Opinion Magazine
Number of visits: 9446703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનોબા ભાવે અને ડૉ. અશોક મહેતાની થીસિસને ગંભીરતાથી લીધી હોત તો ભારતનો ઇતિહાસ જુદો હોત !

રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2019

આઝાદી પછી સમાજવાદીઓએ કૉંગ્રેસમાંથી બહાર નીકળીને સમાજવાદી પક્ષની રચના કરી ત્યારે સમાજવાદીઓને એક સવાલ હંમેશાં પૂછવામાં આવતો કે તમારી અને કૉંગ્રેસની વચ્ચે શું ફરક છે? સમાજવાદીઓને આ સવાલનો જવાબ આપવામાં મુશ્કેલી પડતી હતી. સમાજવાદીઓ હજુ ગઈ કાલ સુધી કૉંગ્રેસમાં હતા, કૉંગ્રેસીઓના નેતૃત્વમાં તેઓ આઝાદીની લડત લડ્યા હતા. તેઓ ગાંધીજીને અને ગાંધીજીના વિચારને માનતા હતા. દેખીતી રીતે નજરે પડે એવો કોઈ મોટો ફરક કૉંગ્રેસીઓ અને સમાજવાદીઓ વચ્ચે નહોતો.

એમાં પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદીઓનો કારમો પરાજય થયો, તેમની વચ્ચે મતભેદ પેદા થયા અને ઓછામાં પૂરું કૉંગ્રેસે તેના મદ્રાસ નજીકના અવાડી અધિવેશનમાં સમાજવાદી સમાજરચનાનો ઠરાવ પસાર કર્યો. કૉંગ્રેસે જમીનદારી નાબૂદીના કાયદા બનાવ્યા હતા અને સહકારી ખેતી(કલેકટીવ ફાર્મિંગ)ને પુરસ્કારી હતી. સમાજવાદીઓ પાસે કૉંગ્રેસનો વિરોધ કરવા માટે ધિક્કાર સિવાય કાંઈ બચ્યું નહોતું. આ ધિક્કારની ભાવના ઘૂંટતા ઘૂંટતા તેઓ એક દિવસ હિંદુ કોમવાદીઓ સાથે દોસ્તી કેળવતા થઈ ગયા તેનું પણ તેમને ભાન ન રહ્યું.

અહીં સવાલ ઉપસ્થિત થાય કે, શું એક સરખી વિચારધારાના બે રાજકીય પક્ષો ન હોઈ શકે? બીજું, વિચારધારા અનિવાર્યપણે મૂડીવાદી અને સમાજવાદી જ હોય અને બે રાજકીય પક્ષો આ બે વિચારધારાને વરેલા હોય એ જરૂરી છે? જ્યારે ભારતને આઝાદી મળી એ વર્ષો મૂડીવાદ અને સમાજવાદની વિચારધારા વચ્ચેનાં ધ્રુવીકરણનાં હતાં. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યુરોપમાં જે પક્ષો વંશવાદી અને ફાસીવાદી હતા એ પક્ષો પણ ૧૯૪૫ પછીથી કલેવર બદલીને જમણેરી મૂડીવાદી થઈ ગયા હતા. સમાજવાદીઓ સમાજવાદીઓ હતા એટલે તેમણે કૉંગ્રેસને જમણેરી મૂડીવાદી પક્ષ તરીકે ચીતરવાની કોશિશ કરી હતી જે એક શીર્ષાસન હતું. સમાજવાદીઓએ સમાજવાદ અને મૂડીવાદની વિચારધારાઓ વચ્ચે બે અંતિમો શોધવાની જગ્યાએ જો એક સરખી વિચારધારા હોવા છતાં કૉંગ્રેસનો રાજકીય વિકલ્પ બનવાનો પ્રયાસ કર્યો હોત તો આજે ભારતનો ઇતિહાસ જૂદો હોત.

લગભગ એક સરખી વિચારધારાઓની વચ્ચે સમાજવાદીઓ પોતાની વેગળી રાજકીય હયાતી માટેની પ્રાસંગિકતા શોધી શક્યા નહીં, એવો કોઈ પ્રયાસ પણ કર્યો નહીં અને ઉપરથી રાજકીય પરાજયો થવા લાગ્યા એટલે તેઓ હતાશાની સ્થિતિમાં આપસમાં બાખડવા લાગ્યા. દિગ્ગજ સમાજવાદી વિચારક ડૉ. અશોક મહેતાએ ‘પોલિટીકલ કંપલસન્સ ઓફ બેકવર્ડ ઈકોનોમી’ એવી એક થીસિસ રજૂ કરી હતી જેને બીજા એવા જ દિગ્ગજ સમાજવાદી વિચારક ડૉ. રામ મનોહર લોહિયાએ હસી કાઢી હતી. ડૉ. અશોક મહેતાએ કહ્યું હતું કે આર્થિક રીતે પછાત દેશમાં દેશની જરૂરિયાતના ભાગરૂપે પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો વચ્ચે લઘુતમ બાબતે સહયોગની ભૂમિકા બનવી જોઈએ. દેશના સર્વાંગીણ વિકાસ માટે આટલી બાબતે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સંમતિ અને એ સિવાયનાં બીજા પ્રશ્નો પર વિચારભેદ, સંઘર્ષ, પ્રતિસ્પર્ધા, ચૂંટણીના મેદાનમાં ચૂંટણીકીય યુદ્ધ અને સંસદમાં વાકયુદ્ધ એમ બધું જ. આજે એમ લાગે છે કે એ સમયે ડૉ. અશોક મહેતાની થીસિસને ગંભીરતાથી લેવામાં આવી હોત તો અગેન ભારતનો ઇતિહાસ જૂદો હોત.

ડૉ. રામ મનોહર લોહિયાએ અશોક મહેતાની થીસિસને પરાજીત અને હતાશ માણસની માનસિકતા તરીકે ઓળખાવી હતી. તેમણે ડૉ. અશોક મહેતાની ઠેકડી ઉડાડવામાં અને પ્રહારો કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. તેમણે કહ્યું હતું કે લોકો સાંભળે એમ વિરોધ કરવાથી, લોકોને સાથે લઈને સંઘર્ષ કરવાથી અને લોકોની વચ્ચે કામ કરવાથી રાજકીય પક્ષોની બાંધણી થતી હોય છે. તેમણે પાવડો (રચનાત્મક કામ), જેલ (સંઘર્ષ) અને મતપેટી (વિરોધ)ના ત્રણ પ્રતિકો આપ્યાં હતાં. લોકોની વચ્ચે રચનાત્મક કામ તો તેઓ કરતા હતા, પરંતુ વિરોધ અને સંઘર્ષ કરવામાં તેઓ વિવેક ચૂકી જતા હતા અને અતિરેક કરતા હતા.

ડૉ. અશોક મહેતા જેવા જ વિચારો જરાક જૂદા સંદર્ભમાં વિનોબા ભાવેએ પણ રાખ્યા હતા. તેમની ચિંતા બેકવર્ડ ઈકોનોમીની નહોતી, પરંતુ શિશુ-ભારતની હતી. જે દેશ ઇતિહાસમાં ક્યારે ય એક નહોતો, જે દેશનો અનેકવાર વિદેશીઓ સામે પરાજય થયો હોય, જે દેશમાં અસાધારણ વિવિધતા હોય અને વિવિધતાઓની વચ્ચે એકતા વિકસાવવાની બાકી હોય, જે દેશનું હજુ નજીકના ભૂતકાળમાં વિભાજન થયું હોય, જે દેશમાં સેંકડો વરસથી હાંસિયામાં રાખવામાં આવેલી પ્રજાઓને કેન્દ્રમાં લાવવાની હોય ત્યાં કેટલીક લઘુતમ બાબતે રાજકીય પક્ષો વચ્ચે સહયોગની ભૂમિકા બનવી જોઈએ. ટૂંકમાં દેશનું જતન, પોષણ અને સામર્થ્ય રળવાની બાબતે રાષ્ટ્રીય સંમતિ અને બાકીની ઓછી મહત્ત્વની બાબતે રાજકીય સ્પર્ધા. વિનોબા ભાવેની સમસ્યા એ હતી કે તેમણે અહીં મેં જે રીતે વિનોબાના વિચારો રાખ્યા છે એ રીતે અથવા અશોક મહેતાએ જે રીતે પોતાના વિચારો રાખ્યા હતા એ રીતે રાખ્યા નથી. તેમના આવા વિચાર છૂટાછવાયા મળે છે.

જેમ અશોક મહેતા પર પ્રહાર કરવામાં આવ્યો હતો એમ વિનોબા ભાવે પર પણ ડૉ. લોહિયાએ પ્રહારો કર્યા હતા. વિનોબાના ભૂદાન આંદોલનને તેમણે સમાજના મૂળભૂત સવાલોને બગલ દેનારા અરાજકીય અને કૉંગ્રેસની બી ટીમ તરીકે ઓળખાવ્યું હતું.

એક દિવસ સ્થિતિ એવી બની કે ડૉ. અશોક મહેતા તેમના સમર્થકો સાથે કૉંગ્રેસમાં જોડાઈ ગયા, વિનોબા ભાવેને સરકારી સંત તરીકેનું લેબલ ચોડવામાં આવ્યું અને લોહિયા સ્કૂલના સમાજવાદીઓ વિરોધ કરવાની જગ્યાએ કૉંગ્રેસ માટે નફરત ધરાવતા થઈ ગયા. નફરત કરતાં કરતાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પાલખી ઊઠાવતા થઈ ગયા તેનું પણ તેમને ભાન રહ્યું નહીં.

ડૉ. અશોક મહેતા અને વિનોબા ભાવે ૨૦મી સદીના દસ મેધાવીઓની યાદી બનાવવામાં આવે તો તેમાં હકથી સ્થાન પામી શકે એવા વિદ્વાન હતા. આખરે તેમણે કહેલી વાતને થોડી ગંભીરતાથી વિચારવી જોઈતી હતી. પછાત ભારતના અને શિશુ ભારતના પ્રશ્નો વાજબી હતા અને તેમાં અમુક પ્રમાણમાં મર્યાદિત સહયોગની આવશ્યકતા હતી. સૌથી મહત્ત્વની બાબત એ બની હોત કે ભારતની વિભાવના (આઈડિયા ઑફ ઇન્ડિયા) પ્રજામાનસમાં ઘૂંટાઈ ઘૂંટાઈને સ્પષ્ટ થતી આવી હોત. આજે જે રીતે ભારતનો નાગરિક ભારતની યાત્રા, ભારતની મંઝીલ અને ભારતના પડાવો વિષે કાંઈ જાણતો જ નથી અને ભણેલો છતાં અભણ છે એ સ્થિતિ ન બની હોત.

તો ઉપસંહાર કરતાં બે ચીજ ફરી બતાવી દઉં. એક તો કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે ખાસ કોઈ મતભેદ નહીં હોવા છતાં પરાણે વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જે આંધળા કૉંગ્રેસદ્વેષ અને નફરતમાં પરિણમ્યો જેમાં સરવાળે ફાસિસ્ટ ફોર્સને ફાયદો થયો. જો ડૉ. અશોક મહેતાની વાત એટ લીસ્ટ ધ્યાનથી સાંભળી હોત તો આવું ન બન્યું હોત. અને જો વિનોબા ભાવેની વાત કાને ધરીને શિશુ ભારતનું સહિયારું જતન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોત તો આધુનિક ભારત વિશેની વિભાવના વધારે સ્વીકૃત બની હોત.

આ લખનાર માટે આ પચ્છમબુદ્ધિ (હાઇન્ડસાઈટ) છે એ સ્વીકારવું રહ્યું. ડૉ. અશોક મહેતાના વિચારોને લક્ષમાં નહોતા લીધા અને વિનોબાની ઠેકડી ઊડાડી હતી.

26 ઍપ્રિલ 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2019

Loading

28 April 2019 admin
← સૅક્સ ટુરિઝમ ટ્રેડ વિશે
હવે એક પણ રાજકીય પક્ષને બિમાર નર્મદા મૈયાનાં ખબર અંતર પૂછવાની પડી નથી ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved