Opinion Magazine
Number of visits: 9505756
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વિસરાનાઈ’ : પોલીસવ્યવસ્થા પર સણસણતો તમાચો

નિલય ભાવસાર|Opinion - Opinion|27 October 2016

‘વિસરાનાઈ’ એ વર્ષ ૨૦૧૫માં આવેલી તમિલ ભાષાની ભારતીય ફિલ્મ છે. વિસરાનાઈ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય છે ‘પૂછપરછ’. વિસરાનાઈ ફિલ્મ સૌ પ્રથમ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ- ફૅસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને ત્યાર બાદ ભારતીય સિનેમાઘરોમાં આ ફિલ્મ ૫ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ રિલીઝ થઈ હતી. ભારતમાં દર વર્ષે યોજાતા અને આ વર્ષે યોજાયેલા ૬૩માં નૅશનલ ઍવૉર્ડ સમારંભમાં આ ફિલ્મને કુલ ત્રણ નૅશનલ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે, જેમાં શ્રેષ્ઠ તમિલ ફિલ્મ, શ્રેષ્ઠ સંપાદન અને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો સમાવેશ થાય છે. આ ફિલ્મ એમ. ચંદ્રકુમાર નામના રિક્સા-ડ્રાઇવરે લખેલી નવલકથા ‘લૉકઅપ’ પર આધારિત છે.

ફિલ્મની શરૂઆતમાં જ એક પછી એક ચાર લોકોને પકડી અને રિક્સામાં બેસાડીને પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવે છે. ત્યાર બાદ જે-તે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આ ચાર લોકોને ફટકારવાનું શરુ કરે છે અને ફિલ્મના લગભગ મધ્યાંતર સુધી આ ચાર લોકોને ફટકારવાની ઘટના પડદા ઉપર ચાલુ જ રહે છે. ફિલ્મની વાર્તા એમ છે કે આંધ્રપ્રદેશના કોઈ એક વિસ્તારમાં તમિલનાડુમાંથી કામ અર્થે આવેલા સ્થળાંતરિત ચાર મજૂરોને પોલીસ કોઈ કારણ વગર પકડીને લઈ જાય છે. આ ચાર મજૂરો અનુક્રમે પાંડી, મુરુગન, અફ્ઝલ અને કુમારને એ વાતનો ખ્યાલ નથી કે પોલીસ એમને પકડીને કેમ લાવી છે. પહેલાં તો આ ચારે ય લોકોને એવું લાગે છે કે પાંડી (ચાર પૈકીની એક વ્યક્તિ) જ્યાં કામ કરે છે, તે કરિયાણાની દુકાનની પાસે આવેલા એક ઘરમાં એક સ્ત્રીએ થોડા સમય પહેલાં પાંડીની મદદ માગી હતી કે તેને અહીંયાંથી બહાર તેના ગામ સુધી લઈ જવા માટે મદદ કરે અને પાંડીએ તે સ્ત્રીને મદદ કરવાની હા પણ પાડી હતી, પણ અહીં તો ઘટના સાવ અલગ જ છે. પોલીસ-સ્ટેશનમાં થોડી વાર બાદ પોલીસવાળા આવી, તેમને કહે છે કે તમે ચારેય લોકો તમારો ગૂનો કબૂલ કરી લો, ત્યારે તેઓને ખ્યાલ આવે છે કે થોડા સમય પહેલાં શહેરના ભદ્રવિસ્તારના એક બંગલામાં ચોરીની ઘટના બની હતી અને પોલીસ તે ચોરને પકડવામાં નિષ્ફળ રહેતાં તેમણે આ ચાર મજૂરોને પકડી લીધા છે કે જેઓ ચોરી થઈ તે વિસ્તારમાં જ કામ કરે છે અને પોલીસ તેમની પાસેથી વગર વાંકે ચોરીનો ગૂનો કબૂલ કરાવવા માગે છે કે જેથી આ ચોરીના કેસનો ઝડપથી ‘નિકાલ’ આવે.

ફિલ્મમાં પોલીસવાળા જે રીતે આ ચારેય લોકોને પોલીસ સ્ટેશનમાં અત્યંત ક્રૂરતાપૂર્વક ફટકારે છે તે દૃશ્યો ફિલ્મમાં ખૂબ ઝીણવટપૂર્વક દર્શાવવામાં આવ્યાં છે. ફિલ્મના એક દ્રશ્યમાં આ ચાર પૈકી પાંડી નામનો આરોપી એવું જાહેર કરે છે કે જો હવે તમે અમને મારશો તો અમે ભૂખ-હડતાળ કરીશું, ત્યારે પોલીસવાળા ચતુરાઈપૂર્વક તેઓને છોડી દે છે કે જેથી તેઓ બહાર જઈ ભરપેટ જમે અને ત્યાર બાદ તેઓને સહી કરવાના બહાને પોલીસ-સ્ટેશનમાં લાવી અને ફરીથી અત્યંત ક્રૂરતાપૂર્વક લાકડાના દંડાથી ફટકારવામાં આવે છે. ત્યારબાદ આ ચારેય લોકોને કહેવામાં આવે છે કે તમારે ચોરીનો ગૂનો કબૂલવો જ પડશે, પણ જ્યારે આ ચારેય લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે પાંડી જજ સમક્ષ કહી દે છે કે તેમને આ કેસમાં ખોટા ફસાવવામાં આવ્યા છે. અને તેમને છોડી મૂકવામાં આવે છે. પણ વાત અહીં ખતમ થતી નથી. આ ચારેય લોકોને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે તેઓ તમિલ ભાષામાં બોલતા હોવાથી જજ તેમની વાત સમજી શકતા નથી, ત્યારે તેઓ ત્યાં કોર્ટ-પરિસરમાં હાજર એક પોલીસવાળા(મુથુવેલ)ને ટ્રાન્સલેટર તરીકે મદદ કરવાનું કહે છે અને આ પોલીસવાળાની મદદથી આ ચાર લોકો છૂટી જાય છે. ત્યાર બાદ આ પોલીસવાળો (મુથુવેલ) આ લોકોને જણાવે છે કે તમારે મારી એક નાની મદદ કરવી પડશે. એમ કહીને એક આરોપી(કે.કે.)નું અપહરણ કરાવીને જે-તે પોલીસ-સ્ટેશન સુધી લઈ જવાનું કહે છે અને ચારેય લોકો તેનું આ કામ કરી આપે છે. ત્યાર બાદ આ ચાર લોકોને મુથુવેલ જ્યાં કાર્યરત છે, તે નવા પોલીસ-સ્ટેશનને સાફ કરવાનું કામ સોંપવામાં આવે છે. અહીં આરોપી કે.કે. ઉર્ફે કિશોર કે જે જાણીતો એકાઉન્ટન્ટ છે અને વિરોધી પાર્ટીના તમામ હવાલાઓ સંભાળવાનું કામ કરે છે તે ત્યાંના ડી.સી.પી. અને એ.સી.પી.ની રાજરમતનો શિકાર બને છે. કે.કે.ને પણ આ પોલીસ-સ્ટેશનમાં મુથુવેલ(કે જે આ સ્ટેશનનો ઇન્ચાર્જ છે)ની ગેરહાજરીમાં અતિશય ફટકારવામાં આવે છે અને તેનું મોત નીપજે છે, એ પછી પોલીસવાળા આ આત્મહત્યાનો કેસ જાહેર કરીને કે.કે.ના ઘરમાં જઈ, પંખા પર લટકાવી આવે છે અને ત્યાં સુધી આ ત્રણ (આ ચાર પૈકી એક કુમાર નામનો મજૂર અપહરણ દરમિયાન રસ્તામાં જ ઊતરી જાય છે) મજૂરો કે જેઓ બિચારા માંડ-માંડ પોલીસની ચુંગાલમાંથી છૂટેલા છે અને પોલીસ- સ્ટેશનની સફાઈ કરતા જ રહે છે, ત્યારે ત્યાં હાજર કેટલાક ભ્રષ્ટાચારી પોલીસવાળાઓ આ ત્રણ લોકોને ફરી પાછા ચોરીના કેસમાં ફસાવી દે છે અને તેઓની હત્યા કરી નાખે છે. સાથે ઇન્સ્પેક્ટર મુથુવેલની પણ હત્યા કરી નાખે છે. ફિલ્મમાં મધ્યાંતર સુધીની ઘટનાનો ભાગ ‘લૉકઅપ’ નામની નવલકથામાંથી પ્રેરિત છે, જ્યારે મધ્યાંતર પછીની, ઇન્સ્પેક્ટર મુથુવેલવાળી સમગ્ર ઘટના કાલ્પનિક છે છતાં તેમાં પણ દરેક દૃશ્યને એકદમ ઝીણવટભર્યું રજૂ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં પોલીસવાળાની બર્બરતા અને ક્રૂરતાને લોકો સમક્ષ રજૂ કરવાનો દિગ્દર્શક વેટરીમારનનો પ્રયાસ ખરેખર બિરદાવવાને પાત્ર છે. ફિલ્મમાં આ ચાર મજૂરો એક સ્થળેથી બીજા સ્થળે કામની શોધમાં સ્થળાંતરિત થયેલા છે અને વધુમાં તેઓની પાસે રહેવા માટે રહેઠાણ નથી, માટે તેમને પબ્લિક પાર્કમાં આશરો લેવો પડે છે અને જ્યારે તેમને ખોટા પોલીસકેસમાં ફસાવી દેવામાં આવે છે, ત્યારે તેમને કેવી-કેવી યાતનાઓનો સામનો કરવો પડે છે, તે વાત આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. પોલીસ-સ્ટેશનમાં જ્યારે આ ચાર મજૂરોનો માલિક તેમને મળવા માટે આવે છે, ત્યારે તે આ ચાર લોકોને જણાવે છે કે તેમણે પોતાનો ગૂનો (કે જે તેમણે કર્યો જ નથી) તે કબૂલી લેવો જોઈએ, નહીં તો પોલીસવાળા તેમને વધારે ફટકારશે. કોઈની પણ મદદ વિના એક નવા શહેરમાં આ ચારેય લોકો મૂંગા મોંએ પોલીસવાળાનો માર સહન કર્યા જ કરે છે અને પોલીસવાળા પણ તેમને મહાપરાણે ગૂનો કબૂલ કરાવવા માટે તેમના પર અત્યાચારો કરતા જ રહે છે. ફિલ્મમાં તમામ પાત્રોનો અભિનય ઉત્કૃષ્ટ છે.

હવે થોડી વાત આ ફિલ્મ, જેમની નવલકથા ‘લૉક અપ’ પર આધારિત છે, તે લેખક એમ. ચંદ્રકુમાર વિશે. લેખક એમ. ચંદ્રકુમાર હાલ કોઇમ્બતુરમાં રિક્સાચાલક તરીકેનું કામ કરે છે અને લોકો ત્યાં તેમને ઑટો ચંદ્રનના નામથી ઓળખે છે. ૫૩ વર્ષીય ઑટો ચંદ્રનની વર્ષ ૧૯૮૩માં આંધ્રપ્રદેશના ગુંતુર જિલ્લામાં ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાં લગભગ ૧૩ દિવસ તેમને પોલીસ- સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમણે પોતાના અનુભવોનું વર્ણન કરતું પુસ્તક ‘લૉકઅપ’ લખ્યું. આ પુસ્તક વર્ષ ૨૦૦૬માં પ્રકાશિત થયું હતું. તેઓ જણાવે છે કે આજથી ૧૦ વર્ષ પહેલાં મેં આ પુસ્તક લખ્યું હતું અને આજે તેના પરથી ફિલ્મ બની છે. મારી વાત સિનેમાના માધ્યમ થકી લોકો સુધી પહોંચી છે.

પ્રાદેશિક સિનેમાની આ જ ખાસિયત છે કે તેમાં સ્થાનિક મુદ્દાઓને સામાજિક તાંતણા સાથે બાંધીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા થોડા સમયથી પ્રચલિત થયેલ ગુજરાતી ‘અર્બન’ સિનેમામાં આ પ્રકારનો સામાજિક સંદર્ભ અને મુદ્દાઓ ક્યારે જોવા મળે છે ?

Email : nbhavsarsafri@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2016; પૃ. 07 અને 13

Loading

27 October 2016 admin
← માણ્યું એની મજા : કવિ કરસનદાસ લુહારની એક ગઝલ : ‘થયો’
દાલ સે દાલ મિલા … →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved