Opinion Magazine
Number of visits: 9449459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાનુઆતુ નામના ખોબા જેવડા દેશના શાસકોએ નીરવ મોદી વિષે ભારતમાં તપાસ કરાવી તો ધ્યાનમાં આવ્યું કે આ ભાઈની ચાલચલગત બરોબર નથી અને મોટો કૌભાંડી છે, માત્ર આપણને તેની જાણ નહોતી. આવું બને?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 September 2018

પ્રશાંત મહાસાગરમાં વાનુઆતુ નામનો એક દેશ છે એનું નામ સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય, મેં પણ પહેલીવાર સાંભળ્યું. એ નાનાં-નાનાં ૮૦ ટાપુઓનો દેશ છે અને તેની કુલ વસ્તી બે લાખ ૭૦ હજાર છે. પંજાબ નેશનલ બેન્કને ૧૩ હજાર કરોડ રૂપિયામાં નવડાવીને નાસી ગયેલો નીરવ મોદી તો હીરાપારખુ છે, તેણે પ્રશાંત મહાસાગરમાં પડેલા આ હીરાને પારખી લીધો હતો. પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ જાહેર (પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે એમ) કરવામાં આવ્યું એના ત્રણ મહિના પહેલાં નીરવ મોદીએ વાનુઆતુનું નાગરિકત્વ ખરીદવાની તજવીજ કરી હતી.

આ જગતમાં એવા ઘણા દેશો છે જે ગુનેગારોનું આશ્રયસ્થાન છે. થોડી આડવાત કરી લઈએ. ભારત આઝાદ નહોતું થયું અને અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે આપણું કાઠિયાવાડ આવી ખ્યાતિ ધરાવતું હતું. બાપુઓનું રાજ હતું અને કુલ ૨૨૨ બાપુઓ પોતપોતાની રિયાસતોમાં કાઠિયાવાડમાં રાજ કરતા હતા. કાયદો અને વ્યવસ્થાનું નામ નહીં અને જેની લાઠી એની ભેંસ. બાપુઓ વહીવટી આવડત પણ ખાસ ધરાવતા નહોતા એટલે મહેસૂલી આવક થતી નહોતી. અમલદારો અને ભાયાતો વચ્ચેથી આવક ચાંવ કરી જતા હતા. આ સ્થિતિમાં દરબાર ગઢના ખર્ચા પણ નીકળતા નહોતા ત્યાં રૈયતનું કલ્યાણ તો બહુ દૂરની વાત છે.

આવી સ્થિતિમાં હિન્દુસ્તાનભરના ગુનેગારો કાઠિયાવાડમાં આવીને છુપાતા હતા. કોઈ બાપુઓને કે ભાયાતોને પૈસા આપતા હતા, કોઈ ગામ ભાંગીને ભાગ આપતા હતા અને કોઈ વેશપલટો કરીને બાવા બનીને જિંદગી વિતાવતા હતા. કાઠિયાવાડમાં સૌથી વધુ ધાર્મિક સ્થાનો (કાઠિયાવાડી ભાષામાં જગ્યાઓ) અને સદાવ્રતો છે એનું કારણ આ છે. દયાનંદ સરસ્વતીએ તો અત્યારે ભગવાન તરીકે પૂજાતા એક સાધુને ઉત્તર પ્રદેશમાં ગુનો કરીને કાઠિયાવાડમાં છુપાયેલા ગુનેગાર તરીકે ઓળખાવ્યા હતા. આજે પણ હિન્દુસ્તાનમાં જેટલા સાધુઓ છે તેના ૮૦ ટકા એકલા કાઠિયાવાડમાં નજરે પડશે.

વિરમગામ લાઈનદોરી જેવો શબ્દપ્રયોગ પણ તમારે કાને પડ્યો હશે. એ જમાનામાં વિરમગામથી મુંબઈ રાજ્ય શરૂ થતું હતું. બાપુઓની રેલવે વિરમગામ આવે ત્યારે મુંબઈ રાજ્યની પોલીસ રેલવે પ્લેટફોર્મ પર આડાં દોરડાં બાંધીને ઊભી રહી જાય અને કાઠિયાવાડમાંથી બ્રિટિશ ભારતમાં પ્રવેશવા માંગતા એકેએક જણની તપાસ કરવામાં આવે. ગાંજો, અફીણ, જમૈયો, તમંચો તો સાથે નથીને તેની તપાસ કરવામાં આવે. આ અપમાનજનક તપાસ ગાંધીજીના આવ્યા પછી તેમના પ્રયાસના કારણે બંધ થઈ હતી. જો કોઈ કાઠિયાવાડીનું જાડું વર્તણૂંક નજરે પડે તો તેને વાયા વિરમગામ તરીકે ઓળખાવવામાં આવતો.

ઓગણીસમી સદીમાં ભારતમાં જે સ્થાન કાઠિયાવાડનું હતું એ અત્યારે પ્રશાંત મહાસાગરના અને કેરેબિયન સાગરના ટાપુઓના બનેલા દેશો ધરાવે છે. પૈસા આપો અને નાગરિકત્વ મેળવો. તમને એ દેશનો પાસપોર્ટ આપવામાં આવશે જેના આધારે તમે આખા જગતમાં ફરી શકશો અને ધંધો કરી શકશો. હા, વિરમગામ રેલવે સ્ટેશને જે રીતે તપાસ કરવામાં આવતી હતી એ રીતે જગતભરના એરપોર્ટ પર તમારી આકરી તપાસ કરવામાં આવશે. કોઈ મોટા દેશનો વતની બચુકલા દેશનો નાગરિક શા માટે બન્યો એ એક પ્રશ્ન પાસપોર્ટ ધારક સામે શંકા કરવા માટે પૂરતો છે, જે રીતે હિન્દુસ્તાની બોલનારો કાઠિયાવાડમાં શા માટે આવ્યો એ શંકા કરવા માટેનું દેખીતું કારણ હતું. 

તો નીરવ મોદીએ તેર હજાર કરોડ રૂપિયામાં પંજાબ નેશનલ બેન્કને ઉઠાડી મૂકી એ પછી તે નાસી જવાની તૈયારી કરતો હતો. આ બાજુ કૃપાળુ શાસકો અને બેન્કના અધિકારીઓ અધીરા હતા કે ક્યારે નીરવભાઈ કોઈ દેશમાં ઠરીઠામ થઈ જાય અને ક્યારે અમે ખોટાખોટા ફરિયાદી તરીકે પોલીસ સ્ટેશન જઈએ; હાય રે, અમે તો લૂંટાઈ ગયા. આગળ કહ્યું એમ નીરવ મોદી નાસી ગયો એના કેટલાક મહિના પહેલાં વાનુઆતુ નામના દેશની સરકારનો સંપર્ક કર્યો હતો અને ૨૦૧૭ના નવેમ્બર મહિનામાં નાગરિકત્વ માટેના પૈસા પણ ચૂકવી દીધા હતા. આશ્ચર્ય હવે આવે છે. પરમ આશ્ચર્ય. ભારત સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું આશ્ચર્ય.

વાનુઆતુ નામના પોણા ત્રણ લાખની વસ્તી ધરાવતા દેશના શાસકોએ નીરવ મોદી વિષે ભારતમાં અને અન્યત્ર તપાસ કરાવી તો ધ્યાનમાં આવ્યું કે આ ભાઈની ચાલચલગત બરોબર નથી અને મોટો કૌભાંડી છે. વાનુઆતુના શાસકોએ નીરવ મોદીની નાગરિકત્વની અરજી ફગાવી દીધી હતી. હાય રે, અમે તો લૂંટાઈ ગયાની ભારત સરકારે અને બેન્કના અધિકારીઓએ પોક મૂકી એના ત્રણ મહિના પહેલાં બચુકલા દેશના શાસકોને ખબર પડી ગઈ હતી કે આ માણસ ઠગ છે.

કાંઈ સમજ પડી? ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલા સાવ નિર્ધન વાનુઆતુના શાસકોને જેની ખબર પડી એ પંજાબ નેશનલ બેન્કના સંચાલકોને અને ભારત સરકારને ખબર નહોતી. એવું બને? બીજું વાનુઆતુના શાસકોને કોઈ ગેબી અવાજ નહોતો સંભળાયો કે આ માણસથી સાવધાન રહેજો. વાનુઆતુના અધિકારીઓ ભારત આવ્યા હતા અને સત્ય જાણી ગયા હતા, માત્ર આપણને સત્યની જાણ નહોતી. આપણને તો ત્યારે ખબર પડે છે જ્યારે નીરવ મોદી પરિવાર સાથે વિદેશમાં ઠરીઠામ થઈ જાય છે. નાસી ગયા પછી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને નીરવ મોદી લંડન ગયો હતો. ભારતે જ્યારે ખોટો ખોટો દેખાવ પૂરતો વાંધો લીધો ત્યારે બ્રિટિશ સરકારે કહ્યું હતું કે પાસપોર્ટ તમારો છે, વેલિડ છે, તેને રદ્દ કરાયો હોવાની અમને કોઈ જાણકારી આપવામાં નથી આવી, ભાળો તો પકડોની લૂકઆઉટ નોટિસ નથી બહાર પાડવામાં આવી, ત્યાં અમે શું કરીએ?

છે ને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી ઘટના? કહો જોઈએ, કોણ ૫૬ ઈંચની છાતી કોણ ધરાવે છે, વાનુઆતુના શાસક કે આપણા શાસક? હવે કિંગફિશર એર લાઈન્સના સ્થાપક વિજય માલ્યાએ કરેલા ગૌપ્યસ્ફોટ વિષે વિચારો. તેમણે લંડનની અદાલતની બહાર પત્રકારોને કહ્યું હતું કે ભારતમાંથી નાસી જતા પહેલાં તે નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યો હતો અને કોઈ એક રકમ ચૂકવીને મેટર ખતમ કરવાની ઓફર કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે હું આવતીકાલે જીનીવા જઈ રહ્યો છું. હવે કોઈ એમ તો ન જ કહે કે હું પાછો ફરવાનો નથી. અરુણ જેટલી કહે છે કે માલ્યા જૂઠું બોલે છે. વિજય માલ્યા લંડન પહોંચી ગયો એ પછી ભારત સરકારે અદાલતમાં પોક મૂકી હતી કે અરે રે આપણે લૂંટાઈ ગયા, વિજય માલ્યા નાસી ગયો છે. 

એક સરખી ઘટના. પહેલાં વિજય માલ્યા અને પછી નીરવ મોદી-મેહુલ ચોકસી. ‘અરે રે આપણે લૂંટાઈ ગયા, આરોપી નાસી ગયા અને ખબર પણ ન પડી’. વાનુઆતુની ઘટના પછી તમે કોના પર ભરોસો મૂકશો? વિજય માલ્યા પર કે આપણા નાણા પ્રધાન અરુણ જેટલી પર?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 15 સપ્ટેમ્બર 2018

વાનાઆતુના નકશા સૌજન્ય : "વિકિપીડિયા" 

Loading

15 September 2018 admin
← અવરોધો સામે લડીને જીતતી આ દેશની ખેલાડીઓને અને જુલમ સામે લડીને જીવતી મહિલાઓને સલામ
હું હિન્દુ છું →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved