Opinion Magazine
Number of visits: 9507178
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિરોધાભાસનાં દોરડે સંતુલન રાખી ભવિષ્ય ભણી વધતો માનવવંશ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 March 2019

એક તરફ ટેક્નોલોજી અને રિસર્ચ છે તો બીજી તરફ ગંદકી, પ્રદૂષણ અને પ્રોસેસ્ડ ફૂડનો મારો છે.

ગુગલમાં અત્યારે મચ્છર મારવાનો એક મોટોમસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એક મિનિટ, મને ખબર છે કે તમે એમ વિચારી રહ્યાં છો કે મેં ભૂખ્યા પેટે અને ચા પીધા વગર આ લેખ લખવાની શરૂઆત કરી દીધી છે. તમને લાગે છે કે બેધ્યાનપણે મેં વિશ્વનાં સૌથી વ્યાપક સર્ચ એન્જિનને પેસ્ટ કન્ટ્રોલ કંપનીમાં ખપાવી છે. પણ ના, મેં ચા પીધી છે અને એટલે જ ગુગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ કેલિફૉર્નિયા ફ્રેન્સો કાઉન્ટીમાં લાંબા કલાકો સુધી મચ્છરજન્ય રોગોને નાબૂદ કરવા માટે કામ કરે છે એની મેં વાત માંડી છે. આ પ્રોજેક્ટ પર આલ્ફાબેટ દ્વારા સંચાલિત રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વેરીલી લાઇફ સાયન્સિઝે કામ આદર્યું છે. ડેંગી, ચિકનગુનિયા અને ઝિકા વાયરસ ફેલાવનારા મચ્છરોની પ્રજાતિને ખતમ કરવા માટેનાં પ્રયોગ થઇ રહ્યાં છે. એઇડિસ ઇજીપ્તાય પ્રજાતિનાં નર મચ્છરોનાં જનીનને બદલીને નવા જનની ધરાવતાં મચ્છરોનો લેબમાં ઉછેર થશે. આ મચ્છરો માણસને નથી કરડતાં અને જ્યારે તેઓ માદા મચ્છર સાથે મળીને પ્રજનન કરશે ત્યારે માદા મચ્છર ઇંડા તો મૂકી શકશે પણ તે સેવાઇને તેમાંથી મચ્છર પેદા નહીં થાય. એઇડિસ ઇજીપ્તાય પ્રકારનાં મચ્છર મૂળ આફ્રિકન છે પણ હવે તે ભારત સહિતનાં ૧૨૦ ટ્રોપિકલ દેશોમાં જોવા મળે છે. આવો પ્રયોગ ઑસ્ટ્રેલિયામાં પણ કરાયો હતો, પરિણામે પ્રાયોગિક વિસ્તારોમાં મચ્છરની વસ્તી એંશી ટકા જેટલી ઘટી ગઇ હતી.

મચ્છર વગરની દુનિયા શક્ય છે એવું જાણવા માત્ર માટે આ વાત નથી માંડી. મુદ્દો એ છે કે ટેક્નોલોજીને પગલે વિશ્વભરમાં માણસનું આયુષ્ય લાંબુ નહીં પરંતુ ઓછામાં ઓછી શારીરિક તકલીફોવાળું હોય તેવા સંશોધનો થઇ રહ્યાં છે. જીનેટિકલી મોડિફાઇ કરેલાં ડિઝાઇનર બેબીઝ આ ભવિષ્ય તરફનું એક વિશાળ પગલું છે. અસાધ્ય કહી શકાય તેવા રોગની દવાઓથી માંડીને શરીરનાં દેખાવ અને સૌષ્ઠવને જાળવવા માટેનાં તકનિકી વિકલ્પો પણ સમયાંતરે વધી રહ્યાં છે. ટૂંકમાં માણસનું આયખું બને એટલું લાંબુ અને સ્વસ્થ હોય તે માટે ટેક્નોલોજી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઘણી સાયન્સ ફિક્શન ફિલ્મો અને વાર્તાઓમાં અમરત્વની વાત પણ કરાઇ છે અને એ દિશામાં જાણે અજાણે કામ પણ થઇ રહ્યું છે. એન્ટિબાયોટિક્સની દુનિયાને પગલે માણસજાત આજે ગમે તેવી બિમારીને ગણતરીનાં દિવસોમાં ફગાવી દે છે. એક જમાનામાં લોકો શરદી અને ફ્લુથી પણ મૃત્યુ પામતા હતા પણ હવે તો પાંચ દિવસ સુધી રહેલો ચાર ડિગ્રીનો તાવ પણ એન્ટિબાયોટિક્સ દૂર કરી દે છે. એક સમયે રાજરોગ ગણાતા બી.પી. અને ડાયાબિટીસ હવે સામાન્ય બિમારી ગણાય છે અને તેનાં નિયંત્રણ માટે અઢળક ઉપાય અને ઉપચાર હાજર છે. જાત જાતનાં વેક્સિન્સ પણ હવે ઉપલબ્ધ છે. ટેક્નોલૉજીની દ્રષ્ટિએ હવે આપણી પાસે રેડિએશન થેરાપિ છે તો પેચીદી સર્જરીઝ માટે પણ હવે ઘણી આસાન ટેક્નોલોજીઝ હાજર છે. વિજ્ઞાન માણસની આવરદા વધારી રહ્યું છે. વિજ્ઞાન એ દિશામાં પગલાં ભરે છે કે જ્યારે માણસની જિંદગી કેટલી લાંબી હોવી જોઇએ તે અંગે કોઇ મર્યાદાઓ જ નહીં રહી હોય.

એક તરફ આયખું વધારતું વિજ્ઞાન છે તો બીજી તરફ છ મિલિયન વર્ષોની ઉત્ક્રાંતિ કાળને પગલે વાંદરામાંથી માણસ બનેલા આપણે પણ સમય સાથે બદલાઇ રહ્યાં છીએ. માણસનું ભવિષ્ય શું હશે એ કહેવું હોય તો ટાઇમ મશીન વગર શક્ય નથી પણ અમેરિકન મીડિયા કંપની બી અમેઝ્ડે કરેલા એક સંશોધન અનુસાર ભવિષ્યમાં પુરુષ વધારે ઊંચા હશે અને ભવિષ્યમાં દુનિયામાં એક જ માનવવંશ હશે. વધતા જતાં પ્રદૂષણને પગલે ભાવિ માનવનાં ફેફસાં વધારે મજબૂત જન્મે એવી પણ શક્યતાઓ છે. તો બીજી તરફ એન્ટિબાયોટિક્સથી સાજી થઇ જતી આજની પેઢીની ભાવિ પેઢીમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાની સંભાવના પણ છે. આનું સીધું ગણિત એ છે કે જીવનનાં શરૂઆતી વર્ષોમાં જો ‘કિટાણુ’ઓનો સામનો જ ન થાય તો શરીરમાં ઇન્ફેકશન્સ કે વાઇરસ સામે લડવાની પ્રતિકારક શક્તિ પણ નથી ઘડાતી. વળી ટેક્નોલોજીને કારણે સરળ બનતી જતી જિંદગીની કારણે ભવિષ્યમાં માણસનાં મગજનું કદ અત્યારે છે તેનાં કરતાં નાનું હોય તેવી પણ શક્યતા છે.

આ તો ભવિષ્યની વાત થઇ પણ વર્તમાનમાં વિરોધાભાસની સ્થિતિ ખડી થઇ છે. એક તરફ ટેક્નોલોજી અને રિસર્ચ છે તો બીજી તરફ ગંદકી, પ્રદૂષણ અને પ્રોસેસ્ડ ફૂડનો મારો છે. ભવિષ્યની ઇમ્યુન સિસ્ટમ કે રોગ પ્રતિકારક શક્તિનું જે થવાનું હશે તે તો ત્યારે જ ખબર પડશે પણ અત્યારે વાઇરલ ઇન્ફેક્શનનાં મુખ્ય ટાઇટલ હેઠળ માણસોમાં ક્યારે ય ન જોઇ હોય તેવી શારીરિક તકલીફો વધી રહી છે. ધગધગતો તાવ, પેટમાં અસ્વસ્થતા કે સિઝનલ બિમારીઓ તો ઠીક હવે તો કેન્સર પણ દર આઠમી વ્યક્તિએ અને માનસિક અસ્વસ્થતાની વાત દર પાંચમી વ્યક્તિએ સાંભળવા મળે એવી સમસ્યા થઇ ગઇ છે. વિજ્ઞાન જે ભાવિ તૈયાર કરશે એ તો નિવડે ખબર પડશે પણ વર્તમાન સંજોગોમાં આપણે ત્રિશંકુની સ્થિતિમાં છીએ. પર્યાવરણની દ્રષ્ટિએ પૃથ્વીમાં એટલું અસંતુલન છે કે ભારત જેવા ઋતુની વિવિધતા ધરાવતા દેશમાં આપણને આઠ મહિનાનો ઉનાળો સામાન્ય લાગવા માંડ્યો છે. પીગળતાં ગ્લેશિયર્સ, લુપ્ત થતાં પશુ-પંખી અને જીવ-જંતુઓ બહુ મોટા બદલાવની ધીમી અને તરત નજરે ન ચઢતી નિશાનીઓ છે. મોટા માર્કેટ કે સ્ટોરમાં જાવ અને દ્રાક્ષનું ઝૂમખું ખરીદો ત્યારે કહેવાતી ‘ઑર્ગેનિક’ દ્રાક્ષમાં બધીનો રંગ, સ્વાદ અને આકાર એકદમ ‘પરફેક્ટ’, એક સરખાં જ હોય છે. ટેક્નોલોજીની મદદથી હવે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન ઝડપી બન્યું છે. કોઇ પણ ચીજ જલદી પ્રચલિત થઇ જાય છે તો જલદીથી વિસરાઇ પણ જાય છે કારણ કે માર્કેટમાં સ્પર્ધા પણ એટલી જ ધમસાણ છે. આવું ખાણી-પીણીની બધી જ વસ્તુઓ સાથે થઇ રહ્યું છે અને આપણી પાસે એ ખાવા સિવાય છૂટકો નથી કારણ કે માર્કેટમાં એ જ મળે છે. જીનેટિકલી મોડિફાઇડ ફૂડ્ઝ પર દુનિયા આખીમાં વાદ-વિવાદ ચાલી રહ્યાં છે. આ સંજોગોમાં કેમિકલ્સનાં છંટકાવવાળાં શાકભાજી અને પ્રોસેસ્ડ ફૂડ ખાઇને ઉછરેલી પેઢી આયખું લંબાવનારા વિજ્ઞાન સાથે કેવી રીતે તાલ મેળવશે એ જોવું રહ્યું.

એક તરફ રિસર્ચ, ટેક્નોલોજી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું વિશ્વ છે, બીજી તરફ બિમારીઓ અને નબળાઇઓનાં ઘર જેવી સામાજિક અને પર્યાવરણીય વ્યવસ્થાઓ છે તો આ જ દુનિયાનું બીજું પાસું સેન્ટિનેલિઝ જેવાં આંદામાન-નિકોબારમાં આદિવાસીઓ છે જેમની જિંદગીનું રક્ષણ તીર કામઠાંથી થાય છે અને જેઓ આજે પણ પોતાનાં પ્રદેશની બહારની દુનિયા સાથે જરા સરખો સંકર્પ રાખવા પણ નથી માગતા.

ઇઝરાઇલી લેખક યુવલ નોઆ હરારીનાં પુસ્તક ‘સેપિયન્સઃ અ બ્રિફ હિસ્ટરી ઑફ હ્યુમનકાઇન્ડ’ વાંચનારાઓને ખબર હશે કે જેમ પ્રાણીઓમાં અલગ અલગ ‘બ્રિડ’ હોય તેમ માણસની પણ અલગ અલગ ‘બ્રિડ્ઝ’ હતી જેમાંથી હોમો સેપિયન્સે દુનિયામાં સ્થાન બનાવ્યું. આ કરી શકવાનું એક માત્ર કારણ હતું કે સેપિયન્સ બદલાવ કે બાંધ-છોડ પ્રત્યે સહકારી પ્રકૃતિ ધરાવતા હતા જેને અંગ્રેજી શબ્દોનાં ઉપયોગથી સમજવું હોય તો ફ્લેક્સિબલિટીને કો-ઑપરેટ કરવાની તેમનામાં ક્ષમતા હતી. પણ હરારીએ એમ પણ લખ્યું છે કે સેપિયન્સને કારણે આવેલી કૃષિ ક્રાંતિને પગલે ગાયો અને ઘઉં જેવાં પશુ તથા ધાન પણ અસ્તિત્વમાં આવ્યાં, પણ તેની સાથે માણસજાતે અન્ય પ્રાણીઓ સાથેનો વહેવાર બગાડ્યો અને વધુ હિંસા આદરી. સેપિયન્સને આર્થિક અને રાજકીય આંતર-નિર્ભરતામાં હંમેશાં રસ રહ્યો છે. હરારીનાં પુસ્તક અનુસાર માણસજાત પહેલાં જેટલી ખુશ હતી તેટલી આજે નથી અને ટેક્નોલોજીને પગલે જીનેટિક એન્જીનયિરંગ, અમરત્વ અને નોન-ઓર્ગેનિક જિંદગી જીવવાનું શરૂ થશે તો અત્યારે આપણે જે માણસ જાતને જાણીએ છીએ તેવી તે ભવિષ્યમાં રહે તેની કોઇ ખાતરી નથી.

બાય ધી વેઃ

આપણે ધારીએ છીએ તેનાં કરતાં વધુ ઝડપથી દુનિયા બદલાઇ રહી છે. કમનસીબે આપણે વિરોધાભાસ અને અંતિમવાદનાં સમયનાં સાક્ષી બની રહ્યાં છીએ. માણસની ભૂખ વધી રહી છે પણ તેને ઠારવાનાં સંસાધનોમાં નિર્મળતા નથી રહી. માણસની ઘટી રહેલી માનસિક અને શારિરીક પ્રતિકારક શક્તિ તેને અંદર ઝાંકવાને બદલે વધુને વધુ બહાર નજર દોડાવવા ધકેલી રહી છે. નિસ્યંદનને બદલે નિકંદન ન થાય એની તકેદારી રાખવાની સમજણનું બીજ આ પેઢી આવનારી પેઢીમાં રોપે એવી આશા રાખવા સિવાય બીજું કંઇ જ કરી શકાય તેમ નથી. બાકી મહાત્મા ગાંધીની વાત યાદ રાખીને જરૂર જેટલું રાખીએ, લાલચ જેટલું નહીં તો ય કોઇક રીતે આપણે વિશ્વનાં બચાવપૂર્ણ બદલાવમાં કંઇક યોગદાન આપી શકીશું

01 ડિસેમ્બર 2018

e.mail chirantana@gmail.com

(‘ગુજરાતમિત્ર’)

Loading

12 March 2019 admin
← બેબી
એક હાસ્યાસ્પદ કાળો કાયદો એટલે ઓફિશિયલ સિક્રેટ એક્ટ …! →

Search by

Opinion

  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved