Opinion Magazine
Number of visits: 9451805
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉજવણાં ઉઠમણાં ન બને એટલી ચિંતા તો કરીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 December 2021

કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આફતો આવે છે તો સરકારને જીવનું જોખમ ઊભું થતું નથી, પણ લોકો તો મરે જ છે ને ઘણીવાર તો એવાં મરે છે કે તેમનું રડતાં પાર નથી આવતો. જેમનો કોઈ વાંક નથી હોતો એવાં મરે છે ત્યારે પીડા વધુ હોય છે. એની વે, બહુ મહેનતને અંતે આપણે કોરોનાની ત્રીજી લહેર લાવવામાં સફળ થયાં છીએ ને હવે જે થાય તેની તૈયારી રાખવાની રહે જ છે. સરકારે રોગ ન વધે એની ચિંતા કરવા કરતાં  હોસ્પિટલોને સુસજ્જ કરવાનું શરૂ કરી દીધું છે ને બીજી લહેર વખતે પણ બધું સુસજ્જ જ હતું તો ય હજારો માણસો બેડ વિના, ઇન્જેકશન વિના, ઓક્સિજન વિના એટલી સંખ્યામાં મર્યાં કે સ્મશાનો ખૂટી પડ્યાં.  ગુજરાત સરકારે ચામડી બચાવવા મોતના આંકડા છુપાવ્યાં હતાં તે તો તે વખતના મુખ્ય મંત્રીએ ખુદ કબૂલ્યું હતું. એની તીવ્ર પ્રતીતિ તો એના પરથી થાય છે કે સુપ્રીમ કોર્ટે મૃતકોનાં સ્વજનોને 50,000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો ત્યારે 67,388 અરજીઓ આવી. સરકારે જો 10,116 મૃત્યુ થયાનું જાહેર કર્યું હોય તો આટલી અરજીઓ આવી કેવી રીતે? એમાંથી 45 હજારથી વધુ અરજીની 226 કરોડથી વધુ રકમ તો મંજૂર પણ કરી દેવાઈ છે ને એમાં પણ, 41 હજારથી વધુ અરજદારના ખાતામાં તો રકમ પણ જમા કરી દેવાઈ છે. એ બતાવે છે કે આ આંકડાઓ સરકારે સ્વીકાર્યા છે. મોતની એટલી સંખ્યા તો હવે સરકારને ગળે પણ ઊતરી છે, નહિતર એ કરોડો રૂપિયા વળતર તરીકે મૃતકોનાં સ્વજનોને ચૂકવે નહીં. એ સાથે જ એ વાત પણ સરકારે જ પુરવાર કરી છે કે કોરોનાથી થયેલ મોતનો આંકડો તેણે છુપાવ્યો છે. સાથે જ એ પણ માનવું પડે કે સરકાર ખોટું બોલી શકે ને ખોટું કરી પણ શકે. મતલબ કે સરકાર વિશ્વનીય ન પણ હોય એય માનવું પડે. આ જ સરકારે કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા ઘણી તૈયારીઓ કરી હોવાના દાવાઓ પણ કરેલા ને પછી જે તકલીફો થયેલી તે લોકોને થયેલી ને સરકારે પણ પછી તો બદલાવું પડેલું. કોરોનાને કારણે એમ થયેલું એવું કદાચ ન પણ હોય, પણ એ વખતના મુખ્ય મંત્રી, કોરોનામાં જે હાલત ગુજરાતની થઈ એ કારણે સહાનુભૂતિ ગુમાવી ચૂકેલા એ વાત નિર્વિવાદ છે.

હવે ત્રીજી લહેરે ગુજરાતનું બારણું ખખડાવ્યું છે ત્યારે તેને આવકારવા સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, કેમ જાણે વિદેશથી કોઈ મંત્રી પધારવાના હોય ! પણ ત્રીજી લહેર ખાલી હાથે પાછી નહીં ફરે એટલું સરકારે અને લોકોએ સમજી લેવાનું રહે. એક વાત સ્પષ્ટ છે કે સરકાર કોઈ પગલાં ભરે કે ન ભરે, લોકોને બેદરકાર રહ્યે પાલવે એમ નથી. લોકો ભીડ કરી રહ્યાં છે એની ના પાડી શકાય એમ નથી. માસ્ક ન પહેરવાનું અને અંતર ન જાળવવાનું પરિણામ લોકો જોઈ ચૂક્યાં છે. એ બેદરકારી આપણાં સ્વજનોને ભારે પડે એવું ફરી થવા દેવા જેવું નથી. સરકાર ભીડ કરે એટલે લોકોએ પણ કરવી જ એવું ક્યાં ય લખેલું નથી. બીજું કે સરકાર બદલાતી નથી, ત્યાં સુધી તેને વ્યક્તિગત ખોટ બહુ પડતી નથી, પણ કોરોના કે ઓમિક્રોનમાં કોઈ સગું ગુમાવીશું તો એ ખોટ આપણી હશે ને એ ખાવા જેવી નથી.

એક વાત સમજી લેવાની રહે કે જોખમી સ્થિતિમાં સરકાર વધુ મતલબી જ પુરવાર થઈ છે. એક તરફ વડા પ્રધાન યુ.એ.ઈ.ની પોતાની મુલાકાત મુલતવી રાખે છે, પણ ગુજરાતનાં મુખ્ય મંત્રી રોડ શો રોકી શકતા નથી. આજે રાજકોટમાં મુખ્ય મંત્રી સવારે નવથી એકનો રોડ શો યોજી રહ્યાં છે ને એને માટે થઈ શકે એટલી ભીડ એકઠી કરવાનો ઉપક્રમ યોજ્યો છે. તંત્રોને પૂરી શક્તિથી કામે લગાડાયાં છે. એ ખરું કે કોરોના રાત્રે જ ફેલાય છે એટલે કરફ્યુ રાત્રે લાગુ થાય છે, પણ દિવસે કોઈ ભય નથી, એટલે ભીડ કરવાનો વાંધો નહીં ! એ ન્યાયે સરકાર ભીડ કરે તો તેનાં પર તો કરફ્યુ ન નખાય ને ! એવું નથી કે કોરોના કે ઓમિક્રોન રાજકોટમાં નથી. કોરોનાના 150થી વધુ ને ઓમિક્રોનના પાંચ કેસ છે જ, પણ સરકારને કે તંત્રોને બહુ વાંધો આવતો નથી. આમે ય મરશે તો લોકો, સરકારને તો ઊની આંચ પણ નહીં આવે ! એટલે એ તો ચૂંટણી ય કરશે ને રોડ શો ય કરશે. એ કોઈ કામ અટકાવે એમ જ નથી. કૈં અટકાવવાનું જ હોય તો લોકો ક્યાં નથી? એમને 144થી, ગાઈડલાઇન્સથી કે કરફયુથી રોકી જ શકાય, પણ સરકારને કોણ રોકે?

કાલે સાંજની મુખ્ય મંત્રીની બેઠકમાં 7 જાન્યુઆરી સુધી 8 મહાનગરોમાં કરફ્યુ યથાવત રખાયો છે તે સિવાય ખાસ કૈં નક્કી થયું નથી. એટલે ગુજરાત વાઇબ્રન્ટ અને ઉત્તરાયણને બહુ વાંધો આવે એમ લાગતું નથી. કદાચ કરફ્યુનો સમય વધે કે ઠુમકા મારવા પર રોક લાગે એમ બને, પણ ગુજરાત વાઇબ્રન્ટ વર્ચ્યુઅલ થાય એમ લાગતું નથી, કારણ દેશ-વિદેશના પ્રતિનિધિઓને ગુજરાત સરકાર આકર્ષવા ને ઇમ્પ્રેસ કરવા માંગે છે, એટલે એ તો ઈચ્છે જ કે વધુ વિદેશીઓ આવે, પણ વિદેશથી અહીં આવનાર પ્રતિનિધિઓને 7 દિવસ ફરજિયાત કવોરન્ટાઇન રહેવાની અનુકૂળતા કરવાનું ફાવશે કે એમાં બાંધછોડ થશે તે વિચારવાનું રહે. એમ કરવા જતાં જોખમો વધે પણ ખરાં. આમ તો આ બધું દેખાડવા, દેખાડા માટે થાય છે, એમાં તો કોઈ સરકાર પાછળ પડે એમ નથી, બલકે, દેખાડી દેવા તો તે પાછળ પડી જાય એમ છે. વાઇબ્રન્ટ માટે તો ગાંધીનગરને ચાર દિવસ રોશનીથી શણગારવાની વાત પણ છે, એને માટે ટેન્ડર પણ બહાર પડાયું છે. સરકારનો ઇરાદો માત્ર ચાર દિવસની રોશની માટે સાડા સાત કરોડનો ધુમાડો કરવાનો છે. એ સ્થિતિમાં બીજા ખર્ચની તો કલ્પના જ કરવાની રહે છે.

કોરોના અને ઓમિક્રોનનાં આક્રમણનું જોખમ એકદમ વધી ગયું છે ત્યારે આવા લહાવા લૂંટવાની અનિવાર્યતા કેટલી તે વિચારવા જેવું છે. રાજકોટનો રોડ શો જીવન મરણનો પ્રશ્ન નથી જ. એ ન થાય કે લંબાવાય તો કરોડોના ધુમાડા તો બચે જ, પણ ભીડથી ઉત્પન્ન થતું મોટું જોખમ પણ નિવારી શકાય, પણ લાગે છે એવું કે બધું જ થશે, બ્રેક જ  લાગવાની હશે તો લોકોને લાગશે. એમાં સરકારે ખાસ કૈં ગુમાવવા જેવું નથી.

એમ પણ લાગે છે કે ફરી એક વાર ઘડિયાળ ઊંધી ફરવાની છે. જે કરેલું તે ફરી કરવાનું આવે એમ બને. શિક્ષણ મંત્રી ઓફલાઇન સ્કૂલોનો આગ્રહ રાખે છે, પણ કોરોનાનું જોર અનેકગણું વધી રહ્યું હોય ત્યારે ફરી સ્કૂલો બંધ થાય એમ બને. ફરી કોર્સ 30 ટકા કાપવાની વાત આવે, ફરી ઓનલાઇનનો આગ્રહ વધે, પરીક્ષાઓ ઓનલાઈન લેવાય ને બોર્ડ ઓફલાઇન પરીક્ષાઓ લેવાની વાત કરીને પ્રમોશનની એ જ ગયા વર્ષની ફોર્મ્યુલા કામે લગાડે એમ બને. આમાંનું કૈં જ ઈચ્છવા જેવું નથી, પણ કોરોના નરમ નહીં પડે તો આ જ થાય એમાં શંકા નથી. આ અંગેનો વિચાર ઘણો વહેલો થવો જોઈતો હતો, પણ આપણે તો ત્રીજી લહેર લાવવી જ હતી, તો બીજું થાય શું? નથી સરકારને પડી શિક્ષણની કે નથી લોકોને પડી, તો શિક્ષણની ઘોર ન ખોદાય એવું તો બને જ કેમ? જેટલા દિવસ સ્કૂલો ચાલી છે એમાં પણ શિક્ષણનું કામ તો ઓછું જ થયું છે ને ઇતરપ્રવૃત્તિઓ જ વધુ ચાલી છે. લર્નિંગ લોસની ચિંતા કોઈએ કરી નથી. કોઈને કોઈ મહાનુભાવની તિથિઓ ઉજવવામાં જ પ્રાથમિક સ્કૂલો સક્રિય રહી છે. ખરેખર તો જે ભણાયું જ નથી, તે કેવી રીતે ભણાવાય ને ખોટ કેવી રીતે ભરપાઈ થાય એ વિચારાવું જોઈતું હતું, તેને બદલે આચાર્યો ને શિક્ષકો પરિપત્રો ને પત્રકોમાંથી જ ઊંચા ન આવે એવી સ્થિતિ સરકારી સ્કૂલોની થઈ છે. શિક્ષણ સમિતિઓ એ રીતે જ જીવી શકે એમ છે તો બીજું તો શું થઈ શકે? પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેલાં બાળકો બિચારા જાણતા જ નથી કે તેમણે શું ગુમાવ્યું છે ને એથી વધુ અબૂધ તો એ સમિતિઓ છે જેણે શિક્ષણ સિવાયનું જ બધું મહત્ત્વનું ગણ્યું છે. હોય, શિક્ષણ સમિતિમાં તો શિક્ષણ ન જ હોય ને !

બીજી તરફ દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની જ છે. ચૂંટણી આયોગને તમામ પક્ષોએ વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનું સ્પષ્ટ કરી દીધું છે. એ મામલે શાસક પક્ષ કે વિપક્ષ વચ્ચે કોઈ ભેદભાવ નથી. 5 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થાય કે મતદાર યાદીઓ બહાર પડે એમ બને. ટૂંકમાં, કોઈ ચમત્કાર જ હવે આ બધું રોકી શકે એમ છે. બાકી, ચૂંટણીઓ થવાની છે, કોરોના વધુ વકરવાનો છે, તબીબી સગવડો ખૂટવાની છે, સ્મશાનોમાં રાહ જોવાવાની છે, આંસુઓ ખૂટવાનાં છે ને એમ ફરી એક વખત માથે હાથ દેવાનો વારો આવવાનો છે. આવું કદી ન બને એમ ઇચ્છીએ, પણ જે ગતિ છે તે આવો ભય ઊભો કરે છે. એક વાત નક્કી છે કે રાજકારણ સિવાય ભારતમાં હવે કશું જ મહત્ત્વનું નથી. હવે રાજકારણ જ લોકોનું, લોકો દ્વારા ને લોકો માટે ચાલે છે. કમ સે કમ એ કહેવાના દિવસો કોરોના ન લાવે તો સારું કે મેરા ભારત મહાણ –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 ડિસેમ્બર 2021

Loading

31 December 2021 admin
← બીજાની વીરતા પોતાના નામે ચડાવનાર સાવરકર ખુદ ભીરુ હતા
નિર્વીર્ય દુનિયાના રહેવાસીઓ →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved