સૌ પ્રથમ તો દીપોત્સવની અને આવી રહેલાં નૂતન વર્ષની સૌને અનેકાનેક શુભેચ્છાઓ …
જો કે એટલા મેસેજિસ ને વીડિયો ફરે છે કે એમાં શુભેચ્છાઓ પહોંચવાની શક્યતાઓ ઓછી જ છે, છતાં સૌને અઢળક અભિનંદનો. દિવાળીનો તહેવાર રાષ્ટ્ર તો ઊજવે જ છે, પણ અમેરિકા જેવા દેશે પણ હવે દિવાળીની રજા જાહેર કરી છે. એ ઉપરાંત ઈંગ્લેંડ ને અન્ય દેશોમાં પણ દિવાળીનો કોઈકને કોઈક રીતે મહિમા છે, એ પરથી પણ દિવાળીનું વૈશ્વિક મહત્ત્વ સમજાય એવું છે. એમ તો ક્રિસમસ પણ ભારત ઊજવે જ છે ને એમાં પણ વર્ષને વિદાય આપવાની અને નવાં વર્ષને આવકારવાની જ વાત છે. બંનેમાં મહિમા તો અજવાળાંનો જ છે. એકમાં દીવો છે, તો એકમાં મીણબત્તી છે. આપે તો બંને પ્રકાશ જ છે. બંને તહેવારોમાં ફટકડાઓ ફૂટે છે, આતશબાજીઓ થાય છે. આ એવો પ્રકાશ છે, જે સૂર્યને વિકલ્પે છે. કરોડો દીવા એક સૂર્યની સામે નિસ્તેજ છે, પણ એ દીવાના આપણે સૌ ઋણી છીએ, કારણ સૂર્ય નથી હોતો, ત્યારે એ ઝગમગે છે. એમ તો લાખો દીવા અયોધ્યામાં પ્રગટ્યા છે, પણ એ આખી આયોધ્યાને અજવાળી નહીં શકે એમ બને, તેથી એવું નથી કે દીવો ન પ્રગટાવવો. ભગવાન રામ લંકાવિજય કરી અયોધ્યા પધાર્યા તેનો મહોત્સવ પ્રજાએ દીવડાં પ્રગટાવીને કર્યો ને જે એ ન પ્રગટાવી શક્યાં એમણે હૈયાનો હરખ પ્રગટાવ્યો. એ અજવાસ હજી ઓછો નથી થયો. એ એટલે પણ મહત્ત્વનો છે, કારણ, ઊર્મિલાનો વિરહવાસ પણ એ નિમિત્તે પૂરો થાય છે. એણે તો લક્ષ્મણ વગર મહેલમાં પણ વનવાસ જ ભોગવ્યો છે.
પણ, આ કૈં આયોધ્યાનો જ તહેવાર નથી, દેશ આખાનો છે. આખો દેશ નૂતન વર્ષને આવકારવા સક્રિય થયો હોય ત્યાં કોઈ, ખૂણે તો કેમ બેસી રહે? લોકોને દિવાળી આસપાસ જ પૈસા હાથમાં આવતા હોય એટલે એ છેલ્લી ઘડીએ ભીડ કરે ને જેને નાણાંની જ ‘ભીડ’ હોય તે તો ઘરનાં અંધકારનું જ કોડિયું કરે એમ બનવાનું. દિવાળીનાં કોડિયાં ન વેચાય તો એ વેચનારનાં ઘરમાં જ કોડિયું ના સળગે એ ય ખરુંને !
એક તરફ આવું ચિત્ર છે, તો બીજી તરફ કારણ વગર ભીડ કરનારાની પણ ખોટ નથી. તમે નહીં માનો, પણ એ હકીકત છે કે આપણે ત્યાં નવરા માણસોની ખોટ પડી નથી ને પડવાની નથી. એટલા બધા નવરા લોકો ભારતમાં છે જે દેશને નવરો જ પડવા નથી દેતા. કોઈ પણ કામ હોય, એક કહેતાં હજાર લોકો હાજર થઈ જાય છે. કોઈ કામ આપવાનું હોય ને એના પૈસા મળવાના હોય કે નોકરી મળે એવું હોય ત્યારે જ લાઇન લાગે છે, એવું નથી, પૈસા ખર્ચવાના હોય કે કૈં ન મળવાનું હોય તો પણ લોકો લાઇનમાં કે ટોળાંમાં ઊભાં રહી જ જાય છે. મીઠાઈનો પણ તહેવાર હોય તેવું તો સુરતમાં જ બને. તહેવારોમાં મીઠાઇ, કપડાં ખરીદવા લાઈનો લાગે ને તો ય જે જોઈએ તે મળે જ એની કશી ખાતરી નહીં. અહીંના લોકોને લાઇનમાં ઊભાં રહેવાની સારી એવી ફાવટ છે, સુરતી લોચા માટે સુરતમાં લાઇન લાગે એ જ કેવો મોટો લોચો છે, નહીં?
એ ઉપરાંત સુરતમાં કે અન્યત્ર કોઈ નેતા કે મંત્રી આવે છે તો રસ્તાની બંને બાજુએ લોકોને બસ ભરી ભરીને ખડકી દેવાય છે. કોઈ મંત્રીની ચૂંટણીસભા હોય કે કોઈ પ્રોજેક્ટનું લોકાર્પણ હોય તો લોકો પોતાને અર્પણ કરવા જાતને લઈને કલાકો સુધી ટાઢ-તડકામાં, તાળીઓ કે ચિચિયારીઓ પાડતાં ઊભાં હોય છે કે થાકીને બેસી પડતાં હોય છે. લાઇન ઓછી લાગે તો વર્ગો ખાલી કરાવીને, બાળકો સહિત માસ્તરોને મંગાવી લેવાતા હોય છે. વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનની ખાતરી હોય છે એટલે એ નેતાના પ્રમોશનમાં, મોશન હોય કે ઈ-મોશન, લાઇનમાં ઊભા રહી જાય છે. લાઇનની કોઈને નવાઈ નથી, બલકે, લાઇન ન લાગે તો નવાઈ લાગે એમ બને. નોરતામાં કે નવાં વર્ષે મંદિરોમાં માતાજીને વહેલાં ઉઠાડી મૂકવાં લોકો લાઈનોમાં એટલી ધક્કામુક્કી કરે છે કે લાઇન તો રહે કે ના રહે, ધક્કામુક્કી તો રહે જ છે. ખબર નથી પડતી કે લોકો પાસે એટલો સમય કેવી રીતે ફાજલ પડે છે, હવે આટલી નવરાશ હોય ત્યાં મેટ્રો, બુલેટ ટ્રેન કે વંદે ભારત જેવી ટ્રેનો દોડાવીને સરકાર કોનો સમય બચાવવા માંગે છે તે નથી સમજાતું.
હજારોની ભીડ કોઈ ભેગી કરવા ધારે તો આપણે ત્યાં બહુ વાંધો આવતો નથી. શામળાજીમાં શરદ પૂર્ણિમાએ મહાઆરતી થઈ તો ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું, એમ જ અંબાજીમાં 30 હજાર દીવડાં શરદપૂનમે ઝગમગ્યાં તો એનું અજવાળું ભક્તો ન ઝીલે એવું તો બને જ કેમ? એમ જ ભાદરવી પૂનમે અંબાજીમાં ભરાતા મેળામાં ભક્તો માતાજીને ગૂંગળામણ થાય એ હદે ઘેરી વળતા હોય છે. આ તો ગુજરાતની વાત થઈ, પણ જમ્મુ-કાશ્મીરમાં 2022ની જાન્યુઆરીની પહેલી જ તારીખે વૈષ્ણોદેવી ભવનનાં પરિસરમાં થયેલી ધક્કામુક્કીમાં 12 જણાંનાં મોત થયાં હતાં. ઓગસ્ટની આઠમી તારીખે રાજસ્થાનનાં ખાટુશ્યામ મંદિરમાં નાસભાગ થઈ હતી ને ત્રણ જિંદગી ઓછી થઈ ગઈ હતી. મંદિરે પહોંચવામાં રેલવે ટ્રેક પર જ ચાલ્યા કરતા ભક્તો ટ્રેન ફરી વળતાં કટકે કટકા થઈ જતાં હોય એવી એકથી વધુ ઘટના આ દેશમાં બની છે ને આ બધું અહીં જ થાય છે એવું નથી, એપ્રિલ 30, 2021 ને રોજ ઇઝરાયેલમાં પણ યહૂદીઓનાં ધર્મસ્થાન પર ભારે ભીડ થતાં 44 લોકોનાં મોત થયાં હતાં. હજયાત્રા દરમિયાન પણ ભારે ભીડ થતાં લોકો જીવ ગુમાવે છે તે કોઇથી અજાણ્યું નથી. ઈરાની યાત્રીઓ, વિરુદ્ધ દિશાએથી આવતા સાઉદીના મીનામાં પણ ભારે ધક્કામુક્કી થતાં 769 લોકોનાં મોત થયેલાં તે પણ ભુલાય એવું નથી. કૈં નથી થતું ત્યાં સુધી તો બધું ઠીક છે, પણ જરા કૈં છમકલું થાય છે કે મોટી જાનહાનિના અનેક દાખલાઓ સામે આવી જાય છે, જો કે, આપણે એમાંથી ભાગ્યે જ કોઈ બોધપાઠ લેતા હોઈએ છીએ.
બજારોમાં, મંદિરોમાં, દિવાળીના તહેવારોમાં, મહારાજોની કથા-વાર્તામાં, નેતાઓની સભામાં લોકો આડેધડ ખડકાતા હોય છે. નવાં વર્ષે મંદિરોમાં કે કોઈ પણ તીર્થસ્થાનોમાં વહેલી સવારે ધસી જવાથી જ ભગવાન પ્રસન્ન થાય એવું ભક્તો માને છે. એવી ભીડમાં સામાન ચોરાય, અથડામણ થાય કે જીવ જાય, તેની કોઈને પરવા હોતી નથી. આ સ્થિતિમાં વર્ષો પછી પણ ફેર પડયો નથી. એમાં ભણેલાં હોય કે અભણ, સરખી જ (અંધ)શ્રદ્ધા ધરાવતા હોય છે, તો જેને વૈજ્ઞાનિક અભિગમ કહીએ છીએ તે કયાં હોય, તે નથી ખબર. અહીં એવું કહેવાનું નથી કે ભક્તોએ કે યાત્રાળુઓએ ઘરની બહાર નીકળવું જ ન જોઈએ. ઉત્સવો, તહેવારો આનંદ માટે જ તો છે, પણ આનંદ ને બદલે દુ:ખ જ ભાગે આવતું હોય, તો જે ચાલે છે એ અંગે પુનર્વિચાર થવો જોઈએ કે કેમ? એ નક્કી છે કે ભગવાનો મંદિરમાં બારે માસ વસે છે ને ભક્તોનું એ ભલું જ કરે છે, તો અમુક ચોક્કસ દિવસે જ મંદિરોમાં કે પરિસરોમાં ધસી જવામાં શાણપણ ખરું? ખબર હોય કે રેલવેના પાટા પર ચાલીએ તો ટ્રેન ગમે ત્યારે આવી ધમકે એમ છે, પછી પણ પાટા પર ચાલ્યા જ કરીએ તો ભગવાન પાસે આવે કે ન આવે, પણ આપણે તો ભગવાન પાસે પહોંચી જ જઈએ એમાં મીનમેખ નહીં. રસ્તાઓ સાંકડા હોય કે પર્વતો પર હોય, ત્યાં અમર્યાદ ભીડ થાય અને કોઈ નાનકડી અફવા ફેલાવે કે ડિંગલી કરે તો નાસભાગ થયા વગર ન જ રહે તે સ્પષ્ટ છે. તે વખતે તો દરેક જણ પોતાનો જીવ બચાવવા જ બેબાકળું થાય ને ત્યારે પોલીસ પણ ભીડને કાબૂ ન કરી શકે એમ બને. એવામાં જાનહાનિ થાય તો તેને માટે કોને જવાબદાર ગણીશું?
આ ઉપરાંત ભારતમાં લોકશાહી છે ને અહીં દરેક ધર્મ તરફ સમભાવની દૃષ્ટિ રાખવાનો મહિમા છે, પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં પ્રજાને ધાર્મિક ઉશ્કેરણીનો ભોગ બનાવાઇ રહી છે તે કોઈ રીતે યોગ્ય નથી. એ સંદર્ભે સુપ્રીમકોર્ટે પણ ખેદ વ્યક્ત કરતાં કહ્યું છે કે ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયા છીએ ! સુપ્રીમકોર્ટની આ ટકોર અનેક રીતે સૂચક છે. સાચું તો એ છે કે મોટે ભાગની પ્રજા સંવેદનશીલ અને ભોળી છે. મોટા ભાગનું તો તે દેખાદેખી અને દેખાડવા જ કરે છે. તહેવારોમાં ઘણાં મંદિરોમાં ધસારો થાય જ છે. એમાં પાછું અમુક દિવસનું માહાત્મ્ય હોય છે. ત્યારે ભક્તો જીવ પર આવી જઈને માતાને કે મહાદેવને વીંટળાઇ વળવા મથે છે. એમાં જે વીર હોય તે દર્શન પામે ને જે નથી તે વીરગતિને પામે એમ પણ બને.
જરા એ વિચારીએ કે ઘણા લોકો બહાર બહુ નીકળતા નથી, છતાં મંદિરોમાં આટલી ભીડ થાય છે, તેને બદલે બધાં જ જો ભક્તિ બતાવવા મંદિરો તરફ આંધળુકિયાં કરે તો લાગે છે કે કોઈ ભક્ત કે ઇવન કોઈ ભગવાન પણ સલામત રહે? ઘણાં બચી જાય છે, તે ઘણાં ભીડ નથી કરતાં એટલે. એવું નથી કે જે ઘરમાં રહે છે તે નાસ્તિક છે કે તેમને પૂજાપાઠ કરવામાં રસ નથી. એ અધાર્મિક નથી. જે ભક્તિ બહાર થાય છે તે આ ભક્તો ઘરે રહીને કરે જ છે. એ ઘરે રહે છે એટલે જ બીજા મંદિરોમાં ભીડ કરી શકે છે. તેથી મંદિરે જાય તે જ ધાર્મિક એવું નથી. એ પણ છે કે શક્તિ પ્રદર્શન હવે રાજકીય ક્ષમતા દાખવવાનું સાધન છે એટલે પક્ષ કે ધર્મનો દેખાડો ન થાય તો સત્તાધારીઓના દાખલા ખોટા પડે એમ છે. ટૂંકમાં, ધર્મ પણ રાજકીય ગણિતનું એક મહત્ત્વનું પરિબળ છે, એ કારણે પણ ધર્મ બજારમાં આવી વસ્યો છે.
રહી વાત રાજકીય સભા-સરઘસોની, તો ત્યાં તો ભીડ વગર નેતાઓ, મંત્રીઓને ચાલે એમ જ નથી. જેટલી ભીડ, એટલું સમર્થન ! આ સૂત્ર રાજકીય સમીકરણો ગોઠવી આપે છે. એટલે ત્યાં વ્યવસ્થા હોય કે ન હોય, લોકો સામે જોઈએ એ સ્વયં સ્પષ્ટ છે. એમાં પણ ઘણા લોકો નથી જ જતાં. એ બધા સરકાર વિરોધી છે, એવું નથી, તો જે ટોળાંમાં હાજર છે તે વિપક્ષને જિતાડે એમ પણ બને. એટલે પીળું એટલું સોનું નહીં એ સમજી લેવાનું રહે. ભગવાન કહેતો નથી કે ભીડ કરો ને નેતા તો કહે જ છે કે ભીડ તો જોઈએ જ ! સત્ય એ બેની વચ્ચે ક્યાંક હોય તો હોય. એક પ્રજા અને ભક્ત તરીકે આપણે, આપણો વિવેક દાખવવાનો રહે. જેનું જાય છે તેનું તો જાય જ છે ને એ ખોટ કોઈ વળતરથી પુરાતી નથી, વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ઑક્ટોબર 2022
![]()


14 ઓક્ટોબરે ધીર મોમાયાનાં જુગાડ પ્રોડક્શનની ફિલ્મ ‘છેલ્લો શો’ ભારતમાં રિલીઝ થઈ. જોઈ. એ પહેલાં એ ટ્રાઇબેક ફિલ્મ ફેસ્ટિવલમાં 10 જૂન, 2021ને રોજ રજૂ થઈ ચૂકી છે. તેને પુરસ્કારો પણ મળ્યા છે. આ ફિલ્મ 1998માં આવેલી ઇટાલિયન ફિલ્મ ‘સિનેમા પેરાડિસો’થી પ્રેરિત હોવાનું કહેવાય છે. એ જે હોય તે, પણ ‘સરસ’, ‘બેસ્ટ’, ક્લાસિક’ જેવા ઘણાં પ્રમાણપત્રોથી આ ફિલ્મ મુઠ્ઠી ઊંચેરી છે. ફિલ્મ ‘ઓસ્કાર’ માટે મોકલાઈ છે એનો સહજ આનંદ દરેક ગુજરાતી અને ભારતીયને હોય જ. ઓસ્કાર મળે તો એ એવોર્ડ વધારે ઊજળો થશે, પણ ધારો કે નથી મળતો તો પણ, ‘છેલ્લો શો’ બધી રીતે ઉત્તમ ફિલ્મ છે. આમ તો ગુજરાતનાં અમરેલી જિલ્લાનાં અતાલા ગામના વતની નલિન પંડ્યા ઉર્ફે પાન નલિનની, ભાવિન રબારી-સમય દ્વારા બતાવાતી, એમનાં બાળપણની અર્ધ આત્મકથનાત્મક ફિલ્મ છે, પણ એમાં ઘણાંનાં બાળપણનો પડઘો દેખાય એમ બને. એક ‘સમય’ હતો, જ્યારે વડીલો નાટક-સિનેમાને નફરતથી જોતા હતા. ફિલ્મમાં કામ કરનાર તો ખરાબ જ હોય, પણ એ જુએ તે પણ ખરાબ જ થઈ જાય એવી માન્યતાનો એ સમય હતો, એટલે જ કદાચ નાયકનું નામ પણ ફિલ્મમાં ‘સમય’ રખાયું છે. એ સમય દર્શાવવા જ ફિલ્મની શરૂઆતમાં પિતા (મિસ્ટર ત્રિવેદી – દીપેન રાવલ) સામે ચાલીને ચલાલાથી ટ્રેનમાં ‘જય મહાકાળી’ ફિલ્મ કુટુંબને બતાવવા લઈ જાય છે. તે એટલે કે એ ધાર્મિક ફિલ્મ હતી. તે સમયના વડીલોને ધાર્મિક ફિલ્મ જોવાનો બાધ ન હતો, પણ એ સિવાયની ફિલ્મોની તેમને સખત પરેજી હતી, તે ત્યાં સુધી કે છોકરો ‘એવી’ ફિલ્મ જુએ તો બગડી જાય. (ફિલ્મની પટ્ટી મોટી દેખાય એમ પડદા પર પાડવી, અરીસાથી સૂર્યપ્રકાશ પડદા સુધી પહોંચાડવો, ફિલ્મની પટ્ટી પરનાં પાત્રો પડદા પર ઓળખવા, ઘરનાં વડીલોનો ફિલ્મ અંગેનો આક્રોશ વેઠવો – આ બધું ઘણાં ઘરોમાં સામાન્ય હતું. આ જ હવામાન મારા ઘરનું પણ હતું. ધાર્મિક ફિલ્મ જોવા મારા બાપા અમને બધાંને લઈ જતાં. એમાં દેવી-દેવતાઓ આવતાં તો માથેથી કાળી ટોપી બે હાથમાં ઝાલીને નમસ્કાર પણ કરતા. એ પછી જો હું એકલો ફિલ્મ જોવા જતો, તો મને ચામડાના પટે પટે મારતા. એક ફિલ્મ જોઈને સુપર ટૉકિઝમાંથી નીકળ્યો, એ જ સમયે બાપાએ બસમાંથી પસાર થતાં મને જોઈ લીધો. પછી ઘરે આવીને ફટકારતા એમણે પૂછ્યું, ’કઇ ફિલ્મ હતી?’ મેં કહ્યું, ’મેરા કસૂર કયા હૈ?’ એ પછી વધારે માર્યો, ત્યારે સતત એક જ સવાલ થતો રહેલો, ’મેરા કસૂર કયા હૈ?’ પણ માર ખાઈને પણ ફિલ્મો જોવાનો ચડસ ઓછો ના થયેલો, તે ત્યાં સુધી કે ‘ગુજરાતમિત્ર’માં ‘ફિલ્મલોક’ નામની ફિલ્મોને લગતી કૉલમ પાંચ વર્ષ ચલાવેલી.)
ફિલ્મો ડિજિટલ બની, તે પહેલાં તેની કચકડાની રીલ આવતી. ફિલ્મની શરૂઆતમાં પ્રમાણપત્ર આવતું, જેમાં તેને અપાતાં સર્ટિફિકેટની તારીખ ઉપરાંત રીલની સંખ્યા કેટલી છે, તે જોવાનું પણ આકર્ષણ રહેતું. ‘છેલ્લો શો’ નવેક વર્ષનાં સમયની ‘ફિલ્મ જિજીવિષા’ની કથા છે. આમ તો સમય અને તેનાં મિત્રો સિંહની ટોળીમાંથી કયો ઊભો થશે એની શરતો મારે છે, દીવાસળીના ખોખાં પરનાં ચિત્રો પરથી વાર્તાઓ જોડે છે. આવાં નિર્દોષ બાળપણ વચ્ચે બાપુજીએ પહેલી વખત ‘જય મહાકાળી’ ફિલ્મ કુટુંબને નજીકનાં શહેરમાં લઈ જઈને બતાવી (લેખક-દિગ્દર્શક પાન નલિનનાં બાળપણની પણ એ જ પહેલી ફિલ્મ) ત્યારથી ફિલ્મનું સમયને ભારે ખેંચાણ ઉપડ્યું. પાછલી ભીંતનાં નાનકડાં બાકોરામાંથી પ્રકાશનો ધૂળિયો પટો સામેના પડદા પર પડે ને એમાંથી મહાકાળી પ્રગટ થાય તેનું ભયમિશ્રિત કુતૂહલ, સમયને સ્કૂલમાંથી ભાગીને ફિલ્મ જોવા ખેંચી લાવે છે, પણ રોજ તો તેને મફતમાં કોણ ફિલ્મ જોવા દે? એનો પણ એ તોડ કાઢે છે. માએ કરી આપેલો ‘ડબ્બો’ પ્રોજેકશનિસ્ટ ફઝલ(ભાવેશ શ્રીમાળી)ને આપે છે ને એ આંગળાં ચાટીને જમતો રહે છે ને બદલામાં પ્રોજેક્શન રૂમમાંથી સમયને ફિલ્મ જોવા દે છે.
સમય બીજી રીતે પણ પરચો બતાવે છે. રેલવે બ્રોડગેજ થવાની છે ને ચલાલા સ્ટેશન પર હવે ટ્રેનો થોભવાની નથી, પસાર જ થવાની છે. આ સુધરેલા વિકાસમાં મિસ્ટર ત્રિવેદીનો ચાનો સ્ટોલ બંધ થવાની નોબત આવે છે. કમાલ એ છે કે રેલવે વિકસે છે ને કુટુંબો સંકોચાય છે. પ્રોજેકશનિસ્ટ ફઝલ, ફાજલ પડી જાય છે. ફિલ્મની રીલ્સની આ ટોળકી ચોરીઓ કરતી હતી ને એ ચોરી પકડાઈ જતાં ટોળીએ જેલની હવા ખાવી પડે છે. ફિલ્મની ચોરી બહુ કળાત્મક રીતે પકડાય છે. ચોરીને લવાતું રીલ હાથમાંથી છટકીને ગબડવા લાગે છે ને રીલની ચોરીની તપાસ કરતાં પોલીસોના પગમાં આવીને પડે છે. રીલની પેટીની પેટીઓ નકામી થઈ જાય છે. પ્રોજેક્ટરોની ધાતુઓ યંત્રોમાં કચડાઈને ધગધગતો સોનેરી રસ બને છે ને જે તે ધાતુના ચમચા ખણખણવા લાગે છે. એક દૃશ્ય કચકડાની પટ્ટીઓનું એવું ફિલ્માવાયું છે કે ઊંચેથી જુઓ તો નીચે લાખો કાળા નાગ એક્બીજામાં ગૂંથાતાં લાગે. નીચે એટલાં બધાં ગૂંચળાં છે કે એનો છેડો ના જડે. સમયને વૈચારિક રીતે એમાં ઉપરથી નીચે કૂદતો બતાવાયો છે. સમયની તો એ કચકડામાં થતી આત્મહત્યા જ છે. કારણ એ પછી ફિલ્મની પટ્ટીઓ નથી રહેતી. એ પણ મશીનોમાં પ્રોસેસ થઈને, ચમકતાં રંગોની, જુદાં જુદાં માપની, જુદાં જુદાં ખોખાંઓમાં ગોઠવાયેલી બંગડીઓ થઈ ઊઠે છે. એમાં કોઈ બચ્ચન છે, કોઈ સલમાન છે, કોઈ શાહરુખ છે, કોઈ રજનીકાંત છે … આખું ફિલ્મી કચકડું બંગડીઓમાં વર્તુળાઈ ગયું !
ઉત્કર્ષ મઝુમદાર વિષે એ નોંધવું ઘટે કે મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું, પુના ઈન્સ્ટિટ્યૂટમાંથી ટી.વી. પ્રોડક્શનનો કોર્સ કર્યો, સંસ્કૃતમાં કોવિદ કર્યું ને માસ કોમ્યુનિકેશનનો ડિપ્લોમા પણ કર્યો. ઉત્કર્ષ 45થી વધુ વર્ષથી અભિનય સાથે સંકળાયા છે કે અભિનય એમની સાથે સંકળાયો છે એ નક્કી કરવાનું મુશ્કેલ છે. ‘માસ્ટર ફૂલમણિ’, ’પત્રમિત્રો’, ‘રમત શૂન્ય ચોકડીની’ જેવાં નાટકો, ‘શોર્ટસર્કિટ’,‘બાઝાર’, ‘વેન્ટિલેટર’, ’રઈસ’, ‘યે હૈ બકરાપુર’, ‘સત્યા’ જેવી ગુજરાતી-હિન્દી ફિલ્મો ઉપરાંત ટી.વી. સિરિયલો અને એડ ફિલ્મ્સ પણ એમણે કરી છે. દૂરદર્શનના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે તેમણે નાટકો, વેરાયટી શો જેવા ઘણા કાર્યક્રમો કર્યા છે. ગુજરાતી કૉલમ રાઇટિંગની પણ તેમને પચીસેકથી વધુ વર્ષની ફાવટ છે. એમણે બે નાટ્ય સંસ્થાઓ સ્થાપી છે, ‘અપર્ણા’ અને ‘સર્વનામ’. એ સંસ્થામાંથી એમણે બે મ્મ્યુઝિકલ પ્લે ‘જાગીને જોઉં તો ..’(નરસિંહ મહેતા પર આધારિત)’, ‘મેઘાણી- સરવાણી’ દિગ્દર્શિત કર્યાં છે ને એમાં મુખ્ય ભૂમિકાઓ પણ નિભાવી છે. શાળામાં હતા ત્યારથી નાટકમાં રસ. એ રસ કોલેજોની નાટય સ્પર્ધામાં વિકસ્યો. રસ એવો પડ્યો કે નાટકોમાં વધારે તક રહે એટલે કોલેજમાં એક વર્ષ, એમણે બે વર્ષે પૂરું કરેલું. ‘સખારામ બાઈન્ડર’માં એમણે બેકસ્ટેજથી શરૂઆત કરી ને એ પછી એમની શરૂઆત થઈ પ્રોફેશનલ કેરિયરની …
ગુજરાતી રંગભૂમિની શરૂઆત પારસીઓને આભારી છે. ભવાઇ મધ્યકાલીન યુગની દેન હતી. એમાં વેશ લખાતા ને ભજવાતા. પારસીઓએ પ્રોસેનિયમ થિયેટરની – ત્રણ દીવાલવાળા થિયેટરની શરૂઆત કરી, જેમાં ચોથી પારદર્શી દીવાલ પ્રેક્ષકોને આવરીને રચાઈ. પારસીઓએ જૂની રંગભૂમિની શરૂઆત 1853માં તો કરી જ, પણ હિંદુસ્તાનીમાં પણ નાટકો એમણે જ શરૂ કર્યાં. અહીં સવાલ એ થાય કે પારસીઓ જ આ ક્ષેત્રે કેમ આગળ આવ્યા, તો એનો જવાબ એ કે 17મી-18મી સદીમાં બધાંને મનોરંજન મળે એવું ખાસ કૈં ન હતું. મુંબઇમાં યુરોપિયન્સ, બ્રિટિશર્સ સારી એવી સંખ્યામાં હતા. એમણે એમના દેશમાં મનોરંજન મેળવ્યું હોય ને એમાંનું કૈં જ અહીં જોવા ન મળે તો એટલું ઓછું આવતું. અહીંના દેશીઓને તો સગાંસંબંધીઓ, સંપર્કોથી ચાલી જતું. એ લાભ વિદેશીઓને ન હતો. ત્યાં ખેલ-નાટકો જોયાં હોય, એ અહીં લાવવાનું મુશ્કેલ હતું. એ મુશ્કેલી નિવારવા વિદેશીઓએ 1750માં ઉઘરાણું કરીને કાચું થિયેટર બાંધ્યું ને પછી તો 1770ના દાયકામાં પાકું થિયેટર પણ બંધાયું. નાટકના ખેલો ઉપરાંત ત્યાં જાદુના, અંગ કસરતના ખેલો પણ થતા. એ બધું શરૂઆતમાં વિદેશીઓ માટે જ હતું, દેશીઓને એમાં પ્રવેશ ન હતો. પારસીઓ વિદેશીઓ જેવા દેખાતા ને એમની રહેણીકરણી પણ વિદેશીઓ જેવી જ હતી એટલે એમને પ્રવેશ મળ્યો. પ્રવેશ એટલે પણ મળ્યો, કારણ, અંગ્રેજી શિક્ષણ એમને લેવાનું થયું, શેક્સપિયરનાં ને વિદેશી લેખકોનાં નાટકોનો પરિચય થયો, પણ ઘણાં કારણોસર 1835માં થિયેટર બંધ પડ્યું. લોકોની ઈચ્છા હતી કે બીજું બધું તો ઠીક, પણ થિયેટર બને. એને માટે જગન્નાથ શંકરશેઠે ગ્રાન્ટરોડ પર જમીન આપી ને ‘રોયલ થિયેટર’ અસ્તિત્વમાં આવ્યું. 6 ફેબ્રુઆરી, 1846માં એ ખુલ્લું મુકાયું, પણ એ ‘ગ્રાન્ટ રોડ, થિયેટર તરીકે જ વધારે મશહૂર થયું. એ પછી તો મરાઠી નાટકોના પ્રણેતા વિશ્વનાથ ભાવેએ આખ્યાનોની એ થિયેટરમાં પ્રસ્તુતિ કરી ને એમ 1853માં દેશી ભાષાનો પણ પ્રવેશ થયો. આ જોઈને પારસી યુવકોને પણ ગુજરાતીમાં નાટક કરવાનું સૂઝ્યું. ફરામજી ગુસ્તાદજી દલાલ અને બીજા મિત્રોએ ‘રૂસ્તમ-સોહરાબ’ પહેલું ગુજરાતી નાટક 29 ઓકટોબર, 1853માં રજૂ કર્યું. ગંભીર નાટકોની સમાંતરે ‘ધનજી ગરક’ જેવાં પ્રહસને પણ હેતુપૂર્ણ મનોરંજનની તકો ઊભી કરી.
‘જનાના’ શોનાં આયોજન થયાં ને સ્ત્રીઓને નાટકો જોવાંની તકો ઊભી થઈ. ઉત્કર્ષ મઝુમદારે મુંબઈનાં નાટકોની આવી વાતો કરીને જ સંતોષ ન લીધો, પણ 1861માં, સુરતની એન્ડ્રુસ લાઇબ્રેરીમાં શેક્સપિયરનું નાટક ‘’ટેઇમિંગ ઓફ ધ શ્રૂ ’નું રૂપાંતર ‘નઠારી ફિરંગણ ઠેકાણે આવી’ ભજવાયું તેનો પણ ઉલ્લેખ કર્યો.