Opinion Magazine
Number of visits: 9449412
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડના છાંયડામાં પણ ઊગ્યા વડ!

રમેશ ઓઝા|Opinion - Opinion|21 April 2019

પ્રો. ગણેશ દેવીએ પખવાડિયા પહેલાં મુંબઈમાં એશિયાટિક સોસાયટીમાં મનનીય વ્યાખ્યાન આપ્યું હતું જેના વિષયને અને ડૉ. દેવીના વિચારોને આપણી આ શ્રેણી સાથે સંબંધ છે. વાચકોને જાણ હશે કે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા અને પછી વહેલી નિવૃત્તિ લઈને તેમણે આદિવાસી સંસ્કૃતિ, ભારતની સાંસ્કૃતિક બહુલતા અને ભાષાઓ પર સંશોધન કરવાનું શરૂ કર્યું હતું. ભારતમાં લોકજીભે બોલાતી તમામ ભાષાઓનું તેઓ સર્વેક્ષણ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં ‘પીપલ્સ લિંગ્વીસ્ટિક સર્વે ઑફ ઇન્ડિયા’ના ૩૮ ખંડ પ્રકાશિત થઈ ચૂક્યા છે અને ૧૨ ખંડ તૈયાર થઈ રહ્યા છે.

ડૉ. દેવીએ મુંબઈમાં ભાષાકીય બહુલતા (ડાયવરસિટી ઓફ લેન્ગવેજિઝ) વિષે બોલતા પ્રશ્ન  ઉપસ્થિત કર્યો હતો કે વટવૃક્ષની નીચે નાનાં ઝાડ પાંગરતાં નથી એ કુદરતનો નિયમ છે અને આપણા બધાનો અનુભવ છે. વડલાતળેનાં વૃક્ષોને સૂર્યની ઉર્જા મળતી નથી અને વિકસવા માટે ઉર્જાની જરૂર પડે છે. જે નિયમ વૃક્ષોને લાગુ પડે છે એ ભાષાઓને પણ લાગુ પડે છે. જે તે ભાષા બોલનારના ચિત્તોવ્યાપારની એ ભાષાને જરૂર પડે છે અને તે તેની ઉર્જા હોય છે. ચોક્કસ ભાષાના બોલનારાઓ જ્યારે તે ભાષામાં ચિત્તોવ્યાપાર કરતા અટકી જાય છે અને તેનાથી કોઈ વધારે બળુકી ભાષામાં કરવા લાગે છે ત્યારે પોતાની માતૃભાષા પાછળ ધકેલાવા લાગે છે અને છેવટે મરી જાય છે.

યુનેસ્કોએ મરી ચૂકેલી, મરવાને કાંઠે અને હવે પછી મરનારી ભાષાઓ વિષે એક સ્ટડી પેપર રજૂ કર્યો એ પછી જગતભરમાં ભાષાઓને કેમ ઉગારવી એ વિષે ઊહાપોહ થઈ રહ્યો છે. મુખ્ય સવાલ છે ચિત્તોવ્યાપારની ઉર્જાનો. સર્જકતાનો. એ જો ટકશે તો ભાષા ટકશે.

એ પછી તેમણે સવાલ ઉપસ્થિત કર્યો હતો કે પ્રાચીન ભારતમાં સંસ્કૃત ભાષાનું આધિપત્ય હતું. એક તો શાસ્ત્રશુદ્ધ સંપૂર્ણ ભાષા અને તેમાં વિચારોનું ખેડાણ દરેક દિશામાં થયું હતું. સંસ્કૃતમાંથી પાલી, પ્રાકૃત જેવી અપભ્રંશ ભાષાઓ વિકસી હતી; પરંતુ સંસ્કૃતનો દબદબો કાયમ હતો. જે ભાષામાં વેદો અને ઉપનિષદો લખાયાં એ ભાષા સામે પાલી-પ્રાકૃત જેવી અપભ્રંશ ભાષાઓને ટકવાનું હતું.

આપણે જોઈએ છીએ કે એ ભાષાઓ ટકી. એ ભાષાઓમાં ઉપનિષદની ઊંચાઈનું કામ થયું. મહાવીર, બુદ્ધ, આજિવકો અને બીજા અનેક વિચારકોએ એ ભાષાઓમાં કામ કર્યું. એ ભાષાઓમાં વિકસેલા શ્રમણ દર્શને સંસ્કૃતમાં વિકસેલા વૈદિક દર્શન કે બ્રાહ્મણ દર્શન સામે પડકાર ઉપસ્થિત કર્યો. આમ કેમ બન્યું? સંસ્કૃતનો દબદબો હોવા છતાં અને એ દબદબો જરા ય ઝાંખો નહીં પડ્યો હોવા છતાં આપણે ત્યાં બીજી ભાષાઓ કોળાઈ અને એમાં વિચારક્ષેત્રે ઉપનિષદોની ઊંચાઈનું કામ થયું. સંસ્કૃતના હોવા છતાં બીજી ભાષાઓને ટકાવી રાખનારું કયું તત્ત્વ હતું?

એ પછી તેમણે કહ્યું હતું કે જેમ પ્રાચીન ભારતમાં સંસ્કૃતનો દબદબો હતો એમ મધ્યકાલીન ભારતમાં પર્શિયન ભાષાનો દબદબો હતો. સાવ એવું નહોતું કે ભારતમાં મુસલમાનો આવ્યા એની સાથે એ ભાષા આવી, એ ભાષાની એક પોતીકી તાકાત હતી. મુસ્લિમ દેશોમાં બોલાતી તમામ ભાષાઓમાં પર્શિયન ભાષા વધારે સક્ષમ છે. જગતમાં એકધારી વપરાશમાં રહેલી જે જીવંત ભાષાઓ છે એમાં તમિળ અને પર્શિયનનો સમાવેશ થાય છે. એના સ્વરૂપમાં ઘણો ફરક પડ્યો છે, પરંતુ એ અખંડ વપરાશમાં રહેલી જીવંત ભાષા છે. પર્શિયન ભાષામાં રૂમી જેવા વૈશ્વિક ગજાના સર્જકો થયા છે અને અમર કૃતિઓ આપતા ગયા છે.

ભારતમાં પર્શિયન રાજભાષા હતી અને એ પણ ટૂંકા સમય માટે નહીં, લગભગ સાતસો વર્ષ સુધી. આ કોઈ ટૂંકો સમયખંડ નથી. આટલા સમયમાં તો સમાજનાં સાંસ્કૃતિક કલેવરો બદલાઈ જતાં હોય છે. અનેક હિંદુઓ મુસ્લિમ શાસકોની નોકરી મેળવવા માટે પર્શિયન અપનાવતા થયા હતા. હિંદુઓએ પર્શિયનમાં ગ્રંથો લખ્યા છે. જૂનાગઢના દીવાન રણછોડજીનું ‘તારીખ એ સોરઠ’ નામનું  પર્શિયનમાં લખાયેલું પુસ્તક જાણીતું છે. એક રીતે જુઓ તો પર્શિયન દેખીતી રાજ્યભાષા હોવાને કારણે, ભારતના ભદ્ર વર્ગે તેને અપનાવી લીધી હોવાને કારણે, તેનો ભૌતિક સુખાકારી સાથે સીધો સંબંધ હોવાને કારણે અને તેમાં ભારતીયો દ્વારા સર્જન-વ્યાપાર થવા લાગ્યો હોવાને કારણે પર્શિયનનો દબદબો સંસ્કૃત કરતાં પણ વધુ હતો.

આમ છતાં, પર્શિયન ભાષાની બળુકી હાજરી હોવા છતાં ભારતીય ભાષાઓમાં કેટલું અદ્ભુત સર્જન થયું છે! કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને બલુચિસ્તાનથી લઈને મણિપુર સુધીના પ્રદેશોમાં બોલાતી દરેક ભારતીય ભાષામાં સંસ્કૃત અને પર્શિયન ભાષામાં થયેલાં સર્જનોને ટક્કર મારે એવાં સર્જનો થયાં છે. લ્લ્લેશ્વરી, નાનક, કબીર, દાદુ, રૈદાસ, મીરાં, નરસિંહ, જ્ઞાનેશ્વર, બસ્સેશ્વર, ચૈતન્ય એમ દક્ષિણ અને પૂર્વ સુધીની ભાષાવાર યાત્રા કરો; કોઈ ભાષા વાંઝણી જોવા નહીં મળે. એ ભાષાઓમાં રચાયેલી રચનાઓની પણછે સંગીત પણ વિકસ્યું અને એમાં પણ દીર્ઘાયુ સાથેનું વૈવિધ્ય નજરે પડી રહ્યું છે. ભારતીય ભાષાઓમાં અને ભારતીય સંગીતમાં મુસલમાનોનું કેટલું બધું યોગદાન છે! પર્શિયન ભાષાનો દબદબો હોવા છતાં આમીર ખુસરોથી લઈને તમામ સૂફી સર્જકોએ ભારતીય ભાષાઓમાં જ કામ કર્યું છે; પર્શિયનનો બહુ ઓછો ઉપયોગ કર્યો છે.

આધુનિક યુગમાં પર્શિયનની જગ્યા અંગ્રેજીએ લીધી છે. આ ભાષા પણ કોઈ સામાન્ય ભાષા નથી. ભલે એ શાસ્ત્રશુદ્ધ સંપૂર્ણ ભાષા નથી, પરંતુ એમાં સર્જકતાનું અને વિચારોનું ખૂબ ખેડાણ થયું છે. અંગ્રેજી ભારતની રાજભાષા હતી અને હજુ આજે પણ છે. એ ભાષાને મુસ્લિમ શાસનના યુગની જેમ ભદ્ર વર્ગે અપનાવી લીધી હતી. સંસ્થાનવાદને કારણે અંગ્રેજી વિશ્વભાષા બની ગઈ અને સફળતા તેમ જ જીવનનિર્વાહ સાથે અંગ્રેજી ભાષાનો જેવો સંબંધ છે એવો સંબંધ આજ સુધી કોઈ પણ ભાષાનો જોવા નથી મળ્યો. ડૉ. ગણેશ દેવીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે આમ છતાં ભારતની અત્યારની દરેક ભાષા ટકી રહી છે એટલું જ નહીં એમાં માતબર સર્જન થયું છે. આપણે આપણું રાષ્ટ્રચિંતન અને સમાજચિંતન આપણી પોતીકી ભાષાઓમાં કર્યું છે. જગતના વિચારપ્રવાહોને આપણે આપણી ભાષામાં ઝીલ્યા છે. આપણે જ્યારે વૈચારિક રીતે અને સાંકૃતિક રીતે આંદોલિત હતા ત્યારે આપણને આપણી ભાષા ટૂંકી નહોતી લાગતી.

કુદરતના નિયમ મુજબ વટવૃક્ષની નીચે વૃક્ષો નથી પાંગરી શકતાં. જગત આખાનો ભાષાઓ વિશેનો અનુભવ પણ આવો જ છે. વર્ચસ્‌ ધરાવતી ભાષાને કારણે નાની ભાષાઓ કરમાઈને મરી જાય છે. જગતના દરેક ખૂણામાં આ રીતે અત્યાર સુધીમાં સેંકડો ભાષા મરી ગઈ છે અથવા કરમાયેલી અવસ્થામાં છે, પણ ભારત આમાં અપવાદ છે એનું શું કારણ?

ડૉ. ગણેશ દેવીના આ પ્રશ્નનો ઉત્તર માર્મિક હતો અને એ જ તેમના ભાષણમાં કલગીરૂપ હતો. તેમણે કહ્યું હતું કે આપણી સંચિત ધરોહર ઉત્તરોત્તર અને અનુવર્તીત ચિત્તમાં ઊતરતી આવી છે. આ જે સમગ્રતા છે, અખંડતા છે, સર્વસમાવેશકતા છે, સાતત્ય છે, પ્રવાહિતા છે એ માળામાં રહેલા દોરાનું કામ કરે છે. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ કે ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ કહેનાર નરસિંહ મહેતા ક્યાં સંસ્કૃતનો મહાપંડિત હતો? ઉપનિષદોનાં મહાવાક્યો નરસિંહમાં કેવી રીતે ઊતરી આવ્યાં? એ ઊતરી આવ્યાં સર્વસમાવેશક અખંડ ધારાના કારણે. પોત એટલું ઘટ્ટ હતું કે એમાં બીજી સંસ્કૃતિના તાણાવાણા આવતા ગયા એ પણ પોતમાં વણાઈ ગયાં અને એ પણ એટલી હદે કે એને જુદાં તારવવા મુશ્કેલ બને.

ડૉ. ગણેશ દેવીનું વ્યાખ્યાન સાંભળ્યા પછી મને ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ના શાયર ડૉ. અલ્લામા ઇકબાલની યાદ આવી. ઇકબાલ સૂફી ઘરાનાના કાશ્મીરી મુસલમાન હતા. પૂર્વાશ્રમમાં તેઓ સૂફી સિલસિલાના હોવા માટે ગર્વ અનુભવતા હતા, પણ પછી તેઓ રૂઢ અર્થમાં ગ્રંથપસ્ત ધાર્મિક મુસલમાન બની ગયા. તેઓ જ્યારે ગ્રંથપરસ્ત ધાર્મિક બની ગયા ત્યારે તેમને લાગ્યું કે સૂફીઓની ખુદાપરસ્તી હિંદુ કોન્શ્યસનેસનો હિસ્સો છે અને તેને કારણે ભારતીય ઇસ્લામ તેનાથી અભડાયેલ છે. ખુદા અને બંદા વચ્ચે જો ઐક્યનો સ્વીકાર કરવામાં આવે તો ખુદાનું સામ્રાજ્ય, ખુદાના આદેશો, કુરાન અને હદીસનું શબ્દપ્રમાણ, આદેશોનું પાલન, કયામતનો દિવસ, ખુદા સમક્ષ બંદાનું દાસત્વ વગેરે ઈસ્લામને અલગ ઓળખ આપનારાં વિશિષ્ટ ઇસ્લામિક તત્ત્વો ક્ષીણ થાય છે. ભારતીય મુસલમાનો ઇન્ડિયન કોન્શ્યસનેસ(તેમની ભાષામાં હિંદુ કોન્શ્યસનેસ)નો હિસ્સો ન થઈ શકે. 

આનો અર્થ એ થયો કે ભારતમાં જો અલાયદી ઓળખ વિકસાવવી હોય તો નકારથી શરૂઆત કરવી પડે એટલી હદે હકારનું વણાટ મજબૂત છે. સૂફીસંતાન ઇકબાલને નકારનો આશ્રય લેવો પડ્યો હતો, અને આજે કેટલાક હિંદુઓ આનો જ આશ્રય લઈ રહ્યા છે. જોઈએ તો અમે ચાર પાંચ હજાર વરસ જૂનું ઘટ્ટ વણાટનું પોત વીંખી નાખીશું, પણ પોતાની અલાયદી ઓળખ તો જૂદી પાડશું જ પાડશું એવી જિદ્દ લાભકારક નીવડવાની છે કે નુકસાનકારક એ વિષે વિચારવું જોઈએ.

18 ઍપ્રિલ 2019

સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ઍપ્રિલ 2019 

Loading

21 April 2019 admin
← આનંદ પટવર્ધનની ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘વિવેક’ : હિન્દુત્વનાં રાજકારણની ચડતી સામે રૅશનાલિઝમની પડતીનો દુ:ખદ અને દાહક દસ્તાવેજ
Gandhi and RSS: Diverse Nationalisms →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved