આદર્શમય જીવન મહાન હોય છે. પ્રકાશ ન પ્રગટે તો જીવનનો શો અર્થ? જેમણે અંગત સ્વાર્થ છોડી માનવકલ્યાણ માટે અહોરાત્ર અખંડ પરિશ્રમ કરવામાં જ જીવનની ઇતિશ્રી માની છે તેઓ જ સમાજને અને સ્વયંને આગળ વધારી શક્યા છે
— ભગિની નિવેદિતા
લંડનને અડીને પથરાયેલા ગાઢ જંગલમાં પહાડના ઢોળાવ પાસે એક મકાન હતું. 1895માં ત્યાં એક ભારતીય સંન્યાસી થોડો વખત રહ્યા હતા. ભક્તોનાં નાનાં જૂથ જતાં-આવતાં. ધર્મવાર્તા થતી. સંન્યાસી કોઈ કોઈને દીક્ષા પણ આપતા. લેન્ડઝ બર્ગ અને મેરી લૂઈ કૃપાનંદ અને અભયાનંદ બન્યા હતાં. આ યુવાન સંન્યાસીનું નામ સ્વામી વિવેકાનંદ.

ભગિની નિવેદિતા
એ વખતે લંડનમાં એક યુવતી રહેતી. સેવાભાવી પાદરી પિતાને દસેક વર્ષની વયે ગુમાવી બેઠેલી, નાનાં ભાઈબહેનોનાં ભણતર માટે વહેલી વયથી કમાવા લાગેલી, હૃદયભંગ પછી પણ અંદરનું તેજ અકબંધ રાખી શકેલી આ યુવતી નાનાં બાળકો માટે સુંદર શાળા ચલાવતી. એનું વતન આયર્લેન્ડ પણ બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે જંગે ચડ્યું હતું એટલે ભારત માટે એના મનમાં સહાનુભૂતિ હતી. એનું નામ માર્ગરેટ એલિઝાબેથ નોબેલ. 25 માર્ચ 1898ના દિવસે સ્વામી વિવેકાનંદે આ માર્ગરેટ નોબેલને દીક્ષા આપી ‘નિવેદિતા’ નામ આપ્યું હતું. યાદ કરીએ ભગિની નિવેદિતા અને એમના ગુરુ સ્વામી વિવેકાનંદને.
બારમી સદીના સેંટ ફ્રાન્સિસ અને સેંટ ક્લેર, મધ્યયુગના સંત દેવીદાસ અને અમરબાઈની જેમ 19-20મી સદીમાં સ્વામી વિવેકાનંદ-ભગિની નિવેદિતા અને મીરાંબહેન-મહાત્મા ગાંધી જેવી ગુરુ-શિષ્યાઓની અદ્દભુત જોડીઓ લોકહૃદયમાં હંમેશ માટે જડાઈ ગઈ છે. આ ગુરુઓની કૃપા અને શિષ્યાઓની શ્રદ્ધા વિષે વિચારતાં માથું નમે, પણ એમના જીવનનો અને સાધનાનો પંથ એટલો સરલસુગમ હોતો નથી. સ્વામી વિવેકાનંદ અને સિસ્ટર નિવેદિતા વચ્ચે ઉંમરમાં પાંચ જ વર્ષનો તફાવત હતો. બંને અસામાન્ય પણ સ્ત્રીપુરુષ તો હતાં. એમનો માર્ગ સેવસાધનાનો, આધ્યાત્મિક હતો; પણ બંને મનુષ્યો તો હતાં. કેવા રહ્યાં હશે એમની વચ્ચેનાં સમીકરણો? સિસ્ટર નિવેદિતાએ લખેલું ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’ અને રેબા સોમે સિસ્ટર નિવેદિતા પર લખેલું ‘માર્ગોટ-સિસ્ટર નિવેદિતા ઑફ સ્વામી વિવેકાનંદ’ પુસ્તકો આ સંદર્ભે વાંચવા જેવાં.
નવેમ્બર મહિનાની એક ઠંડી સાંજે માર્ગરેટે પહેલી વાર સ્વામી વિવેકાનંદને જોયા-સાંભળ્યા. ફાયરપ્લેસમાં બળતાં લાકડાં તરફ પીઠ કરીને તેઓ બેઠા હતા. કમરબંધવાળો મરુન ઝભ્ભો, ટટ્ટાર કરોડરજ્જુ, ભરેલો સ્વચ્છ ચહેરો, મોટી આંખોમાં દિવ્ય તેજ. વચ્ચે વચ્ચે ‘શિવ!’ શબ્દથી વિરામ લેતી અસ્ખલિત વાક્ધારા. પૂર્વ અને પશ્ચિમના સમન્વય વિષે તેઓ બોલતા હતા. વ્યાખ્યાન પૂરું થયે માર્ગરેટને થયું, લોકો આ સંન્યાસી પાછળ કેમ ગાંડા થયા હશે? મને તો કોઈ નવું સત્ય લાધ્યું નહીં.
પણ ઘેર આવીને તેને થયું કે અપરિચિત સંસ્કૃતિમાંથી આવતી એક નવી વ્યક્તિ માટે એક જ વારમાં અભિપ્રાય બાંધવો એમાં ઉતાવળ, અવિવેક અને અન્યાય છે. એમણે એક જ કલાકમાં અનેક દિશાઓને સ્પર્શ કર્યો હતો એ પણ સત્ય હતું. બીજા રવિવારે એ વ્યાખ્યાનમાં હાજર હતી. આ વખતે પણ અનેક ‘જો’ અને ‘તો’એ એને પજવી, પણ હવે ઉપેક્ષા કરવાનું સંભવ રહ્યું નહીં.
માર્ગરેટે પોતાના સંશયો વ્યક્ત કરતો પત્ર લખ્યો. આશ્ચર્ય વચ્ચે જવાબ પણ આવ્યો, ‘પવિત્રતા, ધૈર્ય અને દૃઢ નિશ્ચયથી સંશય દૂર થાય છે. સ્નેહાશિષ, સ્વામી વિવેકાનંદ.’ પછી તો માર્ગરેટ સ્વામીજીનાં ભક્ત બની ગયાં. 1896માં સ્વામીજીએ હિંદુ ધર્મના વર્ગો શરૂ કર્યા, તેમાં જોડાયાં. સ્વામીજીએ લંડન છોડ્યું ત્યાં સુધીમાં માર્ગરેટે એમણે ‘માસ્ટર’ એટલે કે ગુરુ કહીને સંબોધવા માંડ્યા હતા. સ્વામીજીનો પોતાના દેશવાસીઓ પ્રત્યેનો પ્રેમ જોઈ માર્ગરેટ મુગ્ધ થયાં અને સેવાનો જે અખંડ યજ્ઞ તેમણે શરૂ કર્યો હતો તેમાં પોતાની જિંદગીનું સમિધ હોમવાનો નિર્ણય કર્યો. સ્વામીજી તેમણે ઇંગ્લેંડમાં રહીને જ સેવા કરવાનું સૂચવ્યું.
ભારત આવ્યા બાદ સ્વામીજીએ બેલુર મઠની સ્થાપના કરી. લોકોમાં પુષ્કળ નિરક્ષરતા વ્યાપેલી જોઈ તેઓ વ્યથિત હતા. તેમને થયું, સ્ત્રીઓને પહેલી કેળવવી જોઈશે. મા શિક્ષિત થાય તો સંતાનો કુસંસ્કારમુક્ત, નિર્ભય, યોગ્ય માનવ બને પણ એ માટે સ્ત્રીઓ વચ્ચે રહીને કામ કરે એવી સ્ત્રી જોઈએ. તેમને માર્ગરેટ યાદ આવતી. માર્ગરેટ ભારત આવવા આતુર પણ હતી, પણ એને દૂર દેશમાં, જુદી સંસ્કૃતિમાં, ગરમ આબોહવા અને અસ્વચ્છતા વચ્ચે લાવવામાં સ્વામીજીને સંકોચ થતો હતો. છેવટે માર્ગરેટની વધતી આતુરતા જોઈ 1898માં એમણે તેને ભારત આવવાની અનુમતિ આપી અને પોતે કોલકાતા બંદર પર એને લેવા પણ ગયા. માર્ગરેટે કૉલકાતાના બેલૂરના એક મકાનમાં રહેવાનું શરૂ કર્યું. બંગાળી શીખ્યા. સ્વામીજી સાથે અલમોડા, અમરનાથ અને કાશ્મીરનો પ્રવાસ કર્યો. ભારતનાં ધર્મ, ઇતિહાસ, રીતરિવાજો, સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી. યોગ, ધ્યાન અને સમાધિ પણ શીખ્યાં. તેમને દીક્ષા આપતાં સ્વામીજી કહ્યું, ‘તમે ભારતમાં હંમેશ માટે રહેવા અને ભારતની પ્રજાના ઉત્કર્ષ માટે તન, મન અને પ્રાણ અર્પણ કરવા આવ્યાં છો. આજથી તમે નિવેદિતા છો – સિસ્ટર નિવેદિતા.’
સિસ્ટર નિવેદિતાએ બોઝપરા વિસ્તારમાં કન્યાઓ માટે પ્રાથમિક શાળા શરૂ કરી, ‘ભગિની નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’. દીન-હીન સ્થિતિમાં સબડતી ભારતની સ્ત્રીઓ અને બાલિકાઓનાં શિક્ષણ અને ઉત્કર્ષ માટે તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી. બાલવિધવાઓ, ત્યક્તાઓ, મોટી ઉંમરની સ્ત્રીઓ પણ આશ્વાસન, સહાય અને જ્ઞાન મેળવવા આવતી. એમાંથી જ ‘બહેનોના ઘર’ની યોજના જન્મ પામી. તેમાં શિક્ષણ, ચિત્રકામ, સીવણવર્ગ ચાલતા અને વિધવાઓનું જીવન પ્રવૃત્તિમય રહે, આવક વધે, જ્ઞાન મળે એવી યોજનાઓ થતી રહેતી. શાળાની આર્થિક મુશ્કેલીમાં તેમણે યુરોપ-અમેરિકાના પ્રવાસે જઈ ફંડ પણ એકઠું કર્યું.
એમનો સંકલ્પ એટલો પ્રબળ હતો કે તેઓ ઘેર ઘેર જઈ કન્યાશિક્ષણનું મહત્ત્વ સમજાવતા અને દીકરીઓને ભણાવવા અનુરોધ કરતાં. પોતાની શાળામાં દેશપ્રેમના સંસ્કાર આપતાં, ‘મંદિરમાં જઈ ઘંટ વગાડવાને બદલે કોઈ પ્રાંગણમાં રાષ્ટ્રચિંતન કરીએ. યજ્ઞકુંડો અને હવનશાળાઓ બનાવવાને બદલે વિશ્વવિદ્યાલય અને પ્રયોગશાળાઓ બનાવીએ. ગુરુઓની પૂજા કરવાને બદલે ભારતમાતાની પૂજા કરીએ. માળા જપતા બેસવાને બદલે સમાજના અભાવગ્રસ્ત લોકોને સગવડો અપાવીએ.’ એમની શાળામાં પ્રાર્થના સાથે ‘વંદે માતરમ્’ પણ ગવાતું.
તેજસ્વી વ્યક્તિત્વો વચ્ચે ઘર્ષણ પણ થતું. નિવેદિતાનો સ્વભાવ વિદ્રોહી હતો. ખૂબ પ્રશ્નો અને ચર્ચાઓ કરે. સ્વામીજી પણ કદીકદી કઠોર થઈ જાય. કદાચ આ સમર્પિત છતાં સ્વતંત્રમિજાજી અને બુદ્ધિમાન શિષ્યા સાથે થોડું અંતર રાખવું સ્વામીજીને જરૂરી લાગતું હશે. પછીથી નિવેદિતાને એ પ્રતીતિ થઈ કે મહાપુરુષો શિષ્યોમાં રહેલા અહંકારને ઓગાળવા માટે અને એના વ્યક્તિનિષ્ઠ મનને વ્યક્તિનિરપેક્ષ બનાવવા માટે કેટલીક વાર કઠોર થતા હોય છે. રોમાં રોલાંએ લખ્યું છે, ‘સ્વામીજીની કઠોરતા એ નિવેદિતાની ભક્તિપૂર્ણ આસક્તિનો પોતાની રીતનો પ્રતિકાર હતો.’
ભગિની નિવેદિતાએ આપેલાં ભાષણોમાં આલ્બર્ટ હૉલમાં અપાયેલું ‘કાલી’ વિશેનું અને કાલિઘાટ મંદિરમાં અપાયેલું ‘કાલીપૂજા’ વિશેનું ભાષણ નોંધપાત્ર છે. તેમણે ‘કાલી ધ મધર’ પુસ્તક પણ લખ્યું હતું. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની મા શરદામણિદેવી સાથે એમનો નિકટનો સંબંધ હતો. અરવિંદ ઘોષ, ગોપાલકૃષ્ણ ગોખલે, રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, જગદીશચંદ્ર બોઝ વગેરે સાથે તેમને સારા સંબંધો હતા.
પ્લેગ પૂર, દુકાળ જેવી આફતોમાં અવિરત શ્રમ લઈ સેવાકાર્ય કરવા સાથે બંગભંગની લડતમાં અને સ્વદેશીની ચળવળમાં તેઓ સક્રિય હતાં. કૉલકાતાનાં કલાકેન્દ્રોમાં, સભાસ્થાનોમાં, શિક્ષણસંસ્થાઓમાં, સાધનામંદિરોમાં કે પછી ગંદી ગલીઓમાં ને મજૂરોનાં ઝૂંપડાંમાં સર્વત્ર તેમનું સ્થાન ને માન હતાં. તેમણે ‘માસ્ટર ઍઝ આઈ સૉ હિમ’, ‘ધ વેબ ઑફ ઇન્ડિયન લાઇફ’, ‘ક્રેડલ સૉંગ્ઝ ઑફ હિન્દુઇઝમ’ સહિત અગિયારેક પુસ્તકો લખ્યાં હતાં. 1911માં માત્ર 43 વર્ષની ઉંમરે એમણે પાર્થિવ દેહ ત્યજ્યો.
‘આદર્શમય જીવન મહાન હોય છે. પ્રકાશ ન પ્રગટે તો જીવનનો શો અર્થ? જેમણે અંગત સ્વાર્થ છોડી માનવકલ્યાણ માટે અહોરાત્ર અખંડ પરિશ્રમ કરવામાં જ જીવનની ઇતિશ્રી માની છે તેઓ જ સમાજને અને સ્વયંને આગળ વધારી શક્યા છે.’ એમના આ શબ્દોમાં જીવનભરનું ભાથું બની શકવાનું સામર્થ્ય છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 માર્ચ 2024