે અને લાંબાગાળે કેવળ પથરો જ બની જાય છે. મંદિરોમાં દૈવી તત્ત્વ હોતું નથી મોટાભાગે પથરા પર પાણી કે દૂધ કે ફૂલ ચડાવવાની પ્રવૃત્તિ જ મુખ્ય બની જાય છે. ભગવાનને સ્નાન કરાવવું, કપડાં પહેરાવવાં કે ભોગ ધરવાથી ભગવાન કરતાં પૂજારીને જ ફાયદો મળે છે. આવી દશા ગાંધીજીની થાય તો તેમની હત્યા કરતાં પણ વધારે ભયંકર ગણાવું જોઇએ.

ગાંધીજીની હત્યા આઘાતજનક છે પણ તેમાં દુ:ખરૂપ કહી શકાય તેવું કશું નથી. ગાંધીજીને આવું જ મરણ શોભે અને ગાંધી પોતે પણ આવું જ મરણ વાંછે. ગાંધીજી ઇસ્પિતાલના ખાટલે પડીને મહિનાઓ સુધી ટાંટિયા ઘસતા જીવે તે દૃશ્ય સુખકર નથી. અને તેમાં ગાંધીજીના પયગંબરપણાને બટ્ટો લાગે. ઇસુને તો વધસ્તંભ જ શોભે અને સોક્રેટીસના હાથમાં ઝેરનો પ્યાલો જ હોવો જોઇએ તેમ ગાંધીજીને જેવું શોભે તેવું જ મરણ મળ્યું છે.

કારણ કે તેમનાં અંગત સ્વજનો મહાદેવ દેસાઈ અને કસ્તૂરબા વિદાય થઇ ચૂક્યાં હતાં અને ભારત આઝાદ થાય તેવું તેમનું જીવનસ્વપ્ન પણ સાકાર થઈ ગયું હતું. સવા સો વરસ જીવવાની ગાંધીજીની ઇચ્છા પૂરી થઈ હોત તો આઝાદી પછીનાં પચાસ વરસના ભારતને જોઈને તેમની આંતરડી કકળી ઊઠી હોત. આ પચાસ વરસે ગાંધીજીના નામે અને તેમના અનુયાયી હોવાનો દાવો કરનાર લોકોના ભ્રષ્ટાચાર અને ચરિત્રહીનતા તેમના માટે અતિ દુ:ખકર થઈ પડ્યા હોત. સ્વાર્થી હેતુ પોષવા માટે ભારતની લોકશાહીને મરણતોલ ફટકો લાગ્યો તે વખતે સંજય ગાંધીનાં કરતૂતો જોઇને ગાંધીજીએ કદાચ આમરણાંત અપવાસ અથવા અગ્નિપ્રવેશના માર્ગે આત્મહત્યા કરી હોત. અમસ્તુ પણ પોતાને ક્યારેક પોતાના પેટમાં છરી મારવાની ઇચ્છા થઈ આવે છે તેવું તેમણે પોતે જ લખ્યું છે.

ગાંધીજીની પૂજા ન કરીએ તેમ તેમનામાં દૈવીપણાનું આરોપણ પણ ન થવું જોઈએ. ગાંધી એ પૂજવાનું સ્થાનક નથી. સમજવા જેવી વ્યક્તિમત્તા છે અને દરેક માણસની જેમ ગાંધીજીમાં પણ અપૂર્ણતા છે જ. આપણામાં અને ગાંધીમાં સૌથી મોટો તફાવત એ છે કે આપણને આપણા દોષ કે નબળાઈ ધ્યાનમાં આવતા નથી. ગાંધીના ધ્યાનમાં આ બંને બાબતો સતત રહી છે. તેમને તો મહાત્મા પદ પણ કઠતું હતું અને લોકો પોતાને મહાત્મા કહે ત્યારે પોતાને થતી વેદના પણ તેમણે શબ્દબદ્ધ કરી છે.

ગાંધીજીની બધી વાત માનવા જેવી નથી. બ્રહ્મચર્ય વિશેના ગાંધીજીના ખ્યાલ અને તેમનો આગ્રહ બંને તદ્દન ખોટા છે અને ભારતીય પરંપરાના વિરોધી છે. ખ્રિસ્તીઓ-ખાસ કરીને કેથોલિક ખ્રિસ્તીઓ દેહસંબંધને સૌથી મોટું (cardinal) પાપ સમજે છે અને ગાંધીજીએ પણ આ ખ્યાલ અપનાવી લીધો છે. ઉપનિષદના તમામ ઋષિઓ સંસારી હતા અને યાજ્ઞવલ્ક્યને વળી બે પત્નીઓ હતી. આ બાબતમાં ઘણું લખાઈ અને ચર્ચાઈ ચૂક્યું છે પણ એક જ વાક્યમાં કહેવું હોય તો બ્રહ્મચર્ય અંગેની ગાંધીજીની વિભાવના તદ્દન વાહિયાત છે. આવા ખ્યાલના કારણે ગાંધીજીના અનેક અનુયાયીઓના જીવન ખરાબે ચડ્યા છે અને મોટાભાગના ‘ગાંધીવાદી’ઓ ઢોંગી બન્યા છે.

રાજકીય પ્રવૃત્તિ અંગે ગાંધીજીનો અભિગમ તે ગાંધી જીવનનું સૌથી વધારે આકર્ષક અને સૌથી ઓછી ચર્ચાયેલી બાબત છે. અધ્યાત્મ સાધનાને પોતાના જીવનનો પ્રધાન ઉદ્દેશ લેખાવનાર ગાંધી આખી જિંદગી રાજકારણમાં ગળાડૂબ રહ્યા. પણ ગાંધીજીનું રાજકારણ ચીલાચાલુ રાજકારણ નથી. ગાંધીજીએ હોદ્દા સ્વીકાર્યા છે પણ અણગમતા મને અને નાછૂટકે સ્વીકાર્યા છે અને વહેલામાં વહેલી તકે છોડી દીધા છે. ગાંધીજીના હાથમાં અમાપ સત્તા હતી. આખું ભારત એક જમાનામાં તેમના શબ્દે મરવા-જીવવા તૈયાર હતું. આ સત્તા તેમણે વાપરી છે અને ક્યારેક તેના વપરાશમાં ભૂલો પણ કરી છે પણ સત્તા તેમણે કદી ભોગવી નથી.  

ગાંધીજીનો રાજકીય અભિગમ સમજવો હોય તો ભારતથી ઘણે દૂર જવું પડે અને બે હજાર વરસ પાછા જવું પડે. ગ્રીસ દેશની બૌદ્ધિક, આર્થિક અને કલાપ્રવૃત્તિની રાજધાની ગણાય તેવા એથેન્સ શહેરમાં ત્રીસ વરસ સુધી સતત જેનું નામ ગવાયું અને જેની હાંક સંભળાઈ તેવા પેરીકલીસે કહ્યું છે તે ગાંધીજીનો અભિગમ છે. ‘જે નાગરિક રાજકારણમાં પ્રવૃત્ત નથી તે નકામો છે અને જોખમી છે.’ રાજકારણ સમાજની સેવા કરવાનું સૌથી બળવાન અને સૌથી વધારે જરૂરી સાધન છે. આવા બધા વિચાર ગ્રીસના તત્ત્વચિંતકોએ પણ દર્શાવ્યા છે અને કદાચ ગાંધીજીએ તેમની પાસેથી અપનાવ્યા છે.

ગાંધીજીનો દેખાવ ઘણો છેતરામણો છે. પોતાની જાતને વણકર અને ખેડૂત ગણાવનાર ગાંધી તે જમાનાનો સૌથી બાહોશ અને સૌથી વધારે પ્રભાવશાળી વકીલ છે અને ગાંધીજીની વાચનયાત્રા તેમના તમામ સમકાલીનો કરતાં વધારે વિસ્તૃત છે. ગાંધીજી જેટલું વાંચનાર બીજો આગેવાન શોધવો અઘરો થઈ પડે. બહુ મોટી સંખ્યામાં પુસ્તકો વાંચનાર માણસ મોટાભાગે મૌલિક વિચારશક્તિ ગુમાવી બેસે છે, પણ ગાંધીજીએ આટઆટલા વાચન પછી પણ પોતાની મૌલિકતા અખંડ જાળવી રાખી તે કેટલી મોટી ભગીરથ સિદ્ધિ છે તે આપણા જેવા સામાન્ય માણસની સમજશક્તિની બહારની બાબત છે. આપણે જે બધું સાંભળીએ કે વાંચીએ તે બધું આપણે સમજીએ છીએ તેવો દાવો કરવો તે ઘણું જોખમી થઇ પડે.

સૌજન્ય : ‘પરિક્રમા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2018

Loading

5 February 2018 admin
← ગાંધીજીની હત્યા એ ગાંધીજીની વિરાટતા અને વિચાર સામેના પરાજયનું પરિણામ છે
વિશાળ અને વૈવિધ્યપૂર્ણ ભારતના વિકાસની વિમાસણ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved