Opinion Magazine
Number of visits: 9449512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમે બીજા માણસની સ્વતંત્રતાની કેટલી કદર કરો છો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 May 2019

હું એવું દ્રઢપણે એમ માનું છું કે દરેક સમાજને સમાજની અંદર આંતરિક સુધારાઓ કરવા દેવાની તક આપવી જોઈએ. ૧૮૫૭માં વિદ્રોહ થયો એનું એક કારણ અંગ્રેજોએ હિંદુ સમાજમાં સુધારાવાદી હિંદુઓની પહેલથી સુધારાઓ કરવા દેવાની જોઈતી તક આપ્યા વિના પોતાની મેળે જ સુધારાઓ કરવા માંડ્યા અને ઉપરથી લાદવા માંડ્યા એ હતું. કાયદાકીય સુધારાઓ કાયદાપોથીમાં જ રહેતા હોય છે અને પ્રબોધન અને સમજાવટ પછી કરવામાં આવતા સુધારાઓ લોકો અપનાવતા હોય છે. એ પછી એવો સમય આવી શકે છે જ્યારે કાયદો કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી. જેમ કે માણસે માણસનું ભક્ષણ ન કરવું જોઈએ એવો કોઈ કાયદો જગતમાં કોઈ જગ્યાએ છે?

ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે એક સરખા નાગરિક કાયદા અને એવી કેટલીક બાબતો આપણા વડીલોએ ભાવિ પેઢી પર છોડી હતી. તેમને કહેવામાં પણ આવ્યું હતું કે તેમણે પોતાના સમાજની અંદર અને વ્યાપક અર્થમાં દેશની અંદર લોકપ્રબોધન દ્વારા સર્વસંમતિ બનાવવાની છે. સમાજ તૈયાર થઈ જશે એ પછી જે ચીજ છૂટી ગઈ છે તેને બંધારણનું અને કાયદાનું અંગ બનાવવામાં આવે. સમાજ એક શક્તિશાળી વગદાર અંગ છે એ હકીકતનું ભાન માર ખાધા પછી અંગ્રેજોને થયું હતું અને આપણું બંધારણ ઘડનારાઓએ એની જાણ હતી. 

સમાજ એક શક્તિશાળી વગદાર એકમ છે અને તેની પોતાની પરિવર્તનની ગતિ હોય છે એ વાત સાચી, પરંતુ જો કોઈ સમાજમાં જોઈએ એવો કોઈ પ્રયત્ન જ ન થતો હોય અને દરેક વખતે સુધારાની વાત આવે એટલે બંધારણે આપેલા ધર્મસ્વાતંત્ર્યના અધિકારનો અને ભારતના લોકતાંત્રિક સેક્યુલર ઢાંચાની યાદ અપાવીને તેનો આશ્રય લેવામાં આવે એ ક્યાં સુધી વ્યાજબી છે? રાષ્ટ્રમાં જેમ સમાજ એક શક્તિશાળી, વગદાર, ધબકતું, ગતિમાન અને જીવંત એકમ છે તો વ્યક્તિ પણ એક ધબકતી, ગતિમાન અને જીવંત એકમ છે. વ્યક્તિ એકલ વ્યક્તિ હોવાને કારણે તેમાં શક્તિ અને વગનો અભાવ હોય છે. જો કે એમાં પણ ગાંધીજીએ કહ્યું છે એમ આત્મબળ અને આપભોગની શક્તિ હોય તો સો હાથીની તાકાત પણ તેને હલાવી શકતી નથી.

સવાલ એ છે કે સમાજની વાત સાંભળવી જોઈએ તો વ્યક્તિની શા માટે નહીં? રાષ્ટ્રનો, રાજ્યનો અને બૃહદ સમાજનો એ ધર્મ છે. માનવીએ સમાજ રચ્યો છે, સમાજે માનવીનું સર્જન નથી કર્યું. ધર્મ, જ્ઞાતિ કે બીજી કોઈ ઓળખના નામે સમાજો રચાતા હોય છે. રચાયેલા સમાજના રીતિરીવાજો દરેક યુગમાં અને દરેક પ્રદેશમાં કાયમ માટે પ્રાસંગિક હોય એ જરૂરી નથી. જ્યારે જે તે સમાજના લોકોને એમ લાગે કે ચોક્કસ રીતિરિવાજ તેમને અન્યાય કરનારા છે અથવા બદલાતા સમય સાથે વિસંગત છે અને તેઓ તેમાં પરિવર્તન કરવાની માગણી કરે ત્યારે સમાજના ડાહ્યા લોકોએ તેમના વિચારો કાને ધરવા જોઈએ. જગત આખામાં દરેક સમાજમાં સુધારાઓ એકલ દોકલ વ્યક્તિ દ્વારા અને તેમના રચાતા સમૂહો દ્વારા નીચેથી થયા છે ઉપરથી નથી થયા. જે ઉપર હોય તેને પરિવર્તનનો ખપ હોતો નથી, ઊલટું પરિવર્તન ન થાય અને યથાવત સ્થિતિ જળવાઈ રહે તેમાં તેમના સ્થાપિત હિત હોય છે.

બને છે એવું કે દબાયેલા અને ગુંગળામણ અનુભવનારા લોકો જ્યારે કેટલાક રિવાજો સામે પ્રશ્ન કરે છે ત્યારે તેમને આપણો સમાજ કેટલો પ્રાચીન છે અને કેટલો મહાન છે એની યાદ અપાવવામાં આવે છે. અરે ભાઈ જે પરિવર્તન ઈચ્છે છે એનું શું? એ પરિવર્તન એટલા માટે ઈચ્છે છે કે તેમને પ્રસ્થાપિત વ્યવસ્થાની કિમત ચૂકવવી પડે છે. કેટલાક વળી મોટા સમાજ સુધારાને વરેલા નથી, પણ તેમને કોઈક ચીજ પસંદ નથી. તેમને પરિવર્તનનો અથવા આઝાદીપૂર્વક પોતાની રીતે જીવવાનો અધિકાર ખરો કે નહીં?

ધારો કે કોઈ પુરુષ સમલિંગી હોય અને સમલિંગી સાથે સંબંધ રાખવા માગે છે, અથવા કોઈ મુસ્લિમ યુવતીને બુરખો નથી પહેરવો કે પછી કોઈ હિંદુ સ્ત્રી ઘૂંઘટ દ્વારા મોઢું ઢાંકવા નથી ઈચ્છતી અથવા બ્રાહ્મણ યુવતી કોઈ દલિતને પરણવા માગે છે, અથવા કોઈ બહોરા યુવતી ખટના કરાવવા નથી માગતી અથવા કોઈ હિંદુ ઈચ્છે કે તેને દફનાવવામાં આવે કે કોઈ મુસલમાન ઈચ્છા વ્યક્ત કરે કે તેને અગ્નિદાહ આપવામાં આવે. રોજ મંદિરે દર્શન કરવા જતી સ્ત્રી માસિકપાળીમાં પણ મંદિરમાં જવા માગે છે કારણ કે માસિક ધર્મ એ અપીવિત્ર નથી. તો આ લોકોને તેમની રીતે જીવવાનો અને મરવાનો અધિકાર ખરો કે નહીં? આ તો ભારતના સંદર્ભમાં આપેલા થોડા દાખલાઓ છે, બાકી જગતમાં વ્યક્તિ કે નાનકડા સમૂહના ઘણા આવા પ્રશ્નો છે જેના વિષે સમાજના શક્તિશાળી લોકો અસંવેદનશીલ વલણ ધરાવે છે. કારણ કે સમાજ શક્તિશાળી અને વગદાર છે એટલે રાજ્ય વચ્ચે પડીને બહુ છંછેડવાની હિંમત નથી કરતું. જે વગદાર અને શક્તિશાળી છે એ સમાજ નામના પીરામીડ પર ઉપર બેઠેલા લોકો છે, સમાજ નથી. આમ રાજ્ય સમાજના કબજામાં છે અને સમાજ વગદાર લોકોના કબજામાં છે. ગૂંગળાય એ છે જે ઉપર કહ્યા એવા લોકો છે. તેઓ પોતાની રીતે પોતાનું જીવન જીવવા માગે છે અને મરવા માગે છે.

રાજ્યના અને સમાજના વગદાર લોકોની વાત જવા દો, આપણું વલણ કેવું છે? આપણે નામના સમૂહને પણ જવા દો, વ્યક્તિગત રીતે તમારું પોતાનું વલણ કેવું છે? ઉપર કહ્યા એવા એક એક પ્રશ્ન તપાસતા જાવ અને તમારા વલણને ચકાસતા જાવ. તમે જો સમલિંગી નહીં હો અને રોમેરોમમાં નખશીખ ઉદારમતવાદી પણ નહીં હો તો તમને સમલિંગીઓની માગણી અનુચિત લાગશે, પણ તમે જો સમલિંગી હશો તો તમને આવી માગણી વાજબી લાગશે. બીજી બાજુ એવું પણ બને કે બ્રાહ્મણ યુવતી દલિત યુવક સાથે લગ્ન કરવા માગે તો તેનો વિરોધ પણ કરો.  તમે જો નખશીખ ઉદારમતવાદના સંસ્કાર નહીં પામેલા હિંદુ હશો તો તમને બુરખો નહીં પહેરવાની મુસ્લિમ યુવતીની માગણી બહુ ઉચિત લાગશે; પરંતુ હિંદુ સ્ત્રીએ કેટલીક મર્યાદા જાળવવી જોઈએ અને સ્ત્રી પરિવારની પોષક હોવાથી પરિવારોને તૂટતા બચાવવા જોઈએ એમ કહેશો. તમે જો દલિત હશો તો બ્રાહ્મણ યુવતીની દલિતને પરણવાની ઈચ્છા તેનો અધિકાર લાગશે, પણ જો બ્રાહ્મણ હશો તો તેમાં સંસ્કારોના પ્રશ્નો કરશો. આવી રીતે એક એક કરીને ઉપરના પ્રશ્નો તપાસો અને તમે કેટલા ઉદાર છો એ તપાસી જુઓ.

પ્રામાણિકતાથી એક એક પ્રશ્ન લઈને તમે તમારા વલણને ચકાસો. આના દ્વારા તમને ખ્યાલ આવશે કે તમે કેટલા માણસ છો. બીજા માણસની સ્વતંત્રતાની જે કદર કરે એ માણસ.

10 મે 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 મે 2019

Loading

12 May 2019 admin
← ગુરુદેવ અને ગુજરાતનું ગાંઠબંધન
Shades of Global Terror: Worsening Scenario →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved