ટ્રિપલ તલાક નાબૂદ કરવા માટેનું બિલ હવે સંસદના બજેટ સેશનમાં મૂકાવાની સંભાવના છે …
માંડ પિસ્તાળીસ વર્ષની જિંદગી જીવનાર રોમેરોમ કર્મશીલ રૅશનલ ચિંતક હમીદ દલવાઈએ ૧૮ એપ્રિલ ૧૯૬૬ના દિવસે ટ્રિપલ તલાકની કુરૂઢિના વિરોધમાં અને સમાન નાગરિક ધારાની તરફેણમાં મુંબઈના મંત્રાલયની સામે સરઘસ કાઢ્યું હતું. એમાં તેમના પત્ની મહેરૂન્નિસા સહિત સાત મુસ્લિમ મહિલાઓ પણ સામેલ હતાં. હમીદ(1932-1977) મુસ્લિમ સમાજને નીડરપણે પાયાના સુધારાની હાકલ કરતા રહ્યા.

તે દિશામાં કામ કરવા માટે તેમણે ‘મુસ્લિમ સત્યશોધક મંડળ’ની સ્થાપના કરી જે મહારાષ્ટ્રમાં આજે પણ કાર્યરત છે. હમીદના વિચારો એ મૂળભૂત ફેરફારોનું નિશાન તાકનાર અને વ્યાપક સેક્યુલર લોકશાહી સમાજવ્યવસ્થાને વ્યાખ્યાયિત કરનારા હતા. એ તેમનાં આ ત્રણ મરાઠી પુસ્તકોમાં પણ વાંચવા મળે છે : ‘ઇસ્લામનું ભારતીય ચિત્ર’, ’રાષ્ટ્રીય એકાત્મતા અને ભારતીય મુસલમાન’ અને ‘ભારતીય મુસ્લિમ રાજકારણ’. આ ત્રીજા પુસ્તકનો અંગ્રેજી અનુવાદ જાણીતા કવિ દિલીપ ચિત્રેએ કર્યો છે. તેના વિષયો છે : ભારતીય મુસ્લિમોની ઐતિહાસિક પાર્શ્વભૂમિ, ‘રાષ્ટ્રવાદી’ અને ‘કોમવાદી’ મુસ્લિમો, સામ્યવાદીઓ અને કોમવાદીઓની વિચિત્ર સોબત, મુસ્લિમ એકતાના માર્ગમાંની અડચણો, ધર્મનિરપેક્ષતા સામે મુસ્લિમોનો વિરોધ, માનવતાવાદી આધુનિકતાવાદ, બાદશાહ ખાનની મુલાકાતની ફલશ્રુતિ અને બાંગલાદેશનો અર્થ.
તેમાં તેમણે મુસ્લિમોની સાફ ટીકા કરતી જે બાબતો કહી છે તેમાંથી નમૂના દાખલ કેટલીક આ મુજબ છે : મુસ્લિમો પોતાના મજહબના સવાલો માટે તેઓ હિંદુઓને દોષ દેતા રહ્યા છે, ભારતીય મુસ્લિમ બુદ્ધિવાદી વર્ગે ક્યારે ય આત્મનિરીક્ષણ કર્યું જ નથી, પાશ્ચાત્ય શિક્ષણના ઇન્કારે મુસ્લિમોને પછાત રાખ્યા, તેઓ ધર્મની ઘરેડનો પુરસ્કાર અને આધુનિકતાનો પ્રતિરોધ કરતા રહ્યા, આઝાદીની ચળવળમાં તે અવરોધો ઊભા કરતા રહ્યા, વિભક્ત મુસ્લિમ રાષ્ટ્રવાદનો એમણે સ્વીકાર કર્યો. અલબત્ત, હિન્દુ સમાજની મર્યાદાઓ હમીદ નજરઅંદાજ કરતા નથી, હિંદુ-મુસ્લિમ પ્રશ્નની બહુઆયામી સંકીર્ણતાનો તેમને પૂરતો ખ્યાલ છે. પણ તેમનો એકંદર ઝુકાવ પોતાના મજહબીઓની સમજને દુરસ્ત કરવા તરફ છે. હમીદના વિચારોના વ્યવહારુ પાસાની ઝલક મરાઠી માસિક ‘મનોહર’ ના ૨૬ ઓગસ્ટ ૧૯૭૩ના અંકમાં પ્રસિદ્ધ થયેલી એક મુલાકાતમાં પણ મળે છે.
આ મુલાકાતમાં તેમની મુસ્લિમ ઓળખ વિશેના એક પ્રશ્નના જવાબમાં હમીદ કહે છે : ‘હું નમાઝ પઢતો નથી, રોજા રાખતો નથી, કારણ કે એ બાબતો ઇશ્વરે નહીં પણ મહંમદે સર્જેલી છે એમ હું માનું છું. એટલે એમાં એ પણ આવી જાય કે હું આખીરતમાં માનતો નથી. છતાં ય હું મુસલમાન છું, કારણ કે હું મુસ્લિમ સમાજમાં જન્મ્યો છું. નહેરુ નિરીશ્વરવાદી હતા અને છતાં પણ જે અર્થમાં હિન્દુ હતા, એ અર્થમાં હું મુસલમાન છું. કારણ કે મુસ્લિમ અથવા હિન્દુ હોવાની પોથીનિષ્ઠ વ્યાખ્યા મને મંજૂર નથી. એ વધુ વ્યાપક છે એમ હું માનું છું.’
ઇસ્લામ એ સહુથી વધુ લોકશાહીવાદી અને સમાનતાપ્રધાન ધર્મ હોવાની માન્યતા વિશે પૂછતાં હમીદ કહે છે : ‘કોઈ પણ ધર્મ આવો નથી, અને એમાં ઇસ્લામ પણ અપવાદ નથી. ધર્મો સામાજની રચના અધ્યાત્મિકતાના પાયા પર કરે છે. ધર્મો મધ્યયુગીન છે, જ્યારે સ્વાતંત્ર્ય-સમાનતા આધુનિક વિભાવનાઓ છે. હવેના સમયમાં ધર્મના પાયા પર સુસંસ્કૃત સમાજવ્યવસ્થા સર્જી શકાશે નહીં એ હિંદુ અને મુસ્લિમ બધાએ ઓળખી જવું જોઈએ.’ ‘કુરાન’માં ‘મૂર્તિપૂજકોનો મૂળમાંથી સફાયો કરો’ એ મતલબનું વિધાન હોવાનું કહેવાય છે. એ અંગે હમીદ કહે છે કે કુરાન આમ કહેતું નથી, પણ મૂર્તિપૂજકોને અવમાનિત કરવા માટે એમની પર કર લાદો એવી એક વાત એમાં છે. હમીદ માને છે કે ‘કુરાન’માં શું કહ્યું છે એના કરતાં અત્યારે માનવીય સંબંધો કયા સ્તર પર છે એ સવાલ વધારે મહત્ત્વનો છે. આવાં અસામાનતાવાદી વિધાનો બધાં ધર્મશાસ્ત્રોમાં મળશે. ‘મનુસ્મૃિત’એ પણ સ્ત્રીઓ અને કેટલાક વર્ગોને સમાન સ્થાન આપ્યું નથી. પણ હવે પછીનો ભારતીય સમાજ મનુસ્મૃિત કે કુરાનના આદેશો પર આધારિત નહીં હોય, એ બધી વ્યક્તિઓની સમાનતા પર આધારિત હશે એ બધાએ સમજી લેવું પડશે.
અત્યારના ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના મૂળ ભારતીય જનસંઘ પક્ષમાં છે. એની સાથેના મતભેદો અંગે હમીદે કહ્યું: ‘ગોહત્યાબંધી હું બિલકુલ સ્વીકરતો નથી. દેશમાં વસુકી ગયેલાં ઢોરની સંખ્યામાં પદ્ધતિસર રીતે ૩૩% ઘટાડો કરવાની જરૂર છે એવું મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ કહેતા હોય ત્યારે ગોહત્યાબંધી અપનાવી એ દેશની પ્રગતિમાં આડખીલી બને છે. અલીગઢ અને બનારસ યુનિવર્સિટીઓનાં નામોમાંથી અનુક્રમે મુસ્લિમ અને હિન્દુ શબ્દો દૂર કરીને એમને રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયો જાહેર કરવાં જોઈએ. સ્ત્રીઓને પુરુષો જેટલા જ અધિકારો મળે તે માટે ગયાં કેટલાં ય વર્ષોથી કોશિશો કરતો રહ્યો છું. દેશની સરકારના નિર્ણયો કોઈ પણ ધર્મસમુદાયની પસંદગી કે નાપસંદગીને ધ્યાનમાં રાખ્યા વિના કરોડોની જનતાની આર્થિક અને સામાજિક ઉન્નતિ માટે શું જરૂરી છે એનો વિચાર કરીને લેવા જોઈએ. બધાએ કુટુંબનિયોજન કરવું જોઈએ એટલું જ નહીં પણ એ બધા માટે ફરજિયાત હોવું જોઈએ.’
હમીદે તેની રોજીરોટી વિશેના સવાલના જવાબમાં કહ્યું : ‘કોમવાદી મુસ્લિમો માને છે કે મને અમેરિકન જાસૂસી તંત્ર સી.આઈ.એ., રશિયન જાસૂસી તંત્ર કે.જી.બી., ખ્રિસ્તી ધર્મગુરુઓ, આર.એસ.એસ., જનસંઘ તેમ જ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જેવી પરસ્પર વિરોધી વિચારસરણી ધરાવતી સંસ્થાઓ તેમ જ વ્યક્તિઓ પાસેથી પૈસો મળે છે. કેટલાક હિન્દુત્વવાદીઓ એવી ગુસપુસ કરતા હોય છે કે હું પાકિસ્તાનનો છૂપો સાગરિત હોઈ યાહ્યાખાન અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો મને પૈસો પૂરો પાડે છે. પણ હકીકત એ છે કે હું ‘ઇન્ડિયન સેક્યુલર સોસાયટી’નો પૂરા સમયનો કાર્યકર્તા છું આ સંસ્થા મને આજિવિકા માટે જરૂરી માનદ વેતન પૂરું પાડે છે. મારી પત્ની નોકરી કરે છે અને અમે મુંબઈના પરામાં એક ચાલી જેવા સંકુલમાં ડબલ રૂમમાં રહીએ છીએ.’ મેહરૂન્નિસા હમીદના કાર્યસાથી રહ્યાં. હમીદના અવસાન બાદ ચાળીસ વર્ષ સુધી સંગઠનનું કામ ચલાવીને તે છ મહિના પૂર્વે અવસાન પામ્યાં. તેમણે ‘મી ભરૂન પાવલે આહે’ (હું પરિતૃપ્ત છું) નામના સ્વકથનમાં સહજીવનનું વાચનીય ચિત્ર આલેખ્યું છે. હમીદે હિન્દુ-મુસ્લિમ તાણાવાણાની સંકુલતા નિરૂપતી પચીસ વાર્તાઓ ઉપરાંત ‘ઇંધન’નામની નવલકથા લખી છે. તેનો શશિન ઓઝાએ ‘ઇંધણ’ નામે કરેલો ગુજરાતી અનુવાદ દિલ્હીની સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યો છે.
મુસ્લિમોમાં કાફિર અને હિન્દુઓમાં યવન ગણાયેલા હમીદની જિંદગી અછતો અને જોખમોમાં વીતી. તેમને મુંબઈ-પુનામાં પ્રગતિશીલ સમર્પિત સાથીદારો મળ્યા. પણ કોકણના ચિપળુણ પાસેના મુસ્લિમબહુલ વતન મિરજોળી ગામે તેમનો હંમેશાં વિરોધ કર્યો. સિગરેટ, સિનેમા, સાહસના શોખીન હમીદે ચાર પત્નીઓ કરનાર પોતાના પિતાના ઘણાં સંતાનોને ટેકો પણ કર્યો. કૉલેજનું શિક્ષણ નહીં પામવા છતાં એમનો અભ્યાસ ગહન હતો, ચિંતન મૌલિક અને અચૂકપણે માનવતાવાદી હતું. તેમના જીવનકાર્યમાં મુસ્લિમ સમાજસુધારા થકી સાચા અર્થમાં સેક્યુલર દેશ માટેની આરત હતી. આપણા સમયના અગ્રણી સમકાલીન ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાના ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’ના ઓગણીસ સ્ત્રી-પુરુષ અગ્રણીઓમાં હમીદ એક છે. અંધશ્રદ્ધા નાબૂદીના ભેખધારી ડૉ.નરેન્દ્ર દાભોલકરની ચળવળ આગળ ચલાવી રહેલા તેમના પુત્રનું નામ છે હમીદ !
+++++
૧૦ જાન્યુઆરી ૨૦૧૮
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 12 જાન્યુઆરી 2018
![]()


પૂનાથી ચાળીસેક કિલોમીટર પૂર્વોત્તરમાં ભીમા નદીના કિનારે અંગ્રેજો અને શાસક પેશવા બાજીરાવ બીજા વચ્ચે પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના રોજ યુદ્ધ લડાયું. તેમાં પેશવાઓના બહુ મોટા લશ્કરને અંગ્રેજોનું નાનું લશ્કર પણ હરાવી શક્યું તેનું કારણ એમના દલિત સમુદાયોના સૈનિકો હતા. ભારતીય સમાજે અસ્પૃશ્ય ગણેલી આ મહાર કોમના સૈનિકોની એક બટાલિયને મોટી બહાદુરી બતાવી. અંગ્રેજોએ આ વિજયની યાદમાં એક સ્તંભ ઊભો કર્યો, અને મહાર હુતાત્મા સૈનિકોનાં નામ તેની પર કોતર્યાં. એમાં સદા અપમાનિત દલિત સમુદાયોને તેમની બહાદુરીનું ગૌરવ અને તેમની ઓળખની સ્વીકૃતિ અનુભવાઈ. તેમની નજરે પેશવાઓની હારમાં, તેમની પર સદીઓથી, અને ખાસ તો શિવાજી પછીનાં વર્ષોમાં, બધા પ્રકારના અત્યાચાર ગુજારનારા ઉપલા વર્ગની હાર દેખાઈ.
‘અવલોકન-વિશ્વ’ એ વાચનમાં રસ ધરાવનારને સમૃદ્ધ કરનારું તાજગીસભર પુસ્તક છે. ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક અને ગ્રંથવિદ્દ રમણ સોનીએ દૃષ્ટિપૂર્વક સંપાદિત કરેલા આ સંચયમાં અત્યારના સમયના ૮૬ પુસ્તકોનાં ૭૮ લેખકોએ કરેલાં અભ્યાસપૂર્ણ ગુજરાતી અવલોકનો છે.
અનેક ભાષાઓના પુસ્તકો અહીં આવરી લેવાયાં છે. તેમાંથી ભારતીય ભાષાઓ છે : અસમિયા, ઉડિયા,ઉર્દૂ, કન્નડ, કાશ્મીરી, ગુજરાતી, તમિલ,પંજાબી, બંગાળી, ભારતીય અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત, સિંધી અને હિન્દી. અંગ્રેજીમાં અનુવાદિત અન્ય જે ભાષાઓનાં પુસ્તકો છે તેમાં આઇરીશ, આફ્રિકન, ઇટાલિયન, કૅનેડિયન, તિબેટન, જાપાની, પેલેસ્ટિનિયન, પોલિશ, ફ્રેન્ચ, સ્પૅનિશ. પુસ્તકોનાં સ્વરૂપો અને વિષયો પણ વિવિધ છે. મોટાં કદનાં આ પુસ્તકનાં ૩૬૮ પાનાંમાં કવિતા, નાટક,નવલિકા, નવલકથા જેવી સાહિત્યકૃતિઓની આસ્વાદાત્મક સમીક્ષા છે. સંશોધન અને વિવેચન ગ્રંથો, જીવનચરિત્ર અને કેફિયત-મુલાકાત-સંભારણાં-ડાયરી-આત્મકથા જેવાં સ્વકથનોનાં પુસ્તકોની સમાલોચના છે. ચિત્ર, નૃત્ય અને સિનેમા જેવી કળાઓનાં પુસ્તકોનાં પરીક્ષણો છે. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, શિક્ષણ, ઇતિહાસ, ભાષાવિજ્ઞાન, વ્યાકરણ, લોકસાહિત્ય, ડાયાસ્પોરા, મીડિયા અને સોશ્યલ મીડિયાને લગતાં પુસ્તકોનો પરિચય છે. ગહન તત્ત્વચર્ચા, નારીચેતના, દેશ અને દુનિયાના વંચિતોનાં વીતક વર્ણવતાં પુસ્તકોને પણ સ્થાન છે. કલા અને માનવવિદ્યાઓની અનેક શાખાઓનું પ્રતિનિધિત્વ અહીં છે, પણ પ્રાધાન્ય કે પ્રભાવ કોઈનો નથી. દરેક પુસ્તક અને અવલોકનકાર વિશેની વિગતોની પાનાં પરની માંડણીમાં સાદગીભરી સૂઝ છે. અનુક્રમણિકા જુદી ઢબની છે. છેલ્લા હિસ્સામાં અવલોકનકારો, પુસ્તકો, લેખકો અને પુસ્તકોનાં વિષયો/સ્વરૂપોની સૂચિઓ છે.
પુસ્તકની સાંપ્રતતા એ તેની મોટી ઉપલબ્ધિ હોય છે. આપણે ત્યાં ગયાં વર્ષે છપાયેલાં પુસ્તકો દુકાનો કે ગ્રંથાલયોમાં મળતાં હોતાં નથી. સાહિત્યિક સામયિકોમાં નવાં ન કહી શકાય તેવાં અને સાવ સાધારણ દરજ્જાનાં પુસ્તકોનાં અવલોકનો છપાયાં કરતાં હોય છે. આવા કિતાબી માહોલમાં રમણ સોનીએ દુનિયાભરનાં તાજેતરનાં પુસ્તકો વિશે લેખો સિદ્ધ કરાવ્યા છે. અહીં અવલોકિત ૮૬ પુસ્તકોમાંથી ૪૫ જેટલાં પુસ્તકો ગયાં ત્રણ વર્ષનાં અને તેમાં ય સત્તર પુસ્તકો ૨૦૧૬નાં છે. એટલે અહીં કન્હૈયા કુમારની આપવીતી ‘બિહાર ટુ તિહાર’, ચેતન ભગતની નવી નવલકથા ‘વન ઇન્ડિયન ગર્લ’, ગુલામ મોહમ્મદ શેખનાં લખાણોનો સંચય ‘નીરખે તે નજર’, લંડનમાં ગયા જુલાઈમાં ભજવાયેલું નાઇટ ‘ધ ક્યુરિયસ ઇન્સિડન્ટ ઑફ ધ ડૉગ …’, રુચિર શર્માનું અર્થશાસ્ત્ર ચિંતન ‘ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ નેશન્સ’, અશોક વાજપેયીનો કાવ્યસંચય ‘નક્ષત્રહીન સમય મેં’ , ‘બેસ્ટ ઑફ બ્રિટિશ પોએટ્રી 2015’ જેવાં બિલકુલ હમણાંનાં પુસ્તકો વિશે વાંચવા મળે છે. લેખોમાં પણ સાંપ્રતનો પાસ છે. જેમ કે, આ વર્ષે જુલાઈમાં બહાર પડેલાં ‘અવલોકન-વિશ્વ’માં પૉલ કલાનિથિના ૨૦૧૬માં બહાર આવેલા આત્મકથન ‘વ્હેન બ્રેથ બિકમ્સ એર’ પરના લેખમાં સમીક્ષક છેક ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭ ના – એટલે કે રમણભાઈનુ આ સંપાદન છપાવવા જતાં ચાર જ મહિના પહેલાંના – ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’નો હવાલો આપે છે. તે જ રીતે ટેરિ ઇગલટનના ‘આઇડિઓલૉજિ’ પુસ્તક પરના લેખમાં ‘પોસ્ટ ટ્રુથ'; અને ‘ડિસ્ટન્ટ રીડિંગ’ એટલે કે દૂરવર્તી વાચન પરનાં પુસ્તકમાં ડિજિટલ હ્યુમાનિટીઝ એટલે કે અંકીય માનવિકી જેવી બહુ જ અદ્યતન સંકલ્પનાઓના પ્રસ્તુત સંદર્ભો છે.Texting અને Twitterature પરનાં પુસ્તકોનો પરિચય પણ છે. અદ્યતનતાના આવા બીજા દાખલા પણ આપી શકાય.