Opinion Magazine
Number of visits: 9448939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસ્તી નિયંત્રણનાં રાજકારણ કરતાં વૈશ્વિક વસ્તી વિસ્ફોટનો તાર્કિક ઉકેલ લાવવો વધુ જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 July 2021

એક તરફ વસ્તી નિયંત્રણની નીતિ સાથે કૌટુંબિક અધિકારનું દમન અને લઘુમતી-બહુમતીનાં રાજકારણ જેવા બે મોટા પ્રશ્નો જોડાયેલાં છે. બીજી તરફ વૈશ્વિક દ્રષ્ટિએ જોઇએ તો પ્રતિ વ્યક્તિએ વધતી કાર્બન ફૂટપ્રિન્ટ, માનવ પર્યાવરણનું અસંતુલન, કુદરતી સ્રોતનું પાંખા થતા જેવું જેવી સમસ્યાઓ પણ છે.

આપણા દેશના વસ્તી વિસ્ફોટ વિશે આપણે નથી જાણતા એવું નથી. પડશે એવાં દેવાશે વાળા મિજાજ સાથે બધું ચાલ્યા કરે છે. સૂક્ષ્મ સમસ્યાઓથી માંડીને તોતિંગ પ્રશ્નો બધું ક્યાંક કોઇ રીતે વસ્તી વધારા સાથે સંકળાય છે. ભારત, ૧૪૦ કરોડના આંકડા સાથે સૌથી વધુ વસ્તી ધરાવતો વિશ્વનો બીજો દેશ છે. કેન્દ્ર સરકારે વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવાની કવાયત શરૂ કરી છે. ૨૦૧૯માં ભા.જ.પા.ના ત્રણ સાંસદોએ રાજ્ય સભામાં વસ્તી નિયંત્રણ માટે પ્રાઇવેટ મેમ્બર બિલની વાત કરી હતી અને તે બિલ ફરી ચર્ચામાં છે. આ બિલ અનુસાર બેથી વધુ બાળકો ધરાવતાં પરિવારો પર નિયંત્રણો લાદવાની જોગવાઇ કરવી તથા એક જ બાળક હોય તેવાં પરિવારને વધુ સરકારી સુવિધાઓ આપવાની વાત કરાઇ છે.  આ બિલ સુબ્રમણ્મ સ્વામી, હરનથસિંહ યાદવ અને અનિલ અગ્રવાલે રજૂ કર્યું હતું.

આ બિલની પ્રાથમિક વિગતોથી તો તમે પણ વાકેફ હશો, જેમ કે બેથી વધુ બાળક હોય તો મતાધિકાર છીનવી લેવો, તેઓ પોતે કોઇ ચૂંટણી ન લડી શકે કે કોઇ સંસ્થામાં નામ ન જોડી શકે. વળી સરકારી નોકરી હોય અને ત્રણથી વધુ બાળક હોય તો તેમને સબસિડી ન આપવી વગેરે, નોકરીમાં પણ અમૂક ગ્રેડમાં જ કામ મળી શકે જેવી વાતો આ બિલમાં કરાઇ છે. વસ્તી નિયંત્રણની નીતિને પોતાના રાજ્યમાં લાગુ કરવા અંગે કેટલીક રાજ્ય સરકારો ગંભીરતાથી વિચારી રહી છે. ઉત્તર પ્રદેશ, જેની વસ્તી બ્રાઝીલ કરતાં ય વધારે છે ત્યાં આ લેજિસ્લેશન ડ્રાફ્ટની જાહેરાત કરાઇ અને જનતાની સલાહ માંગી છે. વળી નવી જનસંખ્યા નીતિનું પણ અહીં એલાન કરાયું. ભા.જ.પ.નું શાસન ધરાવતા બીજા રાજ્ય આસામે પણ આ નીતિમાં રસ દાખવ્યો છે તો ગુજરાત રાજ્ય સરકારના મતે પણ જરૂર પડે આ નીતિ અનુસરવા માટે તેઓ તૈયાર છે. ભા.જ.પ.નું જ્યાં શાસન છે ત્યાં આ નીતિ લાગુ કરવા પાછળ મુસલમાનોની વસ્તી પર એક યા બીજી રીતે કાબૂ કરવાની ગણતરી છે તેવું પણ કહેવાઇ રહ્યું છે. આસામ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ ત્રણેય રાજ્યોમાં મુસલમાનોની વસ્તી મોટી છે. આસામના હિમન્તા બિસ્વા સર્માએ તો એવી ટિપ્પણી પણ કરી હતી કે અમારી સરકાર બે મહિના જ નાની છે અને અમે પહેલાં ગૌ રક્ષા કાયદો લાગુ કરીશું પછી બે બાળકોની નીતિ અને ત્યાર પછી લવ જિહાદને લગતો કાયદો લાગુ કરીશું.

તાજેતરમાં એક લેખમાં રાજ મોહન ગાંધીએ જે ટિપ્પણી કરી તે વિચારતા કરી દે તેવી ચોક્કસ છે. તેમણે જે લખ્યું છે તેનો અર્થ કંઇક અંશે આવો છે, ‘ભારતમાં એવા લોકો પણ છે જેમને સ્વતંત્ર સંગ્રામનો ગર્વ છે, બંધારણનું મહત્ત્વ સમજે છે અને માને છે લઘુમતીને દેશની બહુમતીનું રક્ષણ મળે તે સ્વાભાવિક છે; પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી લઘુમતીને અપાતું રક્ષણ – લાડ બની ગયું છે. તેમને લઘુમતી નબળી સ્થિતિમાં છે તે સ્વીકારવું નથી, પછી ભલેને બધા નેશનલ સરવે અનુસાર મુસલમાનો દલિતો કરતાં પણ બદતર હાલતમાં જીવતાં હોય.’

આપણે ત્યાં વ્યવસ્થા અને સ્રોતને મામલે બધું અસ્તવ્યસ્ત છે. વસ્તી એટલી છે કે બધું થાળે પડતાં કે સમાન સ્તરે લાવતાં લાંબો સમય લાગશે. ચીનમાં ૧૯૮૦માં એક જ બાળકની નીતિ લાગુ કરાઇ હતી ૨૦૧૬ સુધી તેનો કડક અમલ કરાયો. ૨૦૨૧માં ચીને ત્રણ બાળકની નીતિ જાહેર કરી. ચીનમાં વૃદ્ધોની સંખ્યા એટલી વધી ગઇ કે વસ્તીનું માળખું અસંતુલિત થઇ ગયું અને આખરે માનવ સંસાધનની જરૂરિયાતોને ગણતરીમાં લઇ વસ્તી વધારા પર ધ્યાન આપવાનું નક્કી કરાયું છે. જો કે ચીનની સ્ટેટ ન્યુઝ એજન્સી ઝિન્હુઆના એક ઓનલાઇન સરવેમાં ભાગ લેનારાઓમાંથી માત્ર ૧,૪૪૩ લોકો જ ત્રીજાં બાળકને જન્મ આપવા તૈયાર છે.

આગામી વસ્તી ઇન્ડેક્સમાં ભારત વસ્તીને મામલે ચીનને પાછળ પાડી દે તેવી પૂરી શક્યતાઓ છે ત્યારે વિવિધ ભારતીય રાજ્યોમાં બે બાળકોની આ નીતિ અંગે ઘણા સવાલો પણ થયા છે.  નેશનલ ફેમિલી હેલ્થ સરવે ૨૦૨૦ના એક રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રતિ સ્ત્રીએ જન્મતાં બાળકોની સરેરાશ સંખ્યામાં ઘટાડો થયો છે. આમ તો ભારતના ૧૨ રાજ્યોમાં એક યા બીજી રીતે બે બાળકોની નીતિ લાગુ કરી જ દેવાઇ છે અને ચાર રાજ્યોએ તે પાછી પણ ખેંચી લીધી કારણ કે કોઇ દેખીતો ફેર ન પડ્યો. અહીં કેમ્પેનર્સે કેન્દ્રને શિક્ષણ અને વસ્તી નિયંત્રણના બીજા માર્ગ અંગેની જાગૃતિ પર ધ્યાન આપવા અરજ કરી. રાજસ્થાનમાં પણ બેથી વધુ બાળક ધરાવનારાઓને સરકારી નોકરી નથી મળી શકતી. તો મધ્ય પ્રદેશમાં ૨૦૦૧થી બે બાળકની નીતિ લાગુ કરાઇ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા જેવાં રાજ્યમાં એક યા બીજી રીતે આ નીતિનો અમુક હિસ્સો લાગુ કરાયેલો છે.

એક તરફ વસ્તી નિયંત્રણની નીતિ સાથે કૌટુંબિક અધિકારનું દમન અને લઘુમતી-બહુમતીનાં રાજકારણ જેવા બે મોટા પ્રશ્નો જોડાયેલા છે. બીજી તરફ વૈશ્વિક દ્રષ્ટિએ જોઇએ તો પ્રતિ વ્યક્તિએ વધતી કાર્બન ફૂટપ્રિન્ટ, માનવ પર્યાવરણનું અસંતુલન, કુદરતી સ્રોતનું પાંખાં થતાં જેવું જેવી સમસ્યાઓ પણ છે. વસ્તીનું નિયંત્રણ વૈચારિક હોવું જોઇએ રાજકીય ઇરાદાઓ સાથે જો તે લાગુ કરાય તો તેની કોઇ સારી અસરો વર્તાવાની નથી.

બાય ધી વેઃ

વસ્તી વધારો દેશની નહીં, વૈશ્વિક સમસ્યા છે. આજે ઘણાં યુગલો બાળકોને જન્મ આપવાનું ટાળે છે તેની પાછળ મોડી શરૂ થયેલી જિંદગીથી માંડીને, કરિયર, ગીચતા, વધી રહેલા સામાજિક પ્રશ્નો જેવું કેટલું ય કારણભૂત હોય છે. જિંદગીની ઘટમાળ તો ચાલતી રહેશે પણ નીતિઓના રાજકારણની આરપાર જે વાસ્તવિકતા છે તે જોવાનું આપણે ન ચૂકવું જોઇએ. કોઇ ધર્મ કે જાતિના અપમાન માટે આપણે નીતિઓને આગળ ધરીએ એ આપણા જેવા સુસંકૃત રાષ્ટ્રને કેટલું શોભે? ફરી ભાર મૂકીને કહીશ કે વસ્તી વધારો વૈશ્વિક સમસ્યા છે અને તે પૃથ્વી માટે મુશ્કેલી ખડી કરે છે અને માટે વૈજ્ઞાનિક તથા તાર્કિક કારણોને ધ્યાનમાં રાખી વ્યક્તિગત નિર્ણયો લેવાય તે જરૂરી છે. કૌટુંબિક અધિકારો પર રાજકારણની તરાપ ન હોઇ શકે, હા, તર્ક અને વ્યવસ્થાને મહત્ત્વ આપવું રહ્યું. બીજું એક, બાય ધી વે, એ કે (આમ તો અંગત ટિપ્પણી હતી પણ આ લેખ દરમિયાન યાદ આવી) મને એક વ્યક્તિએ એવી સલાહ આપી કે તમારે બાળકને જન્મ આપવો જોઇએ કારણ કે દેશમાં એક હિંદુ વધશે, આ સાંભળી મારે ગુસ્સો કરવો કે હસી પડવું એ મને સમજાયું નહોતું અને મેં સામે જય શ્રીરામ કહીને વાત અટકાવી દીધી હતી. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  18 જુલાઈ 2021

Loading

18 July 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—104
બેંકોનાં રાષ્ટ્રીયકરણને દિવસે જ ખાનગીકરણનો વિરોધ →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved