Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીજળીને ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|24 September 2020

હૈયાને દરબાર

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !

નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે.

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે.

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે.

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે.

                                                             — ગંગા સતી

————————–

બહુ નાનપણમાં સાંભળેલી આ લોકપ્રિય ભક્તિ રચનાનો અર્થ તો બહુ મોડો સમજાયો હતો. પરંતુ જ્યારે સમજાયો ત્યારે થયું કે ભારતીય અધ્યાત્મશાસ્ત્ર કેટલું ગૂઢ છે અને ગંગા સતી જેવી સાવ સામાન્ય નારી પણ કેવું ઉચ્ચ જ્ઞાન પામી છે! મેરુ તો ડગે કરતાં ય ચડિયાતી રચના એટલે વીજળીને ચમકારે મોતીડાં પરોવો …!

આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાનાં લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગા સતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.

પ્રસ્તુત પદમાં ગંગા સતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ માનવજીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચશે. વળી, ભજનમાં ઉલ્લેખ છે કે એકવીસ હજાર છસ્સો કાળ ખાશે. તો એની પાછળ વૈજ્ઞાનિક ગણતરી છે. સામાન્ય રીતે આપણે દર મિનિટે ૧૫ શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ. તો આ ગણતરી પ્રમાણે એક દિવસના ૨૧,૬૦૦ શ્વાસોશ્વાસ થાય. એટલે કે કાળ એ રીતે સમયને ખાઈ રહ્યો છે. અને આમ જ એક દિવસ શ્વાસ બંધ થઈ જશે એથી હરિનામનું મોતી પરોવી લેવાનું છે.

સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતો, ભક્તો અને શૂરવીરોની ધરતી. ગંગા સતીના ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન સામે શીશ ઝૂકે. સતી, સંત અને શૂર ગંગા સતીનો જન્મ પાલિતાણા પાસેના રાજપરા ગામે ઇ.સ. ૧૮૪૬માં થયો હતો. ગંગાબાનાં લગ્ન રાજપૂત ગિરાસદાર કહળસંગ ગોહિલ સાથે થયા હતા. ગંગા સતી રોજ, એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઈને સંભળાવતાં.

ભગતી રે કરવી હોય તેણે રાંક થઈને રેવું ને પાનબાઈ
મેલવું અંતરનું અભિમાનજી
ગંગા રે સતી એવું બોલ્યા રે .. પાનબાઈ
જનમ સફળ થઈ જાય જી

એક મીરાં ચિતોડમાં થયાં મીરાંબાઈ, એક મીરાં શ્રી રંગમમાં થયાં આંડાલ, એક મીરાં કર્ણાટકમાં થયાં અક્ક મહાદેવી અને એક મીરાં સૌરાષ્ટ્રમાં થયાં ગંગા સતી.

સંતજાતમાં જ્ઞાતિના આધારે ઊંચનીચના ભેદને કોઈ સ્થાન નથી. સંતોની દુનિયામાં તો ‘હરિ કો ભજે સો હરિ કો હોઈ’ની જ નીતિ અપનાવવામાં આવે છે. આ સત્ય ગંગા સતી ભજનમાં બોલી રહ્યાં હતાં.

જાતિપણું, છોડીને અજાતિ થાવું ને
કાઢવો વરણ વિકાર રે,
જાતિ પાતિ નહીં, હરિના દેશમાં ને
એવી રીતે રહેવું નિર્માન રે.

ગંગા સતીના પિતાનું નામ ભાઈજી ભાઈ જેસાજી સરવૈયા હતું. માતાનું નામ રૂપાળી બા હતું અને પિતા રાજપૂત ગિરાસદાર હતા. ગિરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબાનાં લગ્ન પછી પાનબાઇ નામની કન્યાને સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી હતી એ વાત મેરુ તો ડગે … લેખમાં થઈ ગઈ છે. ગંગા સતી રોજ, એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઈને સંભળાવતાં. આ રીતે આ ક્રમ બાવન દિવસ ચાલ્યો. બાવન દિવસમાં બાવન ભજનોની રચના થઈ.

ગંગા સતીના વીજળીને ચમકારે મોતીડાં પરોવો પંકિતએ ગુજરાતી સાહિત્યમાં ચમત્કાર કર્યો. જવાહર બક્ષીના કહેવા મુજબ રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વ કવિ પણ આવી પંક્તિ આપી શક્યા નથી. વીજળીનો ચમકારો દુર્લભ છે. વીજળીનો ચમકારો એટલે શું ? ભારે વરસાદ, તીવ્ર પવન અને વાદળોના ગડગડાટ વચ્ચે હજાર વોલ્ટના હજારો બલ્બ લગાવ્યા હોય તેના કરતાં ય વધુ ઝળહળાટ અને આ ક્ષણિક ઝબકારે મોતી પરોવવાનું કામ એથી ય દુર્લભ. જબરજસ્ત કૌશલ્ય હોય તો જ પાર પડે.

જીવનને ગંગા સતી વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક છે. આ ક્ષણિક જીવનમાં ભગવદ્ પ્રાપ્તિ જેવી અસાધારણ ઘટના ઘટી શકે છે. દરેક માનવી માટે સોમવારથી રવિવારની વચ્ચે સાત દિવસ જ હોય છે. માનવીનો અંતકાળ આ સાત દિવસમાંથી ક્યારે આવશે તે નક્કી નથી, ગંગા સતી કહે છે કે એક ક્ષણ પછી અંધારું થઈ જશે. એટલે મૃત્યુ આવી પહોંચશે. તેથી અંધકાર થઈ જાય તે પહેલા ભગવદ્ પ્રાપ્તિનું મોતી પરોવી લેવાનું કાર્ય સિદ્ધ થઈ શકે તેમ છે.

સુપ્રસિદ્ધ લેખક ભાણદેવજીએ સંત કવયિત્રીઓ પર ઘણું સંશોધન કર્યું છે. ગંગા સતીનાં અધ્યાત્મ ઉપર જ એમનાં ત્રણ પુસ્તકો છે. એક સ્થાને એમણે આ ભક્તિ ગીતના સંદર્ભે લખ્યું છે કે, "વીજળીને ચમકારે પંક્તિના ત્રણ અર્થ છે. પહેલો અર્થ એ છે કે વીજળીને ચમકારે મોતી પરોવવું એટલે અપરંપાર જાગૃતિ રાખવી. મોતી પરોવવા ઘણી એકાગ્રતા અને સ્થિરતા જોઈએ. ક્ષણભરમાં કાર્ય સિદ્ધ કરી લેવાનું હોવાથી અધ્યાત્મ પથ પર અનંત સાવધાની અને જાગૃતિ જોઈએ. પક્ષીઓને આકાશમાં જવાનો કોઈ નિશ્ચિત રસ્તો ન હોય એમ મનુષ્યે પણ ક્ષણે ક્ષણે રસ્તો કંડારતા જવાનું છે. તેથી જ ગંગા સતી કહે છે કે સતત સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કેવી સાવધાની – વીજળીને ચમકારે મોતી પરોવવા જેવી સાવધાની.

બીજો અર્થ છે કે જીવન બહુ ટૂંકું છે, વીજળીના ચમકાર જેવડું. તેથી જે સમય મળ્યો છે એમાં મોતી પરોવી લો.

ત્રીજો યોગિક અર્થ છે. ગંગાસતીએ લખ્યું કે રાખવું સ્વરભેદમાં ધ્યાન. આ સ્વરોપાસના છે. સંસ્કૃતમાં શિવ સ્વરોદય નામે ગ્રંથ છે જે સ્વરવિદ્યાનો શ્રેષ્ઠ ગ્રંથ ગણાય છે. એમાં કહ્યું છે કે આપણા શ્વાસ બંને નસકોરાંથી હંમેશાં સમાન રીતે નથી ચાલતા. એકમાં વધુ એકમાં ઓછો એમ ડાબે જમણે ચાલ્યા કરે. ડાબું ચાલતું હોય ત્યારે સમજવું કે ઈડામાં શ્વાસ ચાલે છે કારણ ઈડા ડાબી બાજુ છે જેને તંદ્ર નાડી કહેવાય છે. પીંગલા જમણી તરફ હોવાથી શ્વાસ જમણી તરફ વધુ હોય તો પીંગલામાં કહેવાય. વારાફરતી શ્વાસ બદલાય ત્યારે વચ્ચે થોડીક એવી ક્ષણો આવે છે શ્વાસ બન્નેમાં સમાન ભાવે ચાલે છે. એ ક્ષણ સિદ્ધ થાય તો આધ્યાત્મિક છલાંગ લાગી શકે. ગંગા સતી આ ગૂઢ વિદ્યા જાણતાં હતાં એટલે કહ્યું કે રાખવું સ્વરભેદમાં ધ્યાન. બન્નેમાં શ્વાસ સમાન થાય ત્યારે એ સુષુમણામાં કહેવાય. દિવસો સુધી યોગીઓના શ્વાસ સુષુમણામાં ચાલે એ ધ્યાનની ઉત્તમ અવસ્થા છે. કુંડલિનીને સુષુમણાના માર્ગમાં કેમ લેવી એની યુક્તિ ગંગા સતી જાણતાં હતાં. આ સુષુમણાનો શ્વાસ વીજળીના ઝબકાર જેવો છે. તેનો ઉપયોગ કરી લો. એ વખતે સમાધિ લાગી જાય તો જીવનનું મૂલ્યવાન મોતી પરોવાઈ જાય!

પાનબાઈ આ પરમ પદ પામ્યાં હતાં એટલે જ ગંગા સતી છેલ્લે પાનબાઈને કહે છે કે તમે પદ પામ્યાં નિર્વાણ. અધિકારી શિષ્યને ગુરુ આ કહે એથી મોટું પ્રમાણપત્ર બીજું એકેય નથી.

ગંગા સતી ભક્તિ આંદોલનનાં મધ્યકાલીન સંત કવયિત્રી હતાં. જેમણે ગુજરાતીમાં સંખ્યાબંધ ભજનો રચ્યાં હતાં.

ગંગાસતી અને પતિ કહળસંગ અત્યંત ધાર્મિક હતાં. એમને બે દીકરીઓ જ હતી એટલે પાનબાઈ પુત્રવધૂ હોવાની વાત ખોટી છે. તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર હતું. કહેવાય છે કે આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં જઇ વસ્યાં અને ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યાં અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે કળુભાએ દેહત્યાગનો સંકલ્પ કર્યો. ગંગા સતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી.

કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યાર પછી ગંગા સતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતાં. ગંગા સતીનાં ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો, જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ. ગંગા સતીએ ત્યાર બાદ સમાધિ લીધી. ઈ. સ. ૧૯૭૯માં તેમના જીવન પર આધારિત દિનેશ રાવલ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ચલચિત્ર ગંગા સતી રજૂ થયું હતું.

ગંગા સતીએ ગુરુનો મહિમા અને મહત્ત્વ, અનુયાયીનું જીવન, કુદરત અને ભક્તિનો અર્થ વગેરે પર ભજનો રચ્યાં છે. આ ભજનો કોઇ ભગવાનનો ઉલ્લેખ કરતા નથી પરંતુ સામાન્ય સ્વરૂપમાં ભગવાનનો ઉલ્લેખ કરે છે. તે અધ્યાત્મના વિવિધ પાસાંઓને પણ રજૂ કરે છે. આ ભજનો સૌરાષ્ટ્ર અને ભક્તિ સંગીતમાં હજુ પણ લોકપ્રિય છે.

ગંગા સતીની બાવન ભજન રચનાઓમાં સદ્દગુરુ મહિમા, નવધા ભક્તિ, યોગસાધના, નામ અને વચનની સાધના, ક્રિયાયોગ, શીલવંત સાધુના લક્ષણો, સંતના લક્ષણો, આત્મસમર્પણ, ભક્તિનો માર્ગ, નાડીશુદ્ધિ, મનની સ્થિરતા, સાધુની સંગત, વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ, જ્ઞાન અને યોગનો ત્રિવેણીસંગમ થયેલો જોવા મળે છે.

ગંગા સતીનાં ભજનોમાં વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણોનું તત્ત્વજ્ઞાન, ઇંડા, પિંગલા, સુષુમણા, મૂલાધાર, કુંડલિની પ્રાણાયમની સમજ, પરા-અપરાવિદ્યા, જન્મ – મૃત્યુ – પુનર્જન્મ – મોક્ષ – ક ર્મ- દ્વૈત – અદ્વૈત – જેવું આચાર્યોનું બ્રહ્મજ્ઞાન એક સાથે જોવા મળે છે.

આ અમર રચના અનેક કલાકારોએ ગાઈ છે જેમાં લલિતા ઘોડાદ્રા, હેમંત ચૌહાણ, ભારતી વ્યાસ તથા આજની પેઢીમાં હિમાલી વ્યાસ નાયક તથા વનરાજ-બલરાજ જેવા યુવા કલાકારો પણ એ ગાય છે. સાંભળીને હૃદયસ્થ કરવા જેવી આ ભક્તિરચનાનો આનંદ તમે પણ લેજો.

https://www.youtube.com/watch?v=FvFvGe1CV50

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=656303  

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 સપ્ટેમ્બર 2020

Loading

24 September 2020 admin
← જયપ્રકાશ નારાયણ તેમને ગાંધીજી પછીના ક્રમે મૂકતા
વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved